સાર્થક સંવાદ શ્રેણી : * ઉર્વીશ કોઠારી *
પ્રકાશભાઈ મારા માટે અજાણ્યા નથી. એમને નીમુકાકી, ઈલાબહેન – સારાબહેન અને ‘અવાજ’, “નિરીક્ષક”, “દિવ્ય ભાસ્કર”, નયનાબહેન, મનીષા, અનસૂયાભાભી અને હવે ઉર્વીશ કોઠારીના આ પુસ્તકની નજરે જોઈ, વાંચીને કે સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો છે, જેની અહીં પ્રસ્તુતિ.
પહેલી વાર એમને અનાયાસે વલસાડમાં મળવાનું બનેલું. મને એવું ફોમ છે કે આવકારના રાજેન્દ્ર આચાર્યે એમનું વક્તવ્ય રાખેલું. એમણે વલસાડમાં ઘાસવાલા બહેનની તપાસ કરી એટલે રાજેન્દ્રભાઈએ વલસાડમાં સહજપણે લોકો મને ઓળખે તેથી માની લીધું કે તેઓ મને યાદ કરે છે, પરંતુ તેઓ મને નહીં, મારા કાકીજી નીમુબહેનને યાદ કરતા હતા. પરંતુ અમારે ઓળખાણ થઈ ગઈ. પછી મેં નીમુકાકીને વાત કરી કે “નિરીક્ષક”વાળા પ્રકાશભાઈ તમને યાદ કરતા હતા એટલે કાકી કહે કે હેં પ્રકાશ આવેલો? એ તો અમારો બાળપણનો પડોશી. આમ પ્રકાશભાઈ વધારે જાણીતા બન્યા.
ઈલાબહેન સાથે અમે ઘણી ચર્ચા કરતાં એટલે “નિરીક્ષક” તો વાતમાં આવે જ. એ સમયે મને પ્રકાશભાઈના સંઘ સાથેના ભૂતકાળના સંબંધોની ખબર ન હતી જેટલી ઉર્વિશના વાર્તાલાપથી ખબર પડી. મેં તો ત્યારે જ ઈલાબહેનને એવું કહી પાડેલું કે તમે સ્થાપિત હિતોની સામે એટલે કે સરકાર સામે ભલે સ્ત્રીઓના મુદ્દા પર મનમાં આવે તે બોલો કે લખો પણ યાદ રાખજો કે પ્રકાશ શાહનો વાળ વાંકો નહીં થાય પણ આપણી બાય ન બોલાય જાય! ઈલાબહેન કહેતાં કે એ તો અતિ વિશ્વસનીય વ્યક્તિ છે. ઈલાબહેન ગયાં પછી સારાબહેન પણ ખૂબ માનપૂર્વક એમને અવાજના સહ્યદય મિત્ર તરીકે યાદ કરે. આ અરસામાં મને પણ “નિરીક્ષક”માં લખવાનો મોકો મળતો રહ્યો એટલે પ્રકાશ શાહ પર વિશ્વાસ વધ્યો, બાકી પુરુષો માટે મારી સામાન્ય છાપ એવી કે તેઓ વિચારણીય બાબતે સ્ત્રીઓને ખાસ ગણે નહીં! આટલા પ્રલંબ વાર્તાલાપમાં એ મુદ્દો મને દેખાયો પણ ખરો. નયનાબહેન, સુવર્ણા અને મંદાબહેન અલપઝલપ દેખાયાં બાકી તો સ્ત્રીઓ ગેરહાજર! જરૂર લાગી ત્યાં સૂચેતાબહેન કે ઇન્દિરાજી આવ્યાં ખરાં પણ નોંધનીય રીતે નહીં! ગુજરાતના રાજકારણ અને જાહેરજીવનમાં કદાચ સ્ત્રીઓ ઓછી એટલે પણ હોય.
વાત તો નયનાબહેનને કરવી જોઈએ. આમ તો હું એમને મળી છું ને ફોન પર વાત કરી છે પણ એ સંબંધ ગાઢ ન કહેવાય તો પણ મને એટલી છાપ તો પડેલી કે નયનાબહેન પ્રકાશભાઈ માટે વધારે સમર્પિત અને નિસબત રાખે. આ પુસ્તકમાંથી પસાર થતાં એ છાપ ખાતરીમાં બદલાઈ ગઈ. પ્રકાશભાઈ માટે મને વાર્તાલાપને અંતે એવી છાપ પડી કે આ નરસિંહ મહેતાના અવતાર સાથે નયનાબહેને સંસાર માંડવાનું પસંદ કેમ કર્યું હશે? મારી સમજ મુજબ પ્રકાશભાઈ ભલું થયું ભાગી જંજાળની માનસિકતા ધરાવે, જો કે સુખે ભજીશું શ્રી ગોપાળ ન કરે તે સો ટકા સાચું. હરિને કરવું હોય તે કરે તેમાં ન માને પણ હાથમાંથી સરી જતી રેતીની જેમ બધું સરી જાય કે જાતે સેરવી મૂકે તો તેની તકેદારી ન રાખે એટલા નિસ્પૃહી તો ખરા.
પત્રકારત્વ, ચિંતન, રાજકારણ અને સમાજકારણમાં સંકલન એવી એવી અનેક ભૂમિકા ભજવીને અત્યારે તેઓ જ્યાં છે ત્યાં એમને કઈ રીતે જોવા? તેઓ તો કહે છે કે મને રસિકજણ તરીકેની ઓળખ ગમે, પરંતુ એક વાત નક્કી છે કે તેઓ પોતાને માને એટલા રસિક નથી બલકે ગંભીર રીતે વિચારનાર, આગળ જોનાર, સાંપ્રત પરિસ્થિતિને તટસ્થતાથી મૂલવનાર ચિંતક છે. ઉર્વીશે એમની સાથે દેશ અને ગુજરાતના રાજકારણની અનેક મહત્ત્વની ઘટનાઓ અને તે સાથે સંકળાયેલી વ્યક્તિઓ વિશે નિખાલસ અને પારદર્શક વાતો કરી છે. નવનિર્માણ, કટોકટી, જેલવાસ, નાગરિક ચળવળો, રાષ્ટ્રીય નેતાઓ સાથે સંબંધો, પત્રકારત્વ આ વિષયે એમનો અનુભવ વ્યાપક અને સમૃદ્ધ રહ્યો તે તો અહીં સમજાય છે. જે.પી., મોરારજીકાકા, ગોએન્કાજી, જયંતિ દલાલ, બી.કે. મજૂમદાર, નગીનદાસ પારેખ, મનુભાઈ જેવા અનેક મહાનુભાવો સાથેના સંભારણા રોચક છે.
સરેરાશ છાપ જે ઊભી થાય તે એ કે પ્રકાશભાઈના સંબંધો બધા સાથે એટલે કે બિનસાંપ્રદાયીક વલણ રાખનાર, સર્વોદય, જનસંઘ, કૉન્ગ્રેસ એમ સૌ સાથે પણ એ કંઠી બાંધનાર નહીં એટલે એ સૌના અને કોઈના નહીં. પત્રકારત્વ કે જાહેરજીવન બન્ને ક્ષેત્રે એમને સહજ રીતે રાજકારણ રમનારાનો સામનો કરવાનો આવે પણ આ ભાઈ તો ત્યાંથી રસ્તો આપીને ખસી જાય એટલે હાંસિયામાં રહે અને એમને એવું રહેવાનું ગમતું હોય તેવી છાપ ઊભી થાય. અત્યારના ગુજરાતને જોઈએ તો મને તો એવું લાગે છે કે હવે તો હાંસિયો પણ રહ્યો નથી! જો કે રાજકારણ મારો વિષય નથી એટલે એમાં મારી છાપ વિશે વાત કરવી નથી. હકીકતમાં ઉર્વીશનો ઝોક પત્રકારત્વ અને જાહેરજીવનમાં સંતુલન અને એમની નિજી ગતિવિધિ વિશે વધારે રહ્યો છે. નરેન્દ્રભાઈ વિશે એક પ્રકરણના શીર્ષકમાં ઉલ્લેખ છે પરંતુ વિશદ ચર્ચા નથી. આ બાબતે કટોકટી, નવનિર્માણ, જેલવાસ, સંઘ પરિવાર, સર્વોદય વગેરે સંબંધિત મુદ્દે એમની સાથે વર્તમાન સમયની તુલનાત્મક ચર્ચા થઈ શકે પરંતુ એવું બને કે તેમાં મારા જેવી ગૃહિણીનું મંતવ્ય પસંદ ન પડે! (તે સમયે હું ગૃહિણી જ હતી.) નવનિર્માણ અને કટોકટી સમયનો ખ્યાલ વલસાડમાં અમને અમૂલકાકાકાને લીધે ખરો એટલે મનમાં કોઈને પણ માટે એ જ વિચાર આવે કે કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ ….. અને બીજું વાક્ય એ જ ઊગે કે હાથના કર્યા હૈયે વાગ્યા! એમાં વધારે કાંઈ લખવું બોલવું નથી.
અમારાં ઘરમાં વાચકોની સંખ્યા સારી. એક દિવસ મારાં જેઠાણી અનસૂયાભાભી મને કહે કે બકુ, તું આ પ્ર.ન.શા ને ઓળખે કે? મેં કહ્યું કે હા, પણ મારા કરતાં વધારે નીમુકાકી ઓળખે. એટલે એ કહે કે મારે તો એમને એક સંદેશો પહોંચાડવો છે કે એઓ કઈ ગુજરાતીમાં લખે છે તે સ્પષ્ટ કરે! હું એમનું ગુજરાતી સમજી શકતી નથી! જો કે મને ખાતરી હતી કે એમાં બદલાવ આવવાનો નથી એટલે મેં વધારે મહેનત કરી એમને સલાહ આપેલી નહીં. ઉર્વીશે એમની લેખનશૈલી વિશે પુસ્તકમાં ચર્ચા કરી છે એટલે જવાબ મળી જાય છે. આ દરમ્યાન જ “નિરીક્ષક”નો તાજો અંક મળ્યો. જશવંતભાઈ, ડંકેશભાઈ, પ્રશાંત દયાળના લેખો વાંચી એક છાપ પડે જ કે પ્રકાશભાઈ ટીકાટીપ્પણ કે પ્રશંસાને ખેલદિલીથી લે એમાં મીનમેખ ફેર નહીં. એમના પરનું તહોમતનામું, પુસ્તકમાં ઉર્વીશે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા, ગુણવંતભાઈ વિશે કરેલ પ્રશ્નો કે નુકતેચીની સાથે અમુક રીતે સંમત થવાય તેવું છે. “નિરીક્ષક”માં ગુણવંતભાઈ વિશે ટીકાટીપ્પણની તેઓ એટલી ફાળવણી કરતા કે આપણને અતિરેક લાગે. એક વાર રમેશભાઈ આચાર્ય ( ગુણવંતભાઈના ખાસ મિત્ર) મને કહે કે આ વખતે “નિરીક્ષક”માં ગુણવંતભાઈ વિશે જે છપાયું છે તે માટે તું કંઈક લખ. (અત્યારે મને તે વિગતો યાદ નથી.) મેં એમને કહેલું તે યાદ છે કે ગુણવંતભાઈએ કે આપણે બોધર કરવાની શું જરૂર છે? હવે ગુણવંતભાઈ આ બધાંથી પર રહે તે જ સારું કારણ કે એમનો વાચક વર્ગ તો હવે અસંખ્ય થઈ ગયો છે. તમે જોજો કે ટૂંક સમયમાં બધું બંધ થઈ જશે. યોગાનુયોગે ધીમે ધીમે બંધ થયું પણ ખરું. જશવંતભાઈ, આવું જ નરેન્દ્રમોક્ષ માટે પણ થશે તેની મને ખાતરી છે કારણ કે અમુક લોકોની સામાન્ય વ્યક્તિઓ સુધી એટલી પહોંચ થઈ જાય છે કે પછી તેઓ ટીકાટીપ્પણથી પર થઈ જાય છે.
આ નાનકડું પુસ્તક અને “નિરીક્ષક”નો ૧/૮/૨૦૧૯નો અંક સાચા અર્થમાં પ્રકાશોત્સવને ન્યાય આપે છે. બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી નથી પરંતુ એ તો વાચકના નીરક્ષીર વિવેક પર છોડવાનું વલણ છે એવું મને સમજાયું. હું પણ ડંકેશભાઈની જેમ આશા રાખીશ કે એમના કેટલાક સમજાય તેવા ઉત્તમ લેખોનો સંચય પ્રકાશિત થાય.
વાંચવા જેવું અને નવી રીતે લખાયેલું વ્યક્તિ ચરિત્ર.
વલસાડ
પ્રકાશ ન. શાહ – માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિવિશેષના જીવનસર્જનનું અંતરંગ આલેખન : સાર્થક પ્રકાશન : કિંમત :₹ ૧૫૦ : મુખ્ય વિક્રેતા : બુક શેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦ ૦૦૯