
રમેશ ઓઝા
યુદ્ધ અત્યારે નીચ, બેવકૂફ અને મરણિયા વચ્ચે ચાલી રહ્યું છે, જેમાં ત્રણ અઠવાડિયા પછી પણ મરણિયો સરસાઈ ધરાવી રહ્યો હોય એમ લાગે છે. સુજ્ઞ વાચકને નીચ, બેવકૂફ અને મરણિયાની ઓળખ આપવાની જરૂર તો નથી, છતાં જણાવી દઉં કે નીચ ઇઝરાયેલના શાસક બેન્જામીન નેતાન્યાહૂ છે, બેવકૂફ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ઈરાનનું નેતૃત્વ મરણિયું છે. ઇતિહાસ કહે છે કે મરણિયા હંમેશાં ભરી પડે કારણ કે એની પાસે બચવા કે બચાવવા માટે કશું બચ્યું હોતું નથી અને તે પોતાના સહિત દરેક ચીજને સ્વાહા કરવા તૈયાર હોય છે. ઈઝરાયેલે ઈરાનના તેલમથકો પર હુમલો કર્યો એ પછી ઈરાને યુદ્ધને લશ્કરીમાંથી આર્થિક બરબાદીમાં ફેરવી નાખ્યું છે અને હવે જગતને શાસકોમાં હોવા જોઈતા સંયમ, સમજદારી અને સહિષ્ણુતાના ગુણોની કિંમતનો પરિચય થવા લાગ્યો છે અને જેને હજુ સુધી નથી થયો તેમને હવે થવાનો છે. ધીરજ રાખો, આપણે ત્યાં અંધભક્તોને પણ તેનો જલદી પરિચય થવાનો છે. મુસ્લિમપીડાનું વિકૃત સુખ મેળવવા માટે ક્યાં સુધી ખુવાર થતા રહેવાનું!
પહેલાં નીચની વાત.
ઇઝરાયેલ આર્થિક અને લશ્કરી રીતે સ્થિર થયા પછી, સ્થિર નહીં અખાતી દેશોમાં સરસાઈ મેળવી લીધા પછી તેનો બીજો એજન્ડા વિસ્તરવાનો હતો. મે ૧૯૪૮માં ઇઝરાયેલની સ્થાપના થઈ, ત્યારે તેનું ભૌગોલિક ક્ષેત્રફળ માત્ર ૧૪,૦૦૦ થી ૧૫,૦૦૦૦ ચોરસ કિલોમીટર હતું જે આજે ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ છે, સાત દાયકા દરમ્યાન મોકો જોઇને ધીરે ધીરે ઇઝરાયેલે તેના કદમાં એક તૃતીયાંશ ક્ષેત્રફળનો વધારો કર્યો હતો. અમેરિકા અને યુરોપના દેશોમાં યહૂદીઓનું લોબિંગ અને મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે ઇઝરાયેલના વિસ્તારવાદનો બહુ વિરોધ નહોતો થતો. આ સિવાય ઇઝરાયેલ પાસે અસ્તિત્વ પર જોખમનું બહાનું તો રોજનું હતું.

બેન્જામીન નેતાન્યાહૂ
બેન્જામીન નેતાન્યાહૂ ૨૦૨૧-૨૨નો દોઢ વરસનો અપવાદ છોડીને ૨૦૦૯ની સાલથી ઇઝરાયેલમાં શાસન કરે છે. ૨૦૦૯થી ૨૦૧૫-૧૬ સુધી તેમનો એ ચહેરો જોવા નહોતો મળ્યો જે આજે જોવા મળે છે. કારણ એ હતું કે દુનિયામાં હજુ ડાહ્યા લોકો શાસન કરતા હતા જેને એટલું ભાન હતું કે સ્વાર્થનું રાજકારણ પણ આસ્તે આસ્તે કરવું જોઈએ. યુનો હજુ વગ ધરાવતું હતું અને અમેરિકામાં બરાક ઓબામાં, ભારતમાં ડૉ મનમોહન સિંહ કે સિંગાપુરમાં લી જેવા શાસકો હતા જેના શબ્દોની કિંમત હતી. ગયા દશકના અંત ભાગમાં નેતાન્યાહૂને લાગવા માંડ્યું કે હવે ઇઝરાયેલ વિસ્તારવાદની ઝડપ વધારી શકે એમ છે. કારણ? ચારેબાજુ આત્મમુગ્ધ નેતાઓ સત્તામાં આવી રહ્યા છે જે પોતાનાં માટે, પોતાની વાહવાહી માટે શાસન કરી રહ્યા છે, વૈશ્વિક વ્યવસ્થાનો તેઓ પોતાના માટે ઉપયોગ કરી રહ્યા છે અને જો ઉપયોગ કરવામાં સાથ ન આપે તો તેને તોડી પાડવામાં પણ કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી. જે દેશોમાં આવા સાશકો નથી ત્યાં તેમને લલકારનારાઓ વીંગમાં ઊભા છે. ટૂંકમાં જગત એવા નેતાઓથી ગ્રસ્ત છે જેમાં રાજ્ય ભીંસમાં છે અને નિર્બળ બની રહ્યું છે. નેતા મોટો અને શક્તિશાળી અને રાજ્ય નિર્બળ. બીજી બાજુ ચીન અને રશિયા છે જેનું રાજ્ય મજબૂત છે અને તેના સાશકો દૂર રહી તક વીણતા રહે છે. નેતાન્યાહૂના ઇઝરાયેલને ચીન અને રશિયા તરફથી સીધો ખતરો નહોતો.
નેતાન્યાહૂએ ઇઝરાયેલને વિસ્તારવાની ઝડપ વધારી. બૃહદ્દ ઇઝરાયેલ માટે ૮૫ હજાર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરવાની તેની યોજના છે. ક્યાં ૧૯૪૮માં યુનો દ્વારા આકાર અપાયેલી બહુપક્ષીય સંમતી (સર્વસંમતી નહીં, મતલબ પૂરતી પેદા કરવામાં આવેલી સંમતી) સાથે ઇઝરાયેલને આપવામાં આવેલો ૧૪,૦૦૦ ચોરસ કિલોમીટર અને ક્યાં ૮૫ હજાર ચોરસ કિલોમીટર! આડખીલી હતી માત્ર ઈરાન અને ઈરાનના પ્રોક્સી. બીજા મુસ્લિમ દેશોની તેને ચિંતા નહોતી, કારણ કે એ બધા દેશોના શેખો તેલના ધંધામાં અમેરિકન કંપનીઓમાં ભાગીદાર છે. ભારતનાં અને જગતના મુસલમાનોએ અહીં સમજવું જોઈએ કે મુસ્લિમ શાસકો માટે ઇસ્લામ કરતાં ડોલર વધારે કિંમતી છે. ૧૯૭૯થી ઈરાનમાં અમેરિકાનાં અને અમેરિકનોના કોઈ હિતસંબંધ નથી. ઇઝરાયેલ અને યહૂદીઓના સંબંધનો તો કોઈ સવાલ જ નથી. આ સિવાય ઈરાન અણુશસ્ત્રો બનાવવામાં લગભગ કિનારે પહોંચી ગયું છે એમ પણ કહેવાય છે. જો ઈરાનને ખતમ કરવામાં આવે તો અખાતી દેશોની ૮૫ હજાર ચોરસ કિલોમીટર જમીન હડપી જવામાં ઇઝરાયેલને કોઈ રોકી નહીં શકે. નેતાન્યાહૂએ પહેલાં પ્રોક્સીઓને ખતમ કર્યા અને પછી ઈરાનને સીધું નિશાના પર લીધું. ઇઝરાયેલ જે કરે છે એ તેની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે કરે છે.
હવે બેવકૂફની વાત.
સ્વાર્થનું રાજકારણ પણ સમજી વિચારીને, જરૂરી ભૂમિકા બનાવીને, પ્રમાણમાં ગળે ઉતરે એવું બહાનું બનાવીને આસ્તે આસ્તે કરવું જોઈએ એટલી સમજ ધરાવતા શાસકો અમેરિકાને મળતા રહ્યા છે. જ્યોર્જ બુશ (જુનિયર) જેવા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતા પ્રમુખ પણ આટલી અક્કલ ધરાવતા હતા. અફઘાનિસ્તાન અને ઈરાકમાં તેમણે નાટો દેશોને સમજાવી પટાવીને સંડોવ્યા હતા. એવું નથી કે અમેરિકાના પૂર્વી શાસકો નીતિનિષ્ઠ હતા, તેઓ સમજદાર હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો લાખોમાં એક છે. તેઓ અમેરિકા પર અમેરિકન પ્રજાના હિતમાં શાસન નથી કરી રહ્યા, પણ પોતાના માટે અને પોતાનાંઓના હિત માટે શાસન કરી રહ્યા છે. સવારે ઊઠીને પહેલો વિચાર એ કરે કે આજે એવું શું કરું કે જગતમાં સોપો પડી જાય. વાહ વાહ થાય. અને હા, પોતાને મદદ કરનારાઓને ફાયદો થાય. તેમને સભ્યતા અને સંસ્કાર સાથે તો લેવાદેવા નથી, સાતત્ય સાથે પણ લેવાદેવા નથી. એક જ દિવસમાં બે વાર પલટી મારે. તમને આશ્ચર્ય થશે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ લખાય છે ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિષે સો કરતાં વધુ નિવેદનો કર્યાં છે. જે મનમાં આવે એ બોલે.

ડોનાલ્ડ ટૃમ્પ
નેતાન્યાહૂએ વિચાર્યું કે જેવો જોઈએ એવો વરરાજો અમેરિકામાં ઘોડે ચડી ગયો છે. આ સિવાય બીજા દેશોમાં પણ આવા ઘોડે ચડેલા વરરાજાઓ છે જે આત્મમુગ્ધ છે અને પોતાની વાહવાહી થાય એવી હેડ લાઈન્સ શોધતા રહે છે. તેમણે મર્યાદાઓ આધારિત વૈશ્વિક વ્યવસ્થાની ઐસીતૈસી કરી નાખી છે અને ઘર આંગણે લોકતંત્રને કબજે કર્યું છે. વિરોધીઓને મેનેજ કરવા ધન જોઈએ અને ધન સારુ ક્રોની કેપિટલિસ્ટોની બેડી પણ તેમણે પહેરી લીધી છે. તેઓ કશું જ કરવાના નથી અને કરી શકે એમ પણ નથી. ઇઝરાયેલ માટે મોકળું મેદાન છે.
ગયા જૂન મહિનામાં નેતાન્યાહૂએ અમેરિકાની મદદ સાથે ઈરાન પર હુમલો કર્યો. એ યુદ્ધ ૧૨ દિવસ ચાલ્યું અને ઈરાન અત્યારની જેમ જ ત્યારે ભારે પડ્યું હતું. એ યુદ્ધમાં અમેરિકા મદદગાર હતું, સીધું ભાગીદાર નહોતું એટલે ત્રીજા દેશ તરીકે યુદ્ધવિરામ કરાવવાની સ્થિતિમાં હતું. અમેરિકાએ બારમાં દિવસે યુદ્ધ રોકી દીધું અને ટ્રમ્પે ફરી એકવાર શાંતિ માટે નોબેલ પારિતોષિકનો દાવો કર્યો. ગણતરી એવી હતી કે ઈરાનનો મુકાબલો કરવાની તૈયારી કરવી, પ્રોક્સીઓની તાકાત હજુ વધુ તોડી નાખવી. આર્થિક રીતે ઈરાન બરબાદ થઈ ગયું છે એટલે પ્રજામાં અસંતોષ પેદા કરવો, એ દરમ્યાન ઈરાન સાથે વાતચીતનું નાટક કરવું અને એ પછી મોકો જોઇને પાછો હુમલો કરવો. ઈરાનને નેતૃત્વ પરિવર્તન માટે મજબૂર કરવું. આપણને અનુકૂળ કઠપૂતળીને બેસાડી દેવી. અમેરિકાને ઈરાનનું તેલ અને ગેસ મળે અને ઇઝરાયેલને વિસ્તરવા મળે. આગળ જતા વાસ્તવિકતાનો સ્વીકાર કરીને બૃહદ્દ ઇઝરાયેલને સંમતીની મહોર પણ મળે. આ બધું નેતાન્યાહૂએ ટ્રમ્પને સમજાવ્યું હતું અને ટ્રમ્પે સંકટ પેદા કર્યા પછી સંકટમાંથી બહાર નીકળવાનો પ્લાન બી વિચાર્યા વિના ઇઝરાયેલને ઇશારે ઝંપલાવ્યું.
આ વખતે પણ ઈરાન ભારે પડી રહ્યું છે પણ અમેરિકા સીધું ભાગીદાર છે એટલે ટ્રમ્પબાબા યુદ્ધવિરામ કરી શકે એમ નથી. ઈરાનને યુદ્ધવિરામ માટે કાં તો મજબૂર કરવું પડે અથવા સમજાવવું પડે. જો પોતે યુદ્ધવિરામ જાહેર કરે તો એ પરાજય ગણાય. બીજી સમસ્યા એ છે કે અમેરિકન પ્રજા અને પોતાના પક્ષના સમર્થકો સવાલ પૂછી રહ્યા છે અમેરિકા યુદ્ધમાં ભાગીદાર બન્યું શા માટે? આ તો ઈરાનનું યુદ્ધ છે એમાં અમેરિકાને સીધો કૂદકો મારવાની શી જરૂર હતી? વિવિધ સર્વે મુજબ ચારમાંથી ત્રણ અમેરિકન યુદ્ધનો વિરોધ કરે છે.
બન્યું છે એવું કે ઇઝરાયેલ અને અમેરિકાની ગણતરી ઊલટી પડી. ઈરાનના ધાર્મિક નેતા ખોમૈનીએ બંકરમાં છૂપાવાની ના પાડી અને શહીદ થવાનું વધારે પસંદ કર્યું. ઇઝરાયેલ-અમેરિકાએ ખોમૈની સહિત વિવિધ મહત્ત્વનાં પદ ધરાવતા ડઝનબંધ વરિષ્ઠ નેતાઓને કે શાસકોને મારી નાખ્યા. આને કારણે હજુ મહિના પહેલા ઈરાની શાસકોની સામે રસ્તા પર ઉતરેલી પ્રજા ખોમૈની માટે માતમ કરવા રસ્તા પર ઉતરી. ખોમૈનીની શહાદતે ઈરાનીઓને જોડવાનું કામ કર્યું. ટૂંકમાં સત્તાધારીઓ અશક્ત બનવાની જગ્યાએ શાસકોની શહાદતનાં કારણે સશક્ત થઈ ગયા. ઓછામાં પૂરું ઇઝરાયેલે ઈરાની શાળા પર હુમલા કર્યા જેમાં દોઢસો કરતાં વધુ બાળકોનાં મોત થયાં. સત્તાપરિવર્તન તો બાજુએ રહ્યું ઈરાની પ્રજા સત્તાધારીઓને પડખે ઊભી રહી ગઈ.
આપણે વાત બેવકૂફની કરી રહ્યા છીએ. સવાલ એ છે કે અમેરિકા યુદ્ધમાં પ્રવેશ્યું શા માટે? આ વખતે સીધું ભાગીદાર છે એટલે યુદ્ધવિરામ પણ કરી શકે એમ નથી? શી જરૂરત પડી? કેટલાક લોકો કહે છે કે એપ્સ્ટીન ફાઈલ્સમાં ટ્રમ્પની જાતીય વિકૃતિઓની વિગતો બહાર આવી છે અને હજુ વધુ ફાઈલો ખૂલવાની છે એને કારણે ટ્રમ્પ ઇઝરાયેલના ઇશારે ઇઝરાયેલ કહે એ કરવા મજબૂર છે. એપ્સ્ટીન ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ માટે કામ કરતો હતો એમ પણ કહેવાય છે. મને એમ નથી લાગતું. એ શક્ય છે અને એ પણ એક કારણ હોઈ શકે, પણ મુખ્ય કારણ બેવકૂફી અને ઉપરથી અભિમાન તેમ જ ચારિત્ર્યહીનતા છે. બેવકૂફ જો નીચ હોય અથવા નીચ બેવકૂફ હોય અને ઉપરથી પોતાને અતિશય પ્રેમ કરનાર આત્મમુગ્ધ હોય તો એ કોઈનો ઝાલ્યો રહેતો નથી. એવા લોકો સાહસ કરી જ બેસે. દૂરનું જોવું અને દૂરનું વિચારવું એ બે ચીજ એવી છે જે માણસને આપોઆપ સંયમી બનાવે. ટ્રમ્પબાબા એટલા માટે કૂદી પડ્યા કે તેમને જે યુદ્ધ જીતવું આસાન લાગતું હતું તેનો જશ નેતાન્યાહૂ ન લઈ જાય! જુઓ મેં ઈરાનને પાઠ ભણાવ્યો જેને ૧૯૭૯થી અત્યાર સુધીમાં સત્તામાં આવેલા કોઈ પણ પ્રમુખ નહોતા કરી શક્યા. મૈંને કિયા. ‘ખીચડી’ નામની સિરિયલના પ્રફુલ્લની માફક ‘બાબુજી મૈને કિયા’.
હવે મરણિયાની વાત
ઈરાન શિયા મુસ્લિમ બહુલ દેશ છે એટલે સુન્ની મુસ્લિમ દેશો સાથે તેનો મધુર સંબંધ ક્યારે ય નહોતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ થઈ અને ૬૬ અમેરિકનોને ૪૪૪ દિવસ સુધી બાનમાં રાખ્યા ત્યારથી ઈરાનની અમેરિકા સાથે દુશ્મની છે. અમેરિકાના ઇશારે ઈરાકે ઈરાન સામે યુદ્ધ કર્યું. એ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું જેમાં ઈરાન સારી રીતે ખુવાર થયું હતું. ઈરાને સ્વબચાવ માટે અણુ કાર્યક્રમ હાથ ધર્યો તો અમેરિકાએ તેનો વિરોધ કરીને પ્રતિબંધો મૂક્યા. બે દાયકાથી ઈરાન લશ્કરી તેમ જ વાણીજ્ય વ્યાપારમાં પ્રતિબંધિત છે અને તેને કારણે પણ ઈરાન અંદરથી તૂટી ગયું છે. ઉત્તર ઈરાનમાં કુર્દ નામનાં કબીલાઈ લોકો ઈરાન સામે સંઘર્ષ કરી રહ્યા છે.
હવે કલ્પના કરો કે ઈરાનની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો આટલાં સંકટોનો સામનો કરતા રહીને ચાર દાયકા સુધી ટકી રહે ખરો? દેશમાં અરાજકતા પેદા થાય અને અંદરથી સડેલાં ફળની માફક ખરી પડે. પણ ઈરાનની બાબતમાં એવું બન્યું નથી. શા માટે? યુદ્ધખોરોએ આ પ્રશ્ન યુદ્ધ કરતાં પહેલા પોતાને પૂછવો જોઈએ. એવું શું છે ઈરાનમાં કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ૬૬ નાગરિકોને ૪૪૪ દિવસ સુધી બંધી રાખે? એવું શું છે ઈરાન પાસે કે અમેરિકા સામે ૧૯૭૯(૪૭ વરસ)થી ઝીંક ઝીલી રહ્યું છે? એવું શું છે ઈરાનમાં કે ઈરાક સામે (ઈરાક તો પ્રોક્સી હતું, અમેરિકા સામે) આઠ વરસ લડીને પણ અડીખમ ઊભુ રહ્યું. એવું શું છે ઈરાનમાં કે અમેરિકાના વિરોધ છતાં ય અણુ કાર્યક્રમ અમલમાં મૂક્યો અને આજે અણુ બોંબ બનાવવાની નજીક પહોંચી ગયું હોવાનું કહેવાય છે. એવું શું છે ઈરાનમાં કે ૧૯૭૯થી (વચ્ચે બે-પાંચ વર્ષના બે ત્રણ અપવાદ છોડીને) અમેરિકન અને અમેરિકાના મિત્ર દેશોના આર્થિક અને અન્ય પ્રતિબંધો છતાં ઈરાન હજુ સુધી અડીખમ છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. એવું શું છે ઈરાનમાં કે એ તૂટતું નથી?
એક કારણ તો એ છે કે અખાતી મુસ્લિમ દેશોમાં ઈરાન એક માત્ર એવો દેશ છે જેની પ્રાગ ઇસ્લામિક અસ્મિતા પ્રબળ છે. ઈરાન શબ્દનો અર્થ જ આર્ય થાય છે. મામુલી પરિવર્તન સાથે કોઈ ભાષા જો બે હજાર વરસથી એકધારી વપરાશમાં હોય તો એવી વિશ્વની બે-ત્રણ ભાષામાં એક પર્શિયન ભાષા છે. જેની હયાતી પ્રબળ હોય એની જિજીવિષા પણ પ્રબળ હોય. તો આ એક કારણ થયું. બીજું કારણ એ કે એકલા પડી ગયેલા કે પાડવામાં આવેલા ઈરાન પાસે ટકી રહેવા માટે ભૂખ્યા રહીને પણ લશ્કરી તૈયારી કરવા સિવાય કોઈ છૂટકો નહોતો. માર્યા વિના મરશું નહીં એ ઈરાનનો રાષ્ટ્રમંત્ર છે. ઈરાન પાસે તેલ છે અને ઈરાન એ તેલ ચીનને (ભલે સસ્તે ભાવે) વેચીને પૈસા કમાય છે. અમેરિકાના પ્રતિબંધને ચીન ગણકારતું નથી અને અમેરિકા ચીન સામે કાંઈ કરી શકતું નથી. રશિયા પાછળ રહીને ઈરાનને લશ્કરી મદદ કરે છે. પણ આ બધાં કારણોમાં મુખ્ય કારણ બે છે : એક પ્રબળ હયાતીની પ્રબળ જિજીવિષા અને બીજું માર્યા વિના મરશું નહીં એવો રાષ્ટ્રમંત્ર. મરવાનું હશે તો મરીશું, પણ દુશ્મનને મારીને. ટ્રમ્પ બાબા અને તેમના જેવા જ તેમના સહાયકોએ (જેવો વરરાજા એવા જાનૈયા) આ બધું વિચાર્યું નહોતું એટલે સંકટ પેદા કરીને તેમાંથી નીકળવું કઈ રીતે તેનો પ્લાન બી બનાવ્યો નહોતો.
અમેરિકા-ઇઝરાયેલે ઈરાની નેતૃત્વ પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા ત્યારે ગણતરી એવી હતી કે ઈરાન અંદરથી વિખરાઈ જશે, પણ એવું બન્યું નહીં. હવે શું કરવું? ઇઝરાયેલે ઈરાનનાં તેલમથકો પર હુમલા કર્યા. ગણતરી એવી હતી કે તેલ જો ઈરાનને ટકાવી રાખતું હોય તો એ કમર તોડી નાખીએ. મને એમ લાગે છે કે જેમ હિટલરે રશિયા પર હુમલો કરવાની છેલ્લી ભૂલ કરી હતી એમ નેતાન્યાહૂની આ છેલ્લી ભૂલ હતી. લશ્કરી યુદ્ધ તેલયુદ્ધમાં ફેરવાઈ ગયું. હવે ઈરાન મરણિયું થઈ ગયું છે. તમને અને ચૂપ રહીને તમાશો જોનારી આખી દુનિયાને ડૂબાડીને ડૂબીશું. જગત બળતણનાં સંકટનો સામનો કરી રહ્યું છે.
હવે શું થશે? કોઈ કશું જ કહી શકે એમ નથી. જવાહરલાલ નેહરુ જેવો કોઈ અવાજ પણ નથી જેની વાત જગત સાંભળે. આશ્ચર્યની વાત છે કે અમેરિકાના ચાર ચાર વિદ્યમાન ભૂતપૂર્વ પ્રમુખો તેના ગાંડા અનુગામીએ અમેરિકાને કારણ વગર યુદ્ધમાં હોમી દીધું પણ એ છતાં ય કશું બોલતા નથી. ચીન અને રશિયા પાછળ રહીને ઈરાનને મદદ કરે છે અને અમેરિકાને પાયમાલ થતું જુવે છે. અખાતી દેશો અને અમેરિકાના મિત્ર દેશો ટ્રમ્પની ગુહાર છતાં ય અમેરિકાને મદદ કરવા આગળ આવતા નથી. ઇઝરાયેલ વિસ્તરવાની તક છોડવા માગતું નથી અને ઈરાન મરીને મરવા તૈયાર છે. આમાં સપડાયેલું છે અમેરિકા.
તો લેસન એ છે કે શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ, પોતાની જગ્યાએ દેશહિતનું વિચારતો હોવો જોઈએ. આત્મમુગ્ધ અભિમાની અને ગાંડા શાસકો દેશની આવી દશા કરે. હવે પછી થશે શું ખબર છે? હવે પછી જગતમાં અમેરિકાની એ વગ અને પ્રતિષ્ઠા નહીં હોય જે ઈરાન સાથે યુદ્ધ કરતાં પહેલાં હતી. ઈરાન કેસરિયા કરી રહ્યું છે અમેરિકા આત્મઘાત.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 022 માર્ચ 2026
![]()


