“બાબુભાઈ, આ તમારી કૉફી.”
“સુદર્શન, તુમહારી ચાય બના લો, પાની ચડા દિયા હૈ, મેરી કૉફી બના લી હૈ.”
“બાબા, તુમ દૂધ લેને જા રહે હો ના, રાત કા દૂધ ખતમ હૈ.”

સુદર્શન આયંગાર
મળસ્કે ૫.૩૦ વાગે વહેલી સવારે આ શબ્દો હવે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના પરિસરમાં દેસાઈ-ગાડેકર નિવાસમાં ક્યારે ય કાને નહી પડે. બોલનારી ડૉ. સંઘમિત્રા દેસાઈ અને ગુજરાતમાં ઉમાબહેન અને ઉમાદીદીએ ઇહલોકમાંથી અચાનક વિદાય લીધી. પહેલું વાક્ય જેને માટે હતું તે તો એના પિતા તે નારાયણ દેસાઈ, જેને સહુ બાબુભાઈ કહીને સંબોધતા. તેઓ તો ૨૦૧૫માં જ ગયા. ઉમાબહેનને એક પછી એક સ્ટ્રોક આવ્યા. બીજા સ્ટ્રોકને સહન કરી તેમાંથી બને તેટલી સ્વસ્થતાપૂર્વક નીકળવાની કોશિશ મક્કમતાથી ચાલી રહી હતી. પહેલા સ્ટ્રોકથી તો આબાદ નીકળેલા એવું કહેવાય. હારે એવા તો હતા નહીં. પણ ૨૭મીના રોજ થયેલો હૃદયરોગનો ગંભીર હુમલો જીવલેણ નીવડ્યો. એમાંથી પણ કદાચ હેમખેમ નીકળ્યા હોત, એંજિઓપ્લાસ્ટી તો બરાબર થઈ પણ પછી હૃદયના એક વાલ્વને નુકસાન થયું જેમાંથી આબાદ નીકળી શકાય એવું ન હતું. સર્જરી એક ઉપાય હતો, આશાનું કિરણ દેખાયું એટલે શરીર સામાન્ય થાય તે માટે વેંટિલેટર પર બે દિવસ માટે મૂક્યાં પણ દેવધાર્યું થયું અને ઉમાદીદી પરલોકની યાત્રાએ નીકળી ગયાં. એ અચાનક થયું અને તે સૌને આઘાતજનક લાગ્યું. ઑગસ્ટ મહિનાની ૨૪મીના રોજ આયુષ્યના ૭૭ વરસ પૂરાં કર્યાં હોત પણ વચ્ચે જ ગયાં. ઉમા તો વેડછીની લાડકી દીકરી. વિદાય વેળાએ ગ્રામશાળામાં ભણતા અને આજે હયાત લગભગ બધાં સહપાઠી મિત્રો, વડીલો અને સમવસ્ક અને નાની બહેનો ઉમાદીદીની ગમગીન વિદાઈમાં હાજર, ગ્રામશાળામાં સાથે ભણેલા અશોકભાઈ ચૌધરીના આંસુ તો ચાલ્યા જ જાય. આ દુઃખદ પ્રસંગે એમની સાથે રહેલા અને નજીક અનુભવતા સહુ વિદાય આપવા પહોંચ્યા હતા.
જીવન ઝલક

સંઘમિત્રા ગાડેકર
મહાદેવ દેસાઈ-દુર્ગાબહેન અને નબકૃષ્ણ ચૌધરી-માલતીદેવીની પૌત્રી-દોહિત્રી અને નારાયણભાઈ-ઉત્તરાબહેનની દીકરી વારસામાં તો ઘણું-ઘણું લાવેલી અને તેના પર વેડછી, બનારસ, કલકત્તાનો ઉછેર, ભણતર અને ગાંધી-વિનોબાના બૃહદ પરિવારનું વાતાવરણ. એવા ઉછેરના લીધે ભાગ્યે જ કોઈ સ્વભાવ કે પ્રતિક્રિયા રૂપે વિચારદોષ. ક્યારેક નકારાત્મક થઈ જાય. બાકી તો ‘રંગાઈ જાને રંગમાં’ ગીતના બોલ જાણે પૂરેપૂરા આત્મસાત કર્યા હતા.
મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વતા પણ આવેલી જ હતી. ૧૯૪૮ના ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નંખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત થયેલી જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હશે. ૧૯૬૭માં નીલ રતન સરકાર મેડિકલ કૉલેજ એંડ હૉસ્પિટલ, કલકત્તા(હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારા ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન જ ૧૯૭૨ની આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ હાલમાં બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવેલી. મળ્યા અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઓક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે વડોદરા હૉસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. મળવાનું મોડેથી થયું. ૧૯૭૨માં જ એક વરસ ઇંટર્નશીપ કરી. પછી ૧૯૭૩થી ઉત્તર પ્રદેશની સરકારમાં જ્ઞાનપુર, જિલ્લો ભદોઈ, અને કાનપુરના પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં સેવા આપી. તેનો ઊંડો અનુભવ ચર્ચાઓમાં પ્રકટ થયા વિના રહે નહીં. વળી તરુણ શાંતિ સેના પ્રેરિત મેડિકો ફ્રેંડ સર્કલના સ્થાપના વરસ ૧૯૭૪થી જ સક્રિય સભ્ય. ૧૯૭૯ થી ૧૯૮૧ ના અરસામાં સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન અમેરિકા ગયાં. ત્યાં ઉમાબહેને ન્યુટ્રિશનમાં અનુસ્નાતકની ડિગ્રી લીધી. ૧૯૮૨-૧૯૮૪ના ગાળામાં સર્વ સેવા સંઘ રાજઘાટ, બનારસના પરિસરમાં ક્લિનિક શરૂ કરી બે વરસ પ્રેક્ટિસ કરી. એ જ અરસામાં દુઆનો જન્મ થયો હતો. ૧૯૮૪માં ઉમાબહેન વસંતા કૉલેજ ફૉર વુમેનમાં જોડાયાં. જે. કૃષ્ણમૂર્તિ પ્રેરિત આ કૉલેજનું વાતાવરણ અને વિચાર-વારસો ઉમાબહેન માટે જરા ય નવા ન હતાં. ન્યુટ્રિશન ભણીને આવેલાં એટલે હોમ સાયંસ વિભાગમાં સરસ ગોઠવાયાં હશે. સાથે-સાથે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન રુરલ સેંટરના નેજા હેઠળ ચાલતી સંજીવની હૉસ્પિટલમાં હૉસ્પિટલ સુપરિનટેંડેંટ તરીકે સેવાઓ આપી.
૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસમાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયા એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ – બાબા, અને ઉમાબહેને લોક સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં.
સંઘર્ષ અને રચના
૧૯૮૪માં યુનિયન કાર્બાઈડ ભોપાલમાં ગૅસલીકની ભયાનકતા અને ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલ અણુમથકમાંથી નીકળેલી રેડિયોએક્ટિવયુક્ત પ્રદૂષિત હવાએ માનવતાને હચમચાવી મૂક્યા. માણસના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સ્થાપવામાં આવેલા આ ઉદ્યોગોની ભયંકર આડ અસરના ભણકારા વાગ્યા. અપમૃત્યુ, ગંભીર માંદગીઓ, જન્મજાત ખોડખાપણ વગેરેના કિસ્સાઓ પરત્વે જાગરૂક નાગરિકોની નિસ્બત જાગી. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના ડૉ. સુરેન્દ્ર ગાડેકર ભૌતિકજ્ઞાનના વિષય નિષ્ણાત અને ઉમાબહેન તબીબી જાણકાર. ગંભીર ચર્ચા વિચારણા ચાલી. નારાયણભાઈ અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય યુદ્ધ અને અણુશસ્ત્રોની વિરુદ્ધ ચાલતા આંતરરાષ્ટ્રીય મોરચાઓ અને આંદોલનને ટેકો કરનારાં અને સક્રિય રીતે જોડાનારાં. દેશમાં અણુઉર્જા દ્વારા વીજળી બનાવાનાં મથકોને લીધે થવા પામતી અને ભવિષ્યમાં થનારી અસરોના અભ્યાસ અને તે અંગેની લોક્જાગૃતિ માટે અણુમુક્તિ પત્રિકા શરૂ કરવામાં આવી.

સંઘમિત્રા અને સુરેન્દ્ર ગાડેકર
પહેલા જ અંકના સંપાદકીયમાં ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો જણાવામાં આવ્યા. એક, આ પત્રિકા એ સૌ કર્મશીલો માટે છે જે દેશવિદેશમાં આવેલા અણુમથકોના જોખમ સાથે અવાજ ઉઠાવી વિરોધ કરી રહ્યા હતા. એમને સાચી અને હકીકત સભર વૈજ્ઞાનિક અને નીતિ વિષયક આધિકારિક માહિતી પૂરી પાડવી. સાથે, સહુ કર્મશીલો એક બીજાની સાથે આવે અને હૂંફ અનુભવે. બીજું, નાગરિક વર્ગ જે અણુમથકો વિશે શંકા સેવે છે અને જોખમ જુવે પણ નિષ્ણાતો દ્વારા બહાર પાડવમાં આવતા અઘરા સાહિત્યને સમજી શકતા નથી. તેમને માટે બને એટલી સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી. ત્રીજું, અણુમથકો બાંધનાર અને ચલાવનાર નિષ્ણાતો સમક્ષ વેધક પ્રશ્નો પૂછી જવાબ માગવા.
ત્યાંથી શરૂ થયી એક યાત્રા જેમાં ઉમાબહેન પૂરેપૂરાં ખૂંપ્યાં. કાકરાપરના દેખાવો હોય કે કુડનકુલમ આંદોલન. બધે જ પહોંચ્યાં. દિવસ રાત જોયા વગર વિરોધના કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ બેઉમાં મોખરે. સુરેન્દ્રભાઈ બૌદ્ધિક બળ અને ઉમાબહેન કર્મબળ. આખા દેશ અને દુનિયામાં આ દંપતીની ઓળખ અણુમથક વિરોધી બૌદ્ધિક અને કર્મશીલ તરીકે ઉપસી આવી. ડૉ. સંઘમિત્રા ગાડેકર જદુઘોડા, ઝારખંડની યુરેનિયમની ખાણો હોય કે રાવતભાટા, રાજસ્થાનનું અણુમથક હોય એમાં લોક આરોગ્ય અને પર્યાવરણ પર થનારી જોખમી અસરો વિશેનો અભ્યાસ કરનાર પહેલા તબીબ છે. સ્વ્યંસેવકોની ફોજ ઊભી કરી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરનાર ગાડેકર યુગલ દેશમાં મોખરે છે. આ મેડિકો-એંથ્રોપોલોજિકલ અભ્યાસો વડે એમણે લોકો અને સરકાર સમક્ષ સર્વેમાં બહાર આવેલાં પ્રમાણ મૂક્યાં કે જેમાં અણુમથકોની પાસેની વસ્તીમાં જન્મજાત ખોડખાપણ, વંધ્યત્વ, ચામડીના રોગો અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે. અણુમથકો પાસેથી સાચા આંકડા મેળવવાના પૂરા પ્રયાસો કર્યા અને આ મથકો જાણકારી છુપાવે છે અને દેશની સુરક્ષા પરત્વે નાજુક માહિતી છે એમ જણાવી માહિતી પૂરી નથી પાડતા તે હકીકત પણ સામે લાવ્યાં.
ગુજરાત કે દેશમાં ચાલતાં અનેક લોક આંદોલન તરફ એક નજર તો રાખતાં જ. શક્ય હોય ત્યાં મુદ્દા અને લોકો સાથે ઐક્ય દર્શાવવા જોડાતાં પણ ખરા. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તૈયાર થયેલા ગુજરાતના અને ગુજરાત બહારના કર્મશીલોની અવરજવર વિદ્યાલયમાં હોય જ અને આવીને સલાહ સૂચનો માગે અને લે. ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણોમાં બેઘર-બેહાલ થયેલા અને શિબિરોમાં રહેતા પરિવારોને મળી શાતા આપવાનું અને કોમી એખલાસ માટેના પ્રયાસો માટે સામેલ થવામાં ઉમાબહેન પાછા નહોતા પડ્યાં. માબાપથી વિખૂટા પડી ગયેલા બે બાળકોની વીતક જોઈ-સાંભળીને એવા દ્રવી ઉઠ્યા કે બેઉ ભાઈઓને વિદ્યાલય લઈ આવ્યાં અને એમના મા બનીને ઉછેરીને મોટા કર્યા. પાછળથી મા અને બહેનો મળી અને તેના મિલાપ માટે પણ એટલી જ જહેમત લીધી. પણ બાળકોએ નિર્ણય કર્યો કે કે ઉમાદીદી પાસે જ રહીને મોટા થશે. બેઉ વિદ્યાલયમાં જ ઉછર્યા. ઇમરાન ટેક્નિકલ બાબતોમાં હોશિયાર હતો. શાળાએ ગયો. ભણ્યો. પછી એ વડોદરા નિસર્ગોપચાર કેન્દ્રમાં જઈને માલિશના કામમાં તાલીમ પામ્યો. સરસ તૈયાર થયો અને આજે કચ્છના એક નિસર્ગોપચાર કેન્દ્રમાં માલિશ કરનારની સેવા આપી રહ્યો છે. પરણ્યો અને એક બાળકનો પિતા છે. નાનો મોહસીન ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થઈ બ્રાઝીલ જતો રહ્યો છે અને રોજગારમાં છે. ઇમરાનને સમાચાર મળ્યા અને તરત ટ્રેન પકડી સવારે તો દીદી પાસે આવી ગયો. દીદાના નિષ્પ્રાણ દેહ પાસે પોક મૂકીને રડ્યો કે, એણે પાલક મા ખોઈ.
રમખાણોમાં અમદાવાદના રંગાટીઓ રોજગારી પણ ખોઈ. ત્યારે ઉમાબહેનનું ધ્યાન કપડાં રંગવા તરફ ગયું. કાંતણ તો નિયમિત કરતાં જ. કાંતે તે પહેરે અને પહેરે તે કાંતેનો નિયમ તો આખી જિદંગી પાળ્યો જ. વનસ્પતિના રંગો દ્વારા કુદરતી રંગાટ પ્રક્રિયાના સફળ પ્રયોગો કર્યાં. દુઆના જણાવ્યા પ્રમાણે ઉમાબહેનને પ્રાકૃતિક રંગે રંગવામાં આવેલા ખાદીવસ્ત્ર પહેરવાની ખૂબ ઇચ્છા હતી. એવા કપડાં ક્યાં ય મળે નહીં. એટલે જાતે જ રંગાટી કામમાં પડ્યાં. એક વખતે સેંક્ડો મીટર ખાદી પર કુદરતી રંગકામ વિદ્યાલયમાં થયું. નારાયણભાઈ ૨૦૦૨ના કોમી રમખાણોના પશ્ચાતપ રૂપે ગુજરાત અને દેશભરમાં ગાંધીકથા આરંભી અને લગભગ દરેક કથામાં ઉમાબહેન કુદરતી પ્રક્રિયાથી રંગાયેલી ખાદી લઈ જતાં અને વેચાણ કરતાં. તે સમયમાં કોઈએ વિદ્યાલયની મુલાકાત લીધી હોય તો સ્મૃતિપટલ પર ઉકળતા ચરૂ, સુકાતાં કપડાં, સીવણસંચા પર બેઠેલી ગામની બહેન ઉપસી આવશે અને ઉમાબહેનનો પરિચિત અવાજ જે કોઈ વાર ચુલા પાસેથી આવતો હોય કે ઘરના રસોડામાંથી બહાર આવીને આરોહ સ્વરરૂપે સંભળાય.
ઉમાબહેને વસ્ત્રવિદ્યાના દરેક પાસાની ઊંડી સમજ કેળવેલી. જયપુરના પાપાશા અને ઉમાબહેનની વસ્ત્રવિદ્યાની કાર્યશાળાઓએ વિદ્યાલયમાં કેટલાં ય સ્ત્રી-પુરુષોને તાલીમ આપી. ઘણાં કારીગરો જે કામ વગર થઈ ગયા હતા એમને રોજગાર મળતો થયો. એ જ સમયગાળામાં વાંસકામ માટે ભાઈ અશોક કોટવાળિયા અને તેની પત્ની પણ વિદ્યાલય પરિસરમાં વાંસકામ કરવા નિયમિત આવવા લાગ્યાં. ઉમાબહેન નવી ડિઝાઈનનો વિચાર કરે, ફર્નીચર બનાવવાના પ્રયોગો કરે અને કરાવે. આમ ગ્રામોદ્યોગના પ્રયોગો અને ઉત્પાદનનો એક નાનો પણ ખૂબ અસરકારક ગાળો ગયો. એક વિશેષ ઉલ્લેખ કરવો જ પડે. ખાદીની દુનિયામાં ભેળસેળનો પ્રવેશ તો ક્યારનો જ થઈ ગયો હતો. પણ ઉમાબહેને અંબર ચરખો પણ પાસ ન કર્યો. પેટી રેંટિયો જ કાંત્યો અને કંતાવ્યો. પેટી રેંટિયા પર કાંતણ યજ્ઞ તો છેલ્લે સુધી ચલાવ્યો. મુરબ્બી તરલાબહેન વિદાય વેળાયે બોલ્યાં ‘સમૂહ કાંતણમાં ઉમા જોડે કાંતીને આંટી બનાવેલી તે દીકરીની વિદાય માટે કાઢી હતી’. નારાયણભાઈએ પેટી રેંટિયાના કાંતણને ચક્રોપચાર કહ્યું હતું અને એ ઉપચાર ઉમાબહેને પણ પહેલા સ્ટ્રોક પછી સફળતાપૂર્વક કર્યો. બીજા સ્ટ્રોક પછી પણ એ દિશામાં જ હતાં. ગુજરાતમાં ગાંધી માર્ગે વસ્ત્રવિદ્યા અને ગ્રામોદ્યોગના ક્ષેત્રે સફળ પ્રયોગો કરનાર વ્યક્તિઓની ગાંધીના ગયા બાદની પેઢીમાં ઉમાબહેનનું નામ મોખરે છે.
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની અંતેવાસી અને મા
૧૯૮૯માં ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ કાયમી વસવાટ કરવા માટે આવ્યાં એની પાછળ એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન પણ હતું. વેડછીમાં નારાયણભાઈ એકલા પડ્યા. દીકરી ઉમા સુરેન્દ્ર અને દુઆ(ચારુસ્મિતા)ને લઈ કાયમ માટે વેડછી આવી. ઉત્તરાબહેનનો વારસો તો ખરો જ અને ઉમા વિદ્યાલયની મા બની. ૧૯૮૯ થી ૨૦૨૫, જીવનનાં ૩૫ વરસ કઈં ઓછા નથી હોતા! ઉમાબહેને જીવનના આ ૩૫ વરસ સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયને સમર્પિત કર્યાં. સાબરમતી આશ્રમના મગનલાલ ગાંધી જોઈ લો અને વિદ્યાલયનાં ઉમાબહેન. વળી, માની કુમલાશ અને સ્ત્રી સહજ ઋજુતા તો જોવી જ રહી. ગૃહિણી. મા, શિક્ષક, મિત્ર, જ્વલંત કર્મશીલ એ તમામ ભૂમિકાઓ એક પાત્રમાં વણાઈ ગઈ. સ્વાધ્યાય ચૂકી ન જવાય. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન પુસ્તકો મંગાવે, વાંચે, વંચાવે અને ચર્ચાઓ થાય.
વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય અને તે વિદ્યાલય સ્થાપનાનો એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું કલેવર શું? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સત્ર ત્રણેય પ્રશિક્ષણના અંગ. સંપૂર્ણ ક્રાંતિનાને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા પણ મહામાત્ર તે ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ, અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધા વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી તપાસ જ હતી.
નારાયણભાઈ કોનું કેટલું સાંભળતા એ વાત વેગળી પણ ઉમાબહેન બધું પાકું કરે. દીકરાને વઢે તેમ પિતાને પણ વઢી શકતાં. નારાયણભાઈએ સ્વીકાર્યું અને આવીને જોયું કે શિક્ષકો ગાંધીવિચાર અને અભ્યાસ બેઉમાં કાચા પડે એમ છે. ત્યારે શરૂ થયી શિક્ષક પ્રશિક્ષણ શિબિરો. આ શિબિરોમાં હું પૂરા સમય માટે રહેતો. ઉમાબહેનના વ્યક્તિત્વનાં તમામ પાસાં ત્યારે ઊંડાણપૂર્વક જાણવા મળ્યાં. મને એક લાભ. હું મુન્નુ એટલે નચિકેતાનો મિત્ર. મારા પ્રત્યે એ જ ભાવ અને એમ એ મારી પણ દીદી. નાના ભાઈની સમજ કાચી પડે અને ક્યાંક બરાબર ન થાય તો વઢે તો ખરા પણ એ ધ્યાન રાખે જ. ‘સુદર્શન, સબ ઠીક હૈ ન?’ એવું આવે જ. નચિકેતાની વાત નીકળી છે તો જણાવું કે મુન્નુ અને ઉમાબહેન વચ્ચે એક જુદું જ બંધન. એના પ્રતિ ઉદાર, પ્રેમાળ અને કઠણ ત્રણે. દિલથી અને તીવ્ર ભાવનાના ઉદ્વેગોમાં જીવવાવાળો મુન્નુ, ઘણી વાર દિલનુ જ સાંભળે, દિમાગને કોરાણે મૂકે અને દુઃખી થાય. મોટીબહેન નારાજ થાય, વઢે પણ એને કઈં મુશ્કેલી પડી તો બધાં કામ પડતાં કામ મૂકી ને દોડી જાય. આમ મુન્નુની પણ એમ બહેન અને મા બેઉ. એવું જ બંધન નાનાભાઈ અફલાતૂન ઉર્ફે આફલૂ. આફલૂ તો જન્મ પછી તરત બનારસ જ હતો, ત્યાં જ ઉછર્યો અને અસલ ભોજપુરી! ગુજરાત બહુ ઓછું આવે. વૈકલ્પિક રાજનીતિના પ્રયત્નમાં ગળાડૂબ જન્મજાત રાજનૈતિક કર્મશીલ. વૈચારિક મતભેદ હોય. પણ ઉમાબહેનની એક નજર બનારસમાં ભાઈ-ભાભી અને ભત્રીજી પર હોય જ.
ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૄષણ ચૌધરી ઓડીશાના ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો હું પહેલી લડવાવાળી હોઈશ! આ પરિવાર અને દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ણા માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિનો રહીને લાંબુ રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ!
ઓડિશાથી કેટલીએ દીકરીઓ આવીને વિદ્યાલયમાં રહી. બધાંની એ મા. એમાંની એક ડૉલી, તેણે એક બાળકને જન્મ આપ્યો અને દીદીને ઉછેરવા એક નવું બાળક મળ્યું! એનું નામ શ્રીધર. સમય જતાં ડૉલીએ ફરી પરણવાની ઇચ્છા દર્શાવી. ભાઈ સૌરાષ્ટ્રનો, કહે કે તને પરણીને લઈ જાઉં, પણ દીકરો નહીં. ડૉલી ગઈ અને શ્રીધર ઉમાનો દીકરો! ૨૦૦૨માં કોમી રમખાણ પછી ઇમરાન, મોહસીન તો હતા જ આ ત્રીજો દીકરો ઉમેરાયો. ઉમાબહેનને ૬૦ વરસ તો થઈ ગયાં હતાં, પણ શ્રીધરને પહેલા ખોળાનો બાળક હોય તેટલી કાળજીથી મોટો કર્યો. દુઆ, ઇમરાન અને શ્રીધર ત્રણેયે માને અગ્નિદાહ દઈ વિદાય કર્યાં. પોતે ડાયબિટીસની રોગિણી, થાકે, પણ ફરી કામે. કેટલાં ય યુવાઓ, યુવતીઓ, યુગલો આવ્યાં, રહ્યાં, શીખ્યાં અને જીવ્યાં. એ સૌ જ્યાં પણ કામ કરતાં હોય, સમય મળે ઉમાબહેનને મળવા ખાસ આવે.
વેડછી વિદ્યાપીઠના પરિસરમાં સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. નારાયણભાઈ તો આદરણીય. ઉમાબહેન માટે તો સૌનો પ્રેમ. શિક્ષક, કાર્યકર અને વિદ્યાર્થીઓ બધા સાથે પ્રેમાળ સબંધ. આગળ જણાવ્યું તેમ ગામની તો દીકરી જ. માંદગી અને મૃત્યુના સમયમાં વિદ્યાપીઠ અને ગામ બંને ઉમટ્યાં. અંત્યેષ્ટિ માટે અમારે કાંઈ કરવાનું આવ્યું જ નહીં. ઉમાબહેનના શાળાના સાથીઓ, મિત્રો, વડીલો, યુવાઓ બધાએ આવીને તમામ વ્યવસ્થા કરી અને મૃત શરીરને પણ કોમળતાથી અંતિમધામ પહોંચાડી ચૌધરી વિધિથી જ ગામની દીકરી ને વિદાય કરી. ગામ સાથે આટલો ઘનિષ્ટ અને પોતીકો સંબંધ ભાગ્યે જ કોઈ ગાંધી-વિનોબાના કાર્યકરને હશે. એક તેજસ્વિની, પ્રતિભાશાળી, ખંતીલી ગાંધીવિચારને વરેલી અને એ જ રીતે જીવન જીવીને કિરતારના ઘરે ઉપડી ગઈ. એ દયામયે ઉમાબહેન માટે મંગળ મંદિરનાં દ્વાર ખોલ્યાં જ હશે અને એને ઉરમાં લીધાં જ હશે.
આ લેખ તૈયાર કરવામાં દીકરી દુઆએ માને ખોયાની વેદનાને ઘડીક બાજુએ રાખી હકીકતો પૂરી પાડવાની મદદ કરી. તેનો ઋણ સ્વીકાર.
e.mail : sudarshan54@gmail.com
પ્રગટ : “ભૂમિપુત્ર”; 16 જૂન 2025; પૃ. 03 – 05 તેમ જ 22
છવિ સૌજન્ય : “ભૂમિપુત્ર”