Opinion Magazine
Number of visits: 9483065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંદે માતરમ્‌’ ઇતિહાસ અને વર્તમાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 September 2019

એડવોકેટ અને બી.જે.પી. પ્રવક્તા અશ્વિનીકુમાર ઉપાધ્યાયની, ‘વંદે માતરમ્‌’(રાષ્ટ્રગીત)ને ‘જનગણમન’(રાષ્ટ્રગાન)ની સમકક્ષ ગણવાની જાહેરહિતની અરજીને, દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં નકારી કાઢી છે. બંધારણના અનુચ્છેદ ૨૨૬થી મળેલી સત્તા મુજબ આ અરજીને દાખલ કરવાનું અદાલતને મુનાસીબ લાગ્યું નથી. અદાલતે આર્ટિકલ ૫૧થી નિર્ધારિત નાગરિકની મૂળભૂત ફરજોમાં રાષ્ટ્રગાનનો ઉલ્લેખ હોઈ ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાનનો સમાન દરજ્જો આપવાનો ઈન્કાર કર્યો છે.

વિખ્યાત બાંગ્લા નવલકથાકાર બંકીમચંદ્રએ ઈ.સ. ૧૮૭૬માં ‘વંદે માતરમ્‌’ની રચના કરી હતી. છ વરસ પછી તેમની જાણીતી નવલકથા ‘આનંદમઠ’માં તે સમાવ્યું હતું. મુસ્લિમ નવાબ સામે બંડ પોકારતા સાધુઓના મુખે ગવાતું તે ‘આનંદમઠ’માં વાંચવા મળે છે. આ ગીતને રવીન્દ્રનાથ ટાગોરે સ્વરબદ્ધ કર્યું હતું. ઈ.સ. ૧૮૯૬માં કૉન્ગ્રેસના કોલકાતા અધિવેશનમાં કૉન્ગ્રેસ અધ્યક્ષના વિરોધ છતાં તે પ્રથમવાર ગવાયું હતું. ઈ.સ. ૧૯૦૫માં જ્યારે બંગાળનું વિભાજન થયું અને તે સામે બંગભંગ વિરોધી આંદોલન થયું ત્યારે ‘વંદે માતરમ્‌’ બંગાળ વાટે સમગ્ર દેશમાં પ્રસર્યું હતું. ૧૯૦૫ની સાતમી સપ્ટેમ્બરે ગોપાલકૃષ્ણ ગોખલેના અધ્યક્ષસ્થાને કૉન્ગ્રેસનું અધિવેશન વારાસણી(બનારસ)માં યોજાયું હતું. કૉન્ગ્રેસ અધ્યક્ષ ગોખલેએ ‘વંદે માતરમ્‌’ ગાવાની અનુમતી આપી નહોતી, પરંતુ અધિવેશનમાં ઉપસ્થિત કૉન્ગ્રેસીઓનો ઉત્સાહ અને ગુસ્સો પારખીને તેમણે સમગ્ર ગીતને બદલે આરંભિક બે જ અંતરા ગાવાની અનુમતિ આપી હતી. છતાં રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણી સરલાદેવી ચૌધરાનીએ આખેઆખું ‘વંદે માતરમ્‌’ ગાયું હતું. એ રીતે ૧૯૦૫ની સાતમી સપ્ટેમ્બરે ‘વંદે માતરમ્‌’નો કૉન્ગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો હતો. આજે તે ઘટનાને લગભગ ૧૧૪ વરસ થવા આવ્યાં છે, પરંતુ ‘વંદે માતરમ્‌’નો વિવાદ શમ્યો નથી. ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ દેશનો જે ઝંડો બનાવ્યો હતો તેમાં વચ્ચે ‘વંદે માતરમ્‌’ હતું. તો લાહોરથી ‘વંદે માતરમ્‌’ નામક અખબાર પ્રગટ થતું હતું તે હકીકત નોંધનીય છે.

ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ્‌’ કૉન્ગ્રેસના વારાણસી અધિવેશનમાં સ્વીકૃતિ પામ્યું ત્યારથી તેની સામે કૉન્ગ્રેસના એક વર્ગનો અને મુસ્લિમોનો વિરોધ હતો. મહંમદ અલી ઝીણા સહિતના કૉન્ગ્રેસી આગેવાનોમાં અલગ મઝહબી રાજ્યની માનસિકતા નહોતી પ્રગટી ત્યાં સુધી તેઓ પણ ‘વંદે માતરમ્‌’નું ગાન કરતા હતા. કૉન્ગ્રેસના કાકીનાડા અધિવેશન(૧૯૨૩)માં તે સમયના કૉન્ગ્રેસ પ્રમુખ મૌલાના મુહમ્મદ અલીએ ‘વંદે માતરમ્‌’નો વિરોધ કર્યો હતો. જો કે તેમણે વિરોધનું કારણ ઈસ્લામમાં સંગીત વર્જિત હોવાનું જણાવ્યું હતું. જો કે વિરોધ છતાં ગાન થયું હતું. કૉન્ગ્રેસનાં અધિવેશનોમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર આ ગીત ગાતા હતા. ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના આઝાદી દિનની ઉજવણી વખતે સંસદમાં ‘વંદે માતરમ્‌’ સુચેતા કૃપલાણીએ ગાયું હતું.

‘જનગણમન’ને રાષ્ટ્રગાન(નેશનલ એન્થમ)નો બંધારણીય દરજ્જો મળ્યો છે. તે બાવન સેકન્ડમાં ગાવાનું નિર્ધારિત કરાયું છે. તેના ગાનનો અનાદર સજાપાત્ર ગુનો ગણાય છે. જ્યારે ‘વંદેમાતરમ્‌’ના આરંભિક બે અંતરાને રાષ્ટ્રગીત (નેશનલ સોન્ગ) ગણવામાં આવ્યું છે. તેના માટે કોઈ નિયમો નથી. તે ગમે ત્યાં ગાઈ શકાય છે. આટલો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું ‘વંદેમાતરમ્‌’ રાષ્ટ્રગીત હવે એકસૂરે અને સર્વસંમતિથી ગાઈ શકાતું નથી. ૨૦૦૫-૦૬માં જ્યારે ‘વંદેમાતરમ્‌’ની શતાબ્દી મનાવાઈ ત્યારે પણ તેનો વિરોધ થયો હતો.

‘વંદે માતરમ્‌’ સામેનો મુસ્લિમોનો વિરોધ એ કારણસર છે કે તે ગીતમાં વતન કે દેશને અલ્લાહથી પણ ઉપર મૂકવામાં આવ્યો છે અને ઈસ્લામમાં તો અલ્લાહ જ સર્વોપરી છે. ‘વંદે માતરમ્‌’માં વતનની પૂજા અને તેમાં આવતા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી જેવી દેવીઓના ઉલ્લેખને પણ બિનઈસ્લામી ગણવામાં આવે છે. આ વિરોધ ન માત્ર કટ્ટરપંથી મુલ્લા-મૌલવીઓનો છે. ડાબેરી મુસ્લિમ સાંસદો પણ વિરોધ કરે છે. ‘વંદે માતરમ્‌’માં ભારત દેશની માતા સાથેની સરખામણી પણ મુસ્લિમોને સ્વીકાર્ય નથી. જો કે ‘વંદે માતરમ્‌’ના તરફ્દારો મુસ્લિમોના વિરોધનું મૂળ ‘આનંદમઠ’માં આ ગીત, સાધુઓએ નવાબ સામેની બગાવત વખતે ગાયું હતું તેને માને છે. બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયા જેવા ઈસ્લામી દેશોમાં પણ વતનની સ્તુતિ રાષ્ટ્રગાનમાં સામેલ હોય ત્યારે ભારતીય મુસ્લિમોનો વિરોધ ન સમજાય તેવો છે. સામે પક્ષે “ભારત મેં રહના હૈ તો વંદે માતરમ્‌ ગાના હી હોગા”ની હિંદુ ચરમપંથીઓની બુમરાણ પણ ચિંતાજનક છે.

દેશનું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્‌’ તે કૉન્ગ્રેસ અધિવેશનોમાં સ્વીકૃત બન્યું ત્યારથી જ હિંદુવાદનું પ્રતીક ગણાતું રહ્યું છે. બીજી તરફ કથિત રાષ્ટ્રવાદીઓ પણ તેનો બચાવ કરતા રહ્યા છે. એક તરફ અંધ રાષ્ટ્રભક્તિ અને ‘વંદે માતરમ્‌’ ગાવાનો ઈન્‌કાર એટલે દેશદ્રોહ એવો માહોલ છે તો બીજી તરફ ‘વંદે માતરમ્‌’ ગાવું એટલે ઈસ્લામ દ્રોહ, ધર્મદ્રોહ તેવી માન્યતા છે. આ સંજોગોમાં ‘વંદે માતરમ્‌’ હિંદુ-મુસ્લિમ છાવણીમાં વહેંચાય અને ધરમની આડમાં રાષ્ટ્રધર્મનો દ્રોહ થાય તે બાબત શોચનીય ગણાવી જોઈએ. ‘વંદે માતરમ્‌’ના રચયિતા બંકીમચન્દ્ર જ્યારે અંગ્રેજ સરકારની નોકરી કરતા હતા અને સરકારી સમારોહોમાં ફરજિયાત ‘ગોડ સેવ ધ ક્વીન’ એ ગીત સ્તુતિ રૂપે સાંભળતા હતા, તેનાથી તેમને દુઃખ થતું હતું. અંગ્રેજોની રાણી સ્તુતિના વિરોધમાં તેમણે ‘વંદે માતરમ્‌’ રચ્યું હતું. પણ આજે આઝાદ ભારતમાં તે જ ગીત બે જુદીજુદી છાવણીમાં વહેંચાઈ ગયું છે. રાષ્ટ્રગીત પણ એક ધાર્મિક-રાજકીય મુદ્દો બની ગયું છે. રાષ્ટ્રપ્રેમ સહજ આસ્થાને બદલે બળજબરીથી લાદવાની ચીજ બની ગઈ છે.

તાજેતરની દિલ્હી હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી અને તેના અદાલતી અસ્વીકાર પછી હવે ‘વંદેમાતરમ્‌’ને લગતા સઘળા વિવાદો પર પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ. દેશનું બંધારણ સર્વોપરી છે અને તેનાં રાષ્ટ્રીય પ્રતીકો ધર્મકોમજ્ઞાતિવર્ગલિંગના ભેદ સિવાય સૌને સ્વીકાર્ય બનવા જોઈએ. અલગ ધાર્મિક દેશ પાકિસ્તાનમાં જવાનો વિકલ્પ જેમણે નકાર્યો અને ‘બિનસાંપ્રદાયિક, લોકશાહી, સમાજવાદી ભારત’માં રહેવું જેમણે પસંદ કર્યું તે ભારતીય મુસ્લિમો માટે આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી. ‘વંદેમાતરમ્‌’ને નકારતા મુસ્લિમો અને તેને ફરજિયાત લાદવાનો જ નહીં, બલકે જો તેઓ ‘વંદેમાતરમ્‌’ ન ગાય તો મતાધિકાર છીનવી લેવા સુધ્ધાંની ધમકીઓ આપતા કટ્ટરપંથીઓ આપણી લોક્શાહીના પોતને નબળું પાડે છે. મુસ્લિમ સમાજે ધાર્મિક માનસિકતા ત્યજી રાષ્ટ્ર અને સમાજ સાથે એકસૂરમાં બોલવું પડશે. ઈસ્લામી ધાર્મિક માન્યતાઓને નહીં બિનમજહબી દેશના સંવિધાનને જ મહત્ત્વ આપવું પડશે. કૉન્ગ્રેસનાં અધિવેશનોમાં અને આઝાદી આંદોલનમાં છૂટથી ગવાતું ‘વંદે માતરમ્‌’ આજે જમણેરી પક્ષોના મતોના રાજકારણની ચાલ બની રહ્યું છે તે સમજવું પડશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 04 સપ્ટેમ્બર 2019

Loading

4 September 2019 admin
← લેખક હોવું એટલે
બજાર, રાજ્ય અને સમાજ અર્થતંત્ર ત્રણ સ્તંભ – દરેક વચ્ચે સંતુલન જરૂરી →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved