Opinion Magazine
Number of visits: 9449502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 June 2018

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

અનુપમ મિશ્રનું ‘આજ ભી ખરે હૈં તાલાબ' પુસ્તક ભારતનાં તળાવો વિશેની સુંદર હાથપોથી જેવું છે: ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નયેં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નયે સમાજકે માથે મેં ભર ગઈ હૈ !’

પર્યાવરણ અને જળસંચયના ગાંધીમાર્ગી અભ્યાસી અનુપમ મિશ્ર (૧૯૪૮-૨૦૧૬) ‘આજ ભી ખરે હૈ તાલાબ' પુસ્તકની શરૂઆતમાં લખે છે : ‘આ સદીના આરંભ સુધી આ દેશમાં કંઈ અગિયારથી બાર લાખ તળાવો આસો મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં ભરાઈ જતાં અને પછીના જેઠ મહિના સુધી વરુણ દેવતાની પ્રસાદી વહેંચતાં રહેતાં.' પુસ્તકના છેલ્લા આઠમા પ્રકરણમાં તે કહે છે : ‘ઉપેક્ષા કી આંધી મેં કઈ તાલાબ ફિર ભી ખડે હૈ. દેશ ભર મેં કોઈ આઠ સે દસ લાખ તાલાબ આજ ભી ભર રહે હૈ ઔર વરુણ દેવતા કા પ્રસાદ સુપાત્રોં કે સાથ સાથ કુપાત્રોં મેં ભી બાંટ રહે હૈ.'

આધુનિક શિક્ષણ અને એન્જિનિયરિંગથી બહુ પહેલાં લાખો તળાવો બાંધીને જાળવી જાણનારા સમાજના કુદરત માટેનાં આદર અને માનવજીવન માટેની આસ્થાનું, તેની બુદ્ધિમત્તા અને સહકારનું આ લેખકે આ પુસ્તકમાં ડગલે ને પગલે ગૌરવ કર્યું છે. માટીની મહેક ધરાવતી ભાષામાં લખાયેલા એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેના જ્ઞાન અને લાગણી સમાયેલાં છે. જો કે અંગ્રેજ રાજના સમયથી કહેવાતા ભણેલા શહેરી સમાજને કારણે તળાવ-સંસ્કૃિતની થયેલી ઉપેક્ષા અને બેહાલી પણ અનેક જ્ગ્યાએ વ્યક્ત થાય છે.

લગભગ આખા દેશના તળાવોના અભ્યાસ કરીને ૧૯૯૨માં બહુ જ સહજ-સુંદર ભાષામાં લખેલાં સચિત્ર પુસ્તકમાં અનુપમ મિશ્રએ પોતાનું નામ એક જ વાર અને જલદી ન જડે તેવી રીતે મૂક્યું છે. દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને પ્રસિદ્ધ કરેલા આ પુસ્તક માટે લેખકે કૉપીરાઇટ રાખ્યા નથી એટલે તે ઘણી સંસ્થાઓએ છાપ્યું છે અને તેની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ થયો છે.

‘પાલ કે કિનારે રખા ઇતિહાસ' એવાં પહેલાં પ્રકરણમાં મિશ્રજી એક લોકકથાને આધારે તળાવો બનાવવા પાછળનો સમાજનો હેતુ જણાવે છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના, તાલાબ બનાતે જાના.' આ દેશે પાંચમી સદીથી ૧,૪૦૦ વર્ષ અગણિત તળાવ બનાવ્યાં. તે બનાવનારા સમાજના બધા વર્ગના અસંખ્ય સ્ત્રી-પુરુષોનાં મનમાં બધી વખતે એમ હતું કે ‘આપણા ભાગે આવેલું પાણીનું દરેક ટીપું એકઠું કરી લેવું અને સંકટ સમયે આસપાસના વિસ્તારમાં એને વહેંચી દેવું. વરુણ દેવતાના પ્રસાદને ગામ પોતાના ખોબામાં ભરી લેતું.' લેખક ભૂતકાળના તળાવના કેટલાક આંકડા પણ આપે છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં પાંચ હજાર તળાવ, મદ્રાસ પ્રેસિડેન્સિમાં ત્રેપન હજાર, મૈસૂર જિલ્લામાં ઓગણચાળીસ હજાર અને દિલ્હીમાં એક તબક્કે સાડા ત્રણસો. રાજસ્થાનમાં તો તળાવ ગણવાને બદલે ગામ ગણીને એને બે કે ત્રણ વડે ગુણવાનું સહેલું પડે ! 

રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને બિકાનેર જિલ્લા દેશના સહુથી વધુ ગરમી અને સૌથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આવે છે. ત્યાંના તમામ ગામોમાં બારે મહિના પાણી આપનાર તળાવ-વ્યવસ્થા વિશે અનુપમજી ‘મૃગતૃષ્ણા ઝુઠલાતે તાલાબ' પ્રકરણમાં વિસ્તારથી લખે છે. અહીંના લોકો, પાણીની અછતને કુદરતના અભિશાપ તરીકે નહીં પણ એક લીલા ગણીને તેમાં એક કુશળ ખેલાડી તરીકે જોડાયા. ગડસીસર (ગડીસર) તળાવ ૬૬૮ વર્ષ જૂનું છે, પણ જીવે છે. તેને બનાવવામાં રાજાએ લોકો સાથે ખભે ખભા મિલાવ્યા હતા. તેનું પ્રવેશદ્વાર દૂર સિંધ પ્રાંતમાં રહેનારી ટીલો નામની ગણિકાએ બનાવડાવ્યું છે. આજે ગડસીસર(ગડીસર)ના ‘આગૌર' એટલે કે જલાગમ વિસ્તારમાં સેનાના વાયુદળનું વિમાનઘર છે ! બચેલા હિસ્સામાંથી પનિહારીઓ ઉપરાંત ટૅન્કરો પણ ડીઝલ પંપથી પાણી ખેંચીને લઈ જાય છે ! 

જો કે તળાવોની આવી દુર્દશા વિશે આખું પ્રકરણ પુસ્તકના આખરમાં છે. અંગ્રેજોએ આવીને તેમની માન્યતા મુજબ આ દેશમાંના જ્ઞાનને દસ્તાવેજોમાં શોધવાની કોશિશ કરી જેની કોઈ પદ્ધતિ આપણે ત્યાં ન હતી. એટલે તેમણે માની લીધું કે જ્ઞાન છે જ નહીં. એમણે એમની પદ્ધતિએ પાણીનું કામ શરૂ કર્યું. તળાવ બનાવનારા ‘અભ્યસ્ત હાથ' હવે ‘અકુશળ કારીગર' બન્યા, ગુણીજન હવે તાલીમ વિનાના અણઘડ માણસો લાગવા માંડ્યા. તળાવોની વ્યવસ્થા કોઠાસૂઝવાળા ગામલોકો પાસેથી અંગ્રેજ સરકારના હાથમાં જતી રહી. મૈસૂર રાજ્યનાં ૩૯,૦૦૦ તળાવોની અંગ્રેજોએ કરેલી દુર્દશા અનેક કિસ્સાઓમાંથી એક છે.

આપણને આઝાદી અપાવનારાઓએ નાશ પામતી તળાવસમૃદ્ધિ તરફ ધ્યાન જ ન આપ્યું. કસબા અને શહેરો, પી.ડ્બ્લ્યુ.ડી. અને વૉટર વર્ક્સ, પાઈપલાઇન અને નળ આવ્યા. ઇન્દોરનાં જે બિલાવલી તળાવનાં પાણીમાં ફ્લાઇન્ગ ક્લબનું વિમાન પડ્યું તેનો કાટમાળ શોધવામાં તકલીફ પડી હતી, તે ‘એક સૂકું મેદાન બન્યું'. તેની નજીક આવેલાં દેવાસમાં એક જમાનામાં સંખ્યાબંધ તળાવ હતા, જેની પર એટલું બધું બાંધકામ થયું કે ૧૯૯૦ ના એપ્રિલમાં અહીં રેલવેથી પાણી લાવવું પડ્યું. લાખા વણઝારાએ છસોએક વર્ષ પહેલાં મધ્ય પ્રદેશમાં બંધાવેલાં સાગર તળાવ પર ચાર શિક્ષણ સંસ્થાઓ બની, અગિયાર સંશોધન ગ્રંથો લખાયા, અને તળાવની મુશ્કેલીઓ વધી જ રહી છે ! આ બધા વચ્ચે આજે આઠ-દસ લાખ તળાવ ઊભાં છે. મિશ્રજી લખે છે : ‘કઈ તરફ સે તૂટે સમાજમેં તાલાબોં કી સ્મૃિત અભી ભી શેષ હૈ.'

જો કે આપણી સ્મૃિતમાંથી ભૂંસાઈ ગયા છે તળાવ બનાવનારા લોકો : ‘સૈંકડોં, હજારો તાલાબ શૂન્ય મેં સે પ્રકટ નહીં હુએ થે. લેકીન ઉન્હેં બનાનેવાલે લોગ આજ શૂન્ય બના દિએ ગએ હૈ.' એમના વિશે અનુપમજી તેમના વિશે ‘સંસાર સાગર કે નાયક' નામનું આખું પ્રકરણ લખે છે. તેમાં તેઓ તળાવો બનાવનારા અનેક રાજ્યોના એંશીથી વધુ સમૂદાયોની તેમના કામ સાથે નોંધ લે છે.તેમાં સલાટ, ભીલ, ગોંડ, માળી, કોળી, સંથાલ, મુસહર જેવા થોડાક પરિચિત શબ્દો મળે; જ્યારે ગજધર, સિરભાવ, થવઈ, પથરોટ, બુલઈ, મુરહા, ડાંઢી જેવા સાવ અજાણ્યા હોય. જસમા ઓડણ તે ‘ઓડ' સમૂહની અને લાખાજીતે વણજારા કોમ. બધાંનો માટી સાથેનો પાકો નાતો લેખક હૃદયસ્પર્શી રીતે સમજાવે છે. ‘સહસ્રનામ' પ્રકરણમાં લેખક તળાવ માટેનાં નેવું જેટલાં શબ્દો તેના પ્રદેશ અને વ્યુત્પત્તિ મૂજબ સમજાવે છે. 

‘નીંવ સે શિખર તક' અને ‘સાગર કે આગર' પ્રકરણો અનુક્રમે તળાવ બનાવવાની રીત અને તળાવના જુદા જુદા અંગો વિશેનાં છે. આવાં ટેકનિકલ પાસાં પર અનુપમજીએ લખ્યું છે તેટલી વાચનીય રીતે ભાગ્યે જ વાંચવા મળે. ‘સાફ માથે કા સમાજ' નામનું પ્રકરણ તળાવોની ચોખ્ખાઈ અને જાળવણી માટે રચાયેલી આખી એક શાણપણભરી સિસ્ટમનું વિવરણ કરે છે. તેમાં તળાવને કાંઠે મોટાં ઝાડ ઊગાડવાનું અને તળાવમાંથી ‘સાદ' એટલે કે ‘ગારો' કાઢીને તેનો ઉપયોગી રીતે નિકાલ કરવાનું બહુ મહત્ત્વનું હતું. ‘સાફ માથાનો એ વખતનો સમાજ સાદને સમસ્યા નહીં પ્રસાદ ગણતો'. આજે આપણે તળાવ સાફ કરવાની ઝુંબેશો હાથ ધરી રહ્યા છીએ. અનુપમ મિશ્ર લખે છે : ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નએં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નએ સમાજકે માથે મેં ભર ગઈ હૈ !'

e.mail : sanjaysbhave@yahoo.com


સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય” 25 મે 2018

Loading

2 June 2018 admin
← તુતીકોરિનના ગોળીબાર પાછળ છે પક્ષોની પનાહ પામેલ બદનામ વેદાન્તા ગ્રુપનો બેફામ વિસ્તાર
સુજાતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved