Opinion Magazine
Number of visits: 9446714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉન્નાવ 1.0 અને ઉન્નાવ 2.0 બંનેમાં સમાન છે પીડિતાઓની નીડરતા અને તંત્રની નિંભરતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 December 2019

દુનિયામાં Gen 2.0 કે Web 2.0 કહેવાય છે, ભારત દેશમાં NDA 2.0 કે Modi 2.0 એવું ય  કહેવાય છે. પણ અત્યારે આપણાં દેશમાં બહુ વક્રતાપૂર્ણ રીતે ઉન્નાવ 2.0 કહેવાનો વખત આવ્યો છે.

ભા.જ.પ.ના યોગી આદિત્યનાથ જેના મુખ્યમંત્રી છે એવાં ઉત્તર પ્રદેશનો ઉન્નાવ જિલ્લો બળાત્કાર માટે બીજી વખત સમાચારમાં આવ્યો છે. પહેલો અત્યાચાર છેક જૂન 2017માં માંખી ગામની 17 વર્ષની કન્યા પર કરવામાં આવ્યો હતો. તેમાં ભા.જ.પ.નો સ્થાનિક ધારાસભ્ય સેંગર મુખ્ય આરોપી છે. ફરિયાદ કરનારી અને ન્યાય માટે ઝઝૂમનાર યુવતી(સર્વાવર)ને નમાવવા માટે પોલીસ થકી થયેલા હિચકારી કોશિશો પછી તેણે લડત ચાલુ રાખી છે. તેને ન્યાય હજુ સુધી ન્યાય મળ્યો નથી તે અંગે કૉન્ગ્રેસનાં અગ્રણી પ્રિયંકા વાદ્રા-ગાંધી હજુ તો ચોથી ડિસેમ્બરના બુધવારે મોડી સવારે ટ્વિટ કરે છે. ત્યાં તો પાંચમી ડિસેમ્બરના ગુરુવારે વહેલી સવારે ઉન્નાવના સિંદુપુર ગામમાં બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીને આરોપીઓએ લાકડીઓથી ફટકારીને, સ્ટૅબ કરીને પછી જલાવી દેવાની કોશિશ કરે છે. તે બહાદુર યુવતી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. ગઈકાલે એટલે કે શુક્રવારે આ પીડિતાએ પ્રાણ છોડ્યા છે. 

ઉન્નાવના બંને બનાવોમાં જે કેટલાંક સામ્યો છે તેમાં સર્વાઇવર યુવતીઓની બહાદુરી અને ઉત્તર પ્રદેશની પોલીસની નિંભરતા છે તે સહુથી વધે ધ્યાનપાત્ર છે. પોલીસે એવા વિલંબ અને ચાલાકીથી કામગીરી કરી કે જેથી આરોપીઓ પર અદાલતમાં કેસ ઊભો થવાનું લંબાતું ગયું, આરોપીઓને જામીન મળતા રહ્યા, તેઓ મુક્ત ફરતા રહ્યા, પીડિતાઓને ધાકમાં રાખતા રહ્યા અને અંતે હિચકારા હુમલા પણ કર્યા. તદુપરાંત બંને કિસ્સામાં હવસખોરો બળિયા છે. એક સેંગર ધારાસભ્ય છે, જ્યારે બીજા કિસ્સાના પહેલાનો બાપ ગામનો ‘પ્રધાન’ એટલે કે સરપંચ છે. જ્યારે બંને પીડિતાઓ કોઈ પણ જાતનું પીઠબળ ધરાવતી નથી. પહેલા કિસ્સાની પીડિતાનો પરિવાર ગરીબ છે, ઘર ઝૂંપડા જેવું છે. બીજા કિસ્સાની યુવતી સંપન્ન હોય એવા કોઈ નિર્દેશો અહેવાલોમાંથી મળતા નથી. 

બીજા એટલે કે આ 5 ડિસેમ્બરના આ ગુરુવારના કિસ્સામાં એમ છે કે યુવતીએ ગયાં વર્ષે છેક 13 ડિસેમ્બર 2018ના રોજ લાલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી પણ પોલીસે એફ.આઈ.આર. ન કરી. 20 ડિસેમ્બરે યુવતીએ રાયબરેલીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટને રજિસ્ટર ટપાલથી ફરિયાદ મોકલી, છતાં ય એફ.આઈ.આર. ન થઈ. આખરે રાયબરેલીની અદાલતના હુકમથી પોલીસે છેક 4 માર્ચ 2019ના રોજ આરોપીઓ શિવમ અને શુભમ સામે એફ.આઈ.આર. કરી. એફ.આઈ.આર. મુજબ શિવમે યુવતીને ફોસલાવીને તેની સાથે સંબંધ બાંધ્યો, રાયબરેલીમાં તેની પર બળાત્કાર કરીને વીડિયો ઊતારીને તેને બ્લૅકમેઇલિન્ગની ધમકી અને બીજી બાજુ લગ્નની ખાતરી બંને આપીને તેની પર બળાત્કાર કરતો રહ્યો. યુવતીએ જ્યારે લગ્ન માટે ખૂબ દબાણ કર્યું ત્યારે શિવમે તેને રાયબરેલી લાવીને ભાડાના ઓરડામાં રાખી. પછી જાન્યુઆરી 2018માં તેણે લગ્નનાં દસ્તાવેજો કર્યાં, પણ લગ્ન ન કર્યા. ડિસેમ્બરમાં શિવમ અને તેના મિત્ર શુભમ યુવતીને રાયબરેલી પાસેના એક ખેતરમાં લઈ ગયા અને બંદૂકની અણીએ તેની પર બળાત્કાર કર્યો.

ઉન્નાવના પહેલા બનાવમાં 11 જૂન 2017ના રોજ કન્યાના માતાપિતાએ એમની દીકરી લાપતા હોવાની પોલીસ ફરિયાદ માંખી ગામમાં કરી. 17 જૂને આદિત્યનાથના ભા.જ.પ.ના ધારાસભ્ય કુલદીપ સિંહ, તેના ભાઈ અતુલ સિંહ અને સાગરિતોએ એ વખતે સગીર એટલે કે સત્તર વર્ષની છોકરી પર અત્યાચાર કર્યો. અત્યારના કિસ્સામાં લગ્નની લાલચ હતી, જ્યારે સેંગર અને તેના સાથીઓએ ખૂબ ગરીબ ઘરની છોકરીને નોકરીની લાલચ આપી અત્યાચાર કર્યો. 20 જૂને છોકરી પાછી આવી ત્યારે પોલીસે અપહરણને લગતી કલમ 363 અને અપહરણ કરીને લગ્નની બળજબરી માટેની કલમ 366 હેઠળ ફરિયાદ લીધી હોવાનું જણાવ્યું, વળી તેમાં સેંગરનું નામ ન હતું. કન્યાના પરિવારે સેંગરના નામ માટે જીદ કરી ત્યારે તેમને પોલીસ સ્ટેશનમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા.

પોલીસની નિષ્ક્રિયતા જોઈને પીડિતાએ 3 જુલાઈ 2017ના રોજ સેંગરને આરોપી બનાવીને બળાત્કારની ફરિયાદ નોંધવા અંગે મુખ્યમંત્રી તેમ જ સંખ્યાબંધ અધિકારીઓને પત્રો લખવાની શરૂઆત કરી. આખરે 24 ફેબ્રુઆરી 2018ના રોજ ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટે પીડિતાની માગણી મુજબની એફ.આઈ.આર. લીધી. એ પછી પણ સેંગર અને સાગરિતો પર કોઈ પગલાં ન લેવાયાં અને પરિવારને સખત ધમકીઓ મળવા લાગી. 3 એપ્રિલ 2018ના રોજ કેસની એક સુનાવણી માટે પીડિતા અને એનો પરિવાર રાયબરેલી જઈ રહ્યા હતા ત્યારે અતુલ સિંહ અને તેના સાગરિતોએ પીડિતાના પિતા સુરેન્દ્ર  પર હુમલો કરીને તેમને ખૂબ માર્યા. તે અંગે પાછી પોલીસે અતુલ સિંહને બાકાત રાખીને ચાર જણ સામે ફરિયાદ પણ લીધી અને બીજા જ દિવસે સર્વાઇવરે પિતાને ગેરકાયદેસર હથિયાર રાખવા માટે ઘાયલ હાલતમાં  ગિરફ્તાર કરીને કસ્ટડીમાં પૂર્યા.

સર્વાઇવર યુવતીએ 8 એપ્રિલે લખનૌમાં આદિત્યનાથના નિવાસસ્થાન બહાર આત્મદહનની કોશિશ કરી. 9 એપ્રિલે સુરેન્દ્રનાથ કસ્ટડીમાં મૃત્ય પામ્યા. માધ્યમોમાં વારંવાર લખાયા પછી અંતે 12 એપ્રિલ 2018 રોજ સરકારે કેસ સી.બી.આઈ.ને સોંપ્યો. પણ ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 18 એપ્રિલ 2018ના દિવસે વડી અદાલતના કડક આદેશ બાદ થઈ. અદાલતે નોંધ્યું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ સેંગરની સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું.’ સેંગરની પોલીસે ધરપકડ કરી, પણ ઉન્નાવ 2ના બનાવમાં તો એ પણ ન થયું. 19 સપ્ટેમ્બર 2019ના રોજ શિવમ રાય બરેલી કોર્ટમાં શરણે થયો. 25 નવેમ્બરે તેને જામીન મળ્યો. પણ શુભમ જે તેની સાથે ગુરુવાર પરોઢના હુમલામાં સામેલ છે તે પોલીસના ચોપડે હજુ ભાગેડુ જ છે !

સેંગરની ધરપકડ આ પછી પણ પીડિતા અને તેના પરિવારના સભ્યોને  જુલમીઓના સાથીઓ ડરાવતા રહ્યા, પોલીસ કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે જુલાઈના વચગાળાના દિવસોમાં પીડિતાએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં યુવતીની  સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલની એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. 28 જુલાઈ 2019ના રોજ તેમને મળવા જઈ રહેલી છોકરીની કારને એક ભૂસાઈ ગયેલી નંબરપ્લેટવાળી એક ટ્રકે ઠોકર મારી જેમાં પીડિતાનાં બે કાકીનું અવસાન થયું, વકીલ ગંભીર રીતે ઘવાયા અને છોકરી અતિગંભીર રીતે ઘવાઈ. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશનો આરોપ દાખલ કરવામાં આવ્યો.

સામ્ય નોંધીએ તો એ છે કે તાજેતરના ઉન્નાવના કેસમાં આરોપીઓએ પીડિતાને મારી નાખવાની પૂરતી કોશિશ કરી જ છે. ઉન્નાવના પહેલા કેસમાં સર્વોચ્ચ અદાલતે 1 ઓગસ્ટે સરકારને અનેક કડક આદેશો આપ્યા. તેમાં સહુથી આદેશ આ બનાવને લગતા તમામ મુકદમાને 45 દિવસમાં પૂરા કરવાનો હતો. આ આદેશ અપાયો તે વખતે પીડિતા દિલ્હીની એઇમ્સમાં મોત સામે ઝઝૂમી રહી હતી. ગઈકાલે એટલે કે શુક્રવારે આ પીડિતાએ પ્રાણ છોડ્યા છે. આદેશ આજે પછી 125 દિવસ થયા, પણ એને ન્યાય મળ્યો નથી. અને ઉન્નાવની બીજી એક પીડિતા મોત સામે ઝઝૂમી રહી છે.

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, નવગુજરાત સમય”, 07 ડિસેમ્બર 2019 

Loading

7 December 2019 admin
← Babri Judgment 2019: What Next
આંદોલનોની દેખીતી ગેરહાજરી પ્રખર નેતૃત્વને આગળ આવતા અવરોધે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved