Opinion Magazine
Number of visits: 9452842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વહીવટ’ શબ્દનો અર્થવિસ્તાર

યોગેન્દ્ર પારેખ|Opinion - Literature|16 December 2016

તાજેતરમાં એક સ્વજનને ઘરે જવાનું થયું. ત્રણ વર્ષના નીલકાન્તને એક ઓરડામાં રમકડાંના ઢગલા વચ્ચે જોયો. બેઠકખંડમાંથી બે-ત્રણ સાદ પાડવા છતાં બાળક બહાર આવવા તૈયાર નહીં. તેના દાદાએ કહ્યું કે આજે રમકડાંનો આખો કબાટ ખાલી કર્યો છે તેનો ‘વહીવટ’ ચાલે છે. દાદાની દુનિયાનો ‘વહીવટ’ શબ્દ પૌત્રની રમત રમતમાં પવિત્રતા પામ્યો. વહીવટ શબ્દનો આટલો સરળ અર્થ થતો હોત તો ક્યાં કોઈને કશી તકલીફ છે. પણ આ શબ્દ આપણા વર્તમાન વાસ્તવમાં આપણા મનોજગતમાં જુદો જ અર્થબોધ કરાવે છે. સત્યથી જેટલા વેગળા એટલાં વહીવટની નજીક એવા વિષમય અર્થઘટનના આશ્લેષમાં આપણે અનુકૂળ અર્થઘટન કરીને રોડવી લેવાનું હોય છે.

સરકારી પરિભાષામાં કાર્યાલયના સમગ્ર તંત્રનું સંચાલન થતું હોય, તેવી એક વિભાગીય શાખાને વહીવટ કહેવામાં આવે છે. જે-તે વિભાગ સંલગ્ન સામાન્ય નાગરિકો, અરજદારો, લાભાર્થીઓ, સંલગ્ન સેવાસંસ્થાઓ, નોંધણી પામેલા અધિકૃત સભાસદો, પ્રજાજનો, જો શૈક્ષણિક સંસ્થા હોય, તો વિદ્યાર્થીઓ, કરાર દ્વારા જોડાણનું અસ્તિત્વ ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓ વગેરે-વગેરે આ વહીવટના કાર્યક્ષેત્રમાં, વર્તુળમાં, પ્રભાવમાં, અસરમાં, પરિણામની ભૂમિકાએ આવે છે. જે-તે સંસ્થાની બંધારણીય જોગવાઈઓનું પાલન થાય તે ધ્યાનમાં રાખીને સંસ્થાએ પોતાની સ્થાપનાના હેતુઓ સિદ્ધ થાય તે માટે સાર્થક દિશામાં પ્રયત્ન કરવાના થાય. તેને સાચી દિશાનો વહીવટ થયો કહેવાય.

પ્રિય વાચક! વહીવટનો સાચૂકલો અર્થ વાંચીને તમને કંટાળો આવ્યો હશે. ચીડ ચડી હશે. સ્વાભાવિક છે કે જગતમાં જે વસ્તુનું કોઈ અસ્તિત્વ જ ના હોય, એવી વાતને એક આદર્શ તરીકે રજૂ કરી સવારસવારમાં અથવા તો તમે જ્યારે પણ વાંચતાં હશો, ત્યારે તમને કંટાળો આપવાનો કોઈ બદઇરાદો નથી. સત્ય વિશેની જાણકારી મેળવ્યા પછી અસત્યનો ભેટો કરવાથી જે ઉઝરડા પડે છે, તે કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળીને જ પડે છે. બાકી બધાંને માત્ર મજા આવે છે અથવા તો નારાજગી થાય છે. કોણ કેવા વહીવટમાં પડ્યા છે, તેના આધારે વહીવટ શબ્દનો અર્થવિસ્તાર તેના વાચકના મનમાં વિવિધ ભાવ જન્માવે છે.

આપણે મૂળ વાત વહીવટની કરતા હતા. પાપ-પુણ્યની કલ્પના અને શાસ્ત્રથી ઊભરાતાં વિશ્વમાં વહીવટનો અલાયદો મુકામ છે. જ્યાંથી બધું ઉદ્ભવે છે, વિસ્તરે છે, લય-વિલય પામે છે, આથડે છે, અથડાવે છે, ટપારે છે, ટકોરે છે, ટકરામણ થાય છે, પાર પડે છે. પાધરું પડે છે અને પડે ત્યારે સઘળું પડે છે. પાપભીરુ માણસ એ વિસ્તારમાં હોવા છતાં જેના પ્રવર્તમાન અર્થથી દૂર રહેવામાં ક્યારેક સફળતા મેળવે છે, ક્યારેક ખરડાય છે. જેને આવડે એને જ આવડે છે, એવા કૌશલ્યનું નામ વહીવટ છે.

થોડા દિવસ પહેલાં એક મોટી સંસ્થામાં અરજી કરનાર યુવાને પૂરી નિર્દોષતાથી માર્ગદર્શનની અપેક્ષાએ આ લખનારને પૂછ્યું કે ‘વહીવટી અનુભવ’ના ખાનામાં શું લખું? બે ઘડી આઘાતમાંથી બહાર આવીને મેં પૂછ્યું, તમે જીવનમાં ક્યારેય જમીનમાપણી કરાવી છે? એન.એ.- એન.ઓ.સી.નો અનુભવ છે? વીજજોડાણ કપાયું હોય, તો પાછું કનેક્શન મેળવ્યું છે? સાત-બારનો ઉતારો કઢાવ્યો છે? કોઈને નોકરીમાં સેટ કર્યા, કરાવ્યા છે? કોઈને નોકરીમાંથી કઢાવ્યા છે? કોઈની બદલીમાં નિમિત્ત બન્યા છો? કોઈને મેમો આપવામાં, અપાવવામાં સહાયક બન્યા છો ? કોઈની કામગીરી પર પાણી ફેરવતાં આવડે છે? પાણી ફેરવ્યા પછી અજાણ્યા બની આશ્વાસન આપતાં આવડે છે? એક સિક્કાની બે બાજુ તરીકે સત્ય અને અસત્યનો ઉપયોગ કરવાની ફાવટ છે? કરવા યોગ્ય કરવા માટેની નિષ્ક્રિયતા અને ન કરવાનું કરવાની તત્પરતા તમારા સ્વભાવમાં છે? કામની વસ્તુ ગૂપચાવવાની અને નકામી વસ્તુ શણગારવાની આદત છે? જાહેરહિતમાં જાહેર કરવા યોગ્ય બાબતોને ગોપનીય ગણીને ચાપલૂસી કરતાં આવડે છે? તમને ન આવડતાં કામ સત્તાની રૂએ બીજા પાસેથી કરાવી લેવડાવી તમે કરેલાં કામ તરીકે રજૂ કરી શકો? કોઈને મુખ્ય પ્રવાહમાંથી હટાવતાં આવડે છે? આટલા બધાં પ્રશ્નો સાંભળીને ડઘાઈ ગયેલા યુવાને અરજી કરવાનું માંડી વાળ્યું. આખરે સ્વચ્છતા-અભિયાનને કેન્દ્રમાં રાખીને આખી થીમ ડેવલપ થાય તે રીતે એક એન.જી.ઓ.ની સ્થાપના કરી અને સ્વનિયુક્ત વહીવટની દુનિયામાં પ્રવેશ કર્યો.

માટે હે આર્યપુત્ર! ભવ્ય ભારતવર્ષમાં ચાણક્યથી લઈ ગાંધીજી – મોરારજી સુધીની વહીવટી પરિભાષાનું જ્ઞાન, પ્રયોગની ભૂમિકાએ અમલમાં, એટલે કે વ્યવહારમાં લાવવાનો તારો અભરખો હોય, તો તેને ઢબૂરી દેજે!

વહીવટ એટલે વહીવટ! બીજું કશું જ નહીં, એટલું સમજાય ત્યારે જાતને સજ્જ કરજે. એક વખત અંતરાત્માનું ઍન્કાઉન્ટર કરવાની આદત પડી જાય, પછી વહીવટ કરવામાં વાંધો આવતો નથી. દેહાવરણ જેવી ચામડી પણ તેની કુમાશ છોડીને આવશ્યક જાડાઈ ધારણ કરી લે છે. કોઈ ગેંડાની ચામડી સાથે સરખાવે, તો હરખાયા વગર પાર્ટી આપી શકાય છે. જયજયકાર કરવા માટે આખી જમાત તૈયાર થઈ જાય છે અને આ જમાતથી જાતને અળગી રાખનાર એકાદ વિરલાને કે વીરાંગનાને એકલા પાડી દેતાં કે મૂરખ સાબિત કરવામાં બહુ વાર નથી લાગતી. અલબત્, આખી કાયનાત એટલેે કે જમાત તેમાં મદદગાર થાય છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 12

Loading

16 December 2016 admin
← ડૉ. દક્ષા પટેલઃ સમન્વયી ભાવબુદ્ધિની સેવા યાત્રા
Can Compulsions Elicit Respect? →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved