Opinion Magazine
Number of visits: 9448810
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 July 2020

હૈયાને દરબાર

ક્ષમા કરી દે !

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બાળહઠ છે સાગર ક્ષમા કરી દે!

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની યાતનાઓ, પળ પળની વેદનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે!

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની
અર્થાત્ જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું, પરંતુ
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતનાં મૂલ્યો
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

•   શાયર : ‘શૂન્ય’ પાલનપુરી    •   સંગીતકાર: ગૌરાંગ વ્યાસ   •   ગાયક : રૂપકુમાર રાઠોડ

https://www.youtube.com/watch?v=fStGP1bi1kQ

‘મુંબઈ સમાચાર’ 199માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે આ અખબાર સાથે 20 વર્ષ સુધી સંકળાયેલા એક ઉત્તમ ગઝલકાર આજે યાદ આવે છે. આ અખબાર સાથે લાંબી ઈનિંગ રમેલા ‘શૂન્ય’ પાલનપુરી ઉત્તમ ગઝલકાર. ઉર્દૂ, અંગ્રેજી ભાષા પર ઘણું પ્રભુત્વ. ઉમ્મર ખૈયામની રુબાઈઓનો એમણે એવો ગુજરાતી અનુવાદ કર્યો છે કે એમ જ લાગે કે એ ગુજરાતીમાં લખાઈ છે.

ગુજરાતી ગઝલ સાહિત્યના ઇતિહાસને તપાસતાં બાલાશંકર કંથારિયાથી શરૂ થયેલી ગઝલ શયદા સાહેબના હાથે નખશિખ ગુજરાતીપણું સિદ્ધ કરે છે અને શયદાસાહેબથી શરૂ થયેલા ગુજરાતી ગઝલના બીજા તબક્કામાં અનેક સમર્થ ગઝલકારોના સર્જનથી ગુજરાતી ગઝલની મોસમ ખિલતી જોવા મળે છે.

ગઝલના છંદશાસ્ત્રના જ્ઞાતા, લાજવાબ તરન્નુમના અધિકારી અને રજૂઆતની આગવી શૈલી ધરાવતા અલીખાન બલોચ યાને કિ ‘શૂન્ય’ પાલનપુરી અનેક રીતે વિશિષ્ટ ગઝલકાર હતા. પાલનપુરના અલીખાન ઉસ્માન બલોચ ‘શૂન્ય’ એ પાજોદના દરબાર સમક્ષ ઉર્દૂ ગઝલો પેશ કરી ત્યારે અમૃત ઘાયલસાહેબે એમને કહ્યું કે તમારી ગઝલોને ગુજરાતી ભાષાની વધારે જરૂર છે. ઘાયલસાહેબના સૂચનથી જ અલીખાન બલોચે ગુજરાતી ગઝલ લખવાની શરૂ કરી અને ‘શૂન્ય’ જેવું વિરાટ તખલ્લુસ ઘાયલ સાહેબે જ આપ્યું હતું.

અલીખાન ‘શૂન્ય’નું જીવન સંઘર્ષમય હતું. જાંબાઝ બલૂચાણીનાં લક્ષણો ધરાવતી વિધવા માતાએ કપડાં સીવી, બીડીઓ વાળીને પોતાનાં બે દીકરાઓનું જતન કર્યું હતું. કિશોર અલીખાન પાન વેચીને વિધવા માને મદદરૂપ થતો. મૂળે ફારસી ભાષાના શિક્ષક અલીખાન ‘શૂન્ય’ પછીથી મુંબઈ સ્થાયી થયા હતા અને ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા હતા. ‘મુંબઈ સમાચાર’માં તંત્રી લેખો એ જ લખતા. ‘શૂન્ય’ભાઈના ‘મુંબઈ સમાચાર’ના કાર્યકાળ દરમિયાન એક પણ દીપોત્સવી અંક કે વસંત અંક એવો બહાર નથી પડ્યો કે જેમાં એમની રચના પ્રથમ પાને સચિત્ર પ્રગટ ન થઈ હોય. તેઓ નીડર પત્રકાર અને કડક આલોચક હતા.

‘શૂન્ય’ની સર્જન પ્રવૃત્તિનો આરંભ ૧૯૩૮માં ઉર્દૂથી થયો હતો. પછી એમણે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. આપણા શાયરોની સરખામણી કરવામાં આવે એની સામે તેમને નક્કર વાંધો હતો. ‘ગઝલના ભીષ્મ પિતામહ’ કે ‘ગુજરાતના ગાલિબ’ જેવા વિધાનોને એ રદિયો આપતા. ૧૯૪૪માં પૂર્ણપણે શરૂ થયેલી એમની ગઝલયાત્રા પૂરા પચાસ વર્ષ સુધી અવિરત ચાલી.

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અમોલાં અમોલાં કવન વેચવાં છે, અમો પ્રેમીઓના જીવનમાં વસી છે, પાગલ છે જમાનો ફૂલોનો જેવી એમની ગઝલો ઘણી પ્રખ્યાત છે, પરંતુ આજે જે ગઝલ વિશે વાત કરવી છે એ છે;

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે …!

ગઝલમાં કેવી ગજબની વાત કરી છે ‘શૂન્ય’ભાઈએ! એ કહે છે કે અણછાજતી મહત્તા તોફાનને સમર્પી, તું વાતનું વતેસર ના કર અને ક્ષમા કરી દે. દરિયો તો કેવો વિરાટ અને વિશાળ હ્રદયનો છે. એનાં તોફાની મોજાંની બાળહઠને લીધે હોડીનું એક રમકડું તૂટ્યું તો શું થઈ ગયું? સાગર, તું ક્ષમા કરી દે. વાત મનુષ્ય જીવનની ધૃષ્ટતાની છે. કુદરતે સુંદર જિંદગી આપી છે, પરંતુ નાની નાની ક્ષુલ્લક વાતોને અગત્યતા આપીને માણસ જીવનની મહત્ત્વની પળોને વેડફે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, સ્પર્ધા, બદલો, વેર-ઝેર દ્વારા માણસજાત હર શ્વાસે મુસીબત ઊભી કરે છે અને હર શ્વાસ વિમાસણમાં જાય છે. એટલે જ શાયર કહે છે કે તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો મારી એ ધૃષ્ટતાને હે ઈશ્વર તું ક્ષમા કરી દે. માણસ બુદ્ધિના વજનથી લાગણીને તોલે છે. મિત્રના દિલનો પણ તોલ કરે એને શું કહેવું? છતાં, ઈશ્વર બહુ ઉદાર છે. એ આપણી બધી ભૂલોને માફ કરી દે છે. જો કે, વાત હદ બહાર જાય ત્યારે કોરોના કાળ મોકલીને સબક પણ શિખવાડે છે એ જુદી વાત છે. શૂન્યની શૂન્યતામાં સંતાયેલા સામર્થ્યની આટલી સુંદર પીછાણ ‘શૂન્ય’ સિવાય બીજું વળી કોણ આપી શકે!

અર્થપૂર્ણ શબ્દો ધરાવતી આ ગઝલ ક્ષમા કરી દે … રૂપકુમાર રાઠોડે ખૂબ સરસ ગાઈ છે. ‘શૂન્ય’ને પોતાને ગમતી ગઝલોમાંની આ એક છે.

શબ્દો તો સરસ છે જ, પરંતુ આ ગઝલનું સ્વરાંકન મને ખૂબ સ્પર્શી ગયું. રૂપકુમારજીએ નક્કર ઠહરાવ સાથે ગઝલ સરસ ગાઈ છે. ગૌરાંગ વ્યાસ જેવા સંગીતકારનું સ્વરાંકન હોય પછી પૂછવું જ શું? ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે એક સરખું પ્રદાન હોય એવા કદાચ આ એક માત્ર સંગીતકાર છે. ગૌરાંગભાઈએ ૮૦૦થી વધુ ફિલ્મી ગીતો અને લગભગ એટલાં જ સુગમ સંગીતનાં ગીત-ગઝલો સ્વરબદ્ધ કર્યાં છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સંગીત નિર્દેશકના એવૉર્ડ્સ મેળવી ચૂક્યા છે.

ગૌરાંગ વ્યાસ આ ગઝલ વિશે કહે છે કે, "મારી પાસે ‘શૂન્ય’નો કાવ્યસંગ્રહ હતો. એમાં મને આ ગઝલ ગમી ગઈ. પચીસેક વર્ષ પહેલાં એક કાર્યક્રમ માટે મેં એ કમ્પોઝ કરી અને આનંદકુમાર સી.ના કંઠે એ ગવાઈ હતી. એ વખતે જ લોકપ્રિય થઈ હોવાથી પછી તો પાર્થિવ ગોહિલ, પ્રહર વોરા તથા અન્ય કલાકારોએ પણ ગાઈ છે, પરંતુ મારાં ગીતોની સી.ડી. ‘સાત સૂરોના સરનામે’માં આ ગઝલ મેં રૂપકુમાર રાઠોડ પાસે ગવડાવી. એમણે બહુ જ સરસ ગાઈ. ગીતમાં ક્ષમા કરી દે .. પંક્તિ કોરસમાં છે, કારણ કે એમાં સામૂહિક ચેતના પ્રદર્શિત થાય તો એની ઈમ્પેક્ટ વધારે લાગે. ‘શૂન્ય’ પોતે એ પ્રોગ્રામમાં હાજર હતા. એમને કમ્પોઝિશન તો ગમ્યું જ, પરંતુ આશ્ચર્ય થયું કે આટલી લાંબી બહેરની ગઝલ આટલી સરસ કઈ રીતે કમ્પોઝ થઈ! તેઓ ખુશ થઈ ગયા હતા.

‘શૂન્ય’ સાથે કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સંકળાયેલા છે. તેમને રમતગમતમાં પણ એટલો જ રસ હતો. તેઓ બહુ સારા બેટ્સમેન અમે વિકેટકીપર હતા. તેમ જ પાલનપુરના નવાબ સાથે ક્રિકેટ રમતા હતા, સાથે જ તેમને કેરમ, ચેસ અને ફૂટબોલમાં પણ મઝા પડતી. સુપ્રસિદ્ધ સેક્સોલોજીસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીના અગ્રીમ શાયરો સાથેના અંગત સંબંધો એમના મિત્ર વર્તુળમાં પ્રખ્યાત છે. પ્રકાશભાઈ ‘શૂન્ય’ પાલનપુરીની વાત કરતાં કહે છે કે, "એ માણસ ખુમારી અને ખુદ્દારીનો માણસ હતો. મૂળે એ બલુચિસ્તાની પઠાણ એટલે પઠાણનાં બધાં લક્ષણો એમનામાં હતાં. શરાબના જબરા શોખીન, પરંતુ કોઈ દિવસ નશામાં ધૂત ન થાય એટલે જ એમણે રૂબાઈ લખી છે કે

જો સૂરા પીવી જ હોય તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ,
ખૂબ પી ચકચૂર થઈ જગતનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ…!

‘શૂન્ય' કોઈની સાડાબારી રાખે નહીં, કોઈને માટે વેચાય નહીં. એમની આર્થિક સ્થિતિ અને તબિયત બન્ને નબળાં એટલે હું એમને શરાબ પીવાની ના પાડું તો મને કહે કે ‘દોસ્ત, હું શરાબ કેમ પીઉં છું ખબર છે? હું જે ઘરમાં રહું છું એમાં વીસ બાકોરાં છે. વરસાદ પડે ત્યારે હું જ્યાં સૂતો હોઉં ત્યાં પાણી પડે તો પથારી ઊંચકીને બીજે ખૂણે જવાનું. પત્ની જીવલેણ બીમારીમાં પટકાયેલી છે, એક દીકરો સ્કીઝોફ્રેનિક છે અને ‘મુંબઈ સમાચાર’માં રોજ રાત્રે તંત્રી લેખ માટે દારૂવાલા સાહેબની ઉઘરાણી તો હોય જ એટલે આ બધી વિટંબણામાં મારું મન સ્થિર રહે એ માટે બીજું હું શું કરી શકું?’ મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. શેરો-શાયરી અને લખાણમાં એ લાજવાબ હતા. એનો એક કિસ્સો કહું. એ જમાનામાં એકબીજા સામે શાયરીની ફટકાબાજી ખૂબ ચાલે. ‘ઘાયલ’ને શરાબનો નશો ઝડપથી ચડે જ્યારે ‘શૂન્ય'ની કેપેસિટી જબરજસ્ત અને નશો જરા ય નહીં. એક ઘૂંટમાં આખો પેગ ગટગટાવી જાય. ‘ઘાયલે’ આ સંદર્ભે પોતાને અનુલક્ષીને એક શેર લખ્યો; તને પીતાં નથી આવડતું ઓ મૂર્ખ મન મારા, બાકી પદાર્થ એવો કયો છે જે શરાબ નથી. મેં ‘શૂન્ય’ને કહ્યું કે આનાથી ઉપર કોઈએ લખ્યું નથી એટલે ‘ઘાયલ’ના શેરના જવાબમાં ‘શૂન્યે’, જો સૂરા પીવી જ હોય… જેવો લાજવાબ શેર આપ્યો. ‘મરીઝ’ ખૂબ ધીમે, ગ્લાસને રમાડતાં રમાડતાં પીએ. તેથી ‘શૂન્ય’ના શેરની સામે ‘મરીઝે’ બીજો આ શેર ફટકાર્યો હતો; જૂનો શરાબી છું એટલે જામ સાથે ખેલું છું, નવા પીનારાઓ તો ગટગટાવી જાય છે! આવી અફડાતફડી ઘણી ચાલતી, પરંતુ ‘શૂન્ય’ની એક ખૂબીની વાત કરું જે કદાચ કોઈને ખબર નથી. એમની કેટલી ય ગઝલોમાં એમની પ્રિયતમાનું નામ આવ્યું છે છતાં કોઈ વિવેચક, કવિને એની જાણ સુધ્ધાં નથી થઈ. એ શબ્દના સ્વામી હતા. ‘મરીઝ’ના જ શેરને સહેજ બદલીને કહું તો, જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યાં, ગઝલમાં તો આવ્યાં ને નામે ય આવ્યાં. છતાં દુનિયાથી પરદાનશીન રહી શક્યાં. "ડૉ. પ્રકાશ કોઠારી આ રાઝ ખોલીને વાત પૂરી કરે છે. નામ શોધી કાઢવાનું કામ હવે તમારું.

‘શૂન્ય’ પાલનપુરીએ ઉમ્મર ખૈયામની રૂબાઈઓને સંપૂર્ણ વફાદાર રહીને અદ્ભુત અનુવાદ કર્યો છે. એમાં ગહન તત્ત્વચિંતન સમાયેલું છે. ખૈયામની સઘન ફિલસૂફી ગુજરાતી ભાષામાં કેવળ ‘શૂન્ય’ પાસેથી જ મળે. આવા પ્રતિભાશાળી શાયરની આ ગઝલ ઈન્ટરનેટ પર સાંભળવા મળશે જ. અર્થસભર આ ગઝલ માણીએ અને ‘શૂન્ય’ના સર્જનને યાદ કરી સ્મરણાંજલિ આપીએ.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=631544  

Loading

9 July 2020 admin
← કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
દિવાલ ચણાય છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved