Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વચલી અને નીચલી જાતિઓ સંદર્ભે આજે સાંભરે છે લોહિયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 October 2023

રાજ્યોમાં ચૂંટણી જાહેરાત 

એમને આ એક મુદ્દામાં સમેટ્યા સમેટાય એમ નથી. એ સાત ક્રાંતિના ઉદ્ગાતા હતા અને સિવિલ નાફરમાનીના સત્યાગ્રહીના ખયાલને ધોરણે ગાંધીના બગાવતી બેટા હતા

રામ મનોહર લોહિયા

અગિયારમી ઓક્ટોબર જેપી જયંતી ગઈ, અને આજે બારમીએ લોહિયા સ્મૃતિઃ રામ મનોહર લોહિયાએ બિનકૉંગ્રેસવાદનો વ્યૂહ બનાવ્યો અને 1967માં એક તબક્કા ચંડીગઢથી કલકતા(કોલકાતા)ના રેલ પ્રવાસમાં તમારે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે એવો જોગ બની આવ્યો હતો. અલબત્ત, એ ચાલચલાઉ પણ સાદા અંકગણિતનો મામલો હતો, જેમાં નાના દેશમુખ ને દીનદયાલ ઉપાધ્યાય આદિ સહભાગી હતા. લોહિયા એ પછી તરત ગયા, પણ પેલું અંકગણિત તે પછીનાં વરસોમાં જયપ્રકાશ અને બિહાર આંદોલનને પ્રતાપે કંઈક રાસાયણિક પરિમાણ હાંસલ કરી શક્યું અને નકરા બિનકાઁગ્રેસવાદને બદલે જનતા રાજ્યારોહણના યશસ્વી અલબત્ત ટૂંકજીવી પ્રયોગની ભોં ભાંગી શક્યું.

બિનકાઁગ્રેસવાદ તો માનો કે એક વ્યૂહાત્મક રણનીતિગત વાત હતી, પણ સમાજવાદ-સામ્યવાદને કારણે આપણી વર્ગસભાન રાજનીતિને વર્ણ વિશે, ખાસ કરીને વચલીનીચલી જાતિઓને એમાં સમાવેશકારી બનાવવાની વિચારણા એમને આભારી છે. આપણે ત્યાં સમતાલક્ષી નવવિધાન વાસ્તે માત્ર વર્ગસીમિત ચિંતને નહીં અટકતાં સામાજિક વાસ્તવને લક્ષમાં લેવાનું એમને અનિવાર્ય લાગતું.

સામાજિક ન્યાયની આ રાજનીતિએ લાલુ, નીતિશ, મુલાયમ તરેહના નવા નેતૃત્વને સારુ અવકાશ સરજ્યો. તેઓ સત્તા લગી પહોંચ્યા તે પૂર્વે કેટલીક કામગીરી સામાજિક ઇજનેરીની રીતે કર્પૂરી ઠાકુરે ઠીક હાથ ધરી હતી. સ્થાપિત પરિસ્થિતિમાં ઊથલપાથલ થવા લાગે ત્યારે કેવા પ્રત્યાઘાતો પડે છે એનું એક અચ્છું નિદર્શન તે ગાળામાં બિહારમાં બોલાતા એ મતલબના સૂત્રમાં જોવા મળે છે કે સવર્ણ-દલિત ભાઈ ભાઈ, બીચમે પિછડી જાતિ કહાં સે આઈ!

તમે જુઓ કે 1992ના ડિસેમ્બરની છઠ્ઠી પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આદિ પાંચ રાજ્યોની ચૂંટણી વખતનું ભા.જ.પ.નું ઉમંગી સૂત્ર – ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ – ભોંઠું પડ્યું હતું, કેમ કે, મુલાયમ ને માયાવતી વાટે કથિત વચલીનીચલી જાતિઓ એકત્ર આવી અને હિંદુત્વ રાજનીતિ પર એ ભારે પડી હતી. ઉમા ભારતી ને ગોવિંદાચાર્યે આ વાનું પકડ્યું અને ચાલ, ચરિત્ર, તહેરો બદલવાં પડશે તે સ્વીકાર્યું, અને ભા.જ.પી. રણનીતિએ આગળ ચાલતાં મંડલમંદિર યુતિનો અભિગમ લીધો.

તેમ છતાં, સ્વાભાવિક જ, હજુ વિશાળ સમૂહ લગી પહોંચી શકાયું નથી. આર્થિક – સામાજિક  ન્યાયની રાજનીતિનો વિકલ્પ કંઈ કોમી ધ્રુવીકરણની રાજનીતિ તો હોઈ શકે નહીં. બિહારમાં નીતિશકુમારે જે સરવે કરાવ્યો એમાં 27 ટકા ઓ.બી.સી. ને 36 ટકા ઇ.બી.સી. એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. આ સરવે સામે ભા.જ.પ.નો પ્રતિભાવ ગ્વાલિયરમાં બોલતાં વડા પ્રધાને કહ્યું તેમ સમાજમાં ભાગલા પડાવવાની પેરવીનો છે. યોગી આદિત્યનાથે યુ.પી.માં આવા કોઈ સરવેની ગણતરી નથી તેમ કહ્યું છે.

બે દિવસ પર જ પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખો જાહેર થઈ. ત્રીજી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે, બને કે, ચિત્ર કંઈક ઉઘડે કે સામાજિક ન્યાયનું ક્ષેત્ર વિસ્તારવાની ઇન્ડિયા બળોની ભૂમિકા અને મંડલમંદિર યુતિની પૃષ્ઠભૂ છતાં ક્ષેત્રવિસ્તાર બાબતે ભા.જ.પ.ની દ્વિધાવિભક્ત ભૂમિકા અંગે મતદારો કેવીક રૂખ પ્રગટ કરે છે.

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો કે રામ મનોહર લોહિયાના સપ્ત ક્રાન્તિ વલણનો પ્રભાવ આ બધી નાનીમોટી અલગ અલગ ઓળખોને સમતા ને ન્યાયને માર્ગે ‘નાગરિક’માં સ્થાપી શકે તે શક્ય છે. ભા.જ.પ. એની ઉછેરગત વાસ્તવિકતા જોતાં તે સૌને ‘હિંદુ’માં સ્થાપે તે શક્ય બલકે સહજ છે. ગાંધીની સત્યાગ્રહી ભૂમિકા અલબત્ત આ બધાને લાંઘી જતી વાત છે.

ચૂંટણીજાહેરાતવશ લોહિયાને એક મુદ્દામાં સમીતિ કરીને જોયા, પણ એમનું પ્રદાન અને ચિંતન બેઉ અસાધારણ છે. માર્ટિન લ્યુથર કિંગની સિવિલ રાઇટ્સ ચળવળમાં રોઝા પાર્ક્સનો બસ સત્યાગ્રહ, પોતાની બેઠક ગોરી જોહુકમીથી ખાલી નહીં કરવાનો શિવસંકલ્પ, એક મહત્વની ઘટના લેખાય છે. 1955માં અમેરિકાની મુલાકાત દરમિયાન એક વિચારશિબિરમાં લોહિયાએ ગાંધી અને સિવિલ નાફરમાની વિશે જે સમજાવ્યું હતું તેનું એ સીધું પરિણામ હતું, તેમ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં ભારતવિદ રુડોલ્ફ દંપતીએ નોંધ્યું છે. તમે ક્યાં ક્યાં નથી, લોહિયા !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023

Loading

12 October 2023 Vipool Kalyani
← હા કહો.
નિગાર શાજી નિમિત્તે વાત મહિલા વૈજ્ઞાનિકોની →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved