Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કસ્તૂર, મારી બાની ખોવાયેલી ડાયરી 

આશા બૂચ|Gandhiana|23 November 2022

The Lost Diary of Kastur, My Ba : Tushar Gandhi : પ્રાપ્તિ સ્થાન — Harper Collins publication, India : 2022 : Rs. 599.00

બે એક વર્ષ પહેલા કસ્તૂરબા આશ્રમ, ઇન્દોર સ્થિત ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના કર્મચારીઓને ફાટી તૂટી અવસ્થામાં એક ડાયરી હાથ લાગી. એ જાન્યુઆરી 1933થી સપ્ટેમ્બર 1933 દરમ્યાન કસ્તૂરબાએ જાતે લખેલ ડાયરી હતી, તેમ માલૂમ પડ્યું. કસ્તૂરબાની જેમ આ ડાયરી પણ આટલાં વર્ષો ભુલાઈ ગયેલી, અવગણના પામેલી એક માળિયામાં પડી રહી.

ગાંધીજીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધીએ જ્યારે આ ડાયરીની ભાળ મળ્યાની વાત પરિવારજનોને કહી ત્યારે, “તેઓ તો અશિક્ષિત હતાં, તેઓ લખી ન શકતાં” એમ કહીને આવી કોઈ ડાયરી હોય તે માનવા જ કોઈ તૈયાર ન થયા. તુષારભાઈએ તે ડાયરી વાંચી, તેમની આશંકાનું સમાધાન થયું.

આ પુસ્તકના શરૂઆતના 95 પૃષ્ઠ કસ્તૂરબા અને ગાંધીજીના જીવનની મુખ્ય ઘટનાઓનો કાળ ક્રમ દર્શાવે છે. તેમાંની મોટા ભાગની વિગતો ‘સત્યના પ્રયોગો’થી માંડીને અનેક પુસ્તકો અને લેખો દ્વારા વાંચવા મળે, પણ આ પુસ્તકમાં કસ્તૂરબા કેન્દ્રસ્થાને છે, જેથી એમના જીવનને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ગાંધીજીનાં લખાણો અને તેમના વિષે લખાયેલ બહોળા સાહિત્યનું પાન કર્યું, ત્યારે તેમના પ્રત્યેના અહોભાવથી નતમસ્તક થવાયું છે, પરંતુ કસ્તૂરબા વિષે જ્યારે કઇં વાંચીએ કે સાંભળીએ ત્યારે આંખો સજળ થયા વિના ન રહે. કારણ અકળ છે.

પોરબંદર ખાતે કસ્તૂરબાનો, એપ્રિલ 1869માં, ખાધે પીધે સુખી પરિવારમાં જન્મ થયો, ત્યારથી માંડીને મોહન સાથેના વિવાહ, મોહનના અભ્યાસનાં વર્ષો, પરિવારના વડીલ અને પોતાના પ્રથમ સંતાનને ગુમાવવાનો લાગેલ ધક્કો, અભ્યાસાર્થે અને ત્યાર બાદ વ્યવસાય અર્થે મોહનનું વિદેશ ગમન, દક્ષિણ આફ્રિકાના રહેવાસ દરમિયાન આવેલ ચડાવ ઉતાર, સ્વદેશાગમન બાદ ત્રણ દાયકાની જેલ, આશ્રમ અને બેઘર બન્યાની સ્થિતિની મજલનું વર્ણન વાચકને જકડી રાખે. દરેક પડાવ સમયે કસ્તૂરબા શું વિચારતાં, અનુભવતાં અને કહેતાં એ બખૂબીથી દર્શાવેલું છે. યુવાવસ્થામાં એ દંપતીની અત્યંત અંગત પળોનું આલેખન તુષારભાઈએ નિઃસંકોચપણે કર્યું છે કેમ કે તેઓ બા અને બાપુને સામાન્ય વ્યક્તિ અને દંપતી તરીકે દર્શાવવા માગે છે, અને બાપુએ ખુદ આત્મકથામાં એ બંને ઐહિક વાસનાના કેવા ગુલામ હતા એનો ઉલ્લેખ કર્યો છે, એથી આ પુસ્તકના લેખક પણ તેને વિકૃતિ નહીં પણ સ્વાભાવિક મનોભાવ તરીકે ચિત્રિત કરે છે, જે ખરેખર સરાહનીય છે.

વિવાહ કરીને આવેલી એક નમ્ર પરંતુ પોતાના અધિકારોથી જાગૃત અને મક્ક્મ નિર્ધાર વાળી કન્યા કઈ રીતે એક પુત્રવધૂ, માતા અને જવાબદાર પત્ની તરીકે વિકસતી, ખીલતી ગઈ અને દક્ષિણ આફ્રિકામાં ધીરે ધીરે ભારતીય કોમની સેવામાં, આશ્રમના સંચાલનમાં, સત્યાગ્રહમાં ભાગીદારી કરવામાં અને જેલવાસને બહાદુરીથી સહન કરવામાં કેવો આગેવાની ભર્યો ભાગ ભજવ્યો એ જાણ્યા બાદ વાચકને કસ્તૂરબા એક સબળ, ધીર અને સ્વતંત્ર માનસ ધરાવનાર રાષ્ટ્રમાતા કઈ રીતે બન્યાં એ પ્રતીત થયા વિના ન રહે.

2જી જાન્યુઆરી 1933થી આ ડાયરી લખવાનો પ્રારંભ થયો. પૃષ્ઠના મથાળે કસ્તૂરબાના હસ્તાક્ષરમાં લખેલ નોંધ, તેની નીચે તેનું અક્ષરશઃ ગુજરાતી લખાણ અને ત્યાર બાદ તેનું ઇંગ્લિશમાં ભાષાંતર આપીને તુષારભાઈએ આપણને કસ્તૂરબાના અક્ષરદેહ સાથે મેળાપ કરાવી આપ્યો અને ગુજરાતી ભાષા ન જાણનાર વાચકોને ઇંગ્લિશ દ્વારા તે નોંધ સુલભ કરી આપી. એક વાત અહીં નોંધનીય છે કે તેઓએ કસ્તૂરબાની જોડણી કે વ્યાકરણની ભૂલો મઠારી નથી. બા જેવા હતાં તેવાં જ આપણી સમક્ષ રજૂ કર્યાં છે. કસ્તૂરબા પોતે જ લખે છે તેમ ડાયરીમાં એકની એક વાત લખવાની હોય છે (કેમ કે મોટા ભાગનો સમય તેઓ જેલમાં હતાં) છતાં મને થયું, હું કેમ એકેએક પાનું આટલા રસથી વાંચું છું? કેમ કે હું મારાં જ વડ દાદીની ડાયરી વાંચતી હોઉં તેટલી આત્મીયતા લાગી, અને તે એ લખાણને જેમનું તેમ રજૂ કરવાને કારણે.

કસ્તૂરબા જેવાં મૃદુ સ્વભાવનાં અને મિતભાષી તેવાં જ થોડા શબ્દોમાં ઝાઝું લખનાર તરીકે ઉભરી આવે છે આ ડાયરીનાં પાનાંઓ ઉપર. બે લાઈન તો શું, બે શબ્દો વચ્ચે પણ તેમનો બાપુ પ્રત્યેનો અનર્ગળ પ્રેમ, શ્રદ્ધા, તેમનાં સ્વાસ્થ્ય વિષેની ચિંતા જેવી અંગત લાગણીઓથી લઈને તેમના સાથીદારો અને પરિવારજનો માટેની કાળજી અને દેશ આખાને આઝાદ કરવા સત્યાગ્રહ કરવા વિશેનું તેમનું ચિંતન બાને કેટકેલટલી ભૂમિકાઓ સહજ પણે બજાવતાં દર્શાવે છે! આ ડાયરીના લખાણમાં કસ્તૂરબા પોતાના એક અલગ અંદાજમાં એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર, અડીખમ સાથીદાર અને સત્યાગ્રહી તરીકે ઉભરી આવે છે; અલ્પશિક્ષિત, પણ વિચક્ષણ.

એક બીજી હકીકત મારું ધ્યાન ખેંચી ગઈ, અને તે તુષારભાઈએ કરેલ ‘કસ્તૂર, કાપડિયા ગાંધી’ શબ્દ પ્રયોગ. છેલ્લાં કેટલાંક વર્ષોથી આધુનિક મહિલાઓ લગ્ન બાદ પોતાના પિતા અને પતિની બંને અટક રાખીને પુરુષ સમોવડી હોવાની ચેષ્ટા કરવા લાગી છે. જ્યારે તુષારભાઈ કસ્તૂરબાની પોતાની ઓળખ બતાવવા માટે કસ્તૂર કાપડિયા ગાંધી તરીકે સંબોધ્યાં છે, જે ખરેખર આવકાર્ય જ ગણાય.

ડાયરીને અંતે ગાંધીજીએ ત્રણ અલગ અલગ સમયે આપેલી અંજલિ બા અને બાપુ વચ્ચેના અગાધ પ્રેમ અને વિશ્વાસનું આલેખન કરે છે, વાચકને બંને એકબીજા થકી કેવાં ધન્ય હતાં તેનો અહેસાસ થાય. ગાંધીજીના ગજથી કસ્તૂરબાની ઊંચાઈ મપાય તેનાથી વધુ મોટો પુરસ્કાર બાને ન જ મળે. તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝની અંજલિ વાચકને અંતરથી હલબલાવી જાય. તેમણે કસ્તૂરબાને એક અજોડ નારીશક્તિ, સ્વતંત્ર સત્યાગ્રહી તરીકે વીરતાથી અંગ્રેજ સલ્તનતના કરેલ સામના થકી ભારતની અને વિશ્વની કન્યાઓ તેમ જ મહિલાઓ માટેના આદર્શ તરીકે ઓળખ્યાં. કસ્તૂરબાના નિધનથી ગાંધીજી અને તેમના પરિવારને આશ્વસ્ત કર્યા બાદ બ્રિટિશ હકુમતને સીમા પાર કરવાની તેમની પ્રતિજ્ઞાનું જોશ કદાચ કસ્તૂરબાના શૌર્ય ભર્યા જીવનમાંથી સાંપડ્યું હોય તેમ લાગે. અદ્દભુત રીતે આ પુસ્તકનું સમાપન થયું.

કસ્તૂરબા વિષે આજ સુધીમાં જે કઇં થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ હોય તે જરૂર વાંચી જવું, પરંતુ જો કસ્તૂરબા, તુષારભાઈનાં બાને ખરા સ્વરૂપમાં ઓળખવાં હોય તો તેમના જ શબ્દોમાં લખાયેલી ડાયરી જેવું ઉત્તમ પુસ્તક જરૂર વાંચવું રહ્યું.

E.mail : 71abuch@gmail.com

Loading

23 November 2022 Vipool Kalyani
← જી-20 : નવી વિશ્વ વ્યવસ્થાને ભારત આકાર આપી શકશે?
નવનિર્માણ માટે વિનાશ જરૂરી હોય છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved