Opinion Magazine
Number of visits: 9446568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વાઈવર ટ્રી: 9/11ની દુર્ઘટનાનો જીવંત પુરાવો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 September 2024

કૉલરી પેર ટૃી

અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે

હવે તો દસકો થયો એ વાતને. 2015માં ન્યૂયોર્ક જવાનું થયું ત્યારે 2001માં અમેરિકા ઓળખ શાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયા પછી ત્યાં જ, ગ્રાઉન્ડ ઝીરો પરની નવરચના સાથે મુખોમુખ થવાની સ્વાભાવિક જ હોંશ હતી.

પ્રકાશ ન. શાહ

વૈકલ્પિક ઈમારતનું નિર્માણ કે કોઈ મ્યુઝિયમ સરખું આયોજન તો સમજ્યા જાણે, પણ સ્થળ મુલાકાત દરમ્યાન જોઉં છું તો એક વૃક્ષ પ્રસન્ન ગરવી શૈલીએ જાણે ગહેંકી રહ્યું છે. આમ તો એની ઓળખ ‘કૉલરી પિયર ટ્રી’ તરીકેની છે, પણ હું તો એને અક્ષરશ: અક્ષય વૃક્ષ જ કહીશ.

વાત એમ છે કે નાઈન ઈલેવનની (નવમા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની) ઇતિહાસઘટના સાથે ટ્વિન ટાવર્સ પરિસર પંથક આખો ઉદ્ધ્વસ્ત થઈ કેમ જાણે ખાવા ધાતો હતો. તે વખતે રોડા, કાંકરા, કપચી સહિત કાટમાળ આખો ઉશેટવાના જગન દરમ્યાન કામદારોને કશુંક ક્યારેક વૃક્ષ હતું એવું મળ્યું. શીર્ણવિશીર્ણ મૂળિયાં. લગભગ સૂકાં જેવાં. બળેલીઝળેલી ડાળીઓ. છતાં જીવનનો સહેજસાજ સંચાર વરતાતો હતો. કામદારોએ માધવ રામાનુજની ‘અમે કોમળ કોમળ’ રચના તો ક્યાંથી સાંભળી હોય? પણ એમણે હળવેકથી ને હેતથી, જેટલી સલુકાઈથી એટલી જ સિફતથી એ બધું સાચવી લીધું, જાણે એકલીઅટૂલી માંડ થોડા કલાકની શકુન્તલાને કણ્વયોગ થયો!

અર્ધ ધબકતું તો અર્ધ મૃતવત્ એ એમણે ન્યૂયોર્ક વિરાટ નગરના ઉદ્યાન વિભાગને મોકલી આપ્યું. ઉદ્યાન વિભાગની માવજત પામી એ 2010માં, 2001ના ઉદ્ધ્વસ્તમાંથી પુનનિર્મિત પરિસર પર પાછું ફર્યું. તે પછી પાંચે વરસે અમે એનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે એ ખાસાં ત્રીસેક ફૂટની ઊંચાઈને આંબી ગયું હતું ને એનાં ડાળીડાળખાં ફૂલે લચ્યાં વાસંતી નર્તનનો સુખાભાસ કરાવી રહ્યાં હતાં. વિનાશ વચ્ચે અપૂર્વ ઊર્જા સમેત તે નવજીવનનો નેજો લહેરાવતું વરતાતું હતું.

આ અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે. આ સાક્ષાત્કારી અનુભૂતિ ઇતિહાસમાં પાછે પગલે 1906ના સપ્ટેમ્બરની અગિયારમીએ છેક જોહાનિસબર્ગ લઈ જાય છે. સ્થળ છે એનું એમ્પાયર થિયેટર, જે ગેઈટી થિયેટર તરીકે પણ ઓળખાતું. (યુરોપીય ગેઈટી પરંપરાનો એક જમાનો હતો, જેની અંગ્રેજ વારાની ઇતિહાસસ્મૃતિ શિમલાના ગેઈટી થિયેટર રૂપે સચવાઈ છે. ત્રણેક દાયકા પર ‘ગદર’માં ફિલ્માવાતાં એણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.) 

થિયેટરની અંદરબહાર લોક ઉભરાતું હતું – એશિયાઈ સમુદાયને લગતા વટહુકમના વિરોધ માટે સૌ મળ્યું હતું. આ વટહુકમ ટ્રાન્સવાલ(દક્ષિણ આફ્રિકા)માં વસતા એશિયાઈ લોકોને સારુ ગળેફાંસો હોય એવો આકરો હતો અને એનો આશય એશિયાવાસીઓને ધીરે ધીરે હાંકી કાઢવાનો હતો. તેની સામે વિરોધ અને પ્રતિકારની ભૂમિકાએ કરાયેલ આ આયોજન પાછળનું બળ બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના મંત્રી ગાંધી હતા.

સભાની શરૂઆત બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ ગની હતા. તેમણે સભાની શરૂઆત ઉર્દૂમાં કરી. (પાછળથી એનો અંગ્રેજ તરજુમો અલબત્ત અપાયો હતો.) ગનીએ વટહુકમના તાનાશાહી સ્વરૂપનો ને એનો સામનો કરવામાં રહેલાં જોખમોનો ખયાલ આપી દો ટૂક શબ્દોમાં કહ્યું કે દરેક પ્રજાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે કાનૂનભંગ થકી પ્રતિકાર અને કષ્ટ સહન એ એનો ધર્મ બની રહે છે. આ વાત વિધિવત્ ઠરાવ રૂપે હાજી હબીબે મૂકી હતી. આકરી ગુજરાતી જબાનમાં એમણે કહ્યું હતું કે ઉમદા હેતુ માટે જેલમાં જવા બાબતે શરમાવાનું ન હોય. એમણે તિલક મહારાજના જેલવાસને ભાવપૂર્વક સંભારીને ઉમેર્યું હતું કે આપણે ખુદાની કસમથી આ ઠરાવ કરીશું અને સઘળાં કષ્ટ સહન કરીશું.

હાજી હબીબે ઈશ્વરને વચ્ચે રાખીને વાત મૂકી એથી પોતે કેવા ચમક્યા હતા એ ગાંધીજીએ વરસો પછી લખતાં સંભાર્યું છે. આમ તો, તાત્ત્વિક રીતે વિચારતાં કરેલ નિશ્ચય અને ઈશ્વરને નામે લીધેલ પ્રતિજ્ઞા વચ્ચે કોઈ ભેદ નથી, પણ સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને નામે લેવાયેલ પ્રતિજ્ઞા બદલ જે તે વ્યક્તિ ને બાકી લોકો સવિશેષ ગંભીર હોય છે. એમણે પ્રમુખની રજા લઈ સભામાં દરમ્યાનગીરી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. મરતાં સુધી પાલન કરશું એમ સમજીને જ પ્રતિજ્ઞા લેવી રહે … આ સાથે, મનુષ્યજાતિએ પશુબળથી નહીં સ્વેચ્છાએ કષ્ટ સહન થકી આત્મબળ વાટે અન્યાયનો પ્રતિકાર કરવાનો નવો રાહ ખૂલ્યો, સત્યાગ્રહ.

2001ની ટ્વિન ટાવર્સ ઘટના અને તેની પૂંઠે અલ-કાયદાનું નેતૃત્વ કરનાર બિન લાદીન, 1906માં સત્યાગ્રનો આવિર્ભાવ અને એમાં નિમિત્તભૂત ગાંધી : આશરે એક સૈકાને ફેરે (બરોબર કહીએ તો પંચાણું વરસના અંતરે) એક જ તારીખે બનેલી આ બે ઘટનાઓ બે વિકલ્પરૂપે આપણી સામે આવે છે.

અહીં લોર્ડ ભીખુ પારેખે પરિકલ્પેલ બિન લાદીન – ગાંધી સંવાદનું સ્મરણ થાય છે. ભીખુભાઈને લોર્ડ એવી ઓળખ સામાન્યપણે ગમતી નથી તે જાણું છું. પણ વાચકનું ધ્યાન ખેંચવામાં ઉપયોગી થઈ પડે એ ગણતરીએ તેઓ ઇંગ્લેન્ડમાં ઉપલા ગૃહના(હાઉસ ઓફ લોર્ડ્ઝ)ના સભ્ય છે એવો ઉલ્લેખ ચહીને કર્યો છે. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રગટ થતા ‘પ્રોસ્પેક્ટ’માં એપ્રિલ 2004માં એમનો આ લેખ પ્રગટ થયો તે પછી તરતના મહિનાઓમાં ‘ઓપિનિયન’ (લંડન) અને ‘નિરીક્ષક’ (અમદાવાદ)માં વિપુલ કલ્યાણીના ગુજરાતી અનુવાદરૂપે સુલભ થયો હતો.

આ કાલ્પનિક સંવાદ પાછળનો આશય ભીખુ પારેખના શબ્દોમાં ‘એક તો, બિન લાદીને ચેતનવંતા રાખતા જગતભરમાં ફરી વળેલા વિકૃત વિચારને સમજવાનો છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.’

અક્ષય વૃક્ષ, આટલું તારી સાખે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024 

Loading

11 September 2024 Vipool Kalyani
← ગાંધી કથાનાં કીધાં અમૃત-પાન … … થયાં સાતે કોઠે દીવાનાં દાન
ઘંટડી વગાડવાની ફી! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved