Opinion Magazine
Number of visits: 9447238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|13 December 2016

જો લોકોએ મોદી વડા પ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શં થાત ?

અમેરિકામાં ટ્રમ્પની જીત અને ત્યાર પહેલાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા થવાના બ્રિટનના લોકમત (‘બ્રેક્ઝિટ’) પછી ઉદારમતવાદીઓ કદાચ અભૂતપૂર્વ કહેવાય એવી કટોકટી અનુભવી રહ્યા છે. પહેલી નજરે એ સ્થિતિ સોવિયેત રશિયાના વિભાજન પછી થયેલી સામ્યવાદીઓની હાલત જેવી લાગે, પરંતુ એ સામ્ય સાવ ઉપરછલ્લું છે. કેમ કે, અંગ્રેજીમાં ‘લિબરલ’ તરીકે ઓળખાતા ભારતના ઉદારમતવાદીઓ અમેરિકાને ‘શ્રદ્ધાકેન્દ્ર’ ગણતા ન હતા અને પોતાની વૈચારિક ખુલ્લાશ – અંતિમવાદના વિરોધ માટે અમેરિકા પર સંપૂર્ણપણે આધારિત ન હતા.

અમેરિકા લિબરલ્સ માટે પ્રેરણાભૂમિ હતું, શ્રદ્ધાભૂમિ નહીં. ઉદારમતવાદની ખૂબી જ એ છે કે તેમાં રાષ્ટ્ર કે ધર્મના નામે આંખે પટ્ટી બાંધવાની હોતી નથી. ખુલ્લી આંખે જે દેખાય તે બધું જ તેમાં જોવું-સ્વીકારવું પડે છે અને વખત આવ્યે તેનો વિરોધ પણ કરવો પડે છે. જગતજમાદાર તરીકેની દાંડાઈ અને પોતાના સ્વાર્થ ખાતર સરમુખત્યારોને ટેકો આપવા કે લડાઈઓ કરાવવા જેવી દુષ્ટતાઓની સાથોસાથ, અમેરિકાએ પોતાની ભૂમિ પર ઉદારમતવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું.

અમેરિકાએ વિએતનામમાં તબાહી મચાવી ત્યારે ‘દેશપ્રેમ’ના ઉભરાથી અલગ જઇને, ઘણા અમેરિકનો અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી શક્યા. તેમને સરકારે દેશદ્રોહી તરીકે ‘ફિટ’ કરી દીધા નહીં. ઉદારમતવાદી મોકળાશનો એ સિલસિલો ત્યાર પછી પણ ચાલુ રહ્યો. ભારત સહિતના દેશોમાંથી ગયેલા ઘણા લોકો અમેરિકાને નવું ઘર બનાવી શક્યા, ત્યાં સારી તકો મેળવીને બે પાંદડે થયા. વિચાર, અભિવ્યક્તિ અને કાયદાની સમક્ષ સમાનતા જેવી નાગરિકી સ્વતંત્રતાની બાબતમાં અમેરિકા વિશ્વભરના ઉદારમતવાદીઓનો આદર્શ બની શક્યું. તેની એ છાપને લીધે, ભારતમાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની હોડમાં ઝુકાવ્યું ત્યારે ભારતના કેટલાક ઉદારમતવાદી લોકોએ કહ્યું હતું કે ‘મોદી વડા પ્રધાન બનશે તો અમે દેશ છોડીને અમેરિકા જતા રહીશું.’

બે જ વર્ષમાં આ કહાનીમાં એવો આંચકાજનક વળાંક આવ્યો કે નરેન્દ્ર મોદીની અમેરિકન અને બગડેલી આવૃત્તિ જેવા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના પગલે કેટલાક જાણીતા લોકોએ અમેરિકા છોડીને કૅનેડા વસી જવાની ઇચ્છા જાહેર કરી. વિચાર કરો : જે લોકોએ મોદી વડા પ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શું થાત? એ લોકોનો મોદી સામેનો વાંધો વ્યક્તિગત કે અંગત ન હતો.

તેમનો તીવ્ર વિરોધ મુખ્ય મંત્રી મોદીના શોબાજી – વાણીવિલાસથી ભરપૂર, ઝનૂની-કોમવાદી લોકરંજકતામાં ઝબોળાયેલા રાજકારણ સામે હતો અને એ બાબતમાં મોદીથી ચાર ચાસણી ચડે એવા ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખ બની જાય, તો પછી શું કરવાનું? તેમને બે જ વર્ષમાં ફરી દેશ બદલવાની નોબત આવત – અને આવા દેશબદલા પણ ક્યાં સુધી ચાલત? કારણ કે યુરોપ-અમેરિકા જેવા નાગરિકી સ્વાતંત્ર અને ઉદારમતવાદના ગઢમાં માત્ર કાંગરા ખર્યા નથી – દીવાલોને જમીનદોસ્ત કરી નાખે એવાં મોટાં ભગદાળાં પડ્યાં છે. આ સ્થિતિમાં ઝનૂની વલણોનો વિરોધ કરતા ઉદારમતવાદી, મધ્યમમાર્ગી નાગરિકો – સંગઠનો માટે કટોકટીની સ્થિતિ પેદા થઈ છે. તેમની પાસે આટલા વિકલ્પો રહ્યા છે અથવા તેમનામાં આટલી પ્રતિક્રિયાઓ જોવા મળે છે.  

1. અવાસ્તવિક વાયદા અને બેફામ નિવેદનો કરીને, જૂઠાણાં અને અર્ધસત્યો ચલાવીને, લોકોમાં આશા અને ભયની લાગણી ભડકાવનારા નેતાઓ – પક્ષોની બોલબાલાને વૈશ્વિક પ્રવાહ અથવા નિયતિ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. કુદરતી ક્રમમાં ‘જેની ચડતી થાય, તેની પડતી નિશ્ચિત છે’ એમ માનીને આશ્વાસન લેવું અને પ્રવાહો બદલાય ત્યાં સુધી સામા વહેણે તરવાની કવાયત છોડીને નિષ્ક્રિય થઈ જવું.

2. ‘આ પરિબળો ભલે જીત્યાં, પણ એ છે તો અનિષ્ટ જ અને આપણે એમના જેવા નથી, એટલે હારી ગયાં … સારાનો જમાનો જ નથી રહ્યો’ એવું આશ્વાસન લેવું અને જે પ્રમાણે અત્યાર સુધી કામ કર્યું એ જ રીતે, એ જ દિશામાં કામ ચાલુ રાખવું. અત્યાર સુધીની કામગીરીમાં આત્મનિરીક્ષણ કરવાની કે વ્યૂહરચના બદલવાની દિશામાં કશો વિચાર ન કરવો. સામેવાળા ખરાબ છે એટલી પ્રતીતિને જ પૂરતી ગણી લેવી અને તેમની સફળતાનાં કારણોમાં ‘જમાના ખરાબ હૈ’થી વધારે ઊંડા ઉતરવું નહીં. આત્મદયામાં સરી પડવું, તે આ વિકલ્પનું સૌથી ખતરનાક પરિણામ હોઈ શકે છે.

3. આ પરિબળોની જીતને ન્યૂ નૉર્મલ તરીકે – ‘હવે તો આમ જ રહેવાનું છે’ એ રીતે – સ્વીકારી લેવી. એટલું જ નહીં, પોતાની ‘મધ્યમમાર્ગ’ની વ્યાખ્યા પણ એ પ્રમાણે બદલવી અને તેને ‘ન્યૂ નૉર્મલ’ સાથે ગોઠવી દેવી. જેમ કે, પહેલાં કોઈ મોટો નેતા જાહેરમાં જૂઠું બોલે અને પકડાઈ જાય, તો ‘આ કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતિક્રિયા આવતી હોય. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, ‘આજકાલ બધા જૂઠું બોલે છે. આ પણ જૂઠું બોલે છે. છતાં ફલાણી બાબતમાં તો એ સારો છે અને અત્યારે આવું જ ચાલે’ એવું વલણ અપનાવવું. આવું કહેનારા પહેલાં ‘સમર્થક’ ગણાતા હોય, પરંતુ ‘ન્યૂ નૉર્મલ’ સ્થિતિમાં પોતાની જાતને ઉદારમતવાદી કે મધ્યમમાર્ગી ગણાવનારા લોકો પણ આવી દલીલ કરી શકે.

એનાથી ઉપરની કક્ષા એ છે કે બદલાયેલી સ્થિતિમાં જેનો સિતારો ચડતો હોય તેની વિરુદ્ધના મુદ્દા ગણકારવા નહીં અને ફક્ત તેમની કહેવાતી ખૂબીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, બની જવું સમર્થક, પણ ઉદારમતવાદી તરીકેનો જૂનો દાવો છોડ્યા વગર અને તેમાં જમાના પ્રમાણે બદલાવ આણવાના ખ્યાલ સાથે. એકાદ વર્ષ પહેલાં પ્રો. ભીખુ પારેખે એ મતલબનું કહ્યું હતું કે જમણેરી પરિબળો જીતે તો જાહેર જીવન – જાહેર ચર્ચાનું મધ્યબિંદુ પણ જમણી તરફ ખસે છે. એટલે કે પહેલાં જે બોલવું, પ્રચારવું કે વિચારવું જમણેરી ગણાતું હોય એવું ઘણું, બદલાયેલા મધ્યબિંદુ પછી ‘આવું તો કહેવાય. એમાં શું વાંધો છે?’ની વ્યાખ્યામાં આવી જાય છે.  આમ કરવામાં પવન જોઈને સઢ બદલવાનો નહીં, પણ જમાના સાથે તાલ મિલાવ્યાનો અહેસાસ થાય છે, વ્યાપક સ્વીકૃતિ ધરાવતી માન્યતાઓ – કામગીરીઓ સાથે સંઘર્ષનો તનાવ મટી જાય છે. તેનાથી રાહત લાગે છે.

4. જે થયું છે તેનો સ્વીકાર કરવો. સામા પક્ષની સફળતાનાં કારણ સમજવાં, દેખીતા અનિષ્ટને આટલી સ્વીકૃતિ કેમ મળી અને તેમાં લોકોનાં ભય અને આશા સહિતનાં કેટકેટલાં પરિબળ સંકળાયેલાં છે, તેમાં ઊંડા ઉતરવું અને તેની સાથે કેવી રીતે પનારો પાડી શકાય એ વિચારવાની કોશિશ કરવી. આપણને જે અનિષ્ટ લાગે, તેની જીતથી કે વ્યાપક સ્વીકૃતિથી તેની અનિષ્ટતા ઓછી થઇ જતી નથી, એ યાદ રાખવું. કોઈ પણ તબક્કે આત્મદયામાં કે નિયતિવાદમાં સરી ન પડવું. ‘આપણું કામ તો ખોટું લાગે તેની સામે લડવાનું છે.

તેમાં જીત થાય તો ઉત્તમ ને જીત ન થાય તો પરવા નહીં. જીત માટે વધુ પ્રયાસ કરીશું, વધુ વ્યૂહરચનાઓ વિચારીશું ને વઘુ લડત આપીશું, પણ આપણને જે ખોટું લાગે તેનો સ્વીકાર નહીં કરીએ – તેની સામે ઝૂકી નહીં જઈએ.’ એવો વિચાર પાકો કરવો.  આ વિકલ્પો ફક્ત અગ્રણીઓને કે જાહેર જીવનમાં પડેલા લોકોને જ નહીં, તમામ નાગરિકોને લાગુ પડે છે.

સૌજન્ય : ‘વળાંક’, “દિવ્ય ભાસ્કર”, 13 ડિસેમ્બર 2016

Loading

13 December 2016 admin
← ડુડિયા
બ્રેકસીટ : વૈશ્વિક વંટોળિયાનો સંકેત ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved