રાજકારણ સ્મૃિતનાશક છે. એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઇ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.
હું આ ‘સાહિત્ય સાહિત્ય’-ની છતરી હેઠળ બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ – અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી – વિશે પણ લખવું જોઇએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાહબરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો. મેં કહ્યું : દોસ્ત, આમાં મને તારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન – હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ?- હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું, હા, બધા વિશે લખીશ. શનિવારે ‘છતરી’ તું જોઇ લેજે. ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો. આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્યુલર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઇક લખું :
સન્મિત્રને જણાવું કે અકાદમી-અધ્યક્ષ વિષ્ણુભાઇને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઇ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઇ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તો પણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે.
પરિષદ-પ્રમુખને પૂછવા કરતાં સિતાંશુ યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું કંઇક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને ‘શબ્દસૃષ્ટિ’ જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુ:ખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી- સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઇપણ સાહિત્યકાર મુક્ત મને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઇ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે. મૈત્રીના એ જ નાતે કહું કે રાજેન્દ્ર મહેતાએ RTI -ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તો પણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી.
મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઇ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ – સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઇ પણ સંસ્થા ‘સાહિત્યિક સંસ્કૃિત’ માટે શ્રેયસ્કર છે.
પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. વ્યક્તિએ સર્જક કે સમીક્ષક પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુક્સાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ – જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અધીન રહેવાની વાત. કેમ કે વૈશ્વિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઇ ગયો ! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઇમાં વીસરી જાય છે કે પોતાથી સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે. ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઇ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકીય રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે ! કોઇ પણ ક્ષણે વ્યક્તિના ખૉળામાં જઇ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃિતનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.
હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઇ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે ! એને થાય, મારે આને, ‘પ્રમુખ’ ચૂંટવાનો? સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઇ જવાનું.
આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. ભૂતકાળમાં, જરા જેટલા ય પ્રચાર વિના મધ્યસ્થમાં બે વાર ભરપૂર મતોથી ચુંટાયો છું. પણ કારોબારીની ચૂંટણીમાં મને દગો કરીને હરાવાયો, એટલે પછી, ત્યારથી છૂટાછેડા છે. છતાં નિમન્ત્રણથી પરિષદનાં કામો હંમેશાં કર્યાં છે : અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે : ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, ‘શબ્દસૃષ્ટિ’-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી. તેમ છતાં, વર્તમાનમાં અકાદમીના નિમન્ત્રણથી જોડાયેલો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હંમેશાં કર્યાં છે. મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઇ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિ:સ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે. રામ રામ.
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 11 નવેમ્બર 2017
https://www.facebook.com/suman.shah.94/posts/1713885838642322
![]()


અમેરિકાની ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસે’ ‘ધ કાર્ડ-કૅટલોગ…’ નામનો ગ્રન્થ બહાર પાડ્યો છે. એક જબરી સાંસ્કૃતિક ઘટના -જે આજકાલ સમાચારોમાં છે. વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે ત્રણ બિલ્ડિન્ગમાં પથરાયેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે. યુનિવર્સલ. કેમકે એમાં વિશ્વભરની ૪૫૦-થી પણ વધુ ભાષાઓનાં ૩૮ મિલિયન પુસ્તકો છે. ૭૦ મિલિયન હસ્તપ્રતો, ૩-થી વધુ મિલિયન રૅકૉર્ડિન્ગ્સ, ૧૪ મિલિયન ફોટોગ્રાફ્સ, ૫-થી વધુ મિલિયન નક્શા. બધું મળીને ૧૬૪ મિલિયન આઇટેમ્સ. અપારની વિવિધતા છે : રાષ્ટ્ર નાતજાત કે ધરમકરમના કશા જ ભેદભાવ વગરના સંખ્યાબંધ વિષયો. પુસ્તકો, ક્રાઉન ડૅમિ વગેરે વિવધ આકારોમાં. દુનિયાના કેટલાય દેશોમાં ચાલતાં સંશોધનોના નમૂના અને સિદ્ધ સંશોધનગ્રન્થો. ૧૮૦૦-માં સ્થપાયેલી આ લાઇબ્રેરી પહેલાં તો ન્યૂ યૉર્કમાં હતી. ૧૮૧૨-ના યુદ્ધમાં બ્રિટીશરોએ લાઇબ્રેરીની ઘણી બધી સામગ્રીનો નાશ કરી નાખેલો. એટલે પ્રૅસિડેન્ટ થૉમસ જેફરસનની અંગત લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો ખરીદી લઇને એને સ-જીવન કરાયેલી. આજે તો એનું બજેટ $642 મિલિયન છે. પણ એના સર્વપ્રથમ ગ્રન્થપાલ જ્હૉન જે. બેકલિનો પગાર, ધારો તમે, કેટલો હશે ? હન્ડ્રેડ થાઉઝન્ડ્સ ? ના. રોજના બે ડૉલર ! પાછું એણે ‘હાઉસ ઑફ રીપ્રેઝેન્ટેટિવ્સ’-નું કારકુનીકામ પણ કરવાનું !
ભાષા-સાહિત્યના સૌ હિતૈષીઓ – પ્રૌઢો અને વયસ્ક સમકાલિકો – અવારનવાર ગુજરાતી ભાષાની ચિન્તા કરતા રહ્યા છે. જોડણી, લિપ્યન્તરણ, પારિભાષિક શબ્દો, પરભાષાના અનૂદિત શબ્દો, વગેરેમાં સુધારાવધારા માટે એમના તરફથી અંગત ભૂમિકાનાં વિવિધ મત-મન્તવ્યો મળતાં રહ્યાં છે, પણ હજી લગી કશી બહુસ્વીકૃત એકવાક્યતા પર પહોંચી શકાયું નથી. તાજેતરમાં હેમન્ત દવેએ ‘સૌથી સારો – કે સૌથી ઓછો ખરાબ – ગુજરાતી શબ્દકોશ કયો ?’ શીર્ષક હેઠળ પૂરા ખન્તથી કોશવિષયક અધ્યયનલેખ કર્યો છે. (જુઓ ‘નિરીક્ષક’, ૧ જૂન ૨૦૧૭). હું માનું છું કે એથી કોશસુધારની વળીને એક માતબર અને સંગીન તક જન્મી છે. હેમન્ત દવે ઉપરાન્ત ઊર્મિ દેસાઇ, યોગેન્દ્ર વ્યાસ, બાબુ સુથાર અને અન્ય તદ્વિદોના નેજા હેઠળ ગૂજરાત વિદ્યાપીઠ, અન્ય યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવ-દિવસીય ૨-૩ કાર્યશાળાઓ કરીને જોડણીવિષયક એક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
જો કે, વડીલોના આ વારસા કે વાંક સાથે ગુજરાતીભાષી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓનું ખાસ કશું જોડાણ રહ્યું નથી. તેમ છતાં, મને લાગે છે કે કશા પણ ભાષા-સુધાર માટે એઓને લઇને શુભારમ્ભ કરીએ તો લેખે લાગે, કેમ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. જોગાનુજોગ, હું આજે ‘સ્પૅલિન્ગ બી’ની વાત કરવાનો ’તો. હવે કરું. અમેરિકામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અંગ્રેજી શબ્દોની જોડણી, ઉચ્ચારો, વ્યાખ્યા, વ્યુત્પત્તિ વગેરેની જે મહા સ્પર્ધામાં ભાગ લે છે, એનું નામ ‘સ્પૅલિન્ગ બી’ છે. ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ સંસ્થા આ સ્પર્ધા યોજે છે. ભાગ લેનારને ‘સ્પૅલર’ કહે છે. ભાષાનિષ્ણાતોએ જોયું છે કે છેલ્લા દસકથી ઇન્ડિયન-અમેરિકન છોકરા-છોકરીઓએ ‘સ્પૅલિન્ગ બી’ કૉમ્પિટિશનમાં નામ કાઢ્યું છે બલકે સ્પર્ધાને સાર્થક ઠેરવી છે. છેલ્લા વર્ષના ૧૦ ટૉપર્સમાં ૭ સ્પૅલર્સ ઇન્ડિયન હતા. ફ્રેસ્નો, કૅલિફોર્નિયાની માત્ર ૧૨ વર્ષની છોકરી અનન્યા વિનય ૨૦૧૭-ની ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ બની છે. નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં નૃવંશવિજ્ઞાની શાલિની શંકર આ ‘સ્પૅલિન્ગ કલ્ચર’ વિશે પુસ્તક લખી રહ્યાં છે. લોક એમને મજાકમાં પૂછતું હોય છે કે ઇન્ડિયન બ્રેઇનમાં એવું તે કયું જન્મજાત તત્ત્વ છે જે આ સ્પર્ધા સાથે સુસંગત થઇ સ્પર્ધકને વિજય લગી પહોંચાડે છે ? કશો ‘સ્પૅલિન્ગ જિન’ છે એમાં ? સંસ્થાનાં ડાયરેક્ટર પૅઇજ કિમ્બલ એમ કહે છે કે આ દેશમાં (અમેરિકામાં) સાઉથ એશિયન્સ વધુ ને વધુ ઇન્ટિગ્રેટ થતાં રહે છે, સ-ફળ થવા પરિશ્રમ કરે છે, એ પરિબળનો આ સફળતામાં મોટો હિસ્સો છે.