Opinion Magazine
Number of visits: 9446568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તપશ્ચર્યા સાધન છે, સાધ્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2019

આપણે જોયું કે મહાવીર અને બીજા શ્રમણ દાર્શનિકોનો ભરોસો ઈશ્વર પર નહોતો. ઈશ્વરની કે બીજા કોઈની પણ કૃપા પર નહોતો. તેમનો ભરોસો તો પોતાના પર હતો. પોતે જ નહીં, પણ પ્રત્યેક માનવીમાં ઉપર ઊઠવાની સંભાવના પર હતો. એને માટે બે ચીજ સમજી લેવાની જરૂર હતી. એક તો એ કે સત્ય એકાંગી નથી, અનેકાંગી છે. આપણને જે સમજાયું એ જ સત્ય છે એમ કહેવું એ દુરાગ્રહ કહેવાય અને માનવીનો પરાજય આવા વલણ દ્વારા એ જ ઘડીએ થાય છે. બીજી ચીજ એ કે જો માનવીએ દુરાગ્રહીની જગ્યાએ સદાગ્રહી બનવું હોય તો તે અવશ્ય બની શકે છે. એને માટે જરૂર છે; વૃત્તિઓને સાફ કરવાની અને એ પ્રત્યેક માનવી કરી શકે છે.

જૈન ધર્મમાં તપશ્ચર્યા પર ભાર મૂકવામાં આવ્યો છે એનું કારણ આ છે. સુજ્ઞ વાચકને એટલું તો આ ક્ષણે જ સમજાઈ જવું જોઈએ કે તપશ્ચર્યા એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય છે, પૂર્વગ્રહમુક્ત માખણ જેવા ઋજુ બનવાની. સાધના તો એમાં માત્ર સાધનરૂપ છે. દુર્ભાગ્યે આજે જૈનો તપશ્ચર્યાને જ સાધ્ય માની બેઠા છે અને દુરાગ્રહો એમને એમ કાયમ છે. તેઓ અનેકાંતનો અને સ્યાદવાદનો અર્થ જ નથી સમજતા. જૈન ધર્મ તપશ્ચર્યાના કર્મકાંડોનો શિકાર બની ગયો છે. સનાતનધર્મીઓનાં કર્મકાંડ કાંઈક પામવા માટેના છે, તો જૈનોના તપશ્ચર્યારૂપી કર્મકાંડ પણ લગભગ એવા જ છે. આજનો જૈન સમાજ મહાવીરથી ઘણો વિમુખ થઈ ગયો છે.

અહીં ‘સમણસુત્તં’માંથી કેટલાક વચનો ટાંકવા છે જે આગમગ્રંથોમાંથી જ લઈને વિનોબા ભાવેએ એક જગ્યાએ સંગ્રહિત કરાવ્યાં છે. ૧૯૭૪માં ભગવાન મહાવીરનાં ૨૫૦૦માં નિર્વાણ વર્ષમાં વિનોબાની પહેલથી જૈનોના તમામ ફિરકાના વિદ્વાન આચાર્યોને એક સ્થળે એકઠા કરીને તેમ જ એક સંગીતી યોજીને દરેકને સંમત હોય એવા વચનોનો સંગ્રહ કરાવ્યો હતો જેનું પરિણામ ‘સમણસુત્તં’ ગ્રંથ છે. એનો ગુજરાતીમાં સુગમ અનુવાદ મુનિશ્રી ભુવનચન્દ્રજીએ કર્યો છે અને ‘યજ્ઞ પ્રકાશ’ને તેનું પ્રકાશન કર્યું છે. ફિરકાના આગ્રહો છોડીને દરેક જૈને તેનું પારાયણ કરવું જોઈએ. અહીં મારી ભૂલ થાય છે. ‘સમણસુત્તં’નું પારાયણ દરેક ભારતીયે કરવું જોઈએ. ભારતીયોમાં હિંદુઓ ઉપરાંત; મુસલમાનો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરેક માટે પાથેય છે.

તો શું કહેવામાં આવ્યું છે આગમ ગ્રંથોમાં? ‘સમણસુત્તં’માં કુલ ૭૫૬ વચનો છે અને એ દરેક વચન માણસને ખરા અર્થમાં માનવ બનાવામાં ઉપયોગી થાય એવાં છે. એટલે જ આ ગ્રંથ નિત્ય પારાયણ કરવા માટેનો ગ્રંથ છે. અહીં એમાંથી આચમનરૂપે થોડાં વચનો ટાંકવામાં આવ્યાં છે:

તું તારા પોતા માટે જે ઇચ્છે તેવું બીજા માટે પણ ઇચ્છ, તું તારા પોતા માટે જે નથી ઇચ્છતો તે  બીજા માટે પણ ન ઇચ્છ – જિનનો ઉપદેશ આટલો જ છે. (જિનશાસનસૂત્ર : ૮)

માટે, બધા જ નય જો પોતાના પક્ષના આગ્રહી બને (એકાંગી બને) તો તે મિથ્યા બની જાય છે અને જો પરસ્પર સાપેક્ષ બને (અન્ય નયોનો પણ સ્વીકાર કરે) તો તેઓ સમ્યક્ રહે છે. (નિરૂપણસૂત્ર : ૧૨)

(નય એટલે ભિન્ન ભિન્ન આશય અથવા દૃષ્ટિકોણ)

નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બુરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ નથી કરી શકતો. (રાગપરિહારસૂત્ર : ૨)

પરમ ક્ષમા, પરમ મૃદુતા (માર્દવ), પરમ ઋજુતા (આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય – દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે. (ધર્મસૂત્ર : ૩)

જે શ્રમણ કુળ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રુત શીલ વગેરેનો ગર્વ નથી કરતો તે ઉત્તમ માર્દવ (નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું. (ધર્મસૂત્ર : ૭)

આ આત્મા અનેકવાર ઉચ્ચગોત્રમાં અનેક અનેકવાર નીચ ગોત્રમાં જન્મ લઈ ચૂક્યો છે; પરંતુ એટલાથી નથી તે હીન બની જતો કે નથી ઉચ્ચ થઈ જતો. માટે કોઈની અભિલાષા ન કરવી. આ સાંભળ્યા પછી કોણ ગોત્રવાદી બને? કોણ માનવાદી બને? (ધર્મસૂત્ર : ૯)

સત્યમાં તપ છે, સત્યમાં સંયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે. (ધર્મસૂત્ર : ૧૫)

કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. (સંયમસૂત્ર : ૪)

રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. (સંયમસૂત્ર : ૯)

ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે. (સંયમસૂત્ર : ૧૪)

જે મમત્વને તજી શકે છે તે જ પરિગ્રહને તજી શકે છે. તે મુનિએ આ માર્ગ જોયો છે, જેણે પરિગ્રહ તજ્યો છે. (અપરિગ્રહસૂત્ર : ૩)

રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે – એમ જિનેશ્વરોએ કહ્યું છે. (અહિંસાસૂત્ર : ૭)

આળસ હોય ત્યાં સુખ નથી. નિંદ્રા અને વિદ્યા સાથે રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહીં અને આરંભ (મોટા પાયે કરાતાં સાંસારિક કાર્યો) ત્યાં અહિંસા નહીં. (અપ્રમાદસૂત્ર : ૮)

જિનદર્શનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમયગ્ દર્શન માર્ગફળ એટલે નિર્વાણ (મોક્ષમાર્ગસૂત્ર : ૧)

સમયગ્ દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમયગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ નથી. (રત્નત્રયસૂત્ર : ૪)

હે યોગી, જો તું તારા પરલોકનું કલ્યાણ કરવા ઈચ્છે છે તો ખ્યાતિ, સન્માન, સંપત્તી કે સત્કારની કામના શા માટે રાખે છે? એ વસ્તુથી પરલોકમાં તને શો લાભ થશે? (સમયગ્દર્શનસૂત્ર: ૧૭)

માથું મુંડવાથી શ્રમણ થવાતું નથી, ઓમનો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભના વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી. (શ્રમણધર્મસૂત્ર : ૫)

સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય. (શ્રમણધર્મસૂત્ર : ૬)

કોઇપણ કથનમાં એકાંત અથવા એક જ દૃષ્ટિકોણ ન આવી જાય તે માટે ‘સ્યાત્’ શબ્દસહિત કથન કરવું તે સ્યાદ્વાદ છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૨)

(સ્યાત્ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે; હોઈ શકે. આનાથી વસ્તુના અન્ય પાસાંના અસ્તિત્વનો બોધ થાય છે. અન્ય અપેક્ષાએ વસ્તુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે એવા આશય સાથે કથન કરવું એ સ્યાદ્વાદ છે.)

૧.અસ્તિ, ૨. નાસ્તિ, ૩. અસ્તિ-નાસ્તિ, ૪. અવક્તવ્ય, ૫. અસ્તિ અવક્તવ્ય, ૬. નાસ્તિ અવક્તવ્ય, ૭. અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય. કોઈ પણ વસ્તુ વિષે આવી સાત સંભાવનાઓ રહેલી છે, એટલે સાત રીતે કથન થઈ શકે છે. દરેકની સાથે સ્યાત્ શબ્દ જોડીએ તો તે પૂર્ણ અને શુદ્ધ પ્રમાણવાક્ય બને. એને સપ્તભંગી કહે છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૪)

(અસ્તિ એટલે હોવું. હવે આ વચનનો અર્થ સ્પષ્ટ થઈ જશે.)

આવાં કથનો જો મનમાં અન્ય દૃષ્ટિકોણોની અપેક્ષા રાખીને કરાતાં હોય તો તે સુ-નય છે અને જો અન્ય નયોની ઉપેક્ષા સાથે કરાતાં હોય તો તે દુ-ર્નય છે. જગતનો સમગ્ર વ્યવહાર નિશ્ચિતરૂપે સુનય દ્વારા જ સિદ્ધ થાય છે. (સમન્વયસૂત્ર : ૪)

અન્ય દૃષ્ટિકોણોની ઉપેક્ષા કરનારા નયો કદી પરસ્પર સુમેળ સાધી શકતા નથી. તે બધા ભેગાં મળે તો પણ સમ્યક્ બનતા નથી. તેઓ વસ્તુનો સમ્યક્ બોધ પણ કરાવતા નથી. પરસ્પર વિરોધી એવા એકાંગી નયો, દુશ્મનની જેમ વર્તે છે અને વસ્તુસ્વરૂપના બોધમાં બાધક બને છે. (સમન્વયસૂત્ર : ૮)

પોતપોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા. (સમન્વયસૂત્ર : ૧૩)

અને છેલ્લે :

એ પરમ મુનિએ – સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે – સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તેનું સમ્યક્ આચરણ કર્યું નથી. (સમાપનસૂત્ર : ૨)

અહીં સમાપન કરતાં પહેલાં વાચકોને સિદ્ધસેન દિવાકર કૃત ત્રિશિંકાઓ વાંચવાની ભલામણ છે. પંડિત સુખલાલજીએ દિવાકરજીના સંપાદિત કરેલા ગ્રંથ ‘સન્મતિતર્ક’ની ભૂમિકામાં કેટલીકનો અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત ‘સમણસુત્તં’નો અનુવાદ કરનારા મુનિશ્રી ભુવનચન્દ્ર્જીએ પણ તેમાંથી પસંદ કરીને સો શ્લોકોનો અનુવાદ કર્યો છે. જો ટકોરાબંધ માણસ બનવા માગતા હો તો આ ગ્રંથ પણ ઉપયોગી થઈ શકે એમ છે. એ ગ્રંથ જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ, કચ્છથી પ્રકાશિત થયો છે.

02 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જુલાઈ 2019

Loading

7 July 2019 admin
← સાવ અચાનક
ખલીલ જિબ્રાન: બંધ જ્વાળામુખી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved