Opinion Magazine
Number of visits: 9448786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વકટલેંડ અને વાલમબોલ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|15 November 2017

પ્રાયોજિત સોશિયલ મીડિયાનો ઉદ્રેક અને ઉત્પાત, સેક્સ સીડીનો સંજય જોશી-ખ્યાત રાબેતો અને ગાંડા વિકાસનું ગુજરાત મોડેલ : જામતા ચૂંટણી માહોલમાં એટલું સારું છે કે મનમોહન અને ચિદમ્બરમ્‌ કે યશવંત સિંહાના અધિકૃત અવાજો વિપરીતપરિણામી નોટબંધી-જી.એસ.ટી. જેવા મુદ્દે સંભળાતા થયા છે. જો કે, આ અર્થનીતિ (વિકાસને નામે જૉબલેસ ગ્રોથ થકી મસમોટો રસોળો) ક્યાં લઈ જઈ રહી છે એની અરુણકુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આપેલી સંવેદનમંડિત સમજૂત કે તમે એ તો જુઓ કે વંચિતો વધવાનું ચાલુ છે, અને જેઓ છેવાડાના કહેતાં સીમાન્ત છે તે અતિસીમાન્ત અનવસ્થામાં મુકાઈ રહ્યા છે – હજુ આપણા વિમર્શના કેન્દ્રમાં નથી. હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ ઉદ્રેકે આંદોલિત ને ઉદ્યુક્ત સમુદાયોથી કૉંગ્રેસ પોતાને કંઈક વાજીકૃત અનુભવે છે એ સાચું; અને ગુજરાતમાં ભા.જ.પ. બે દાયકાની જે જવાબદેહી માટે બંધાયેલ છે તે દૃષ્ટિએ એ ઠીક જ છે. માત્ર, આ પ્રક્રિયામાં જે હાંસલ થશે તેણે આગળ ચાલતાં સીમાન્ત તબકાનો પથ પ્રશસ્ત કરવો રહેશે.

ખરું જોતાં, જવાબદેહીની સાદી સમજૂતથી હટીને સ્વરાજના લાંબા પટ પર ઇતિહાસપ્રક્રિયાની રીતે આખી વાતને જોવી રહે છે. ગુજરાતના ભાજપી સત્તાપ્રતિષ્ઠાનને એ વાતે કદરબૂજ નહીં તો પણ કંઈક તો ઓસાણ હોવાં ઘટે છે કે કોઈ એકલદોકલ ધારાસભ્યને બદલે ગુજરાત વિધાનસભામાં એના ધોરણસર પ્રવેશ ને પ્રતિષ્ઠાનું શ્રેય જયપ્રકાશના આંદોલનની આબોહવામાં બનેલ જનતા મોરચાને (જનસંઘ ઘટકને નાતે) ઘટે છે. ગુજરાતમાં ૧૯૯૫માં ભા.જ.પ.ને જે સુવાંગ જનાદેશ મળ્યો એ જનસંઘના જનતા અવતારને આભારી છે. ૧૯૭૫-૭૭માં જે જનતાઅવતાર કોળ્યો એ સ્વરાજ પરંપરામાં આવેલો એક વિકલ્પ હતો, કૉંગ્રેસને ચડેલ મેદ અને કાટ બાદ કરતાં બેઉ હતા તો સ્વરાજધારામાં જ. બલકે, ખરેખર તો આ જેપી જનતા અવતારે જ સંઘ-જનસંઘ માથેનું મહેણું (તમારા પૂર્વસૂરિઓ સ્વરાજની લડત વખતે ક્યાં હતા) ભાંગવાની પશ્ચાદ્‌વર્તી આસાએશ પણ કરી આપી. ૧૯૪૭માં ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચાલતી કૉંગ્રેસનો આછોપાતળો ને કાલોઘેલો સ્વરાજવિકલ્પ જેપી કૃપાએ જનતા મોરચારૂપે શક્ય બન્યો હતો. એમાં અનુસ્યૂત સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાના સંસ્કારો, મધ્યમમાર્ગી ને ડાબે ઝૂકતી ભૂમિકા, અને સ્વરાજની રાષ્ટ્રીય પ્લેટફોર્મશી કૉંગ્રેસની નવ્ય આવૃત્તિ રૂપે ધોરણસરના વિકલ્પનું કદ ને કાઠી સંપડાવી શકે એવી આશા અસ્થાને નહોતી. એક રીતે, ઇંદિરાઈ એકાધિકાર સામે ગાંધીનેહરુપટેલ એકંદરમતીનું એ ગુજરાત મોડેલ હોઈ શકતું હતું.

નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલ વેચી વેચીને નવી દિલ્હી પહોંચ્યા એ જેને સહારે જનસંઘ-ભા.જ.પ.ને ગુજરાતમાં વિધિવત પ્રવેશ ને પ્રતિષ્ઠા મળ્યાં તે ૧૯૭૫-૧૯૭૭ના જનાદેશથી બિલકુલ વિપરીત હતું અને છે. આ મોડેલની તળેઉપર તપાસ વાસ્તે વીસબાવીસ વરસ એ તરત સામે આવતો ગાળો હશે; પણ ૧૯૯૫ના જનાદેશે નહીં અટકતાં ભા.જ.પે. વસ્તુતઃ ૧૯૭૫ના જનાદેશને ધોરણે હિસાબ આપવો રહે છે અને જાતતપાસ પણ કરવી રહે છે. જે સૌએ વિકલ્પની લાયમાં ભા.જ.પ.વટું કીધું હતું તે પૈકી જેમણે (ભલે અત્યાર સુધી એમણે તટસ્થ નાગરિક તપાસ અને ટીકાટિપ્પણ ભણી, એક સમાંતર વિચાર ભણી, દુર્લક્ષ સેવ્યું હોય) તેમણે પણ પુનર્વિચારની આ પળ પકડવી ઘટે છે.

વસ્તુતઃ ૧૯૪૭ કે ૧૯૭૫-૭૭ના જનાદેશથી પણ લાંબે અને ઇતિહાસપ્રક્રિયાની રીતે જોઈએ તો ૧૯૧૫માં ગાંધીના ભારતપ્રવેશ પછીની હર શતવર્ષી કને પ્રજાસત્તાક સ્વરાજનાં આગેકદમની સંબલસામગ્રી પડેલી છે. નવેમ્બર ૧૯૧૭માં તમે જુઓ કે ગોધરામાં ગુજરાતની પહેલી રાજકીય પરિષદ મળી હતી જેને પગલે ગાંધીની અધ્યક્ષતામાં ને વલ્લભભાઈના સંયોજનમાં ગુજરાતમાં ધોરણસરના રાજકીય જીવનની હવા બની હતી. એમાં અલબત્ત અગાઉનાં મવાળ પ્રવાહનીયે એક ભૂમિકા હતી. ગોધરા ૨૦૦૨માં બહુ જ વરવી રીતે દેશના નકશે મૂકાયું, કેમ કે ૧૯૧૭ની ગોધરા પરિષદે કંડારેલા રાહથી ચાતરતી વિચારધારાઓ થકી આપણો વિમર્શ બલાત્કૃત, અપહૃત, વિકૃત શો હતો. ગોધરાની રાજકીય પરિષદે ટિળક અને ઝીણાની વિશેષ ઉપસ્થિતિ(અને સહભાગિતા)માં હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ અંત્યજોદ્ધાર(અસ્પૃશ્યતા નાબૂદી)ને ધોરણે સ્વરાજ ઝંખ્યું હતું. વેઠ પ્રથાની નાબૂદી સહિતનાં વાનાં એના એજન્ડા પર હતા. અને હા, મોટી વાત તો એ પણ બની હતી કે નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુર બાબત વફાદારીનો શ્રી ગણેશાય નમઃ સરખો રસમી ઠરાવ આ પરિષદે પસાર કરવાપણું જોયું નહોતું. ૧૯૧૭થી ૨૦૦૨ સુધી પહોંચતે પહોંચતે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે ! ગમે તેમ પણ, ૨૦૦૨એ રક્તરંજિત કોમી ધ્રુવીકરણની રાહે ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કર્યો અને ૨૦૧૭માં એ અંગે સ્વરાજસુધારના અવસર શી ચૂંટણી આપણાં દ્વાર ખખડાવી રહી છે.

નાગરિક વકટલેંડ, કાશ, તું ઉંબરે ઊભી આ વાલમબોલ સાંભળતી હો!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 01-02

Loading

15 November 2017 admin
← The Glory of Patan : Book Review
સાહિત્યમૂલ્ય અને સ્વાયત્તતામૂલ્યનો ઉત્સવ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved