કાવ્યકૂકીઝ
મારું પહેલું શ્રાદ્ધ આવી રહ્યું છે ત્યારે –
કેમ છો, છોકરાંઓ,
હવે હું નથી એટલે મજામાં તો હશો જ !
આમ મને ભૂખે માર્યો
પણ શ્રાદ્ધ દૂધપાકથી કરશો તે ખબર છે
પણ તેમાં ટીકડી નાખવાનું ભૂલશો નહીં
મર્યાં પછી પણ ડાયાબિટીસ મટ્યો નથી
એટલે બહુ ગળ્યું કૈં કરશો નહીં
આડે દા’ડે તો રીંગણ ખાવ જ છો
પણ મારી બાજમાં રીંગણ મૂકશો નહીં
મૂકશો તો બાજને હું અડીશ નહીં !
મારી દીકરીને શ્રાદ્ધમાં જમવા તેડજો
એને દૂધપાક જોર કરી કરીને ખવડાવજો
કારણ એને એ જરા પણ ભાવતો નથી
એમ થશે તો મારી ઈચ્છા વિરુદ્ધ એ પરણેલી
એ વાતનો બદલો લઈ શકાશે
મારી મિલકતના ભાગ પડી ગયા હશે
એટલે ચારેક ઘરોમાં મારું શ્રાદ્ધ થશે
પણ હું ચાર ચાર બાજ જમી શકું એમ નથી
કૂતરાની જેમ હડે હડે મને કર્યો
ને ઘરમાં કૂતરાનો નંબર પહેલો રાખ્યો
હવે અમે બંને સરખા છીએ
એટલે કૂતરાની બાજમાં જ મોં મારી લઇશ
મન્ચૂરિયન કે પિત્ઝા, પ્લીઝ, ના મૂકશો
મને એ નથી જ ભાવતાં !
જો કે મારો જનમ શેટ્ટીને ત્યાં થયો છે
ને દૂધને બદલે મારો બાપ સાંબર જ પાય છે
એ તો બોલાતું નથી એટલે ઢીંચી જાઉં છું
બાકી ભાવે તો ગુજરાતી થાળી જ !
બને તો કેળાં બાજમાં મૂકજો
ને છાલ કાઢીને વળી કેળાં ધોવા ના બેસતાં
તમે તો પાણી પણ ધોઈને વાપરો એમાંના છો
પણ મને બધું ચાલશે
ને છેલ્લે ખાસ વાત
મર્યા પછી હું પૂર્વજ નહીં, પશ્ચિમજ થયો છું
મતલબ, બધા કાલાકૌવા જ થાય એવું નથી
હું કાકાકૌવા થયો છું
પંદર દા’ડા કાગડાને બાજ મૂકો છો
પણ પછી તો એનો ભાવેય નથી પૂછતાં
એટલે મારી બાજ કાકાકૌવાને જ મૂકજો
ને આજુબાજુ કોઈ કાગડી ન હોય તે જોજો
તમારી મમ્મીએ હજી મારો કેડો મૂક્યો નથી
વધારે શું કહું? આવજો –
000
e.mail : ravindra21111946@gmail.com
(“સંદેશ” બુધવારની પૂર્તિ)
![]()


ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિએ આપણું ભલું કરવાની જ કોશિશ કરી હોય, તો પણ તે વ્યક્તિ આપણને નથી ગમતી ને ઘણીવાર એવું પણ બને છે કે કોઈ વ્યક્તિએ આપણું કૈં જ સારું ન કર્યું હોય, તો પણ તે વ્યક્તિ ગમતી હોય છે. આવું કેમ થાય છે? એનો જવાબ છે મન. મનને સારી વ્યક્તિ ન ગમે ને નઠારી વ્યક્તિ ગમે એ અશક્ય નથી. એમાં કોઈ તર્ક કામ ન કરતો હોય એવું પણ બને. ઘણીવાર એવું પણ બને છે કે કોઈને ટાળવાની પ્રમાણિક કોશિશો આપણે કરી હોય ને મન તેને જ ઇચ્છતું જ હોય, તો કોઈ ખરેખર હૃદય સુધી પહોંચવા માંગતુ હોય ને આપણે તેને નજીક પણ ફરકવા નથી દેતા. તેનો વાંક એટલો જ છે કે તે આપણને ઝંખે છે ને આપણે તેને ઝંખતા નથી ને આપણો વાંક એટલો છે કે જેને ઝંખીએ છીએ તેની ઝંખના આપણે નથી. તે બીજા જ કોઈને ઝંખે છે.
જો આત્મનિરીક્ષણની ટેવ હોય તો સમજાશે કે આપણને કોઈ ગુલામ બનાવવા નવરું ન હતું, પણ સેંકડો વર્ષની ગુલામી ભારતે વહોરી છે તેને માટે વિદેશીઓ છે, તેનાં કરતાં આ દેશની પ્રજા વધારે જવાબદાર છે. વેપાર કરવા આવેલી પ્રજાએ જોયું કે કુસંપી ભારતીયોને ગુલામ બનાવી શકાય એમ છે. એમણે જોયું કે અહીંના રાજાઓ અંદરોઅંદર લડે છે, નાના નાના સ્વાર્થ માટે પ્રજા સંપને હોડમાં મૂકે છે, એકસૂત્રતા નથી, એ બધી બાબતોએ વિદેશી પ્રજાને પગપેસારો કરવા માટેનું મોકળું મેદાન પૂરું પાડ્યું અને એમ સૈકાઓની ગુલામી કરમે ચોંટી.