Opinion Magazine
Number of visits: 9446341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમિલનાડુમાં ફેક ન્યૂઝનું તાંડવ; પિક્ચર અભી બાકી હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 March 2023

રાજ ગોસ્વામી

ભારતમાં ફેક ન્યૂઝનું દૂષણ કેટલી હદે ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, તેનો પરચો ગયા અઠવાડિયે જોવા મળ્યો. સાથે એની પણ સાબિતી મળી કે સરકાર અને પોલીસ ધારે તો કેવી રીતે એ જોખમની હવા કાઢી શકે છે. મામલો તમિલનાડુ અને બિહારનો હતો.

પહેલી માર્ચે, તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડી.એમ.કે.) સરકારના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો જન્મદિવસ હતો. એમાં રાષ્ટ્રીય કક્ષાના અનેક વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સામેલ થયા હતા. રાજકારણીઓની પાર્ટીઓ હંમેશાં રાજકીય સૂચિતાર્થવાળી હોય છે. સ્ટાલિનનો જલસો પણ બાકાત નહોતો. એક રીતે તે વિપક્ષોને એક મંચ પર ભેગા થવાનો અવસર બની ગયો.

બીજા દિવસે, ચેન્નાઈ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં, સ્ટાલિનનો જન્મદિવસ વિપક્ષોની એકતાનો જન્મદિવસ હોવાની ચર્ચા શરૂ થઇ. એના કલાકોમાં જ, સોશિયલ મીડિયા પર એક ‘સમાચાર’ વહેતા થયા કે બિહારના મજદૂરો પર તમિલનાડુમાં હુમલા શરૂ થયા છે. ‘હુમલા’નું કારણ શું? તો તેના જવાબમાં, ઉત્તર પ્રદેશ ભા.જ.પ.ના પ્રવક્તા પ્રશાંત કુમાર ઉમરાવની એક ટ્વીટ હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે, “બિહારના 15 લોકોને હિન્દી બોલવા બદલ તમિલનાડુમાં એક રૂમમાં લટકાવી દેવામાં આવ્યા છે, એમાંથી 12નાં દુ:ખદ મોત થયાં છે અને (બિહારના ઉપ મુખ્ય મંત્રી) તેજસ્વી યાદવ બેશરમ થઈને તમિલનાડુમાં સ્ટાલિન સાથે બર્થડે ઉજવે છે.”

પાછળથી, તમિલનાડુ પોલીસે ઉમરાવની ધરપકડ કરી, ત્યારે તેણે દિલ્હી હાઈકોર્ટ પાસે જામીનની માંગણી કરતી અરજીમાં એકરાર કર્યો હતો કે તે પોતે ફેક ન્યુઝનો ભોગ બન્યો છે. અગ્રણી સમાચાર એજન્સીઓ તેમ જ જાણીતા લોકોએ આ સમાચાર કવર કર્યા હતા તે જોયા પછી તેણે લોકોને જાગૃત કરવા આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.

ઉમરાવે પાછળથી તેની ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. ગોવા સરકાર વતીથી સુપ્રીમ કોર્ટમાં સ્ટેન્ડીગ વકીલનું પણ કામ કરતા ઉમરાવે જામીન અરજીમાં એ પણ એકરાર કર્યો હતો કે ફેક્ટ-ચેકર્સ તરફથી એ પુરવાર થયું હતું કે તમિલનાડુમાં હિંસાના કથિત વીડિયો બીજી જ જગ્યાના અને બીજી જ ઘટનાના હતા. તેણે કહ્યું હતું કે બિહારી મજદૂરોને મારીને લટકાવી દેવામાં આવ્યા છે એ સમાચાર ફેક હતા.

આ કબૂલાત તો છેક 7મી તારીખે દિલ્હી હાઈકોર્ટમાં આવી. એ પહેલાં સોશિયલ મીડિયા પર, હિન્દી ન્યુઝ ચેનલો અને સમાચાર માધ્યમો પર ધડાધડ ફોટા, વીડિયો અને સમાચારો વાઈરલ થયા હતા કે તમિલનાડુમાં બિહારીઓ પર હુમલા શરૂ થયા છે. સ્થિતિ કેટલી ગંભીર હતી તેનો પુરાવો એ છે કે તમિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિન અને બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે ફોન પર એકબીજા સાથે વાત કરવી પડી, બંને રાજ્યોના પોલીસ વડાઓએ સમાચારોની ખરાઈ કરવી પડી, બિહાર સરકારે તો એ એક વરિષ્ઠ ડેલીગેશન મોકલવાનું નક્કી કર્યું, જેથી સચ્ચાઈ ખબર પડે.

સ્ટાલિને રાજ્યમાં કામ કરતા બિહારના લોકોને ધરપત આપવા માટે અપીલ કરવી પડી કે આવા કોઈ હુમલા થયા નથી અને બિહારના લોકો ડરના માર્યા સ્થળાંતર નથી કરી રહ્યા પણ હોળીના પ્રસંગને લઈને વતન જઈ રહ્યા છે.

ડી.એમ.કે.ના પ્રવક્તા મનુ શનમુગ્સુન્દરમે આરોપ મુક્યો કે, “તમિલનાડુના મુખ્ય મંત્રી રાષ્ટ્રીય નેતાઓ સાથે એક મંચ પર ઉપસ્થિત હતા એ એક કારણ હતું કે ફેક ન્યૂઝની ફેકટરીઓ સક્રિય થઇ ગઈ.” ‘સાઉથ ફર્સ્ટ’ નામના ડિજીટલ મીડિયા સાથે વાત કરતાં તમિલનાડુ ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ નારાયણ થિરુપથીએ કહ્યું કે તેમનો પક્ષ આવા ફેક ન્યૂઝની નિંદા કરે છે પછી ભલે એ તેમના બિહાર એકમ તરફથી આવ્યા હોય. તેમણે એવો દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના મજદૂરોમાં દહેશત ફેલાવનારા ફેક ન્યુઝ વાસ્તવમાં તમિલનાડુમાંથી જ શરૂ થયા હતા.

તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષથી, ધારાસભ્ય ટી. વેલમુરુગન, નામ તમિલરના નેતા સિમન અને દયાનિધિ મારન જેવા ડી.એમ.કે. નેતાઓ અને મંત્રીઓ હિન્દી ભાષી કામદારોને “પાનીપૂરી વાલા” અને “રોટી વાલા” કહીને અપમાનિત કરી રહ્યા છે. આ લોકો સામે આવી નફરત આ મુદ્દાના મૂળમાં છે.

તમિલનાડુથી બિહારના લોકો પાછા આવી રહ્યા છે એવા સમાચારો ફેલાયા તેની સાથે બિહારમાં રાજકારણ પણ ગરમ થઇ ગયું. વિધાનસભામાં સરકારને ઘેરવામાં આવી. બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિપક્ષી નેતાઓએ નીતિશ કુમારની સરકાર પર આરોપ મુક્યો કે સરકાર આ ઘટનાઓને છુપાવા માંગે છે. તમિલનાડુથી પરત આવતા મજદૂરોની આપવીતી પરથી સ્પષ્ટ છે કે ત્યાં તેમની સાથે અન્યાય થયો છે.

સ્ટાલિને નીતિશ કુમાર સાથે વાતચીતમાં કહ્યું કે પ્રવાસી મજદૂરો પર કથિત હુમલાની અફવા ફેલાવનારાઓ ભારતની અખંડતા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બિહારના તમામ કામદારો અમારા કામદારો છે અને તેઓ તમિલનાડુના વિકાસમાં મદદ કરી રહ્યાં છે અને હું વિશ્વાસ અપાવું છું કે તેમને કોઈ મુશ્કેલી નહીં થાય.

તમિલનાડુમાં ટેક્સટાઇલ અને તેને સંબંધિત અન્ય ઉદ્યોગોમાં 12 લાખ હિન્દી ભાષી મજદૂરો કામ કરી રહ્યા છે. આ અફવાઓનો લાભ લઈને રાજકારણીઓ તેમની રોટી પકવી રહ્યા છે ત્યારે તિરુપુર અને કોયંબટુર જિલ્લાના ઉધોગ માલિકોને એવી ચિંતા પેઠી છે કે આ મજદૂરો જો નાસી ગયા તો કારખાનાં કેવી રીતે ચાલશે.

તમિલનાડુનાં સમાચાર પત્રો અનુસાર આ ફેક ન્યૂઝ અને તેના વીડિયો ઉત્તર ભારતના અમુક નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જેથી થોડા સમય સુધી બિહારની આગામી ચૂંટણીઓ માટે ‘માહોલ’ બનાવામાં આવે.

બે વસ્તુ બની. લગભગ દસ-પંદર દિવસ સુધી મુખ્ય ધારાનાં હિન્દી મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘બિહારીઓ પર તમિલનાડુમાં હુમલા’ના ‘સમાચાર’ એટલા સંગઠિત રૂપે ફેલાયા કે સાચે જ બંને રાજ્યોમાં મોટા પાયે હિંસા ભડકી ઊઠી હોત. શરૂઆતમાં બંને રાજ્યોનાં તંત્રોને સમજ ન પડી કે શું થઇ રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર કાર્યરત ફેક્ટ-ચેકર્સના સમયોચિત અને અથાગ પ્રયાસોથી હુમલાના દરેક આવા દાવા ખોટા સાબિત થતા ગયા.

એ પછી તમિલનાડુ પોલીસ સફાળી જાગી અને ધડાધડ એફ.આઈ.આર. નોંધવા લાગી. પોલીસે એક અગ્રણી હિન્દી અખબાર, એક અગ્રણી વેબસાઈટ, ઘણાં યુટ્યુબર્સ અને ટ્વીટર યુઝર્સ સામે ફેક ન્યુઝ ફેલાવા બદલ ફરિયાદ નોંધી હતી. એમાં છેલ્લે એવું બન્યું કે ફેક ન્યૂઝની હવા નીકળી ગઈ અને એક મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ.

પ્રશ્ન એ છે કે ભારત ફેક ન્યૂઝનાં પરિણામોથી ક્યાં સુધી બચતું રહેશે. આમ પણ, ફેક ન્યુઝે તો માઝા જ મૂકી છે. 2024ની ચૂંટણી સુધીમાં તો હજુ એમાં વધુ જોર આવવાનું છે. તમિલનાડુની ‘ઘટના’ બની ત્યારે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ફેક ન્યૂઝના યુગમાં સત્ય શિકાર થઇ ગયું છે અને આપણી અંદર ઈન્સાનિયત પણ પાછળ રહી ગઈ છે. જ્યારે ભારતનું બંધારણ તૈયાર થતું હતું ત્યારે કોઈને ખબર નહોતી કે માનવ સમાજ કેવી રીતે વિકસિત થશે. એક જૂઠી વાતને બીજના રૂપમાં જમીનમાં વાવવામાં આવે છે અને પછી તે એક એવી મોટી થિયરીમાં બદલાઈ જાય છે, જેને તર્કના આધારે તોળી ન શકાય.

હાર્વડ યુનિવર્સિટીમાં બોલતાં, સુપ્રીમ કોર્ટના બીજા એક જજ જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે પણ ફેક ન્યૂઝને ખતરનાક ગણાવતાં કહ્યું કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને હેટ સ્પીચના પ્રસારને રોકવા માટે કાનૂનોની જરૂર છે. તેમણે કહ્યું હતું ઇન્ટરનેટ મીડિયા બેધારી તલવાર છે. તેનાથી માહિતીઓનું પ્રસારણ આસાન થઇ ગયું છે પરંતુ ખોટી માહિતી અને ફેક ન્યૂઝમાં થયેલો વધારો બોલવા અને અભિવ્યક્તિની આઝાદી માટે અસાધારણ રીતે પડકાર બની ગયો છે.

ભારત સરકાર પણ ફેક ન્યૂઝ સામે કાનૂન લાવવાન પર વિચાર કરી રહી છે. તેના માટે એક સંસદીય સમિતિની રચના પણ કરવામાં આવી છે. સમિતિએ સરકારને ફેક ન્યૂઝની વ્યાખ્યા તય કરવાનું કહ્યું છે. શું કાનૂનથી આ દૂષણ દૂર થઇ જશે? આ આશંકા બતાવાનું કારણ એ છે કે ફેક ન્યૂઝ મસ્તી કે મનોરંજન નથી, એ એક સંગઠિત નેટવર્ક છે અને રાજકારણ એમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે.

રાજકારણમાં જો મૂલ્યો, નૈતિકતા, સિદ્ધાંતો અને માનવપ્રેમ નહીં રહે પછી તમામ પ્રકારની ગંદકી સંભવ છે.

ભારતમાં ઇન્ફોર્મેશન ક્રાંતિ આવી છે તે સાચું અને સારું છે પણ રાજકારણમાં જે લગાતાર ગિરાવટ આવી છે તેના કારણે સોશિયલ મીડિયા સામાજિક બદલાવના માધ્યમને બદલે રાજકીય અને વ્યવસાયિક હિતો સાધવાનું હથિયાર બની ગયું છે. ભારતે ફેક ન્યૂઝથી બચવું હશે તો તેના રાજકારણ અને જાહેર જીવને શુદ્ધ થવું પડશે.

લાસ્ટ લાઈન : 

“ગલત જ્ઞાનથી સાવધ રહેવા જેવું છે. એ અજ્ઞાન કરતાં વધુ ખતરનાક છે.”

— જ્યોર્જ બર્નાડ શો 

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 12 માર્ચ 2023

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 March 2023 Vipool Kalyani
← ‘અમર’ પાલનપુરી : પરંપરાના એક માત્ર હયાત ગુજરાતી શાયર
ટ્રસ્ટીઓ અને સરકાર ગાંધી વિચારધારા આધારિત સંસ્થાઓના આંતરિક વિસ્ફોટ માટે કારણભૂત  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved