Opinion Magazine
Number of visits: 9449522
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉસ્તાદ ઝાકીર હુસૈનઃ સાક્ષાત શિવ સમા કલાકારની વિદાયથી પૃથ્વી પણ તાલ ચૂકી ગઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 December 2024

ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટીક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો

ગયા વર્ષે, ડિસેમ્બરમાં મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનને સાંભળ્યા ત્યારે સ્વપ્ને પણ કલ્પના નહોતી કે એક વર્ષ પછી આ ચમત્કાર નરી આંખે ફરીથી જોવાનો મોકો હાથમાંથી જતો રહેશે. ઝાકીર હુસૈનનું ન હોવું એટલે શું એ સમજી શકાય પણ એ લાગણીને અભિવ્યક્ત કરવી એટલે ધમાર જેવા સંકુલ તાલને ચપટીમાં કળી જવાની અશક્યતાઓ જેવું છે. ઝાકીર હુસૈનની શ્રધ્ધાંજલી આઠ કૉલમની મર્યાદામાં બાંધવા બેસીએ તો ક્યાંક બે-તાલ થઇ જવાનો ડર રહે પણ આખરે તાલનું આવર્તન પૂરું થાય અને સમ પર અંત આવે એ પણ અનિવાર્ય છે. આ કારણે જ ઉસ્તાદની સ્મરણાંજલીના આવર્તનને વિલંબિત, મધ્ય અને દ્રુતમાં ઉતારવાનો પ્રયાસ કરવો જ રહ્યો.

ઝાકીર હુસૈન – નામ કાને પડે એટલે સૌથી પહેલાં તો તેમના હવામાં લહેરાતા, ફેંકાતા, ઉછળતા વાળ યાદ આવે, સાથે તાજ મહેલ ચાયની ‘વાહ ઉસ્તાદ’ વાળી જાહેરાત તો મનમાં એક વાર ઝબકી જ જાય, તેમની આંખોમાં એક ગજબની નિર્દોષતા હતી પણ સાથે એક આકર્ષણ, રોમાન્સ અને ગહેરાઈ પણ હતાં. તેમની આંગળીઓના જાદુને ચુંબન કરીને અમૃતપાન કર્યું હોવાનો આભાસ થતો હશે તેની મને ખાતરી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના ફલક પર ઝાકીર હુસૈનનું હોવું એટલે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફલક પર સંગતના વાદ્ય તબલાની ઓળખનું બેઠું થવું. વારસામાં મળેલી કળાને એટલી વિસ્તારવી કે તેનું એક આગવું બ્રહ્માંડ રચાય એ રીતે ઝાકીર હુસૈને તબલા વાદનને માટે અલાયદું સ્થાન બનાવ્યું.

તબલાના વિશ્વમાં, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત વિશ્વમાં અને અન્ય પ્રકારના સંગીતની સાથે તાલ મેળવીને સાધેલા સંવાદને માટે ઝાકીર હુસૈનને જેટલી કુરનીશ બજાવીએ એટલી ઓછી છે.

અત્યાર સુધીના ઇતિહાસમાં તબલા વાદક, વિશેષજ્ઞો ઘણાં થઈ ચૂક્યાં છે, ઝાકીર હુસૈનનાં પિતાજી ઉસ્તાદ અલ્લા રખા કુરેશી પણ એવો જ એક ચહેરો હતા પણ છતાં ય ઝાકીર હુસૈને તબલા વાદનમાં જે પ્રસ્તુતીઓ કરી, જે પ્રયોગો કર્યા, જે પ્રકારની રચનાઓ કરી તેના જેવું, તેની સમાંતર કહી શકાય એવું તો કંઇ ક્યારે ય થયું નથી અને થશે નહીં.  સદ્નસીબે ઉસ્તાદ ઝાકીર હુસૈનનાં કામનું દસ્તાવેજીકરણ સારી પેઠે થયું છે પણ તેમના દૃષ્ટિકોણને, તેમનાં કામની પહોંચને સમજવા માટેની ગહેરાઈ લાવવાની જહેમત તેમના ચાહકો, રસિકો અને સંગીતજ્ઞોએ કરવી રહી.

પંડિત રવિ શંકર, જ્યોર્જ હેરિસન, વૅન મોરિસન, જ્હોન મૅકલૉક્લિન, ફારોઆ સેન્ડર્સ, મિકી હાર્ટ જેવા કલાકારોની સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ઝાકીર હૂસૈને ભારતમાં એક કિશોરવયના કલાકાર તરીકે પ્રચલિત થવાથી શરૂઆત કરી. એ સફરનો હાઇ પોઇન્ટ હતો 2024 ફેબ્રુઆરીમાં જ્યારે તેમને એક જ રાતમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્ઝ મળ્યા – કોઇપણ ભારતીય કલાકારને મળેલું આ પહેલવહેલું ગ્રેમી સન્માન હતું. ઝાકીર હુસૈનની શાસ્ત્રી સંગીતની દુનિયામાં કલાકાર તરીકેની શરૂઆત કોઇ યોજનાનો હિસ્સો નહોતી. તેમના પિતાજીની તબિયત ઠીક નહોતી અને પંડિત રવિ શંકર સાથે વિદેશના કાર્યક્રમોમાં તેમણે પોતાના દીકરાને લઇ જવા કર્યું અને પછી જે સિલસિલો શરૂ થયો તેમાંથી નવા રસ્તા, નવા મંચ અને નવા આયામો સર્જાતા રહ્યા. તેમણે અલી અકબર ખાન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા જેવા વાદ્ય ઉસ્તાદો સાથે પણ સતત કામ કર્યું. વિદેશમાં સ્થાયી થઇ ત્યાં યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન, સિએટલમાં અને બાદમાં સાન ફ્રાન્સિસ્કોમાં સંગીત શીખવવા સ્થાયી થયેલા ઝાકીર હુસૈને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના કલાકારોની સંગત કરીને અફલાતૂન પ્રોજેક્ટ્સ પાર પાડ્યા. આ સાથે પંડિત રવિ શંકર સાથેના તેમના કાર્યક્રમો પણ સતત ચાલુ રહ્યા. પશ્ચિમ અને પૂર્વ બન્ને દિશાઓમાં ઝાકીર હુસૈનના તબલાનો નાદ પહોંચતો રહ્યો, સર્જાતો રહ્યો.

ઉસ્તાદ અલ્લા રખાનું મૂળ લાહોર, ત્યાંથી તે દિલ્હી આવ્યા અને પછી મુંબઈ. મહારાષ્ટ્રમાં દિલ્હી, અજરડા અને ફારુખાબાદ ઘરાનાની તબલા પરંપરા પ્રચલિત હતી. ઉસ્તાદ અલ્લા રખાએ તબલાનો નવો શબ્દકોષ, નવી ભાષા દર્શકો સામે રજૂ કરી, તાલનો એક નવો દૃષ્ટિકોણ રચાયો. એ સમયે ઓળખ મેળવવી, સ્થાન ખડું કરવું સરળ નહોતું પણ તે પોતાની કળાની લીટી લાંબી કરતા રહ્યા. દીકરા ઝાકીરે પણ એ જ વાટ પકડી અને સંગતના વાદ્યાને અલાયદી ઓળખ અપાવી. તેમણે પિતા પાસેથી વારસામાં મળેલા પંજાબ ઘરાના ઉપરાંત અન્ય ઘરાનાની વાદન છટાને પણ પોતાના સર્જનોમાં ઉતારી. તેમણે મંચ પર તબલાવાદનમાં કરેલા પ્રયોગો તેમની પ્રતિભાનો ભાગ બનતા ગયા. શાસ્ત્રીય સંગીતનું વિશ્વમાં ઘરાનાઓ અને પરંપરાની વાડાબંધી બહુ કઠોર હોય છે. પણ તબલા પર પાણીના રેલાની માફક ફરતી ઝાકીર હુસૈનની આંગળીઓ અને હથેળીની થાપે આ મર્યાદાઓ તોડી. તબલા વાદનની પરંપરાઓની વાડ વચ્ચેથી ઝાકીર હુસૈનના તબલાનો નાદ પોતાનો માર્ગ એ રીતે કરતો ગયો જાણે કોઈ નદી સાગરમાં ભળવા પોતાનો રસ્તો શોધી લેતી હોય. તેમના આ પ્રકારના કામને કારણે ભારતીય શાસ્ત્રી સંગીત વિશ્વમાં લોકોએ તબલા વાદનને અલાયદી પ્રસ્તુતી તરીકે માણવાનો રસ કેળવ્યો. પંરપરા બદલવા માટે ઘોંઘાટ કે દેકારા નહીં પણ સાતત્યપૂર્ણ તાલબદ્ધ પ્રયોગ કરનારા ઉસ્તાદનો આપણે જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. સંગીતના વિવિધ સ્રોતના પ્રભાવને પોતાના સંગીતમાં ભેળવવાની ઝાકીર હુસૈનની હિંમત અને સર્જનાત્મકતાને મોકળાશ સાંપડી કારણ કે તેમણે યુ.એસ.એ. જઇને સ્થાયી થઇ ત્યાં ઘણું કામ કર્યું. જો તે ભારતમાં જ રહ્યા હોત તો વિદેશના જાઝ અને રોક સંગીતને આપણાં શાસ્ત્રીય સંગીત સાથે ભળતું જોવાનું આપણે ચૂકી ગયા હોત. વળી ભારતમાં કદાચ વાડાબંધીનો બોજ તેમના વાદન પર આવી જાય એવી શક્યતાઓ પણ ખડી થઇ હોત.

તેમના સ્ક્રીન સાથેના સબંધને પણ આપણે મમળાવવો જોઇએ. ‘અરે હુઝુર વાહ તાજ બોલીએ’ વાળી જે જાહેરાતે તેમના ચહેરાની ચાહનાને ચિરંતન કરી દીધી એ જાહેરાત માટે તે યુ.એસ.એ.થી પોતાના ખર્ચે આવ્યા હતા કારણ કે તાજ મહેલ પૃષ્ઠભૂમિમાં હોય એ વિચાર માત્રએ તેમને રોમાંચિત કર્યા હતા. શૂટિંગ જોવા ભેગા થયેલા લોકોને તેમણે કહેલું કે પોતે મિથુન ચક્રવર્તીના નાના ભાઈ છે અને અભિનેતા અહીં શૂટ કરવા આવવાના છે. સ્ક્રીન પર તેઓ જેમ્સ આઇવરીના બ્રિટિશ હિસ્ટોરિકલ રોમાન્સ હીટ અને ડસ્ટમાં દેખાયા હતા તો સાઇ પરાંજપેની સાઝમાં તેમણે અભિનય કર્યો હતો. આ ઉપરાંત ધી પરફેક્ટ મર્ડર, મિસ બેટ્ટીઝ ચિલ્ડ્રન, થંન્ડુવિટાએન એન્નાઈ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. ઝાકીર એન્ડ હિઝ ફ્રેન્ડ્ઝ ડોક્યુમેન્ટરીમાં પણ તેમણે પોતાની વાત માંડી તો છેલ્લે દેવ પટેલની ફિલ્મ મંકી મેનમાં તેમણે કેમિયો કર્યો હતો. તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું જેમાં વાનપ્રસ્થાન, ધી લાસ્ટ ડાન્સ, સત્યમ શિવમ સુંદરમ, ધી મિસ્ટિક મેસ્યુર, મિસ્ટર એન્ડ મિસિઝ ઐયર, પરઝાનિયા, મન્ટો અને મંકી મેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની એપોકેલિપ્સ નાઉ, બર્નાર્ડો બેર્ટોલુચીની લિટલ બુદ્ધામાં તેમણે સંગીત આપ્યું હતું.

જો તમે એમ માનતા હો કે ઉસ્તાદની સતત વાહવાહી જ થઇ છે તો તે પણ ખોટું છે કારણ કે ઝાકીર હુસૈન પર બેતાલી ટીકાઓનો વરસાદ પણ વરસ્યો હતો. જે મામલે તેમના ખોબલે ખોબલે વખાણ થાય છે તે જ પ્રયોગો અને મોકળાશ, તેમની તકનિક અને તબલાને આપેલા નવા તાલ કોષ અંગે તેમને હંમેશાં પ્રશસ્તિ નહોતી મળતી. ટીકાઓથી રોકાય એ ઝાકીર હૂસૈન નહોતા જ અને માટે જ તેમણે સતત નવાની દિશામાં પગલાં માંડવાનું ચાલુ જ રાખ્યું અને આખરે ટીકાઓ અધવચ્ચે કોઇ અધ કચરા તાલની માફક ખાલી પર જ અટકી ગઇ.

કલાકાર પિતાના યુવાન દીકરાની ઓળખ વૈશ્વિક આઇકોન સુધી પહોંચી. તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવ્યા પછી તેમના કાનમાં પિતાએ તબલાના બોલ કહ્યા હતા કારણ કે એ જ તેમને માટે પ્રાર્થના હતી એ વાત આપણે બધાં જ જાણીએ છીએ. વારસામાં જે મળે તેનું વૈશ્વિક વટવૃક્ષ બનાવવાની ક્ષમતા કેવી રીતે કેળવાય તે ઉસ્તાદની જિંદગી પરથી શીખી શકાય. બાર વર્ષની વયે પહેલીવાર કોન્સર્ટમાં ભાગ લેનાર ઝાકીર પોતાના સ્કૂલના વર્ગ ચાલુ થાય તે પહેલાં મદરસામાં કુરાન પણ વાંચતા અને રોમન કેથલિક ચર્ચમાં હિમ્સ પણ ગાતા, વળી ઘર નજીકના મસ્જિદમાંથી સંભળાતી સૂફી કવ્વાલી પણ તેમણે માણી છે. તેમના ઉછેરમાં તેમને મળેલી વૈવિધ્યતામાં માત્ર કલાના સ્વરૂપો હતા, સંગીત હતું , તાલ હતા અને માટે જ તેમનું આસમાન મોકળાશ શ્વસતું હતું.

ઝાકીર હુસૈને સંગીતની પરંપરાના બધા જ તાલ શીખ્યા એટલું જ નહીં નવાનું સર્જન પણ કર્યું. ઝાકીર હુસૈન પોતે કદાચ ત્રિતાલ જેવા હતા એમ કહી શકાય કારણ કે તે પણ ત્રિતાલની માફક સરળ, સમજી શકાય એવા હોવા છતાં ય અનંત સંભાવનાઓ અને સર્જનોમાં મહાલતા રહેતા. સલામ ઝાકીર સાહેબ. આ વિશ્વમાં જન્મ લેવા બદલ અને સંગીતના વિશ્વને શાશ્વત ભેટ આપવા બદલ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

બાય ધી વેઃ 

તાલની બારીકીઓ પર ઝાકીર હુસૈનની હથોટી, પકડને અનંત માત્રાઓમાં પણ બાંધી શકાય તેમ નથી. કલાકારોની વર્તમાન અને ભવિષ્યની પેઢી ઝાકીર હૂસૈનનીની સર્જનાત્મકતાની ભૂખ, તેમનામાં સતત રહેલું કુતૂહલ, તેમની સ્વયં સ્ફુરીતાને કેળવવાનો પ્રયાસ કરશે તો તેમણે જે આપ્યું છે તે કંઇક અંશે આપણે રસિકજન તરીકે, તેમના ચાહક તરીકે અને કળાના રખેવાળ તરીકે તેમને પાછું આપ્યું એમ કહેવાની હિંમત કરી શકીશું. ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટિક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો. આ હતા ઝાકીર હુસૈન, તોફાની કૃષ્ણ સમા પણ તબલા પર આંગળીઓ ફરે ત્યારે લાગે જાણે સાક્ષાત ભગવાન શિવ આવીને તબલા વગાડી રહ્યા છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

22 December 2024 Vipool Kalyani
← કોઈને ય મોક્ષ જોઈતો નથી, સત્તા જોઈએ છે
બંધારણના નિર્દેશક સિદ્ધાન્તોને લાગુ કરવા જોઈએ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved