બાલવાડીઓ, શાળાઓ, છાત્રાલયો, કૂવા, ખેતી, આડબંધો, ગ્રામસેવા – બે બે પછાત વિસ્તારોને બેઠા કરવાનું ભગીરથ કામ કરનાર ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસનું જીવન એટલે સતત પ્રજ્વલિત કર્મયજ્ઞ.
‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે.
એમનો જન્મ 1939માં સુરતના વાલોડ ગામે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીનાં વર્ષો ગાંધીપ્રવૃત્તિઓમાં મગ્ન લોકો વચ્ચે વીત્યાં. શિક્ષિકા બનવું, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવું અને સેવા કરવી આ ત્રણ સ્વપ્નો સાથે તેમને સુરત કોલેજમાં જવું હતું. પિતા રજા ન આપે. ભાઈના પ્રયત્નો અને કોકિલાબહેનના સત્યાગ્રહને પરિણામે રજા મળી. ખાદીની સાડી પહેરી કોલેજ કરી. એમ.એ., બી.એડ. થઈ વાલોડની શાળામાં શિક્ષક તરીકે જોડાનાર તેઓ પ્રથમ સ્ત્રી હતાં.
લગ્ન થયાં; પણ ન ફાવ્યું, ન ગોઠ્યું. સમાજ માટે થઈને બધું સહન કરીને જીવ્યા કરવું એવું કોકિલાબહેનની પ્રકૃતિમાં નહીં. પતિપત્ની સમજપૂર્વક છૂટાં પડ્યાં પણ આખી ઘટનાનો કોકીબહેનને ખૂબ આઘાત લાગ્યો. એવામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વાંચી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પત્ર લખ્યો, ‘મારે સ્વસ્થ થવું છે, શું કરું?’ જવાબ મળ્યો, ‘બેટા, લોકભારતી આવી જાઓ.’ એક પુસ્તકના પ્રભાવે જિંદગી બદલાઈ જાય એવાં કેટલાંક દૃષ્ટાંતોમાંનું એક કોકિલાબહેનનું છે. કોકિલાબહેનના જીવન પર ત્રણ વ્યક્તિઓનો ખૂબ પ્રભાવ છે. એક તો એમના પિતા, બીજા મનુદાદા અને ત્રીજા કોકિલાબહેન જેમને ‘બીજા ગાંધી’ કહે છે તે જુગતરામકાકા.
લોકભારતીનો એ સુવર્ણકાળ. પ્રેમ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, ઉત્સવોથી ધબકતા વાતાવરણમાં કોકિલાબહેને બે વર્ષ (1963-64) ભણાવ્યું. ત્યાર પછી બોરખડીના અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે જોડાયાં અને 30 વર્ષ સુધી એ પદ શોભાવ્યું. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘ઉત્તમ મા બનો, ઉત્તમ શિક્ષક બનો. વાર્તા, ગીતો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવો.’ છોકરીઓ એવી તૈયાર થાય કે જ્યાં કામ કરે ત્યાં નામ કાઢે. પછીના વર્ષે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થયું, ધીરે ધીરે એ જ કેમ્પસમાં માધ્યમિક શાળા અને આશ્રમશાળા બન્યાં. આ બધાંની જવાબદારી સંભાળી.
દરમિયાન આખા જિલ્લામાં સેવાકાર્યો કરતા ભીખુભાઈ વ્યાસ સાથે પરિચય થયો અને બંને જોડાયાં. ગરીબ, પછાત આદિવાસી વિસ્તારને બેઠો કરવા પતિપત્ની કામે લાગ્યાં. સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના મિત્રોએ ધન પૂરું પાડ્યું. કોકિલાબહેનનાં સૂઝ-સમજ અને શ્રમ, ભીખુભાઈનું વ્યક્તિત્વ અને સંપર્કો અને સ્વીડનની નાણાંકીય મદદ – આમ ત્રેવડી શક્તિથી મોટાં કામો ઉપડ્યાં અને પાર પડ્યાં.
ત્યારે સુરતની શુગર ફેક્ટરીઓમાં કામ કરવા ધરમપુરના ડુંગરાઓમાંથી હજારો મજૂરો આવે અને અસ્થાયી અવ્યવસ્થિત અગવડભર્યા ગંદા પડાવોમાં રહે. માબાપ મજૂરીએ જાય, રોગિષ્ટ-કુપોષિત બાળકો રખડ્યા કરે. સ્વીડનના મિત્રોની પ્રેરણાથી કોકીબહેન થોડી વિદ્યાર્થિનીઓને લઈને ઉપડ્યાં કેમ્પોમાં. કેમ્પો સાફ કર્યાં, બહેનોને બાળઉછેર શીખવ્યો, આરોગ્ય સેવા પહોંચતી કરી. ધીરે ધીરે 65 બાલવાડીઓ ઊભી થઈ. પૌષ્ટિક નાસ્તા, રમતો-ગીતો, વાર્તાઓ. આમ પાંચેક હજાર બાળકો સચવાવા લાગ્યા. મજૂરીનો દર વધારાવ્યો હતો એટલે માબાપો પણ ખુશ હતાં. માલિકો આવીને ધમકાવે, ‘બધું બંધ કરો ને જતા રહો.’ બહેનો ગભરાય નહીં. છેવટે કમિશનર વચ્ચે પડ્યા, ‘સરકારી ભૂમિ પર ચાલતા શિક્ષણને તમે બંધ ન કરાવી શકો.’
પણ ખરું કામ તો આ લોકોના વિસ્થાપનને અટકાવવાનું હતું. અને કોકીબહેન ધરમપુર ગયાં. ધરમપુર ડુંગરાળ જંગલવિસ્તાર. ન પાણી, ન વીજળી, ન ખેતી, ન ડૉક્ટર, ન દુકાન. બેત્રણ ધોરણ સુધી ભણાવતી શાળાઓ બંધ પડી હોય. જંગલપેદાશો, હલકાં ધાન્ય, નાનાં પ્રાણીઓના શિકાર અને વાપીવલસાડ જઈ જે મજૂરી મળે એ પર નભતાં 180 ગામડાંના 3 લાખ લોકો.
આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.
શિક્ષણનું કામ પણ ચાલતું જ હતું. ખૂબ દોડધામ કરી કોકીબહેને શાળા માટે માન્યતા મેળવી. પૈસા ઊભા કર્યા. જમીન અને મજૂરી ગામનાં. આમ મકાનો બંધાયાં અને છ પ્રાથમિક અને બે માધ્યમિક શાળા ઊભી થઈ. ધરમપુરના રાજચંદ્ર આશ્રમે છાત્રાલય કર્યું, સ્કૂલ દત્તક લીધી. એમને માટે અગિયાર-બાર સાયન્સ અને પછી સાયન્સ કોલેજ કરી. છોકરાઓ બીજે પણ ભણવા ગયા. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ફી આપવાની હોય, એડમિશન મળે ત્યાં મૂકવાના હોય કે પછી ગામમાં પાણીની મોટરો મુકાવવાની હોય કે સાધનો જોઈતાં હોય – કોકીબહેનની ટીમ હાજર. પણ એમની એક પદ્ધતિ હતી – અડધું પોતે કરે, અડધાની જવાબદારી ગામ પર મૂકે. ગામલોકો પણ પાછા ન પડે. પ્રામાણિક્તાથી પોતાના હિસ્સાની રકમ કે શ્રમ આપે જ. આરોગ્ય સેવા કરી. અનેક હોદ્દાઓ સંભાળ્યા. કડક હાથે અને સાચી રીતે કામ કર્યું અને કરાવ્યું. આ બધું કરતાં પિયર અને સાસરાના કુટુંબની જવાબદારી પણ નિભાવી.
છેલ્લું કામ થયું 11-12ની બહેનો માટે છાત્રાલયનું. નાજુક ઉંમરની છોકરીઓને સાચવવી મુશ્કેલ, પણ એ વિસ્તારમાં છોકરીઓનું છાત્રાલય નહીં એટલે દસમા પછી દીકરીઓને માબાપ પરણાવી જ દેતા. 2006માં કરેલું આ છાત્રાલય વાડ કે દીવાલો વગર અને કોઈ પ્રશ્નો વગર આજે પણ ચાલે છે.
87માં વર્ષે પણ કોકીબહેન સેવાક્ષેત્રે સક્રિય, પ્રસન્ન, રસોઈ-વાંચન-સંગીત-ફૂલોનાં શોખીન, મિત્રો બનાવવામાં નિપુણ, વહાલ વરસાવવામાં ઉદાર, જીવનના અઠંગ પ્રેમી અને પ્રેરણાના અખૂટ સ્રોત સમાં છે. ‘ભગવાને સારા કામમાં અમને નિમિત્ત બનાવ્યાં, તેનો સંતોષ છે.’ કહેતાં કોકીબહેન સેવા કરવા ઇચ્છનારને સલાહ આપે છે, ‘મિશનરી સ્પિરિટ, જે કરવા માગો તેનું જ્ઞાન, દિશા પકડવાની આવડત અને ખૂંપી જવાની તૈયારી – આ બધું હોય તો જ આ ક્ષેત્રમાં પડજો.’
સ્વતંત્ર થયેલા દેશને આવા ઘણાં ભીખુભાઈ-કોકીબહેનની જરૂર છે. જરા પગ ઉપાડીશું?
e.mail : sonalparikh1000@gmail.com