આજકાલ મોટા ભાગનાં સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં, કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન થાય છે, એવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. શરીરમાં ચુંબકીય ક્ષેત્રનું કારણ કોરોનાની રસીને બતાવવામાં આવી રહ્યું છે, જે તદ્દન અંધશ્રદ્ધાભર્યા સમાચાર છે.
આ ઘટનાની પાછળ વિજ્ઞાનનું સાચું કારણ જાણવાથી ખ્યાલ આવે છે કે આ એક સામાન્ય ઘટના છે અને તે બધા માટે સમાન રીતે શક્ય છે.
હવે વિજ્ઞાનની વાત કરીએ. સૌ પ્રથમ, જો શરીરમાં ચુંબકત્વ પેદા થતું હોય, તો માત્ર લોખંડની વસ્તુ જ ચોંટે. પરંતુ અહીં લોખંડ સિવાય ટી.વી.-રિમોટ, મોબાઇલફોન, સ્ટીલની ચમચી અને સિક્કાઓ ચોંટે છે, તેથી ચુંબકત્વને આની સાથે કોઈ લેવાદેવા નથી. જેમના ઘરમાં ચુંબક હોય એ લોકો પ્રયોગ કરીને જાતે ચકાસણી કરી શકે છે.
બીજું, આપણા લોહીમાં અમુક ટકા લોહ પણ હોય છે. તેથી જો શરીરમાં ચુંબકત્વ પેદા થાય, તો લોહીના રુધિરાભિસરણ તંત્રમાં પણ ફરક પડી જાય. ટૂંકમાં રસી અને શરીરમાં ચુંબકત્વને કાંઈ લેવાદેવા નથી.
જે લોકો મૅગ્નેટમેન બની ગયા છે તે બધાને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે શરીરના જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં આવી વસ્તુઓ ચોંટેલી દેખાય છે. એટલે કે જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં ચામડી ખૂબ જ લીસી હોવાના કારણે તેમના શરીર ઉપર આવી બધી વસ્તુ ચોંટે છે. સ્ટીલનાં વાસણો, સિક્કા, રિમોટ કે મોબાઇલ જેવી વસ્તુઓની સપાટી પણ લીસી હોય છે.
અત્યારે વરસાદની તૈયારી છે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે, તેથી શરીર ઉપર પરસેવો વધુ થાય અને ચિકાસ જેવું થઈ જવાને કારણે સરફેસટૅન્શન ખૂબ જ વધી જાય છે. ગુજરાતીમાં તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી કોઈ વસ્તુ ચીપકી જાય એમાં કોઈ ચમત્કાર નથી. અને હા, અહીંયાં વસ્તુઓ ચોંટી જતી નથી, પણ પૃષ્ઠતાણને કારણે થોડોક સમય ચામડી પર ટકી જાય છે. અને શરીરના જે ભાગ ઉપર રૂંવાટી હોય છે, ત્યાં પૃષ્ઠતાણ નહીંવત્ હોય છે, તેથી ત્યાં આવી વસ્તુઓ ચોંટી જતી નથી. આમ, કોરોનાની રસીને કારણે આવું થાય તે વાતમાં કોઈ તથ્ય નથી.
આપ સૌને યુનિવર્સ સાયન્સ ફોરમ તરફથી ખાસ વિનંતી કરીએ છીએ કે વર્તમાનપત્રો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં મૅગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં, અંધશ્રદ્ધામાં ફસાશો નહીં, કોરોનાની રસી જલદીથી લઈ લેશો.
યુનિવર્સ સાયન્સ ફોરમ, મો. ૯૯૦૯૧ ૮૯૯૬૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 15