Opinion Magazine
Number of visits: 9487588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|14 March 2024

રમેશ ઓઝા

૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ લાગુ થયું તેની પૂર્વસંધ્યાએ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, “૨૬મી તારીખથી આપણે આંતર્વિરોધના યુગમાં પ્રવેશવાના છીએ. રાજકીય જીવનમાં સમાનતા અને આર્થિક-સામાજિક જીવનમાં વિષમતા. રાજકારણમાં આપણે એક વ્યક્તિની કિંમત એક મત દ્વારા આંકવાના છીએ, પરંતુ આર્થિક અને સામાજિક જગતમાં વિષમતામૂલક વ્યવસ્થાનાં મૂળિયાં ઊંડા હોવાને કારણે આપણે એક વ્યક્તિ એક મૂલ્યનો સિદ્ધાંત નકારવાનું જારી રાખીશું. આવા આંતર્વિરોધની કેદમાં આપણે ક્યાં સીધી રહીશું? સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં સમાનતા ક્યાં સુધી નકારતા રહીશું?” અને પછી કહે છે, “જો આપણે લાંબા સમય સુધી સમાનતાનો અસ્વીકાર કરતા રહીશું તો એક દિવસ તેનાં પરિણામ સ્વરૂપ રાજકીય લોકતંત્ર સંકટમાં પડવાનું છે.” (ડૉ. આંબેડકરનું આ પ્રવચન બંધારણસભાની ચર્ચાના દસમાં ખંડમાં જોવા મળશે.)

ડૉ. આંબેડકરે આઝાદ ભારતમાં અસ્તિત્વમાં આવનારો આંતર્વિરોધ બતાવ્યો છે અને તેનું પરિણામ પણ બતાવ્યું છે. જ્યાં સુધી અસમાનતા રહેશે ત્યાં સુધી ભારત સાચો લોકશાહી દેશ બની શકે એમ નથી અને જો અસમાનતા વધતી જાય અને તેનું નિર્મૂલન કરવાની જગ્યાએ સામાજિક-આર્થિક વાસ્તવ તરીકે જો તેનો સ્વીકાર કરવામાં આવશે તો ભારતનું લોકતંત્ર સંકટમાં પડવાનું છે. 

પણ સવાલ એ છે કે ભારતમાં બંધારણ લાગુ થઈ જાય અને ભારત પ્રજાસત્તાક બની જાય એટલા માત્રથી રાજકીય સમાનતા આવી જવાની હતી? એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સ્વયં એક મહાન સિદ્ધાંત છે, પરંતુ એ કિતાબી આદર્શ માત્ર છે. સત્તાકીય રાજકારણમાં કેટલાક લોકોને મત આપતા રોકી પણ શકાય, મતદાન મથક સુધી પહોંચતા રોકી શકાય છે, સત્તાનો દુરુપયોગ કરીને મબલખ સંસાધનો એકઠા કરીને ચૂંટણી અસમાન (ચૂંટણીકીય વિષમતા) કરી શકાય છે, મત ખરીદી શકાય છે અને મત નહીં તો મતે ચૂંટેલા પ્રતિનિધિને ખરીદી શકાય છે. પ્રજાસત્તાક દેશમાં પ્રજા સત્તા ધરાવે છે અને આપોઆપ રાજકીય સમાનતા પ્રસ્થાપિત થાય છે એવું ડૉ. આંબેડકરનું નિરીક્ષણ ખામી ભરેલું છે. અત્યારે આપણને આનો અનુભવ થઈ જ રહ્યો છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તમે એક જ મતનો અધિકાર ધરાવો છો એ રાજકીય સમાનતાનો નિર્ણાયક માપદંડ નથી. અને એમાં જો તમે મત આપવાની લાઈનમાં આગળ ઊભા હો અને તમારી પાછળ એક અદના નાગરિક તરીકે રાષ્ટૃપતિ ઊભા હોય તો એ દૃશ્ય જોઇને આપણે ગદગદિત થઈ જઈએ છીએ. પણ આ બાહ્ય દેખાવ માત્ર છે, તેમાં આત્મા હોય જ એ જરૂરી નથી.

જે દિવસે સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો કે ઇલેક્ટોરલ બોન્ડ્સની વિગતો જાહેર કરવામાં આવે અને એમાં કોઈ સમયમર્યાદા વધારી આપવામાં નહીં આવે તો એ જ દિવસે કેન્દ્ર સરકારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.) લાગુ કરી દીધો. એક ઝાટકે કેટલાક મુસલમાનોનો મતનો અધિકાર છીનવી લીધો. માત્ર આસામના, ઇશાન ભારતનાં અન્ય રાજ્યોનાં, બંગાળ અને બિહારના મુસલમાનોનો જ મતનો અધિકાર નહીં, દેશના કોઈ પણ મુસલમાનને મત આપતો રોકી શકાય છે. નાગરિકત્વ સિદ્ધ કરવાની જવાબદારી એની છે જેનું નાગરિકત્વ છીનવી લેવામાં આવ્યું છે, એની નથી જેણે નાગરિકત્વ છીનવી લીધું છે. ભારતના ન્યાયતંત્રમાં નાગરિકત્વ પાછું મેળવતા માણસ વૃદ્ધ થઈ જાય અને પ્રત્યેક ચૂંટણીમાંથી બહાર થઈ જાય. અને માત્ર એ જ નહીં, તેનો પરિવાર પણ.

ક્યાં છે રાજકીય સમાનતા જેની ડૉ. આંબેડકરે કલ્પના કરી હતી? ઇલેક્ટોરલ બોન્ડ્સ પ્રતિસ્પર્ધીના ચૂંટણીના મેદાનમાં સમાનતાના અધિકારને છીનવી લેવા માટે લાગુ કરવામાં આવ્યા હતા અને આ સી.એ.એ.નો કાયદો પ્રતિસ્પર્ધીના સમર્થકોને રસ્તામાંથી સમૂળગા દૂર કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે. કાં તો ચૂંટણીના મેદાનમાં ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા તને લંગડો કરું અને કાં તને મત આપીને તારું પોષણ કરનારાને જ ખતમ કરું, પણ તને મારી બરાબરી કરવા તો નહીં જ દઉં. આ સિવાય ચૂંટણી પંચના કમિશ્નરને નિયુક્ત કરવાની પ્રક્રિયા અસમાન કરવામાં આવી છે અને તે ત્યાં સુધી કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને જ તેની બહાર રાખવામાં આવ્યા છે. શાસકોની જીહજૂરી કરનારાઓ ચૂંટણીપંચમાં બેસશે અને તેઓ સરકારને માફક આવે એ રીતે ચૂંટણીનું આયોજન કરશે. સરકારના ઇશારે રાજીનામાં પણ આપશે. અત્યારે ચૂંટણીપંચને માત્ર એક સભ્યનું કરી નાખવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં બીજા બે કમિશ્નરની નિમણૂંક કરવામાં આવશે કે નહીં એ આપણે જાણતા નથી અને જો નિયુક્ત કરવામાં આવશે તો એ ચોક્કસ માનજો જીહજૂરિયા હશે.

ટૂંકમાં બંધારણ અને બંધારણ નિર્મિત પ્રજાતંત્ર રાજકીય સમાનતાની ગેરંટી નથી આપતા. એને માટે જાગરુક તેમ જ આંદોલિત નાગરિક સમાજ અને સ્વતંત્ર તેમ જ તંદુરસ્ત ન્યાયતંત્ર જરૂરી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળેલા અઢળક રૂપિયા દ્વારા નાગરિકોના એક વર્ગને દેશપ્રેમનો કલોરોફોર્મ આપીને સુવડાવી દેવામાં આવ્યો છે. બીજા એક વર્ગને હિંદુઓનું માથાભારેપણું જોઇને મર્દાનગીનો આભાસી અનુભવ થઈ રહ્યો છે. ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી, નીચતા છે એ તેમને સમજાતું નથી. એ પછી પણ મોટા પ્રમાણમાં જાગૃત નાગરિકોનો એક વર્ગ છે જે ઊહાપોહ કરી રહ્યો છે, પરંતુ મુખ્ય ધારાના મીડિયાને ખરીદી લેવામાં આવ્યા છે એટલે તેઓ મૂલ્યરક્ષણ માટે આંદોલિત નાગરિકોને કાન આપતા નથી. તેમની વાત લોકો સુધી પહોંચાડતા નથી. આમાં કોઈ જગ્યાએ રાજકીય સમાનતા નજરે પડે છે? અને વળી જ્યારે કાઁગ્રેસનું એકચક્રી શાસન હતું ત્યારે પણ રાજકીય સમાનતા તેના સંપૂર્ણ સ્વરૂપમાં હતી ખરી? છીંડાં કાઁગ્રેસે પાડ્યાં હતાં જેનો લોકશાહીમાં નિષ્ઠા નહીં ધરાવનારા ફાસીવાદીઓ લાભ લે છે. તેઓ લોકતંત્રનું બાહ્ય કલેવર જાળવી રાખીને લોકતંત્રનો પ્રાણ હરી લેવા માંગે છે એ માટે સંસદીય રાજકીય અસમાનતા જરૂરી છે.

અને છેલ્લે એક વાત કહેવી રહી. બંધારણ બચાવવાથી દેશ બચવાનો નથી. આજકાલ અનેક લોકો બંધારણ બચાવો દેશ બચાવોની વાત કરે છે જેમાં એક પ્રકારનું ભોળપણ છે. આજના શાસકોએ અક્ષરસઃ બંધારણને ફગાવ્યા વિના વ્યવહારમાં લોકતંત્રને ફગાવી દીધું છે એ આનું પ્રમાણ છે. અક્ષર અને પ્રત્યક્ષ વ્યવહાર વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, તે માટે વ્યવહાર પર નજર રાખવી જોઈએ અને જો અંતર વધતું નજરે પડે તો રસ્તા પર ઉતરવું જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 માર્ચ 2024

Loading

14 March 2024 Vipool Kalyani
← સાબરમતી આશ્રમના નવીનીકરણ મામલે સરકાર સામે સવાલો કેમ?
દોડતાં રહેવું પડે →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved