Opinion Magazine
Number of visits: 9504113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાગડ જાઉં, પીલું ખાઉં

માવજી મહેશ્વરી|Opinion - Opinion|28 April 2020

કુદરતે કચ્છને કેટલીક એવી વનસંપદા આપી છે જે અહીંના હવામાનને અનુકૂળ છે. કચ્છમાં ભલે હવે કાજુની પણ ખેતી થતી હોય, પરંતુ કચ્છની તાસીરને અનુકૂળ અને અહીં રહેતા લોકાનાં સ્વાસ્થ્યને માફક આવે એવી કેટલીક વનસ્પતિઓ પૈકી એક પીલુડી છે. ખારાશવાળી જમીન અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં લીલુંછમ રહેતું પીલુંડીનું વૃક્ષ કચ્છના વાગડ વિસ્તાર તથા ઉત્તરીય પટ્ટીમાં પુષ્કળ માત્રામાં દેખાય છે. પીલુડી કચ્છનું સ્થાનિક અને સદીઓ જૂનું વૃક્ષ છે. રણકાંધીના વગડામાં ઉનાળો રવરવે ત્યારે સુક્કીભઠ્ઠ ભોમકા ઉપર કંઠ ઠારવાની કુદરતે અજોડ વ્યવસ્થા ઊભી કરી છે.

કચ્છ પ્રદેશમાં એક સ્થાનિક વૃક્ષ થાય છે, જેનું નામ પીલુડી છે. આમ તો પીલુડી ત્રણ જાતની થાય છે, પણ કચ્છમાં બે જાતની જોવા મળે છે. મીઠી અને કડવી. બે ય ઉપર જુદા જુદા રંગનાં ફળ લાગે છે. મીઠી પીલુડીનાં ફળ પીળા રંગના મોતી જેવાં દેખાય છે. ખારી પીલુડીનું ફળ બુલબુલ પક્ષીનો પ્રિય ખોરાક છે. કડવી પીલુડીને જાંબલી રંગનાં ફળ લાગે છે, જે સ્વાદે સહેજ કડવાં હોય છે અને કદમાં નાનાં હોય છે. અન્ય ત્રીજી જાત છે જેને સફેદ ફળ લાગે છે. જે ભારતમાં બહુધા જોવા મળતી નથી. પીલુડી કુદરતી રીતે ઊગતું એક જંગલી વૃક્ષ છે. તેનો છાંયો ઘાટો હોય છે. આ વૃક્ષનું થડ અને શાખાઓ આછા પીળા રંગની હોય છે. સામાન્ય રીતે રેતાળ અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં થાય છે. કડવી અને મીઠી પીલુડીને તેનાં પાનના આકાર પરથી જુદી પાડી શકાય છે. કડવી પીલુડીનાં પાન ઘેરા લીલા અને ટૂંકા હોય છે, જ્યારે મીઠી પીલુડીનાં પાન આછા લીલા રંગના સાંકડા અને લાંબા હોય છે. પીલુડીનાં ફળને પીલુડાં કહે છે. આ ફળ વીણવું અને ખાવું એક કલા છે. વીણવા જતાં તે ખરી પડે છે. એટલે જ આંસુને પીલુડાં પણ કહે છે. કચ્છીભાષામાં પીલુડી જાર કહે છે.

કચ્છનો વાગડ વિસ્તાર પીલુડીનાં ફળ માટે જાણીતો છે. એટલે જ કહેવત પડી છે કે 'વાગડ જાઉં, પીલુ ખાઉં' જો કે આમ તો આ વૃક્ષ રણકાંધીના ગામડાંઓમાં વિશેષ જોવા મળે છે, તેમ છતાં આ વનસ્પતિને આખું ય કચ્છ માફક આવી ગયું છે. માંડવી અબડાસાને જોડતા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પીલુડીનાં વૃક્ષો જોવાં મળે છે. કચ્છમાં અનુભવી ખેડૂતો પીલુડીનાં વૃક્ષો ઉપર લાગતાં ફૂલો પરથી આવનારું ચોમાસું કેવું જશે તેનો વર્તારો બાંધે છે. જો વૃક્ષો ફૂલોથી લચી પડે તો ચોમાસું સારું જાય એવું સ્થાનિક ખેડૂતો માને છે. આ વૃક્ષ વગડામાં અનેક જીવો માટે આધાર બની રહે છે. જ્યારે ઉનાળામાં પાણીના સ્રોત ઘટી જાય છે ત્યારે પક્ષીઓ માટે ખોરાક ઉપરાંત પાણીની જરૂરિયાત સંતોષે છે. તેના ઉપર થતાં ફૂલોને કારણે કુદરતી રીતે મળતાં મધનો જથ્થો પણ જળવાઈ રહે છે.

પીલુનું વૃક્ષ જે ફળ આપે છે તેનાં બીમાં એક જાતનું તેલ હોય છે, જે જામી ગયેલી સ્થિતિમાં હોય છે. આ તેલને ખાખણ કહે છે. તે ખવાતું નથી પણ ગોટલાના સોજા તેમ જ સંધીવામાં વપરાય છે. પીલુડીમાં એક જાતનું રસાયણ છે જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે તેમ જ સડો થતો અટકાવે છે. ભારતમાં ટુથપેસ્ટ બનાવતી એક કંપની પોતાના ઉત્પાદનમાં પીલુડીના રસાયણો વાપર્યાનો દાવો કરે છે. યુનાની વૈદ્યો પણ આ વૃક્ષની ડાળીનો દાતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે. કચ્છમાં આ વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં હોવાં છતાં તેનો દાતણ તરીકે ઉપયોગ થતો નથી. કદાચ તેના તુરા-કડવા સ્વાદને કારણે એવું બન્યું હશે.

પીલુડીનાં ફળ ક્યારેક શહેરોમાં પણ વેચાવા માટે આવતાં હોય છે. પણ આ ફળનો સ્વાદ ચાખ્યો ન હોય તો જલદી ભાવતા નથી. પીલુડાં ખાવાની એક ચોક્કસ રીત છે. પીલુડાં એક એક કરીને ખાવાથી જીભ ઊઠી આવે એવું બને. એટલે એનો ફાકડો ભરવો પડે છે. આ ફળમાં કેલ્સિયમનું પ્રમાણ ઊંચું હોવાનો જાણકારોનો મત છે. પીલુડીનાં ફળ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે. મીઠી પીલુડીનાં ફળનો રસ સ્કર્વી નામના રોગ સામે રક્ષણ આપે છે. કેટલાક લોકો મીઠી પીલુડીનાં પાનના ઉકાળામાં ગોળ નાખી પીએ છે. તો કેટલાક તેનાં પાન ગરમ કરી છાતીએ બાંધે છે. આમ કરવાથી શરદી મટી જતી હોવાનું કહેવાય છે.

પીલુડીનો ઉલ્લેખ સાતસો વર્ષ પૂર્વે બાબુલિયા સંસ્કૃતિમાં જોવા મળે છે. ગ્રીક, રોમન સામ્રાજ્ય, પ્રાચીન મિસર સહિતની સંસ્કૃતિમાં તેનો ઉપયોગ થયાના પ્રમાણ છે. પીલુડીનું બોટનિક નામ સાલ્વાડોરા છે, પણ તે અંગ્રેજીમાં ટુથબ્રશ ટ્રી તરીકે જાણીતું છે. ફારસી, અરબી અને હિન્દીમાં તેને મેશ્વાક કહેવાય છે, જ્યારે મરાઠીમાં ખાકન અને સંસ્કૃતમાં ગુંદાફલા કહેવાય છે. કચ્છના હવામાનમાં કુદરતી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતું આ વૃક્ષ નિરુપદ્રવી છે. ખેતરના શેઢાઓ ઉપર વાવવાથી તે રેતીને આવતી અટકાવે છે. તે સદાપર્ણ વૃક્ષ હોવાથી ઉનાળામાં માનવ તેમ જ પશુઓને છાંયો આપે છે. ભારતમાં પંજાબ, રાજસ્થાન, ઉત્તર-પૂર્વના પ્રદેશો, મહારાષ્ટ્રમાં રાયગઢ વિસ્તાર, ગુજરાતમાં જામનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર વિસ્તારોની ખારી અને ડુંગરાળ જમીનમાં તે જોવા મળે છે. કચ્છમાં વાગડ, પાવરપટ્ટી, રણ પંથક, ડુંગરાળ અને દરિયા કિનારા તેમ જ ખારાપાટમાં વધારે જોવા મળે છે. ખારી પીલુડીમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન ફળ આવે છે. જે ચણોઠીના દાણા જેવડાં હોય છે અને તેમાં બી હોતાં નથી. જ્યારે માર્ચ એપ્રિલ પછી મીઠી પીલુડી ઉપર ફાલ આવે છે. આ ફળમાં બી હોય છે. કેટલાક લોકો આ ફળની સુકવણી કરી રાખે છે. ફળની અંદરનું પાણી ઊડી ગયા પછી ચીમળાઈ ગયેલું ફળ સ્વાદમાં ગળચટ્ટું લાગે છે. સામાન્ય રીતે મીઠું ઝાડ ત્રણથી પાંચ કિલો ઉતાર આપે છે.

કચ્છમાં વનખાતું દર વર્ષે વૃક્ષો ઉછેરે છે. વનખાતાની નર્સરીઓ દ્વારા રસ્તાઓની ધારે અને જંગલ વિસ્તારમાં વિવિધ વૃક્ષો વવાય છે. પરંતુ હજુ સુધી પીલુડીનાં બી વાવવાનો વિચાર અમલમાં મુકાયો નથી. કુદરતી રીતે પીલુડીનું વૃક્ષ ઊગે છે, ખરું પરંતુ કચ્છમાં હજુ આ વૃક્ષની ઉપયોગિતા વિશે જાગૃતિ નથી. ઉપરાંત આ વૃક્ષ સીધી રીતે ઉત્પાદન આપતું ન હોવાથી કોઈને તેમા રસ પણ પડ્યો નથી. તેનું લાકડું સીધું વધતું નથી. વળી તેની શાખાઓ એટલી મજબૂત પણ નથી હોતી. એટલે આ વૃક્ષનું લાકડું બળતણ સિવાય કામ લાગતું નથી. પરંતુ ઓછા વરસાદ અને નબળી જમીન વચ્ચે પાંગરી શકવાની તેની શક્તિને કારણે કચ્છમાં આ વૃક્ષનું વાવેતર જરૂરી છે. આ વૃક્ષ ભલે કમાવી ન આપતું હોય પરંતુ પર્યાવણની સમતુલા જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે. ખારી જમીનનું ધોવાણ તો અટકાવે જ છે, તે વન્ય જીવોને રક્ષણ આપે છે.

સામાન્ય રીતે ઊધઈને આધુનિક મનુષ્ય પોતાની દુશ્મન માને છે. પરંતુ જમીનના સેન્દ્રીય ઘટકોના વિઘટનની પ્રક્રિયામાં ઊધઈનો બહુ મોટો ફાળો છે. પીલુડીનું વૃક્ષ ઊધઈને રક્ષણ આપે છે. જ્યાં પીલુડી હોય છે ત્યાં આસપાસ ઊધઈના રાફડા જોવા મળે છે. કચ્છમાં ફેલાતા જતા ઉદ્યોગોને કારણે વનસંપદાનો નાશ થઈ રહ્યો હોવાની ચર્ચા પર્યાવરણની ચિંતા કરનારા અવારનવાર કરતા રહે છે. ખાસ કરીને કચ્છમાં આડેધડ પવનચક્કીઓને મળેલી મંજૂરી પીલુડી જેવાં વૃક્ષોનાં ભવિષ્ય માટે ચિંતાજનક છે. જેમ કચ્છમાં ગુગળનાં વૃક્ષો સાવ ઘટી ગયાં તેમ હવે પીલુડી પણ પાંખી થતી જાય છે. ખુદ કચ્છના લોકોએ આ શાંત અને ભેરુબંધ જેવી વનસ્પતિના બચાવ માટેના માર્ગો વિચારવા પડશે. કારણ કે જે તે પ્રદેશમાં થતી વનસ્પતિ તે પ્રદેશના પર્યાવરણ માટે ઉપયોગી હોય છે. તેનો એક ચોક્કસ હેતુ હોય છે.

e.mail : mavji018@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 ઍપ્રિલ 2020

Loading

28 April 2020 admin
← કોરોનાની આગાહી : કલ્પના કે તથ્ય?
સાક્ષાત્‌ સંતબાઈ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved