Opinion Magazine
Number of visits: 9446818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શેક્સપિયરના નાટકનો પહેલો ગુજરાતી અનુવાદ

દીપક મહેતા|Opinion - Literature|8 September 2018

કાળચક્રની ફેરીએ

અગાઉ ટૂંકી કહાણીઓ પુસ્તક અંગેના લેખને અંતે લખ્યું હતું: “૧૯મી સદીના લેખકો અને તેમનાં પુસ્તકો વિશેની આપણી પાસેની માહિતી એટલી આછી અને ઓછી છે કે આ તો આમ જ છે કે આ તો આમ ન જ હોય એમ છાતી ઠોકીને કહેવું કોઈને માટે શક્ય નથી, યોગ્ય પણ નથી.” ત્યારે ખબર નહોતી કે આ વાતનો પરચો સાવ અણધારી રીતે થોડા દિવસમાં જ મળી જવાનો છે.

જે પુસ્તકાલયોનાં કેટલોગ ઓન લાઈન હોય તે નવરાશની પળોમાં વાંચવાની – હા, વાંચવાની ટેવ. એ રીતે કેટલોગ વાંચતાં એક પુસ્તકના નામ તરફ ધ્યાન ગયું: ‘કરુણારસ જુલિયસ સીઝર નાટક.’ પહેલાં તો નજર આગળ નીકળી જવા લાગી. એક વધુ અનુવાદ, બીજું શું? પણ પછી પુસ્તકની પ્રકાશન સાલ જોઇને ત્યાં જ ખોડાઈ ગઈ. સાલ હતી ૧૮૭૪.

અત્યાર સુધી એમ મનાતું આવ્યું છે કે ૧૮૯૮માં પ્રગટ થયેલા ઓથેલો અને જુલિયસ સિઝરના અનુવાદ તે આપણી ભાષામાં પ્રગટ થયેલા શેક્સપિયરના નાટકોના પહેલવહેલા અનુવાદ. અને તેના અનુવાદક નરભેશંકર પ્રાણજીવન દવે (૧૮૭૦-૧૯૫૨) તે શેક્સપિયરના પહેલા અનુવાદક. આ બે નાટકના અનુવાદ ઉપરાંત તેમણે મેઝર ફોર મેઝર, ધ મર્ચન્ટ ઓફ વેનિસ, અને હેમલેટ, એ ત્રણ નાટકોના અનુવાદ પણ કરેલા, જે ૧૯૦૫, ૧૯૧૧, અને ૧૯૧૭માં પ્રગટ થયેલા. પણ  આ તો તેમના પહેલા બે અનુવાદો કરતાં ૨૪ વર્ષ પહેલાં પ્રગટ થયેલો અનુવાદ.

પણ પુસ્તક જોયા વગર કશું કહેવું-લખવું ખૂબ જોખમી. એટલે પુસ્તક મેળવવાની કવાયત શરૂ કરી. મળ્યું. સૌથી પહેલાં પ્રકાશન સાલ જોઈ. ૧૮૭૪ની સાલ સાચી. તેમાં મીનમેખ નહિ. રાજકોટના કાઠિયાવાડ પ્રિન્ટીંગ પ્રેસમાં ૧૫૬ પાનાંનું આ પુસ્તક છપાયું છે. કિંમત સવા રૂપિયો. ટાઈટલ પેજ દેવનાગરી લિપિમાં, લાલ, લીલો અને કાળો એમ ત્રણ રંગમાં છાપ્યું છે. અનુવાદક છે ભાણજી ગોકુળ પારેખ. તથા પદ્યવિભાગ રચનાર છે બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર. અનુવાદક ભાણજીભાઈની ઓળખ આ રીતે આપી છે: ‘વળા એંગ્લોવર્નાક્યુલર સ્કુલના હેડ માસ્તર.’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) આ ‘વળા’ તે આજના ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ. પુસ્તક પ્રગટ થયું ત્યારે એ હતું એક નાનકડું રજવાડું. અગાઉના આંકડા મળતા નથી પણ ૧૯૨૧માં વળાની વસ્તી હતી ૧૧,૩૮૬ની. ૪૭ વરસ પહેલાં, ૧૮૭૪માં વધુમાં વધુ ૭૦૦થી ૮૦૦ની હોય. ગામમાં એક કરતાં વધારે એંગ્લોવર્નાક્યુલર સ્કૂલ હોવાની શક્યતા નહિવત્. એકમાત્ર સ્કૂલમાં હોઈ હોઈને કેટલા વિદ્યાર્થી હોય!

એવી આ સ્કૂલના હેડ માસ્તર એક વખત વીસ દિવસની હક્કની રજા લઇ રાજકોટ ગયા. પણ માસ્તરનો જીવ. નવરાશનો કંટાળો આવવા લાગ્યો. આથી ‘ઉપદેશ સાથે ગમ્મત આપે એવી બાબત’ તરફ ધ્યાન આપ્યું. અને ‘દૈવયોગે’ જુલિયસ સીઝર નાટકનું ગુજરાતી ભાષાન્તર કરવાનું સૂઝ્યું. રાજકોટ હતા એ દરમ્યાન જ પુસ્તક લોકપ્રિય થાય તેવું છે કે નહિ તેનો અંદાજ મેળવવા એક જાહેર સભા બોલાવી અનુવાદનો પહેલો અંક વાંચી સંભળાવ્યો. ઘણાએ ફરિયાદ કરી કે અનુવાદમાં સંસ્કૃત શબ્દો પુષ્કળ વપરાયા છે. પણ તેનું નિવારણ કરવાને બદલે અનુવાદકે પ્રસ્તાવનામાં બચાવ કરતાં લખ્યું છે: “ગુજરાતી ભાષા સંસ્કૃતની પુત્રી છે. પોતાની માતુશ્રીનાં આભુષણ ધારણ કરાવવાથી જેવી તે સુંદર લાગશે તેવી યવન જ્ઞાતિ(ફારશી, અરેબીક)નાં ધારણ કરાવવાથી લાગનાર નથી.”   

ઓગણીસમી સદીનાં પુસ્તકોને માપવા કે પામવા માટે આજનાં ધોરણો બહુ કામ ન લાગે. ભાષાન્તર અને રૂપાંતર વચ્ચેની ભેદરેખા આજે છે તેટલી એ વખતે સ્પષ્ટ નહોતી, અનુવાદકોને મન મહત્ત્વની પણ નહોતી. અંગ્રેજી સાહિત્યની સમૃદ્ધિથી પોતાના જાતભાઈઓને પરિચિત કરવા એ એમનું મુખ્ય અને મહત્ત્વનું ધ્યેય હતું. એટલે એ જમાનાના બીજા કેટલાક અનુવાદકોની જેમ આ અનુવાદકે પણ કેટલીક જગ્યાએ રૂપાંતર કર્યું છે. લખે છે: “શેક્સપિયરનો મૂળ ભાવાર્થ ખૂબ સમજી મારા પોતાના શબ્દોથી અર્થ સમજાવવાની મને ફરજ પડી છે. જેમ બન્યું તેમ ગ્રીક અને રોમન લોકોએ દેવ દેવીને બદલે તેને મળતા આપણા સંસ્કૃત દેવ તથા દેવ પત્નિઓના નામ નાખેલા છે.”

ત્રણ પાનાંની પ્રસ્તાવના પછી અનુવાદકે જ સાડા ત્રણ પાનાંનો ઉપોદ્ઘાત લખ્યો છે. તેમાં જુલિયસ સીઝર નાટકની ભૂમિકા બાંધી છે. પુસ્તકના ટાઈટલ પેજ પર ‘પદ્ય વિભાગ રચનાર બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર’ એમ છાપ્યું છે પણ પ્રસ્તાવના કે ઉપોદ્ઘાતમાં ક્યાં ય તેમને વિષે અનુવાદકે એક શબ્દ પણ લખ્યો નથી, કે નથી તેમનો આભાર સુધ્ધાં માન્યો! (બીજા કેટલાક મદદકર્તાઓનો આભાર માન્યો છે.) પણ નામ જોતાં જુન્નરકર મરાઠીભાષી હોવાનો પૂરો સંભવ છે. ગુજરાતીમાં પદ્ય રચના કરી શકે છે એટલે ગુજરાતવાસી (રાજકોટવાસી?) હોઈ શકે. તેમણે મોટે ભાગે સંસ્કૃત છંદોમાં રચેલાં પદ્યો પુસ્તકમાં દેવનાગરી લિપિમાં છાપ્યાં છે. એ વખતના રિવાજ પ્રમાણે પુસ્તકમાં બે ટાઈટલ પેજ અને બે અર્પણપૃષ્ઠ છે; પહેલું ગુજરાતીમાં, બીજું અંગ્રેજીમાં. પુસ્તક તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ ડબલ્યુ.ડબલ્યુ. એન્ડર્સનને અર્પણ થયું છે. પુસ્તકના આગોતરા ગ્રાહકોની યાદી પુસ્તકને અંતે આપી છે. તેમાં સૌથી વધુ (૩૫) નકલ ધ્રાંગધ્રાના રાજસાહેબ માનસિંહજીએ ખરીદી છે. યાદીમાં વળાના ઠાકોરસાહેબનું નામ દેખાતું નથી. પણ બળવંતરાવ રામચંદ્ર જુન્નરકરના ભાઈ કેશવરાવે પાંચ નકલ ખરીદી છે. આ ઉપરાંત બીજા નવ મરાઠીભાષીઓનાં નામ પણ યાદીમાં જોવા મળે છે. એક પણ પારસી નામ યાદીમાં નથી. યાદી પહેલાં ૧૨ પાનાંનો ‘દુર્બોધ શબ્દોનો કોષ’ આપ્યો છે.

અનુવાદનો અંદાજ મેળવવા નાટકના ત્રીજા અંકના બીજા પ્રવેશમાંના માર્ક એન્ટનીના પ્રખ્યાત ભાષણનો થોડો ભાગ જોઈએ:

“રોમનો, દેશી ભાઈઓ તથા મિત્રો, શ્રવણાર્થે તમારા કાન મારી તરફ ફેરવો. હું સીઝરની પ્રશંસા કરવા નહિ, પરંતુ તેને દફનાવવા આવ્યો છું. જે કુકર્મો માણસો કરે છે તેમની વાસના તેમની પાછળ પણ રહે છે; પરંતુ જે સદાચરણ કરે છે તેનો અંત વારંવાર તેમના મૃત્યુ સાથે જ આવે છે; તેમ જ સીઝરનું પણ થવા દ્યો. કુલીન બ્રૂટસે તમને કહ્યું કે સીઝર મહત્ત્વાકાંક્ષી હતો; જો બ્રૂટસના બોલ સત્ય હોય તો, સીઝરમાં અધમ અપરાધ કહેવાય. તથા સીઝરને દુખદાયક રીતે તેનો બદલો મળ્યો છે. અહીંઆં બ્રૂટસ તથા બીજાઓની પરવાનગીથી (કારણ બ્રૂટસ પ્રતિષ્ઠિત મનુષ્ય છે; તેમ જ બીજા સઘળા છે.) હું સીઝરની લાસ પર થોડું ભાષણ કરવા આવેલો છું. સીઝર મારો કૃતજ્ઞ તથા નીતિમાન મિત્ર હતો: પરંતુ બ્રૂટસ કહે છે કે તે મહત્ત્વાકાંક્ષી હતો; તથા બ્રૂટસ પ્રતિષ્ઠિત માણસ છે. સીઝર રોમની અંદર ઘણાં કેદીઓ લાવ્યો છે જેના પરિક્રયણ મૂલ્યથી લોકોનાં જામદાર ખાનાંઓ તાજાં થઇ ગયાં છે: શું આને લીધે સીઝર મહત્ત્વાકાંક્ષી હતો? જ્યારે જ્યારે રાંક લોકોએ બળાત્કારનો પોકાર માર્યો છે, ત્યારે ત્યારે સીઝર રુદન કરતો આવ્યો છે: મહત્ત્વાકાંક્ષીનું રક્તસ્થળ તો કઠોર જ હોય: તો પણ બ્રૂટસ કહે છે તેમ મહત્ત્વાકાંક્ષી હતો; ને બ્રૂટસ પ્રતિષ્ઠિત માણસ છે… બ્રૂટસ જે બોલ્યો છે તે ખંડન કરવા મારો હેતુ નથી, પરંતુ આ ઠેકાણે જે હું જાણું છું તે જ બોલવાનો છું. તમે સઘળા એક સમયે તેના પર પ્રિતિ રાખતા હતા, તે પણ કારણ સિવાય નહીં; ત્યારે આ વખત શા કારણથી તમે તેના શવ પર શોક કરતા અટકો છો?”

જોઈ શકાશે કે અનુવાદક એક બાજુથી શ્રવણાર્થે, પરિક્રયણ, રક્તસ્થળ જેવા સંસ્કૃત શબ્દો વાપરે છે તો બીજી બાજુ તદ્દન સામાન્ય બોલચાલના પ્રયોગો પણ વાપરે છે. પરિણામે આપણને સંકર ભાષા અહીં મળે છે. વાગ્મિતા એ માર્ક એન્ટનીના ભાષણનું એક મહત્ત્વનું પાસું છે. પણ અનુવાદમાં મૂળની વાગ્મિતા ભાગ્યે જ જોવા મળે છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે મૂળને શક્ય તેટલા વફાદાર રહેવાનો અનુવાદકે પ્રયત્ન કર્યો છે. અનુવાદક વિષે માત્ર એટલું જાણવા મળે છે કે આ અનુવાદ ઉપરાંત ૧૮૭૮માં ‘સંસાર સાગરના તોફાની તરંગો અથવા દુર્ગાગૌરી દુઃખદર્શક નાટક’ નામની તેમની અન્ય કૃતિ પ્રગટ થઇ હતી. (એ જોવા મળી નથી.) નરભેશંકર પ્રાણજીવન દવે ચારેક વર્ષની ઉંમરના હતા ત્યારે ભાણજીભાઈનો આ અનુવાદ પ્રગટ થયો હતો. આથી એટલું તો ચોક્કસ કે ૧૮૭૪ પહેલાં પ્રગટ થયેલો શેક્સપિયરના કોઈ નાટકનો અનુવાદ ન મળે ત્યાં સુધી શેક્સપિયરના પહેલા ગુજરાતી અનુવાદકનું માન અને સ્થાન નરભેશંકર પ્રાણશંકર દવેને નહિ, પણ ભાણજી ગોકુળ પારેખને આપવું રહ્યું.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

[પ્રગટ : “શબ્દ સૃષ્ટિ”, સપ્ટેમ્બર 2018]

Loading

8 September 2018 admin
← સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે
દલિત આંદોલનોથી ધમધમતું ગુજરાત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved