Opinion Magazine
Number of visits: 9447113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિવર્સિટીઓનાં પીએચ.ડી.નાં કારખાનાં બંધ થવાં જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2020

વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.

એક તો આ એન્ટ્રન્સ એક્ઝામ પોતે જ એક તૂત છે. ઘણા નવા પ્રવેશ માટે પરીક્ષાઓ કમાણીનું એક સાધન બની રહી છે. આજકાલ તો શિક્ષણ કરતાં પરીક્ષાઓ જ વધુ મહત્ત્વની થઈ પડી છે. જે આવે તે પરીક્ષા જ લીધે રાખે છે. કોરોના ગાળાની વાત કરીએ તો માર્ચ મહિનાથી ભણાવવાનું બંધ છે ને બીજી તરફ પરીક્ષા લેવાનું વધતું જ આવે છે. થોડા વખતથી ઓનલાઈનનું તૂત દાખલ થયું છે ને શિક્ષણ ને પરીક્ષણનું કામ એના પર ચાલે છે. એમાં જેની પાસે મોબાઈલ કે નેટની વ્યવસ્થા નથી તેની ચિંતા હવે શિક્ષણ વિભાગનો વિષય રહ્યો નથી. ગમે તેટલી ટેકનિકો વિકસે તો પણ હાલના સંજોગોમાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ શક્ય જ નથી ત્યારે સરકારે ઓફ લાઈન શિક્ષણ ચાલુ કરી દેવું જોઈએ. જ્યાં કોરોનાનો ફેલાવો નથી ત્યાં શહેરનાં ઓનલાઈન શિક્ષણ સાથે તાલ મિલાવી શકે એટલે પણ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ શરૂ થાય તે જોવાવું જોઈએ.

રહી વાત પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની, તો એ એક તૂતથી વધારે નથી. કોઈ વિદ્યાર્થી માસ્ટર્સ ડિગ્રી મેળવી ચૂક્યો હોય ને કોલેજની વિવિધ પરીક્ષાઓ છએક વર્ષ આપી હોય, તેણે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા આપવી પડે એ વાત જ વિચિત્ર છે. એક સમયે વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરતો પછી તેને સંશોધનમાં રસ હોય તો તે પીએચ.ડી. માટે યુનિવર્સિટીમાં જે તે વિષય સાથે રજિસ્ટ્રેશન કરાવતો ને થોડાં વર્ષોમાં તેને ડિગ્રી મળતી કે ક્યારેક નયે મળતી. તે અધ્યાપક હોય તો તેની કીર્તિમાં વધારો થતો ને ડિગ્રી ન મળતી તો પણ તેનું અધ્યાપન તો ચાલુ જ રહેતું. તે પીએચ.ડી. ન થતો તો તે નબળો અધ્યાપક છે એવું ન મનાતું. આજે નેટ, સેટ, એન્ટ્રન્સ એક્ઝામ વગેરે પછી વિદ્યાર્થી પીએચ.ડી. થાય તો તે ઉત્તમ અધ્યાપક જ બને એવું નથી.

આદર્શ વ્યવસ્થા તો એ હોય કે એક જ રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીનો પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચ.ડી. કોઈ પણ યુનિવર્સિટીમાંથી, કોઈ પણ વધારાની પરીક્ષા વગર જ થઈ શકે, પણ કમનસીબે એવું નથી. વડાપ્રધાન કહે છે કે નવી શિક્ષણ નીતિમાં પરીક્ષાનું ભારણ નહીં હોય. એવું હોય તો એ સારી વાત છે, પણ અત્યારે તો પરીક્ષાઓ તમામ વિદ્યાર્થીઓનું લોહી પી રહી છે તે હકીકત છે.

પ્રવેશ પરીક્ષાઓ એમ સૂચવે છે કે યુનિવર્સિટીને પોતે આપેલાં પરિણામોમાં જ ભરોસો નથી. એવું ન હોય તો પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર જ કેમ પડે? જ્યાં સુધી પીએચ.ડી.ને લાગે વળગે છે ત્યાં સુધી તે સંશોધનનો મુદ્દો છે. તેને માટે અગાઉ રૂઢ થયેલી પરીક્ષાઓ બહુ ઉપયોગી ન નીવડે એમ બનવાનું. એવું પણ બને કે લેવાતી પરીક્ષાઓ જોડે સંશોધનનો વિષય કોઈ મેળ જ ન ધરાવતો હોય, ત્યાં પેલી પરીક્ષાઓ નિરર્થક વ્યાયામથી વિશેષ શું સિદ્ધ થાય તે વિચારવાનું રહે.

એકાએક પીએચ.ડી.નો રાફડો કેમ ફાટ્યો છે તે પણ વિચારવા જેવું છે. બધાંને સંશોધનમાં રસ પડ્યો છે એટલે પીએચ.ડી. કરવા માંગે છે એવું નથી. અત્યારે પીએચ.ડી. થવા બધાં નીકળી પડ્યાં છે તેનાં મૂળમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.) છે. યુ.જી.સી.એ નક્કી કર્યું કે જેણે અધ્યાપક થવું હોય તેને માટે પીએચ.ડી. ફરજિયાત છે. એટલે અધ્યાપક થવા ઇચ્છુકો પીએચ.ડી. કરવા લાચાર છે. યુ.જી.સી.એ અધ્યાપકો માટે નેટ, સેટ પરીક્ષાઓ પણ ફરજિયાત કરી. એ પાસ ન કરવાને કારણે વીર નર્મદ યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોને છૂટા કરવાની વાત પણ આવી. તે ઓછું હોય તેમ પીએચ.ડી.થવાનું પણ  ફરજિયાત ! ટૂંકમાં, અધ્યાપક થવું હોય તો લગભગ અડધી જિંદગી પરીક્ષામાં જ વીતે. એ બધું થયા પછી પણ શિક્ષણનું સ્તર તો કથળતું જ જાય છે, તો, એ તો વિચારવું પડશેને કે આ પરીક્ષાઓનો કે ડિગ્રીનો કોઈ અર્થ છે કે કેમ?

એક સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન અધ્યાપક થવાની ઓછામાં ઓછી લાયકાત ગણાતી હતી. એમાં જો કોઈ પીએચ.ડી. મળી આવે તો તે વિશેષ લાયકાત બનતી, પણ એ ફરજિયાત ન હતી. હવે પીએચ.ડી. હોવું  ફરજિયાત છે. એથી થયું છે એવું કે બધાં જ પીએચ.ડી. કરવા મંડી પડ્યા છે. એને કારણે જે સંશોધનો થયાં છે તેમાં નાવીન્ય ઓછું ને યાંત્રિકતા વધુ છે. આ સંશોધનોનું સ્તર, કેટલાક અપવાદોને બાદ કરતાં નિમ્નતમ કક્ષાએ પહોંચ્યું છે. એટલા બધા થિસિસ બહાર પડે છે કે એની ગુણવત્તા સંદર્ભે પ્રશ્નો થાય. આટલી બધી પરીક્ષાઓ પછી પણ જો સંશોધનની આ દશા હોય તો એ  વિચારવાનું રહે કે પીએચ.ડી.નો આટલો ફુગાવો જરૂરી ખરો?

પૈસા લઈને પીએચ.ડી.નો થિસિસ લખી આપનારા હાથવગા છે. થિસિસ એટલે ઉતારાઓ – એ નવી વ્યાખ્યા પણ હાથવગી છે. પીએચ.ડી. કરાવનાર ગાઈડો વિદ્યાર્થિનીનું શોષણ કરે છે એવી વાતોની પણ નવાઈ નથી. વારુ, અધ્યાપકની પસંદગી વખતે ઈન્ટરવ્યૂમાં જે ગેરરીતિઓ અપનાવાય છે ત્યાં તો આ બધી પરીક્ષાઓ ને થિસિસ ને બધું જ એકદમ ગૌણ થઈ જાય છે ને ભળતું જ પરિણામ સામે આવે છે. આમાં ડિગ્રી તો કેવળ ઔપચારિકતા જ બની રહે છે.

એટલું સ્પષ્ટ છે કે એન્ટ્રન્સ એક્ઝામ, નેટ, સેટ, પીએચ.ડી. વગેરે અધ્યાપન માટે ફરજિયાત થયાં તેણે સંશોધનનું કોઈ મહત્ત્વ રહેવાં ન દીધું. થિસિસના ઢગલા થયા જે કોઈ લાઇબ્રેરીનું કબાટ ભરવા જેટલા પણ ઉપયોગી ન રહ્યા. આવું હોય તો એ વિચારવું ઘટે કે આ આખા વ્યાયામનો કોઈ મતલબ ખરો?

વધારે સાચું તો એ છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ‘કમિશન’ જ વધુ સૂચક છે એટલે એ કમિશન જ જવું જોઈએ. યુ.જી.સી. એક્ટ ૧૯૫૬નું સ્થાન ભારત ઉચ્ચ શિક્ષા આયોગ અધિનિયમ, ૨૦૧૮ લે એમ બને. ધારો કે એ ન જ જાય તો અધ્યાપક માટે નેટ, સેટ, પીએચ.ડી.નું ફરજિયાતપણું કાયમી ધોરણે જવું જોઈએ. એ બધાનું વિશેષ લાયકાત લેખે ભલે મૂલ્ય હોય કે એના વધારાના માર્ક્સ પણ ભલે નક્કી થાય, પણ અધ્યાપક થવા માટે એ ફરજિયાત ન જ હોય.

એક સમયે પીએચ.ડી. ફરજિયાત ન હતું. એ સમયે જે સંશોધનો થતાં ને જે થિસિસ બહાર પડતા તે ગુણવત્તા યુક્ત પણ રહેતા. એ સ્થિતિ આટલી પરીક્ષાઓ અને ફરજિયાતપણું દાખલ થયું હોવા છતાં આજે નથી. આજે પણ સારા અધ્યાપકો ને વિદ્યાર્થીઓ છે જ, પણ શિક્ષણની ટકાવારી ને સજ્જતા વધી હોવા છતાં તેનું પ્રમાણ બહુ જ ઓછું છે. આજે વિદ્યાર્થીઓ વધુ હોવા છતાં વિદ્વત્તા ઓછી છે. એક પ્રોફેસર પીએચ.ડી.ના ૮-૮ વિદ્યાર્થીનો ગાઈડ હોય ને તેણે કોલેજ કે યુનિવર્સિટીમાં બીજી ફરજો પણ બજાવવાની હોય તો તેણે કરાવેલાં સંશોધનનું કેવુંક ધોરણ હોય તે સમજવાનું અઘરું નથી. યુનિવર્સિટી જો મોટાં પ્રમાણમાં પીએચ.ડી.નું કારખાનું ચલાવવા પર બ્રેક મારે તો જ સંશોધનની ગુણવત્તા સુધરે. જો અધ્યાપક થવા પીએચ.ડી.ની ડિગ્રી ફરજિયાત ન હોય કે નેટ,સેટની પરીક્ષાઓ માથે ન મરાય તો યુનિવર્સિટી ઘણા બોજમાંથી મુક્ત થઈ શકે, પણ તેમ કરે તો આ બધાંમાંથી થતી કમાણી તેણે જતી કરવી પડે. સંશોધન ને તેની ડિગ્રી અધ્યાપન માટે સ્વૈચ્છિક બનશે તો રસ લેનારાઓ ફરજના ભાગ રૂપે નહીં, પણ રસને કારણે જે તે વિષયમાં પ્રવૃત્ત થશે. એ જે સંશોધનો બહાર પડશે તે આજનાં જેટલાં છીછરાં ને ઉતારાઓ નહીં જ હોય એટલું નક્કી છે.

બીજું કંઈ નહીં તો જેટલું બને એટલું પરીક્ષાઓનું ભારણ ઘટે એ દિશામાં યુ.જી.સી.એ અને શિક્ષણ વિભાગે સક્રિય થવાની જરૂર છે. આપણે શિક્ષણનું મૂલ્ય ઉપજાવવામાં પડ્યાં છીએ ને જરૂર મૂલ્યનું શિક્ષણ આપવાની વિશેષ છે એવું નથી લાગતું?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 સપ્ટેમ્બર 2020

Loading

14 September 2020 admin
← આ મુશ્કેલ સમયમાં (36)
સુજ્ઞ સંવાદ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved