Opinion Magazine
Number of visits: 9448752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર લોકોને હોળીનું નાળિયેર બનાવી રહી છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 March 2021

કોરોનાને કારણે આ વખતે હોળી બે ભાગમાં નહીં ઉજવાય. આઇમીન, હોળી ઉજવાશે, પણ ધૂળેટી નહીં ઉજવાય. સરકાર માઇબાપને એવું લાગે છે કે હોળી સળગાવવાનો વાંધો નથી, પણ રંગો ઉરાડવામાં જોખમ છે. આમ પણ કોઈને કોઈ કારણે ઘરમાં હોળી સળગતી જ રહેતી હોય એટલે લોકો ખાસા રીઢા, આઈ મીન, ઇમ્યુન થઈ ગયા હોય. એવામાં હોળી પ્રગટાવવાનો વાંધો નહીં, પણ લોકો રોજ રંગ છાંટતા નથી એટલે રંગોને મામલે ઓછા ઇમ્યુન હોય, એવામાં ધૂળેટી રમે તો ઘણાંના રામ રમી જાય એટલે સરકારે હોળી પ્રગટાવવાની છૂટ આપી અને ધૂળેટી બંધ રાખી. એ સાથે જ તંત્રોએ અક્કલવાળું કામ એ કર્યું કે હોળી નિમિત્તે 100થી વધુ હોળી ટ્રેનો ને ખાસ સુરતથી જ વધારાની 200 બસો દોડાવવાનું નક્કી કરી લોકોની ધાર્મિક લાગણીને પ્રોત્સાહિત કરી.

સાચી વાત એ છે કે કોઈ પણ સરકાર બુઢ્ઢી થઈ ગઈ હોય તો પણ તેનામાં બુદ્ધિ વધારે જ હોય છે ને લોકો “ગમે એવા” “હોંશિયાર” હોય તો પણ, તેમનામાં બુદ્ધિ ઓછી જ હોય છે. શું છે કે નાક વગરની હોય તો પણ સરકારને એક્સ્ટ્રા નાક હોય છે ને એ દૂરનું સૂંઘી જ લેતી હોય છે. કોરોના સરકારે જ સૂંઘ્યો હતોને ! લોકડાઉન લોકોનું નહીં, સરકારનું સાહસ હતું. એ જુદી વાત છે કે એથી લોક, ડાઉન થયા ને સરકાર “અપ” થઈ. એવું ન થાય તો લાખો કરોડોના પેકેજ નાખે ક્યાં? આપણે જેમ જીવદયા રાખીને ગાયકૂતરાંનું જુદું કાઢીએ છીએ એવું જ પેકેજનું પણ છે. સાચું તો એ છે કે ગાયકૂતરાંનું જુદું કાઢ્યાં પછી આપણે પોતે તે ખાઈ જતાં નથી, પણ પેકેજની એવી ગેરંટી નહીં, એ પહોંચે કે ન પણ પહોંચે, એનું કશું નક્કી નહીં. ઘણીવાર તો લોકો “પહોંચી જાય”, પણ પેકેજ ન પહોંચે એવું પણ થાય.

કોરોનાની વરસી ગઈ, એટલામાં એક વાત બની. કોરોના, સરકાર માઇબાપનો કહ્યાગરો કંથ બની ગયો. સરકાર પહેલાં તો બહુ ડરી, પણ હવે કોરોના ડરે છે. સરકાર વિરુદ્ધ એ જઈ શકતો નથી. સરકાર પાય એટલું જ પાણી પીએ છે. કોઈવાર ફૂંફાડો મારી લે, પણ સરકાર માઈબાપ કહે કે અમુક એરિયામાં જ ફેલાવાનું છે તો વાઇરસની મજાલ નથી કે આડેધડ ફેલાય. આમ તો વાઇરસની અહીં રહેવાની બહુ ઇચ્છા જ ન હતી, પણ લોકો એમ મહેમાનગતિ કરવાનું ચૂકે? બહુ કાલાંવાલાં કર્યાં કે દિવાળી કરીને જ જાવ ! તે ભાઈસાહેબ તો ચોરેને ચૌટે બહુ ઘૂમ્યા ને એમાંને એમાં થોડા લોકો ઘટી ગયા. સરકારે ફરી ડોળા તતડાવ્યા ને સાફ કહ્યું કે બહુ ટેંટેં કરી છે તો હડ્ડીપસલી એક કરી નાખીશ ને વાઇરસ બાપુ પગમાં પડી ગયા ને પછી માથે પણ પડ્યા.

વાઇરસે જોયું કે પાણીમાં રહીને મગર સાથે વેર ન થાય. એણે કોઈ નેતાના ઘરે વિવાહમાં હજારો ભેગા થયા હોય તો કોઈનો વાળ વાંકો નથી કર્યો. ક્યાંથી કરે એમાંના મોટેભાગના તો ટાલિયા હતા ! કોઈ સાંસદની બર્થડેમાં લોકોએ લાંબી કેક સાથે માસ્ક વગર ફોટા પડાવ્યા, પણ કોરોનાએ સાહેબનો પ્રસંગ બગાડયો નથી. બંગભંગની ચળવળ હોય કે માતાજીની વ્હીલચેર આરતી હોય, કોરોનાને ખુલ્લી વોર્નિંગ, ગમે એટલી ભીડ થાય તો પણ કોઈને થવાનું નહીં ને ડિસ્ટર્બ કરવાના નહીં. કોરોના ગવર્નમેન્ટનો પાળેલો છે. તેને કહી જ રાખેલું છે કે ચૂંટણીસભામાં જાત બતાવવાની નહીં. સરકારી ભીડ હોય, ત્યાં જવાનું નહીં, લોકો ભીડ કરે તો બિન્ધાસ્ત જવાનું ! લોકો લગ્નમાં નાચે તો તેની બોચી પકડવાની, મેળાવડાઓમાં જાય તો વાઇરસને ચોંટી પડવાની પૂરી સત્તા. વાઇરસ માટે નિયમ એક જ ! લોકોને છોડવાના નહીં ને સરકારને છેડવાની નહીં. એ કરે તે સવા વીસ ને લોકો કરે તો ચારસો વીસ ! ડિસિપ્લિનમાં તો સરકાર જ રહે છે. એ માસ્ક પહેરે છે. એ (એન્ટિ?)સોશિયલ ડિસ્ટન્સિંગ પાળે છે. એ ચૂંટણીસભા કરે છે ત્યારે ચલિયું પણ ફરકતું નથી. જ્યારે લોકો ભીડ કરે છે તો ચલિયું જ ફરકતું નથી, બાકી, બધું જ ફરકે છે. કમિશનર કે કોર્ટ, સૌ સરકારી દલાલોને એમ જ છે કે રોગ તો લોકો જ ફેલાવેછે ને સરકારને બિચારીને અમથી જ બદનામ કરે છે.

આમ પણ કોરોના હવે થાક્યો છે. તેને ચેતવણી છે કે દિવસે ધંધો થવા દેવાનો. ગમે ત્યાં ઘૂસી નહીં જવાનું. રાત્રે જ ફેલાવાનું, કારણ ત્યારે કરફ્યુ હોય. આમ પણ તેને રાત્રે બહુ દેખાતું નથી એટલે કરફ્યુ વખતે બહુ બહાર જતો જ નથી.

આપણા સરદાર પહેલાં લોખંડી હતા, હવે ખરેખરા લોખંડના છે, તે પણ ટોપ ઓફ ધ વર્લ્ડ ! તેટલાથી સંતોષ ન થયો તો મોટેરા સ્ટેડિયમ પણ સરદારી બનાવ્યું, પછી થયું કે લોખંડી સરદાર ઓલરેડી વર્લ્ડ બેસ્ટ તો છે જ! તેમાં પાછું સ્ટેડિયમ પણ સરદારી? બહુત નાઈન્સાફી હૈ. કિતને આદમી થે? સરદાર, દો. સ્ટેટ એક ઔર સરદાર દો? બહુત નાઇન્સાફી હૈ. વેલ, સરદાર ગમે તેવા બેસ્ટ હોય તો પણ, છપ્પનની છાતી તો એમની નહીં જ ને! એટલે સરદાર અ-સરદાર થયા ને સ્ટેડિયમ છપ્પનની છાતી સાથે ખૂલ્યું. ખૂલવું જ જોઈએને! લોકો અંદર ને ચાની કિટલી બહાર, એ તો ચાલે જ કેમ? સ્ટેડિયમ ખૂલ્યું એ સાથે જ છપ્પનની છાતીવાળા સિત્તેરેક હજાર પ્રેક્ષકોની હાજરીમાં ટી 20ની બબ્બે મેચ રમાઈ. એમ ત્યારે ! છપ્પનની છાતીવાળું સ્ટેડિયમ છે જ એવું કે પૂરું સ્ટેડિયમ ભરાય તો પણ કોરોનાની તાકાત નથી કે ચૂં કે ચાં કરે? આમ કોઈનું નામે ચડાવી લેવાનું સહેલું નથી, પણ સરકાર અસરકારક બહુ એટલે કોરોનાની જરા ય બીક રાખ્યા વગર સૌ ખેલ્યા. સરકાર બહાદુર પણ બહુ. રસી મારતી જાય ને ચૂંટણી ખેલતી જાય. ચોમેર કમળ, કમળ થઈ રહ્યું. લોકો લગ્નમાં નાચ્યા ને વિજય સરઘસમાં પણ મહાલ્યા. એમાં એટલો ગુલાલ ઊડયો કે ધૂળેટીમાં ઉડાડવા ધૂળ જ બચી. એ જ કારણે ધૂળેટી પર તવાઈ આવી.

પણ લોકો એમ ગાંઠે? તેમને તો બરાબરની ચાટી ગઈ ! ચૂંટણીમા ભીડ થઈ તે ચાલ્યું, સ્ટેડિયમમાં છપ્પનની છાતી ધડકી તેનો વાંધો ન પડ્યો ને ધૂળેટી જ નડી? ધીસ ઈઝ નોટ ફેર ! આટલી બધી ભાભીઓ ને ભાભાઓ રંગાયા વગર રહે એ તો ચાલે જ કેમ? સવાલ એ છે કે કોરોના ચૂંટણીથી ફેલાયો કે ક્રિકેટથી? લગ્નથી ફેલાયો કે મેળાવડાથી? જો ચૂંટણી ના રોકાઈ, ક્રિકેટ ના રોકાઈ, લગ્ન ના રોકાયાં તો ધૂળેટી રોકવાનો શો અર્થ? ત્યાં સરકાર “નીતિ”પૂર્વક બોલી, અક્કલ વગરની વાત ના કરો. મહારાષ્ટ્રમાં ચૂંટણી ન હતી ને ક્રિકેટ પણ ન હતી, તો પણ ત્યાં કોરોના વકર્યો જ ને ! એમ તો સુરતમાં પણ કોરોના વકર્યો છે, ત્યાં કઈ ક્રિકેટ રમાડાઈ? વાત તો સાચી. માનો કે ના માનો, પણ સરકારે વાત તો અક્કલવાળી કરી છે. સરકાર જાણે છે કે અમદાવાદમાં મેચ રમાય તો અમદાવાદ જ અભડાય, એમાં પણ સ્ટેડિયમમાં હોય એટલા જ ! તે કૈં આખા અમદાવાદમાં ના ફેલાય. આ તો પોળની મેચ હતી, એને જોવા સુરત વડોદરાથી લોકો ગાંઠના ખર્ચીને થોડા જ આવે? એટલે મેચમાં લોકો ગયા તેથી કોરોના વકર્યો એ વાત જ ખોટી ! સારું છે કે સરકાર એમ નથી માનતી કે સરકાર દિલ્હીમાં છે, એ કૈં અમદાવાદમાં નથી તો એની વાત અહીં શું કામ માનવાની? છેને કમાલ ! બુદ્ધિ બધાંમાં હોય, પણ સામાન્ય બુદ્ધિ બધામાં સામાન્ય હોય જ એવું નથી. ટૂંકમાં, સરકારને એવું લાગે છે કે ગુજરાતમાં કોરોના, ક્રિકેટ કે ચૂંટણીથી નથી ફેલાયો. બીજા શબ્દમાં કહેવાનું એ કે જે કારણોથી મહારાષ્ટ્રમાં ફેલાયો એ જ કારણોથી ગુજરાતમાં પણ ફેલાયો. વાઉ, ક્યા બાત હૈ? તો, સાહેબો, એ કારણો શોધીને પગલાં ભરવાને બદલે લોકોની પથારી શું કામ ફેરવો છો? કમિશનર કે કોર્ટ તો લોકોને એમ કહીને ભાંડે છે કે લોકો ટોળે વળે છે ને માસ્ક નથી પહેરતાં એટલે કોરોના વકર્યો છે.

સરકારના કહેવા પ્રમાણે સિત્તેર હજાર માણસો માસ્ક વગર સ્ટેડિયમમાં હોવા છતાં કે ચૂંટણીની ભીડ કે વિજય સરઘસને કારણે કોરોના ન ફેલાયો હોય તો એક જણના માસ્ક ન પહેરવાથી કોરોના ફેલાય કેવી રીતે? તો એને દંડવાનો શું મતલબ? કે આખો વેપલો એકલદોકલને દંડીને તિજોરી ભરવાનો જ છે? સવાલ તો એ પણ છે કે કોરોના ક્રિકેટથી નથી ફેલાયો તો પાછલી મેચ પ્રેક્ષકો વગર કેમ રમાડાઈ? ત્યારે પણ આખું સ્ટેડિયમ ભરી શકાયું હોતને !

સાચું ખોટું તો સરકાર જાણે, પણ તેણે એટલું તો સાબિત કરી જ દીધું છે કે કોરોના સમૂહમાં ફેલાતો નથી. એ સરકારની જ શોધ છે કે કોરોના સમૂહ નહીં, એકલદોકલ ફેલાવે છે. તે વગર સમૂહને સરકાર માફીમાં ને એકલદોકલને ફીમાં રાખે? વેલ ડન, સરકાર માઈબાપ, વેલ ડન ! કીપ ઈટ અપ !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 માર્ચ 2021

Loading

26 March 2021 admin
← રંગ-રાગ, હોળી ગીતોની રેલમછેલ ના મારો શ્યામ પિચકારી
ચલ મન મુંબઈ નગરી—88 →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved