Opinion Magazine
Number of visits: 9446694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વેચ્છામૃત્યુનો વિવાદઃ જીવન સંકેલવાનો હક અને કાયદો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|23 March 2018

કોઈ વ્યક્તિ લાંબા સમયથી વૅન્ટિલેટર જેવી, શ્વાસ ટકાવી રાખવાની પ્રણાલિના ટેકે ‘જીવતી’ હોય, તો તેને આ ટેકો ન સ્વીકારવાનો અધિકાર


ગયા સપ્તાહે ભારતની સર્વોચ્ચ અદાલતે સ્વેચ્છામૃત્યુ જેવા કાનૂની તેમ જ સામાજિક રીતે અત્યંત વિવાદાસ્પદ મનાતા ગઢની ડોકાબારી ખોલી. અત્યાર લગી ગઢના દરવાજા ભિડાયેલા હતાઃ મૃત્યુ કુદરતી ક્રમમાં, માણસના કોઈ પણ પ્રયત્ન વિના જ હોવું જોઈએ. એવું ન હોય તો ગુનો ગણાય. તમે બીજા કોઈનો જીવ તો ન જ લઈ શકો, તમારો પોતાનો પણ જીવ ન લેવાય.

ગમે તેટલી પીડા થતી હોય, ગમે તેટલાં વર્ષોથી શ્વાસ ચાલુ હોય ને બાકીનું શરીર સાવ અચેતન પડ્યું હોય તો પણ નહીં. તેમાં પગલાની રીતે સાધારણ છતાં નીતિની દૃષ્ટિએ મોટો ફેરફાર કરીને સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બૅન્ચે મહત્ત્વનો ચુકાદો આપ્યો. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બૅન્ચે ઠરાવ્યું કે નાગરિકના જીવવાના અધિકારમાં તેના ગરીમાપૂર્ણ મૃત્યુનો અધિકાર સમાયેલો છે. એટલે કોઈ વ્યક્તિ લાંબા સમયથી વૅન્ટિલેટર જેવી, જીવન નહીં, શ્વાસ ટકાવી રાખવાની પ્રણાલિના ટેકે ‘જીવતી’ હોય, તો તેને આ ટેકો ન સ્વીકારવાનો અધિકાર છે. સાદા શબ્દોમાં કહીએ તો, તે સ્વેચ્છાએ એ ટેકો જતો કરીને મૃત્યુ મેળવી શકે છે.


અસાધ્ય રોગ કે અસહ્ય પીડાનો ભોગ બનેલો અને તેના નિવારણની આશા છોડી ચૂકેલો દરદી જાતે જીવનનો અંત આણી શકે કે નહીં, એ ચર્ચા ઘણી જૂની છે. આ રીતે જાતે જીવનનો અંત આણવા માટે અંગ્રેજી શબ્દ છેઃ Euthanasia/યુથેનેસિયા. ગુજરાતીમાં તે ક્યારેક ઇચ્છામૃત્યુ તરીકે ઓળખાય છે, પણ તેના માટેનો વધુ સચોટ શબ્દ સ્વેચ્છામૃત્યુ છે. કારણ કે તેમાં ઇચ્છા બીજા કોઈની નહીં, પોતાની (‘સ્વ’ની) હોય છે.

ગ્રીક શબ્દો Eu (સારું) અને Thanatos (મૃત્યુ) પરથી બનેલા યુથેનેસિયાની અર્થચ્છાયા વિશાળ છે. તકનિકી દૃષ્ટિએ તેને પૅસિવ (અક્રિય) અને અૅક્ટિવ (સક્રિય) એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. બીજું કંઇ કર્યા વિના જીવન ટકાવી રાખનાર પ્રણાલીનો ટેકો હટાવી લેવો એ સ્વેચ્છામૃત્યુનો પૅસિવ પ્રકાર છે.


અૅક્ટિવ સ્વેચ્છામૃત્યુ વધારે વિવાદાસ્પદ છે. કેમ કે, તેમાં કશું ન કરીને નહીં, ચોક્કસ પગલાં લઈને મૃત્યુને ભેટવાનું હોય છે. આ રીતમાં ધાર્મિક વિધિ કે માન્યતા પ્રમાણે ખોરાક-પાણી બંધ કરીને જીવન સંકેલી લેવાનો પણ સમાવેશ થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મોમાં આવી પરંપરા છે.

પરંતુ તે ધાર્મિક હોવાને કારણે કાયદાની હદમાં આવતી નથી. એ સિવાયના રસ્તે, કશું કરીને મૃત્યુ મેળવવાનું ભારતમાં તો તે ગેરકાયદે છે, પણ નેધરલેન્ડ્સ અને સ્વિત્ઝર્લેન્ડ જેવા કેટલાક દેશોમાં અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં ચોક્કસ સંજોગોમાં તેને કાનૂની માન્યતા છે. (અમેરિકામાં સ્વેચ્છામૃત્યુના અધિકાર અને કાયદાની ચર્ચા બે સદીથી ચાલે છે) કેટલાંક ઠેકાણે ડૉક્ટરની મદદથી આવું મૃત્યુ મેળવવામાં આવે છે, જે ‘આસિસ્ટેડ’ અથવા ‘ડૉક્ટર આસિસ્ટેડ’ તરીકે ઓળખાય છે.


મામલો મૃત્યુનો હોય અને તેમાં બીજું કોઈ સંકળાય એટલે દુરુપયોગને અવકાશ રહેવાનો. એટલે જ, ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર ને માત્ર જીવન ટકાવી રાખનાર પ્રણાલી ખસેડવાની અને તે પણ દરદીની સંમતિથી એમ કરવાની રજા આપી છે. આવી સ્થિતિમાં દરદી નિર્ણય પણ શી રીતે લે? એટલે અદાલતે ‘લિવિંગ વિલ’ની જોગવાઈ કરી આપી છે. કોઈને લાંબો સમય કૉમામાં કે વેન્ટિલેટર પર ટકેલા, હેરાન થતા અને અઢળક રૂપિયા ઓછા કરતા જોઈને જેમને લાગતું હોય કે ‘હે ભગવાન, મારું આવું ન થવું જોઈએ.’ એવા લોકો માટે અદાલતી ચુકાદા પછી કાનૂની રસ્તો ખૂલ્યો છે. અત્યાર સુધી ઘણી વાર કુટુંબીજનો ડૉક્ટર સાથે ચર્ચા કરીને વૅન્ટિલેટર હટાવી લેવાનો નિર્ણય લેતાં હતાં અને તેમાં કુટુંબીજનો વચ્ચે અંદરોઅંદર એકરાગ ન હોય ત્યારે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકતી હતી. હવે વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે જ એવું વસિયતનામું કરી શકશે કે ‘જો હું આ પ્રકારની નિષ્ક્રિય સ્થિતિમાં મુકાઉં તો મને વૅન્ટિલેટરના સહારે ટકાવવાને બદલે, વિદાય થવા દેવો.’

આ ઈચ્છા વ્યક્તિની પોતાની હોવાને કારણે બીજા કોઈ એ વિશે શું માને છે, તે ગૌણ બની જશે.

અલબત્ત, જીવનના અંતની વાતમાં ગમે તેટલી ચોકસાઈ પછી પણ આશંકાનું તત્ત્વ રહે છે. એટલે જ્યાં સક્રિય સ્વેચ્છામૃત્યુને કાનૂની દરજ્જો મળ્યો છે, ત્યાં પણ વિવાદો થતા રહે છે. દોઢ-બે દાયકા પહેલાં અમેરિકામાં ડૉ. જૅક કૅવોર્કિઅને કાયદાની અવગણના કરીને સોથી વધુ લોકોને તેમની (દરદીની) ઇચ્છાથી મૃત્યુ આપ્યું હતું. તેમનો ઈરાદો ગુનાઈત ન હોવા છતાં, તેમનું કૃત્ય કાયદાની દૃષ્ટિએ ગુનાઈત હતું. એટલે તેમની પર ખૂનના આરોપસર કામ ચાલ્યું હતું અને થોડાં વર્ષની સજા પણ થઈ હતી.

આવા અપવાદો છતાં, એવું માનનારો એક વર્ગ છે કે ગરીમાપૂર્ણ જીવન જેટલું જ ગરીમાપૂર્ણ મૃત્યુ પણ મહત્ત્વનું છે. માટે, તેનો અધિકાર મળવો જોઈએ. ન્યુઝીલેન્ડની સંસદમાં ‘અૅન્ડ ઑફ લાઈફ ચૉઈસ બિલ’ અંગેની રજૂઆતોની મુદત ગયા અઠવાડિયે પૂરી થઈ. તેની તરફેણ અને વિરોધમાં પચીસેક હજાર રજૂઆતો થઈ. હવે તેની પર ચર્ચાઓ થશે અને નિર્ણય લેવાશે.

દરમિયાન, સક્રિય સ્વેચ્છામૃત્યુની જોગવાઈ ધરાવતા નેધરલેન્ડ્સમાં તબીબી સહાયથી થતાં સ્વેચ્છામૃત્યુનું પ્રમાણ વધતાં તપાસ શરૂ થયાના સમાચાર છે. ત્યાં છેલ્લાં પંદરેક વર્ષથી એવું શક્ય બન્યું છે કે ભારે પીડા ભોગવનાર દરદી ડૉક્ટરની મદદથી પોતાના જીવનનો અંત આણી શકે. ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ પ્રમાણે, પાંચ વર્ષ પહેલાં તબીબી સહાયથી જીવનનો ‘ધ અૅન્ડ’ આણનારાની સંખ્યા 4,188 હતી, જે વર્ષ 2017માં 7,000 સુધી પહોંચી ગઈ.


તબીબી મદદ લેવાની રજા હોવા છતાં નેધરલેન્ડ્સના કાયદામાં એક વાત સાફ છેઃ પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય દરદીનો પોતાનો જ હોવો જોઈએ અને એ નિર્ણય લઈ શકે એવી માનસિક રીતે સ્થિર-સ્વસ્થ અવસ્થામાં દરદી હોવો જોઈએ. તબીબી સહાયથી થતાં સ્વેચ્છામૃત્યુનો આંકડો આટલો વધી ગયો, એટલે કેટલાક કિસ્સામાં એવું આંગળીચીંધામણ થયું છે કે દરદીની માનસિક સ્થિતિ કદાચ આ નિર્ણય લેવા જેટલી સ્વસ્થ ન હતી. આવા ચાર કેસની તપાસ સરકારી વકીલ દ્વારા ચાલી રહી છે.


સરખામણીમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે સ્વેચ્છામૃત્યુને કાયદેસર માન્યતા આપવાની દિશામાં લીધેલું પહેલું પગલું ખાસ્સું સલામત અને સાવચેતીભર્યું છે. ધાર્મિક અને કાનૂની સહિતનાં અનેક કારણોસર અત્યાર સુધી સદંતર બંધ રહેલાં બારીબારણાંમાં ગરીમાપૂર્ણ મૃત્યુના અધિકારને કેન્દ્રમાં રાખીને નાનકડી ડોકાબારી ખૂલે, તે પણ આવકાર્ય છે.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 18 માર્ચ 2018

Loading

23 March 2018 admin
← કેન્સર
ના એટલે ના, પણ અમલ શી રીતે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved