Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ

સોનલ પરીખ|Opinion - Opinion|30 July 2021

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું. આથી એ બીજા નંબરનું સૌથી મોંઘું ભારતીય પેઈન્ટિંગ બન્યું છે (પહેલા નંબરનું વી.એસ. ગાયતોંડેનું પેઈન્ટિંગ 39.98 કરોડમાં આ વર્ષના માર્ચમાં વેચાયું હતું). અમૃતા શેરગિલની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે.

એનો નાનકડો જીવનકાળ યુરોપ અને ભારત વચ્ચે વહેંચાયેલો રહ્યો. 1913ની 30મી જાન્યુઆરીએ ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં, પંજાબી રાજકૂળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને હંગેરિયન-યહૂદી ઓપેરા ગાયિક મેરી એન્ટોઈનેટને ત્યાં તેનો જન્મ. બાળપણનો મોટા ભાગનો સમય બુડાપેસ્ટમાં જ વીત્યો. વિશ્વયુદ્ધ પછીની હાડમારીથી બચવા 1921માં શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી રહેતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી. એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી.

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટ સ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. એમાં જે તરુણીઓ બતાવી છે તેમાં એક તેની બહેન ઈન્દિરા હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહ્નરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં તે ભારત આવવા ઝંખતી – ધેર લે માય ડેસ્ટિની એઝ અ પેઈન્ટર. પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી.

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. બિકૉઝ આઈ પઝેસ ઇન માય સાયકોલૉજિકલ મેકઅપ અ પિક્યુલિઆરિટી ધૅટ રિસેન્ટ્સ એની આઉટ્સાઈડ ઈન્ફ્લ્યુઅન્સ.’ વિવેચકો તેના પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો પ્રભાવ જોતા. તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’

અને 1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મગરિજ મળ્યો. બન્ને સાથે થોડું રહ્યાં. તેણે માલ્કમનું પેઈન્ટિંગ પણ બનાવ્યું જે અત્યારે દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે.

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં. 

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. માએ ગૂંથી આપેલાં પુલઓવર પણ ન પહેરતી. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેને ખૂબ ગમ્યાં. ‘હું વ્યક્તિવાદી છું. સંતો અને ગરીબોના આ દેશનું આકલન અને આલેખન મારી પોતાની શૈલીથી કરું છું, જે પરંપરાગત અર્થમાં ભારતીય ન કહેવાય, પણ તેનો આત્મા ભારતીય છે.’ ત્રિવેન્દ્રમમાં પહેલી વાર કથકલી જોયું, ‘અજબ છે. કલાત્મક પણ.’

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઈન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે. ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા ચિત્રિત કરવી.’

1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. જતા પહેલાં લખ્યું, ‘હંગેરી જઈને હું શિલ્પ શીખીશ. મને નથી લાગતું કે હું યુરોપમાં ચિત્રો કરીશ. હું ભારતમાં જ ચિત્રો કરી શકું. બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાં મુખ્ય હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’

અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અમૃતા શેરગિલ એમાં અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું …

1039માં તે પતિ વિક્ટર સાથે ભારત આવી. યુરોપના આકાશમાં યુદ્ધના વાદળ ઘેરાવા માંડ્યાં હતાં. બન્ને સરાયા જઈને રહ્યાં. સરાયા તેની ચેતના પર અજબ અસર કરતું. અમૃતા ખૂબ કામ કરતી. ‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ કર્યાં. ‘સમય નથી.’ એ વારંવાર કહેતી. તેને એક જાતનો અજંપો ઘેરતો ગયો.

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ચાલ્યા ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. ‘કેમલ્સ’ અને અધૂરું છતાં મનમોહક છેલ્લું ચિત્ર તેણે લાહોરમાં કર્યાં. ડિસેમ્બરમાં તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ ત્રીજી ડિસેમ્બરે તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને પાંચમી ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે.

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18-69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. 1934માં અમૃતાએ એ બનાવ્યું ત્યારે બબીત આઠ વર્ષની હતી. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું.

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.  

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું.

કલા વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુએ 1992માં લખ્યું હતું, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? આપણને એની ખબર પડવાની નથી. તેનામાં કેટલાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ધૈર્ય હતાં; કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’ 

પ્રગટ : લેખિકાની ‘રિફલેક્શન’નામક સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જુલાઈ 2021

e.mail : sonalparikh1000@gmail.com

Loading

30 July 2021 admin
← હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?
જેજુરી →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved