સોશિયલ મીડિયા પર બરફના તોફાન પેઠે કે પછી જંગલના દવની જેમ કહો કે ચાલુ બીજગણિતને ઓળાંડીને વેગે વાઈરલ થયેલી પારુલ ખખ્ખર બાની વાંચી તમે?
એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
‘તમારાં મસાણ ખૂટ્યાં’ ને ‘અમારા ડાઘુ ખૂટ્યા’ એ ધાટીએ હાલની અનવસ્થા, એકંદર ગેરવહીવટ અને બેતમા તંત્ર (નેતૃત્વ) વિશે વાત કરતાં પારુલ છેલ્લી પંક્તિઓમાં એક રીતે પરાકાષ્ટાએ પહોંચે છે :
રાજ, તમારાં દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
પારુલે ‘હોય મરદ’ એમ હાકલ કરી છે, પણ ઘણા બધા મરદોની મર્દાનગી આ ગાળામાં ટ્રૉલબહાદુર તરીકે પ્રગટ થતી માલૂમ પડી છે. ટ્રૉલટ્રૉલૈયાએ બોલાવેલી કથિત ધડબડાટી – ‘કથિત’ એટલા માટે કે એમાં કોઈ ધારાધોરણનો સવાલ અગરાજ છે – કદાચ, એ હકીકતની સાહેદીરૂપ છે કે પારુલની રચનામાં થયેલું અકેકું વિધાન વિગતસિદ્ધ છે, અને એનો હકીકતી પ્રતિવાદ શક્ય નથી.
અંગત રીતે, મને લાગે છે, પારુલે ‘મરદ’ પર ભાર મૂકવાપણું નહોતું. હાન્સ ક્રિશ્ચન એન્ડરસને આ જવાબદારી બાળકને ભળાવી હતી એમાં એક ઔચિત્ય હતું. યશોદાએ બાલકૃષ્ણના મુખમાં માટીનો લોંદો પકડવા કર્યું ત્યારે વિકાસિતે શિશુમુખે બ્રહ્માંડ દેખાયું હતું એવું જે ઋષિવિધાન તે એન્ડરસનની દેખીતી બાળવારતા (ખરું જોતાં પરીકથા) માંહે પ્રગટ થવા કરે છે.
સલિલ ત્રિપાઠીએ આ રચના અંગ્રેજીમાં ઉતારી તો પ્રહર વોરાએ કંઠમાં ! ભાઈ, સલિલ કે પ્રહર કે પ્રકાશ બધા જાણે છે કે અમે કોઈ ગટે નથી અને પારુલ કોઈ કાલિદાસ નથી કે શાકુન્તલ માથે મૂકીને નાચવાનું હોય. પણ ખેવના દેસાઈએ એડ્ગર એલન પોને [Edgar Allan Poe] ટાંકીને કહ્યું છે તે સૌ સમજી શકીએ તો પત્યું :
Words have no power to impress the mind without the exquisite horror of their reality.
If it wasn’t for the horrific reality, those words wouldn't have created the stir.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16
 ![]()


મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.
સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.