Opinion Magazine
Number of visits: 9446685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીઓ જમીનમાલિક બને તો

નેહા શાહ|Opinion - Opinion|14 July 2017

74 ટકા ગ્રામીણ સ્ત્રીઓ ખેતી સાથે સંકળાયેલી છે પણ એમાંની માત્ર 13 ટકા સ્ત્રીઓ પાસે જ માલિકીહક છે

ઉનાકાંડ યાદ છે? એક વર્ષ પહેલાં ઉનામાં ચાર દલિતોને ગોરક્ષકો દ્વારા ગાડી સાથે બાંધી દઈ જાહેરમાં લાકડીએ લાકડીએ મારવામાં આવ્યા હતા. કારણ એટલું કે તેઓ મરેલી ગાયનો નિકાલ કરી રહ્યા હતા, જે કામ તેઓ અનેક પેઢીઓથી કરતાં આવ્યા છે. મારનારનું ઘમંડ તો એવું કે એનો વીડિયો પોતે ઉતારી વટભેર સોશિયલ મીડિયા પર શેર કર્યો! એમને માનવતાડનમાં ગર્વ દેખાયો. આ ઘટનાએ ‘દેશમાં હવે નાત-જાતના વાડા નથી રહ્યા અને દલિતો પરના અત્યાચાર ઇતિહાસ બની ગયા છે.’ એ દલીલને વધુ એક વાર સાવ ખોખલી સાબિત કરી આપી.

આ ઘટના પછી યથાયોગ્ય જ બે મોરચે સંઘર્ષ શરૂ થયો છે. એક તો કાનૂની જંગ. કેસ સી.આઈ.ડી. પાસે ગયો અને ગુનેગારોની ધરપકડ થઈ છે. કેસ અત્યારે અદાલતની વિચારણા હેઠળ છે. અને બીજું, જનઆંદોલન જેમાં ઘણા દલિત અને બિનદલિત નાગરિકો સીધા કે આડકતરી રીતે જોડાયા છે. ઉનાકાંડના એક વર્ષ દરમ્યાન જે દલિત ચેતના ઊભી થઈ છે તેને સુદૃઢ કરીને, જ્ઞાતિ પ્રથાને જડમૂળથી ઉખેડવા માટે જરૂરી લાંબા ગાળાના આર્થિક-સામાજિક બદલાવ તરફની કૂચ પણ શરૂ થઈ છે.

દલિતોનાં શોષણ અને અત્યાચારોનો આપણો કાળો ઇતિહાસ છે. તેમાં પરિવર્તન આવી તો રહ્યું છે, પણ ધીમું આવી રહ્યું છે. કારણ કે, તેઓ સામાજિક અને આર્થિક એ બંને પ્રકારના શોષણનો ભોગ બનતા આવ્યા છે. આથી આ બંને સૂચકો પર હજી પણ આ વર્ગ ખૂબ પછાત છે. સામાજિક અને આર્થિક પરિબળો એકબીજા સાથે એવા ગૂંથાયેલાં છે કે એકનો ઉપાય કરવો હોય તો બીજાનો ઉપાય શોધ્યા વગર શક્ય જ ન બને. દલિતો પરના અત્યાચાર રોકવા હોય તો તેઓ સ્વમાનભેર જીવી શકે એ માટે તેમના આર્થિક ઉત્થાનનું માળખું ઊભું કરવું જ પડે. એ માટે સાબૂત શિક્ષણની સાથે સાથે આર્થિક ઉપાર્જનનાં સાધનો પણ એમને ઉપલબ્ધ કરાવવા જ પડે. દલિત યાત્રાની મુખ્ય માગ જમીનહકની છે: સરકારે જે જમીન દલિતોને ફાળવી છે એના પર કબજો આપો.

જમીનના માલિકીહક એ માટેની પહેલી શરૂઆત છે. આ વાત આજની નથી. જમીન સુધારણાના કાર્યક્રમો અંતર્ગત સરકાર દ્વારા દલિતોના નામે જમીન ફાળવવામાં આવી છે. આમ તો એમાંની મોટે ભાગે ખરાબાની જ જમીન છે. એટલે સૂકી, બિનપિયત અને ઓછી ઉપજાઉ. તો તેના માલિકીના હક મોટે ભાગે કાગળ પર જ રહ્યા છે. એનો કબજો હજી પણ ઉપલી જ્ઞાતિના હાથમાં જ છે. સદીઓથી શોષિત થતા રહેલા દલિતો મોટે ભાગે સવર્ણોની સામે ખોંખારો ખાઈને જમીન માંગતા ડરે છે. કારણ કે, જ્યારે પણ કોઈકે હિંમત કરીને જમીન માગી છે તો બદલામાં તેમની ઉપર લાકડી-તલવારના હુમલા થયા છે, તેમનાં ઝૂંપડાં સળગ્યાં છે, ગાળાગાળી થઈ છે, મા-બહેન પર હુમલા થયા છે. આ કોઈ સદીઓ પુરાણી વાતો નથી કે નથી કોઈ એકલદોકલ ઘટના. એકવીસમી સદીના આધુનિક ભારતમાં પણ બનતી રહેતી ઘટનાઓ છે. એને અટકાવવા છેક છેવાડેથી સશક્તિકરણ કરવું પડે.

જમીનની માલિકીના હક સ્ત્રીના નામે મળે તો છેક શોષિતોમાં પણ શોષિતનું સશક્તિકારણ થાય. સ્ત્રીઓનાં નામે જમીનની માલિકી હોય તેના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે એમાંથી થતી આવકનો ઉપયોગ દારૂ અને બીડી જેવા બિનજરૂરી ખર્ચમાં નહિ, પણ ઘર ચલાવવામાં અને બાળકોની જરૂરિયાત સંતોષવા માટે થાય. એટલે સાચા અર્થમાં કુટુંબનું કલ્યાણ થાય. દારૂના નશામાં પુરુષ એને વેચી પણ ન શકે તેમ જ જમીનમાંથી થયેલી આવક પર સ્ત્રીનું નિયંત્રણ હોવાથી સ્ત્રી પર હાથ ઉપાડતાં પહેલાં પણ એ સત્તર વખત વિચારતો થઈ જાય. એટલે કુટુંબમાં પણ સ્ત્રીનું માન જળવાય અને આખું કુટુંબ સચવાઈ જાય.

2016માં સરકારે એ વાત ફરી વાર કહી હતી કે સ્ત્રીઓનાં નામે જમીન માલિકી વધે એ માટે તેઓ પ્રતિબદ્ધ છે. આજે 74 ટકા ગ્રામીણ સ્ત્રીઓ ખેતી સાથે સંકળાયેલી છે, પણ એમાંની માત્ર 13 ટકા પાસે જ માલિકીહક છે. દલિત સ્ત્રીઓમાં તો જમીનની માલિકીનું પ્રમાણ એકાદ ટકા જેટલું માંડ હશે. મૂળભૂત રીતે દલિતો પાસે જમીનની ઓછી. એટલે સ્ત્રીઓનાં નામે જમીન હોવાની માત્રા સ્વભાવિક રીતે નહીંવત્ છે.

દલિત સ્ત્રીઓના ભાગે અનેક સ્તરે ભેદભાવનો ભાર સહન કરવાનો આવે છે. એક, તો દલિત, તે પણ સ્ત્રી, વળી પાછી ગરીબ અને મોટે ભાગે અભણ. સદીઓથી દલિત સ્ત્રીઓ માથે તો સવર્ણોના ખેતરમાં જ કામ કરવાનું લખાયેલું આવ્યું છે. પોતાનું ઘર ચલાવવા અને બાળકોની જરૂરિયાત પૂરી કરવા એણે મજૂરીની સાથે કાકલૂદી કરવાની હોય, ગાળો સાંભળવાની હોય, અનેક અહેસાન માથે લેવાના હોય. દેવું તો હોય જ, જેને પરત ચૂકવવાની જવાબદારી પણ સ્ત્રીઓ જ નિભાવતી હોય છે. આ પરિસ્થિતિમાં આર્થિક સંસાધનો પર સ્ત્રીઓને માલિકીહક આપવાથી તેમના અસહાય સંજોગોમાં તેમને મોટી સહાય તો મળી શકે, પણ આ તો બેચાર વીઘાવાળા સીમાંત ખેડૂતો છે, જેમની ખેતીમાં જોખમ પણ ખૂબ મોટું રહેલું છે.

જમીનહકની સાથે સાથે જમીનને ઉપજાઉ બનાવવા પાણી પણ જોઈએ. કારણ કે દલિતોને ગામની નહેર કે તળાવમાંથી જો પીવાનું પાણી મળવાની તકલીફ હોય તો સિંચાઈ માટેના પાણી પર તો એમનો વારો છેલ્લો જ આવવાનો. એ સાથે ખાતર, બિયારણ અને ધિરાણ જેવી વ્યવસ્થામાંથી પણ આભડછેટના અંશોનો નાશ ના થાય ત્યાં સુધી દલિત સ્ત્રીઓ માટે જમીનની સાથે બાકીની વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જશે એવું ધારી ન લેવાય. પાણી અને અન્ય સુવિધા વગરની જમીન દેવાનો નવો સ્રોત બની ન જાય એ ખાતરી પણ આપવી પડશે. વળી, કાયદાના શાસનની પણ વ્યવસ્થા ના ગોઠવાય તો પોતાની જમીન પરથી એને કોઈ ઉઠાડી દે એ ડર હંમેશાં માથા પર ઝળુંબતો રહે. એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ અને સામાજિક તૈયારી જ સૌથી મોટા પડકાર છે.

આજે દલિત ચળવળનું નેતૃત્વ યુવા નેતાઓના હાથમાં છે. સમય બદલાયો છે. ચેતના બદલાઈ છે. આ યુવાનો વિશ્વસનીયતા ખોઈ ચૂકેલા મોટા રાજકીય પક્ષોને બાજુ પર રાખી બંધારણીય હક માટે લડી રહ્યા છે. નવી ચેતના સાથે જમીનની માલિકી પછાતમાં પછાત વર્ગને મળે – એટલે કે દલિતોમાં પણ સ્ત્રીઓને અને સ્ત્રીઓમાં પણ વિધવા સ્ત્રીના નામે માલિકી મળે એ વાત તેમણે આંદોલનના મંચ પરથી ઉચ્ચારવામાં આવી છે, જે આવકાર્ય છે. સ્ત્રીના જમીનના માલિકીહકની બાબતમાં જે દરેક જ્ઞાતિમાં બનતું આવ્યું છે તેમ સામજિક દબાણ અને લાગણીના કાવાદાવા સ્ત્રીઓને તેમના હકથી વંચિત ન રહી જાય એ તકેદારી રાખવાની રહેશે.

સૌજન્ય : ‘વો દિન કહાં’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2017

Loading

14 July 2017 admin
← War Room
નાગરિક ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved