Opinion Magazine
Number of visits: 9504757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વલ્લભ નાંઢાની વાર્તા : ’આયેશા’

મહેન્દ્રભાઈ દેસાઈ|Opinion - Opinion|5 November 2019

વલ્લભભાઈ નાંઢાની આ વાર્તા, ‘આયેશા’ એમણે રચેલી અન્ય વાર્તાઓ કરતાં કંઈક જુદા જ પ્રકારની છે. વાર્તા ઘડવાની આ નવીન રીતને હું ‘ચોકઠાની રીત’ કહું છું, જેમાં પાત્રો પોતે જ પોતાના રચેલા ચોકઠામાં રહીને વાર્તા આગળ ચલાવે છે. પણ ચોકઠાની દિવાલો ઈંટ-પથ્થરોની બનાવેલી નથી, પણ એવી પાતળી છે કે સંવાદોની અવરજવર થઈ રહી છે અને પાત્રોની અલિપ્તતા પણ જળવાઈ રહી છે.

વાર્તા આમ તો સીધી સાદી છે. A boy meets a girl જેવી. અહીં બૉય એટલે મોરિસ જોન્સ, જે લંડનની એક કૉલેજમાં થિયોસોફીનો અધ્યાપક છે. અને ગર્લ એટલે આયેશા, જે એક મુસ્લિમ, મધ્યમ વર્ગની, થોડા સમય પૂર્વેથી નિરાધાર છે – હૉમલેસ છે. બન્ને જુદા જુદા ચોકઠાનાં પાત્રો છે.

વાર્તામાં એક જ ઘટના છે : વરસતા વરસાદમાં પોતાના કોર્ટયાર્ડ પાસે, ફૂટપાથના ઘાસ પર બેઠેલી, પાણીથી લથબથ ભીંજાયેલી, એક યુવતીને જોઈને મોરિસ જોન્સ, માનવસહજ ભાવથી તેમ જ  અનુકંપાથી પેલી સ્ત્રીને મદદ કરવા ચાહે છે. ‘હૅલો, કાંઈ તકલીફ છે ?’ અને યુવતી આયેશા, હૉમલેસના કઠોર અનુભવોથી ઘડાયેલી, પોતાના સ્વરક્ષણ માટે એક ચોકઠાની દિવાલ રચી દે છે. ‘મોરિસનની સામે જોયું ન જોયું ને નજર નીચે ઢાળી લીધી.’ એ ચોકઠામાં રહીને આયેશા વાર્તાની રજૂઆત કરે છે અને અંત સંવાદની એક પાતળી શી દોરી ચોકઠા પર લટકાવે છે, ‘મને કંઈ તકલીફ નથી.’

મોરિસ સહાનુભૂતિથી પિત્ઝા રેસ્ટૉરાઁમાં એને પિત્ઝા ખવડાવે છે. બહાર નીકળી પરિચયની આપ-લે કરતાં હાથ લંબાવે છે. આયેશાએ સંકોચથી હાથ લંબાવ્યો અને તરત પાછો ખેંચી લીધો. મોરિસ ધર્મ વિષયનો અધ્યાપક હોઈ અન્ય ધર્મોના વિચારો, રીતરિવાજોથી માહિતગાર છે. તેથી પોતાના ચોકઠામાં આવી જાય છે, અને પેલી પાતળી દોરીને અનુસરી પોતાના જ ચોકઠામાં રહીને એના મનોભાવો થકી અને નાનકડા સંવાદ વાટે વાર્તા આગળ ચલાવે છે. આમ બન્ને પાત્રો પોતપોતાના ચોકઠામાં રહી, સંવાદ-દોરીને અનુસરીને સંવાદ રચે, ક્યારેક એકબીજાં પ્રત્યે શંકાકુશંકા કે ભાવ-પ્રતિભાવ સ્વગત સંવાદો રચીને વાર્તા આગળ ચલાવે. વાર્તાકારની આ રીત વાચકને જરૂર પ્રભાવિત કરે છે.

વાચકને આ ચોકઠાની નિરસતા ખૂંચે, કારણ કે એક જ ઍપાર્ટમેન્ટમાં આ યુવાન સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પણ ક્યાં ય ફણગો ફૂટતો નથી લાગતો, કશું ય અંકુરિત થતું નથી. એ નિવારવા વાર્તાકારે ક્યાંક રસિકતાની રચના કરી. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે ‘પેલો ટૃાય કરે તો’. અને એને ગલગલિયાં થાય. તો બીજી બાજુ બહાર સોફા પર સુતેલો મોરિસ અડધી રાતે બાથરૂમમાં જવા માટે, આયેશા જ્યાં સૂતી છે એ બેડરૂમમાં જાય અને પોતાની પથારીમાં સુતેલી આયેશાને જોઈ રહે …… પણ ધાર્મિકતાનું ચોકઠું, એટલે સંયમ જાળવીને રૂમ બહાર નીકળી જાય છે.

ડોરોથી − મોરિસની માતા. એનું પાત્ર બહુ નાનું છે પણ વાર્તામાં એ અગત્યની ભૂમિકાએ છે. એને પણ વાર્તાકારે એક ચોકઠામાં બેસાડી દીધી છે. તે દીકરાથી અલગ રહે છે. દીકરાના જીવનમાં કોઈ દખલગીરી કરતી નથી, પણ માતાનું દિલ છે. એટલે આયેશા જેવી મધ્યમ વર્ગની અને સંસ્કારી છોકરી પોતાના દીકરા સાથે રહે છે, તો ક્યાંક ગોઠવાઈ જાય તેવું વિચારતી હોય છે, પણ મોરિસને કે આયેશાને સામેથી પૂછતી નથી.

વાર્તાના અંતે આ ત્રણેય ભેગાં થાય છે, પોતપોતાના ચોકઠાંમાંથી નીકળીને, થોડા સંવાદો અને મનોભાવો થકી વાર્તા અંતિમ ચરણે આવે છે, અને અચાનક જ અણધાર્યા મુકામે વાર્તા પૂરી થાય છે. વાચક દિગ્મૂઢ બની જાય અને વાર્તાકાર બધાને પ્રભાવિત કરીને ખુશી ખુશીથી નીકળી જાય.

વાહ ! વલ્લભભાઈ, વાહ !

પણ સર્વ હક લેખકને સ્વાધીન, એ વાત એમનાં પાત્રો સ્વીકારતાં નથી, કારણ કે પાત્રો પોતે જ પોતાના પાત્રાલેખન થકી પોતપોતાનો રસ્તો બનાવી લે છે. આયેશા એ હોમલેસ છે અને હોમલેસનેસ એટલે જીવનની અનિશ્ચિતતા, અસ્થાયી જીવન અને સ્વ બચાવ માટે શંકાનું કવચ જે એની માતાએ પહેરાવેલું, એટલે આયેશા માટે શંકા નિવારણ કરવું એ દુષ્કર છે, અને ઈચ્છા હોવા છતાં પણ કોઈની સાથે જોડાવવું એ કઠિન બને.

મોરિસ જોન્સ − બાળપણથી જ ખ્રિસ્તી ધર્મના વિચારોથી રંગાયેલો છે. એની ઉંમરના છોકરાઓ જ્યારે છોકરીઓ પાછળ ઘેલા થાય ત્યારે મોરિસ બાઇબલ વાંચવામાં રસ ધરાવે. એટલે એનામાં સંયમી વર્તાવ ઘડાતો જાય અને એક પ્રકારની અલિપ્તતા કેળવાતી જાય. પાંચ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ આયેશા હૃદયપૂર્વક કહે કે ‘આઈ એમ રિયલી થેન્કફૂલ’, એ પળે અન્ય પુરુષની જેમ આયેશા પ્રતિ નજીક થઈ શક્યો હોત; કંઈક અંકુરિત થઈ શક્યું હોત. પણ એ તો કેવળ હાથ ઊંચો કરીને રૂમની બહાર નીકળી જાય છે. એ એની અલિપ્તતા કે પછી એના પિતાએ બાળપણમાં કરેલી ટકોર કદાચ સાચી હોય ?

ડોરોથી − ખ્રિસ્તી ધર્મનાં નીતિનિયમોમાં આસ્થા રાખનારી, દીકરાએ એક અનાથ – બેઘર યુવતીને એના ઍપાર્ટમેન્ટમાં ‘પનાહ’ આપી છે તે ‘ગુનાહ’ નથી, એવી સોચ ધરાવનારી, પુત્રના લક્ષણ પારણામાંથી એવું જાણનારી એ નારીને કંઈક શંકા થાય કે આયેશા સાથે લગ્ન કરીને દીકરો એને ઘરમાં સ્થાન તો આપશે પણ સ્ત્રી સહજ ભૂખ સંતોષી ન શકે તો ? આયેશા પછી ફરીવાર બેઘર થઈ જાય એના કરતાં એને દીકરી તરીકે અપનાવું તો !!!

આમ ત્રણેય પાત્રો પોતપોતાના સ્વ-ભાવ કે સ્વ-પ્રકૃતિ અનુસાર વાર્તાના એ જ અંત તરફ બઢતાં હોય તો એ પાત્રો પણ વાર્તાની સફળતાના ભાગીદાર બને છે.

ઘટનાઓ ઘડ્યા વગર, કેવળ પાત્રોના બોલ કે અબોલ સંવાદો થકી વાર્તા રચવી, પાત્રો એકબીજાંની નજીક આવે પણ તેમના સ્વ-ભાવ પ્રમાણે કંઈ જામે નહિ − અલિપ્ત રહે ત્યારે વાચકને આગળ ઉપર કંઈક થશે, એ માટેની ઈન્તેજારી રહે અને એ ઈન્તેજારી છેવટ સુધી જળવાઈ રહે એ રીતની વાર્તા રચવાનો શ્રેય વાર્તાકારને જરૂર ઘટે.

એક બે ક્ષતિઓ તરફ આંગળી ચીંધું ! કોઈ પણ હોમલેસ વ્યક્તિ બીમાર થવાના ડરથી વરસતા વરસાદમાં ભીનાં ઘાસ પર ખુલ્લામાં બેસે નહિ. હા. પાણીથી લથબથ થયેલી યુવતીનું ચિત્ર કામુક ભાવ જગાડે. પણ તે માટે માખણ જેવી પીઠ પર ફેલાયેલા કાળા વાળ એ વર્ણન અત્રે અસ્થાને છે.

આ તો થઈ વાર્તા વિશેની વાત, પણ વાર્તામાંથી ઊઠતા એક બે મુદ્દા મને દેખાયા છે તેની વાત કરું.

આ વાર્તા એક ધાર્મિક વાર્તા નથી, પણ એમાં ક્રિશ્ચિયન વેલ્યૂની જે નોંધ કરાઈ છે, તે છે હ્યુમન વેલ્યૂ ઍન્ડ એમ્પથિ – માનવ મૂલ્ય અને અનુકંપા. કોઈ પણ જાતિ કે ધર્મની પરવા કર્યા વગર ત્રસ્ત વ્યક્તિ પ્રતિ કેવળ અનુકંપાથી દોરાઈને એને મદદરૂપ થવા કે એના દુ:ખમાં ભાગીદાર થવાનો એક આદર્શ અહીં વ્યક્ત થયો છે.

બીજો મુદ્દો − વાર્તામાં થોડીક શૃંગારિકતા લાવવા માટે વરસાદમાં બીંજાતી સ્ત્રીનું વર્ણન કર્યું છે, એમાં થોડી કામુકતા છે. પણ એથીયે આગળ વધીને, એકાન્તમાં એક અનજાન પુરુષ સાથે રહેતી સ્ત્રીના મનમાં કેવા ભાવો પ્રગટે છે તેનું પણ બયાન કર્યું છે. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે છે કે ‘પેલો ટૃાય કરશે તો?’ અને એના દિલમાં ગલગલિયાં થવાં લાગે છે. અને આગળ જતાં એક બીજો ભાવ જાગે છે, ‘એ જેન્ટલમેનનો બચ્ચો થવા જશે અને ટૃાય નહિ કરે તો ?’ યુવાન સ્ત્રીપુરુષ, એકબીજાંથી અનજાન, પણ એકાન્તમાં મળે ત્યારે આવા કંઈક વિચારો ઉભરાય એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને પુરુષના ભાવોને પ્રગટ રૂપે બતાવાય છે, જ્યારે સ્ત્રીના ભાવો અ-પ્રગટ રહેતા હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી એ પુરુષ માટે ભોગ માટેનું સાધન મનાય છે. પણ સ્ત્રી એ ભોગ્ય વસ્તુ નથી, એ એક ભોક્તા પણ છે. હવે ‘સ્ત્રી માટેના સમાન હક’ની વિચારધારાથી નવી સમજ કેળવાતી જાય છે, એ પ્રતિ લેખકે અહીં અંગૂલિનિર્દેશ કર્યો છે.

e.mail : mndesai.personal@googlemail.com

(વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક – ‘વાર્તા વર્તુળ’માં, શનિવાર, 02 નવેમ્બર 2019ના દિવસે આ વાર્તા વિશે રસદર્શન થયું તેની પ્રમુખ રજૂઆત)

આ વાર્તા અહીં જોઈવાંચી શકાય છે : https://opinionmagazine.co.uk/details/4777/ayesha

Loading

5 November 2019 admin
← વિશ્વ શાંતિ અને મૈત્રી યાત્રાના યાત્રી નીતિન સોનેવાને
શ્રમિક અધિકારો પર શ્રમસુધારની તરાપ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved