આ કોરોનાકાળમાં, મારો તો સાહિત્યકલા સિવાયનો કશો આરોઓવારો નથી.
વાસ્કો પોપા (1922-1991) મારો પ્રિય કવિ છે. કવિઓ બક્ષાયા હોય છે – બોલી શકે, બીજાઓ માટે. પણ પોપા વિશે ઑક્ટોવિયો પાઝે એમ કહ્યું કે આ કવિમાં બીજાઓને સાંભળવાનો વિરલ સદ્ગુણ છે.

Vasko Popa : Courtesy: YouTube

Octavio Paz: Courtesy: Google Images
વરસો પહેલાં એનાં કાવ્યોના અનુવાદ કરેલા, સુરેશ જોષીના ‘ઊહાપોહ’-માં પ્રકાશિત થયેલાં.
આજે એનાં બે કાવ્યોના ભાવાનુવાદ રજૂ કરું છું.
પહેલા કાવ્યમાં, એક ભૂલની વાત છે. કોરોના સંદર્ભે એ મને વિચારણીય ભાસે છે.
A conceited Mistake / Vasco Popa
એક અભિમાની ભૂલ (ભાવાનુવાદ : સુમન શાહ)
એક વાર એક ભૂલ હતી
એટલી સિલી એટલી સ્મૉલ
કે કોઈ કરતાં કોઈને દેખાયેલી જ નહીં
એનાથી ય પોતા સામે ન તો જોવાયેલું કે
પોતા વિશેનું સાંભળી શકાયેલું
પોતે હતી જ નહીં એમ ઠસાવવા
એણે બધા જ પ્રકારના ફાંફાં મારી જોયા
પુરાવા બતાવવા સ્થળ-સમય શોધી કાઢ્યાં
પુરાવા જોઈ શકે એવા લોકોને ય શોધી કાઢ્યા
એવું એવું એણે જે કંઈ શોધ્યું તે
સાવ સિલી ને સાવ સ્મૉલ ન્હૉતું પણ
જે થયું
ભૂલથી જ થયેલું
આખું જો કે બીજી રીતે પણ કરી શકાયું હોત
+ + +
બીજા કાવ્યમાં, નાયકનો ક્રોધ ભભૂક્યો છે. મને લાગે છે કે કોરોના પર એ કરવા જેવો છે.
Just come to my mind / Vasco Pop-a
એક વાર જો … / સુમન શાહ (ભાવાનુવાદ)
એક વાર જો
મારા મનમાં ભરાઈ ગયું ને
વિચારો મારા તારા ચ્હૅરાને તરડી નાખશે
એક વાર જો
મારી નજરે ચડ્યું ને
આંખો મારી એવી તો ઘૂરકશે તારી સામે
એક વાર મને
તારી યાદ આવવા દે
યાદદાસ્ત મારી એવો તો પંજો ઉગામશે
તારા પગ નીચેની જમીન ખસી જશે
+ + +
(October 1, 2020: Ahmedabad)
![]()


અંગ્રેજીમાં શબ્દ છે, aftermath. કશીક હોનારત ઘટી ગઈ હોય પછી ઘણું બધું બનતું હોય છે. તે પશ્ચાદવર્તી સમયગાળાને આફ્ટરમાથ કહેવાય છે. જેમ કે, ધરતીકમ્પ પછીનો સમયગાળો; જેમ કે, સુનામી પછીનો; જેમ કે, વિશ્વયુદ્ધો પછીનો … એ જ પ્રકારે, કોરોના પછીનો સમયગાળો, આફ્ટરમાથ – કોરોના.
પક્ષીઓ સાથેના અનુબન્ધનું શું? શહેરો છોડીને ચકલીઓ જતી રહી છે પણ ક્યાં ગઈ હશે? કાબર લૅલાં હોલા હજી છે – જો એમના બોલ આ નગરસભ્યતામાં સંભળાય તો. ‘કાગવાસ’ બોલતાંમાં કાગડા ઊતરી આવે, પણ હવે? કૂતરાં રાત્રે જ કેમ વધારે ભસે છે? એમને ખોરાક મળે છે? ક્યાંથી? બિલાડી અને કબૂતરો પણ સફેદ હોય છે. પણ એવું ધૉળું ફટાક કબૂતર કે સફેદ રૂ-ની હોય એવી બિલાડી જવલ્લે જ જોવા મળ છે. પાંચ-છ કુરકુરિયાંની ગમતીલી ગોટમ્ ગોટ જોવાની જે ગમ્મતો હતી તે ક્યાં ગઈ? પોપટ કોણ પાળે છે હવે? પોપટથી મૅના કઈ બાબતે જુદી હોય છે? એ કે એ રૂપાળી નમણીને કાંઠલો ન હોય. પણ તેની જાણ કેટલાંને છે?

