નિર્દેશક પા. રંજીથ[Pa. Ranjith]ની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યાર સુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા. રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદfdભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.
‘કાલા’માં ઇન્દ્રધનુષના રંગો છે અને સંગીત પણ છે, સુંદર પ્રેમ કહાની છે અને નાયકની મારધાડ પણ છે. ફિલ્મમાં સ્લો-મોશન અને સ્પેિશયલ ઇફેક્ટ્સ, ટેક્નિકનો યોગ્ય ઉપયોગ કરીને ડિઝાઇનર ફાઈટ સિક્વન્સની રચનાથી લઈને એનિમેશન સુધીનો ઉપયોગ અહીં જોવા મળે છે. સિનેમાની ભાષામાં ‘કાલા’ એક મસાલા ફિલ્મ છે કે જેમાં ભરપૂર સંયોગ અને મેલોડ્રામા છે. પ્રતિબિંબ એ જ છે પણ તેનો અર્થ વિપરીત છે, સંત કબીરની રચનાઓની માફક. આ ફિલ્મ લોકપ્રિય સિનેમા માટે જાણે કે એન્ટી-થીસિસ છે. ફિલ્મના વિસ્મયકારી અંતમાં જ્યાં એકબાજુ રામાયણની કથાનું વાંચન ચાલી રહ્યું છે, જ્યારે બીજીબાજુ ધારાવી ઝૂંપડપટ્ટીના બહુજન મહાનાયક કાલા કરિકાલન (રજનીકાંત) જે રીતે કથાથી પર જઈને તે વૈચારિક યુદ્ધનું પ્રતીક બની જાય છે કે જે વર્તમાન શહેરી ભારતથી લઈને દંડકારણ્યના જંગલો સુધી જોવા મળી રહ્યું છે. એવું યુદ્ધ કે જે જમીનનાં કબ્જા માટે સવર્ણ રાજ્યસત્તા અને બહુજન સમાજની વચ્ચે લડાઈ રહ્યું છે. સવર્ણ કોર્પોરેટ સત્તા માટે આ જમીન તાકાત છે, બહુજન સમાજ માટે આ જમીન તેમનું જીવન છે. રામાયણમાં રજૂ થયેલા રાવણના દસ મસ્તિષ્ક અહીં બહુજન સામૂહિકતાનું પ્રતીક બની જાય છે, જો એક મસ્તિષ્ક કપાશે તો બીજું તરત જ ઊગી આવશે.
ફિલ્મનો નાયક કાલા કહે છે કે બહુજનનું અંતિમ હથિયાર એ તેઓનું શરીર છે. આખા શહેરનું રોજિંદુ ચક્કર એ માત્ર તેમની મહેનતના બળ પર ચાલે છે. અંતે, ધારાવીમાં રહેનાર તમામ માણસો પણ પોતે કાલા જ છે. અહીં વિલન ‘ક્લીન કન્ટ્રી’ અભિયાન ચલાવનાર અને ‘ડિજીટલ મુંબઈ’નું સ્વપ્ન વેચનાર એક એવો રાષ્ટ્રવાદી રાજનેતા છે કે જેનો ચહેરો શહેરના લગભગ દરેક પોસ્ટર પર જોવા મળે છે. કાલા પોતાનાથી નાનાં લોકોને પણ સામેથી હાથ લંબાવીને મળવા જાય છે અને સમાનતાનો સંબંધ કાયમ કરે છે, જ્યારે ફિલ્મમાં રાજનૈતિક પાર્ટીનો નેતા ચરણસ્પર્શની અસમાનતાની રૂઢિમાં બંધાયેલો છે અને તે એક એવા ભારતની રચના કરવા માંગે છે કે જેમાં તમામ વિપક્ષીને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરનાર ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે.
અહીં કાળો રંગ મહેનતના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાલા આંબેડકરવાદી પ્રતીક અને ઓળખોથી ભરપૂર ફિલ્મ છે, ભીમા ચાલનું સરનામુંથી લઈને જય ભીમના અભિવાદન સુધી, ભીમજીથી લઈને લેનિનના નામ સુધીનું યુવા પાત્ર કાલાની સાથે સંઘર્ષમાં સાથ આપતું જોવા મળે છે. ફિલ્મમાં નાયક કાલાનો સૌથી નાનો પુત્ર ‘લેનિન’ ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે, તે ફિલ્મનો યુવા નાયક છે. દલિત સમાજની શિક્ષિત ચેતનવંતી નવી પેઢીનો પ્રતિનિધિ, અને હવે તે પોતાના અધિકારોને સંવૈધાનિકરીતે પ્રાપ્ત કરવા માંગે છે. લેનિન એ તેના પિતા કાલાનો વૈચારિક ઉત્તરાધિકારી છે. કાલા પોતે પણ દલિત અસ્મિતાનું જીવંત પ્રતીક છે, અને ફિલ્મના એક રોમાંચક એક્શન દૃશ્યમાં કાલા તેના હાથમાં રહેલી કાળી છત્રીને હથિયાર બનાવીને લડતો જોવા મળે છે કે જેનાથી તેની વર્ગીય ઓળખ પણ સ્પષ્ટ થાય છે કારણ કે, અહીં કાળી છત્રી એ મુંબઈના મજૂર વર્ગનું સિનેમા સંલગ્ન પ્રતીક છે. કાલાનો રંગ જો વાદળી છે તો લેનિનનો પ્રતિનિધિ રંગ લાલ છે.
ફિલ્મમાં લેનિન નામનું યુવા પાત્ર પોતાની ઝૂંપડપટ્ટીની હાલત સુધારવા માંગે છે, પોતાનું નસીબ પણ બદલવા ઈચ્છે છે. પણ, તે સત્તા દ્વારા વેચાઈ રહેલ ‘રિડેવલપમેન્ટ’ના પ્લાનની સાચી હકીકતને સમજી શકતો નથી. પણ, આ જમીન પર વર્ષોથી મહેનત અને સંઘર્ષ કરી રહેલ કાલા અને તેના સાથીઓએ આ સવર્ણ સત્તાના જૂઠ્ઠા વાયદાઓને નજીકથી પારખી લીધા છે અને તેનો ભોગ પણ બન્યા છે. અને તેઓ જાણે છે કે આ અમારી પંચોતેર એકરની જમીન પર ગોલ્ફ કોર્સ બનાવનાર ‘મનુ બિલ્ડર્સ’ની યોજનાઓમાં તેમના જેવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. રાજ્યસત્તા, અને તે દ્વારા વેચવામાં આવનાર ‘વિકાસ’ના નારાઓમાં અસલી સવર્ણ ચહેરાઓ ધીરે-ધીરે ઓળખાવા લાગે છે અને અંતમાં કાલા જ યોગ્ય સાબિત થાય છે. ફિલ્મમાં એક બાજુ લેનિનને કાલાના મૌલિક વૈચારિક ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે બીજીબાજુ આ અસમાનતાના સમાજમાં તેના શુદ્ધ ડાબેરી આદર્શો પર ઊભેલી વર્ગીય સમજણની સીમાઓને પણ ચિહ્નિત કરે છે. સારુ છે કે આ ફિલ્મ હિન્દી સિનેમામાં અગાઉ માર્ક્સવાદી લેખકો દ્વારા રચવામાં આવેલ એક ચોક્કસ પ્રકારની સમજણમાં બંધબેસતી નથી કે જેમાં અગાઉ જાતિની સમસ્યાને ક્લાસ પ્રોબ્લેમની એક બાય પ્રોડક્ટ તરીકે જોવામાં આવતી હતી.
ફિલ્મ ‘કાલા’ વૈચારિક સંપન્નતા પ્રાપ્ત કરેલ દલિત યુવાનનું ભવિષ્ય છે, વાદળી અને લાલ આ બંને રંગ તે વૈચારિક પડકારોનું પ્રતીક છે કે જેનાથી સવર્ણ-કોર્પોરેટ સત્તાને ઉખેડી ફેંકવાની વાત છે, અને કાલા તેનું પ્રતીક છે. અહીં સહાનુભૂતિથી સ્વાનુભૂતિની વાત છે, અહીં ‘દલિત નજર’ છે, જે દેશનાં લોકપ્રિય સિનેમામાં હજુ સુધી અનુપસ્થિત છે.
[અનુવાદ – નિલય ભાવસાર]
e.mail : nbhavsarsafri@gmail.com
![]()



થિયેટરની દુનિયાથી બહાર લોકપ્રિય સિનેમા જગતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચનની સાથે ભજવેલી જોડીદાર ભૂમિકાઓ થકી ઓળખ પ્રાપ્ત થઈ. જેમાં અમિતાભ મુખ્ય પ્રદર્શનકારી ‘વિજય’ની ભૂમિકામાં હતા અને શશી કપૂર તેમના ‘અન્ય’ નૈતિક હતા. સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’ ખરેખરમાં વધુ એક જૂની સિનેમા ક્લાસિક ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને નવી પરિસ્થિતિઓમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે કે જેમાં સુનીલ દત્તે ભજવેલું વિદ્રોહી પાત્ર ‘બિરજૂ’ અમિતાભના ભાગમાં આવ્યું હતું. પણ, અહીં નરગિસનાં પાત્રની નૈતિક દુવિધાઓને શશી કપૂરના ‘રવિ’એ ઓઢી લીધી હતી.

અને આ બંને ફિલ્મ્સની વચ્ચે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ પણ મારી સૌથી પસંદગીની ફિલ્મ છે. ૧૯૮૦નાં દાયકા દરમિયાન જ્યારે શશી કપૂરના સમકાલીન મહાનાયક અમિતાભ ‘મર્દ’ અને ‘જાદૂગર’ જેવી ફિલ્મ્સ કરી રહ્યાં હતાં ત્યારે શશી કપૂર એક નવાં નિર્દેશક રમેશ શર્માની સાથે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ જેવી લાજવાબ ફિલ્મ કરી રહ્યાં હતાં. જો આ ફિલ્મની આપણે કુંદન શાહની કલ્ટ ક્લાસિક ‘જાને ભી દો યારોં’ની સાથે સરખામણી કરીએ તો આ બંને વર્ષ ૧૯૮૦નાં દાયકાની મોહભંગની કથા છે, જે પત્રકારિતામાં સંલગ્ન ઈમાનદાર નાયકની મારફત કહેવામાં આવી રહી છે.
શશી કપૂર પર લેખક અસીમ છાબરા દ્વારા લખવામાં આવેલું અદ્દભુત પુસ્તક ‘શશી કપૂર : ધ હાઉસહોલ્ડર ધ સ્ટાર’માં શશી કપૂરની સાથે કોઈ સીધો વાર્તાલાપ નથી. ગત કેટલાંક વર્ષોમાં તબિયત નાજુક હોવાને કારણે શશી કપૂરની સાથેનો અસીમ છાબરાનો સીધો સંવાદ સાધી શકાયો નથી. પણ, એક રસપ્રદ કિસ્સો કપૂર ખાનદાન પર પ્રમાણિક પુસ્તક લખનાર મધુ જૈનનાં પુસ્તક સાથે જોડાયેલો છે કે જેનો પ્રસ્તાવ લઈને તે શશી કપૂર પાસે ગઈ હતી. તે સમયની સૌથી ચર્ચિત સિનેમા પત્રકાર, ઇન્ડિયા ટૂડેની સાથે જોડાયેલી મધુ જૈન પોતાનાં ઝીણવટપૂર્વક લખેલાં પુસ્તક ‘કપૂર્સ’ની ભૂમિકામાં જણાવે છે કે તે ખરેખર તો શશી કપૂરની આત્મકથા લખવાનો પ્રસ્તાવ લઈને તેમની પાસે ગઈ હતી. પરંતુ, તરત જ શશી કપૂરે આ પ્રસ્તાવનો હસતા-હસતા અસ્વીકાર કર્યો અને કહ્યું કે પિતાજી પૃથ્વીરાજ કપૂર અને મોટા ભાઈ રાજ કપૂર જેવી પ્રતિભા આ ઘરમાં છે ત્યારે કોઈ કેવી રીતે તેમના પોતાના પર આ રીતે સ્વતંત્ર પુસ્તક લખી શકે. તેઓ જે નિસ્વાર્થથી ‘સ્પોટલાઈટ’ને છોડીને આગળ વધતા તે જ તેમના સૌથી ઉજળા પારસમણિની ચમક હતી.