Opinion Magazine
Number of visits: 9447675
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યનું બીજું નામ જ મહાત્મા ગાંધી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 October 2020

ગાંધીજીને આજે ૧૫૧ વર્ષ થયા.

શબ્દકોશમાં એક ફેરફાર કરવા જેવો છે. સત્યના જેટલા પર્યાયો છે એમાં એક ઉમેરવો જોઈએ. તે એ કે સત્ય એટલે મહાત્મા ગાંધી. તેમની આત્મકથામાં ગાંધીજીએ સત્યને જ ઈશ્વર કહ્યો છે. સત્યનો આટલો મહિમા ઈશ્વરે પણ નથી કર્યો. મહાભારતમાં કૃષ્ણે, સત્યનો મહિમા કરવા અસત્યનો જેટલો આશરો લીધો છે, એટલો લાભ પણ ગાંધીજીએ લીધો નથી. આઇન્સ્ટાઇને બહુ જ યોગ્ય રીતે કહ્યું છે કે આવનારી પેઢી માનશે નહીં કે આવો માણસ આ પૃથ્વી પર સદેહે ફરતો હતો.

સત્યને જીરવવું અઘરું છે, જ્યારે આ માણસે સત્યને પચાવ્યું છે. રાજા હરિશ્ચંદ્ર પછી બીજો સત્યવાદી સીધો મહાત્મા ગાંધીમાં મળે છે. એના પરથી પણ ખ્યાલ આવશે કે સત્ય સરળ નથી. સત્ય સાપેક્ષ છે, તે એકથી વધુ હોઈ શકે, પણ ગાંધીજી માટે સત્ય એક અને નિરપેક્ષ છે. આમ છતાં મહાત્મા સામે મારે કેટલીક વાતો કહેવાની થાય છે. એમનો જે તે કાર્ય માટે સાચો તર્ક હશે જ, પણ કેટલીક વાતો નથી જ સમજાઈ અને એમાં હું મારી જ પામરતાનો અનુભવ કરું છું.

મોહનદાસે તેમના પુત્ર હરિલાલને ન્યાય નથી કર્યો, તે ત્યાં સુધી કે આખી આત્મકથામાં દીકરાનું નામ લેવાનું પણ તેમને ઠીક નથી લાગ્યું. આ હરિલાલ દક્ષિણ આફ્રિકામાં ‘છોટે ગાંધી’નું બિરુદ પામી શકે એટલું કામ પિતા સાથે રહીને કરે છે, પણ શિક્ષણને મામલે મતભેદ પડે છે ને સ્થિતિ એવી થાય છે કે જેનો જેનો પિતાને વાંધો હતો એ બધાં જ કામ હરિલાલ કરે છે. ગાંધીજીએ જાણી જોઇને આત્મકથામાં હરિલાલનું નામ નથી દીધું કે અજાણતા જ તેમ થયું છે, તે નથી ખબર, પણ હરિલાલ આટલી ઉપેક્ષાને પાત્ર નથી જ ! પિતા સાથે નથી ફાવતું, પણ હરિલાલને કસ્તૂરબા સાથે બને છે. પિતા સામેનો વાંધો ઊભો રાખીને નાગપુર સ્ટેશને હરિલાલ બાને મળવા આવે છે ત્યારે નારંગી આપતાં બાને જ તે ખાવાનો આગ્રહ કરે છે ને પ્લેટફોર્મ પર બાપુની નહીં, પણ ‘બાની જય !’ બોલાવે છે તે સૂચક છે. બાપુએ સત્યનો મહિમા કરવા સંતાનોની વાત ન માની, પણ માની હોત તો તેથી અસત્યનો જ મહિમા થયો હોત એમ લાગતું નથી. માત્ર પોતાને નામે પુત્રને લાભ થઈ જાય એવું પિતા ઈચ્છતા નથી, પણ એ વખતે પુત્રની પાત્રતા પણ પિતાએ જોવી જોઈતી હતી. લાભ લીધો – એવું ત્યારે ગણાયું હોત જો પુત્રની પાત્રતા ન હોત ! પુત્રને પોતાની પાત્રતા સિદ્ધ કરવાની તક આપવામાં શું ખોટું થઈ જતું હતું તે નથી સમજાતું. આટલું બાદ કરતાં ‘સત્યના પ્રયોગો’, સત્યના યોગો જ છે એની ના પાડી શકાશે નહીં.

માણસ સત્યને માનનારો હોય તો તે કમસેકમ પોતાનો સ્વાર્થ તો જોશે, અહીં તો એ પણ નથી. સત્યનો મહિમા કરવાનો હોય તો ગાંધીજી પોતાની પૂરેપૂરી બાદબાકી કરી શકે એવા સક્ષમ હતા. સાચું બોલવાથી પોતાને નુકસાન થતું હોય તો તેમણે તે ખુશીથી થવા દીધું છે. આવું હોય ત્યાં સંતાનોની તરફેણ બાપુ ન કરે તે સમજી શકાય એવું છે, પણ એનાથી ન્યાય થતો નથી તે નોંધવું ઘટે.

*

બાપુ અહિંસામાં માનતા હતા ને જે હિંસાખોરો હતા તેનો એમને વાંધો પણ હતો, પણ તેમનો પ્રેમ સિદ્ધાંત તરફી હોવા કરતાં, માનવ તરફી વિશેષ હતો. એક ગેરસમજ બાપુ માટે એ ફેલાયેલી છે કે ભગતસિંહની ફાંસી રોકવા તેમણે કંઈ ન કર્યું. આ સાચું નથી. ગાંધીજીએ ૧૭ ફેબ્રુઆરી, ૧૯૩૧ને રોજ લોર્ડ ઈરવિન સાથે ચર્ચા શરૂ કરી તે પહેલાં ભગતસિંહ અને તેના સાથીઓને ફાંસીની સજા જાહેર થઈ ચૂકી હતી. એ સંદર્ભે દિલ્હીની એક જાહેરસભામાં બાપુએ કહ્યું છે, ‘મારો અહિંસાધર્મ તો ચોરો, ધાડપાડુઓ અને ખૂનીઓને સુધ્ધાં સજા કરવાની હિમાયત કરતો નથી, પછી ભગતસિંહ જેવા વીર પુરુષની તો વાત જ શી?’ એ પછી ૧૯ માર્ચે પણ લોર્ડ ઈરવિન સાથે એમણે વાટાઘાટ કરી, પણ ઈરવિન માન્યા જ નહીં. ગાંધીજી અહિંસામાં માનતા હતા એટલે ભગતસિંહને થયેલી ફાંસીના સમર્થનમાં હતા એમ માનવું ભૂલ ભરેલું એટલે છે કે ભગતસિંહને ફાંસી થઈ એ દિવસ સુધી એમણે ફાંસી રોકવા માટેના પ્રયત્નો કર્યા હતા, એટલું જ નહીં, એ પછી પણ ક્રાંતિકારીઓને ફાંસીને માંચડેથી કે કાળાપાણીની સજામાંથી એમણે છોડાવ્યા છે એ વાત ધ્યાને લેવાની રહે.

*

ગાંધી અને ટાગોર વચ્ચે મતભેદ હતા, પણ મનભેદ ન હતા. બન્ને એકબીજાને બહુ જ માનથી જોતા. ગાંધીને ‘મહાત્મા’ની ઓળખ ટાગોરે આપી હતી તો ટાગોરને ‘ગુરુદેવ’નું સંબોધન બાપુની ભેટ હતી. ટાગોર સ્વદેશીની ચળવળની વિરુદ્ધ હતા, ખાસ કરીને વિદેશી કાપડની હોળી કરવાને મામલે. બંને વચ્ચે આ અંગે તીવ્ર મતભેદ હતો. ટાગોર કહે છે, ’આપણને વિદેશી કાપડ બાળવાનો આદેશ આપવામાં આવ્યો છે. કમસેકમ હું તો એ પાળી નથી શકતો. એનું પહેલું કારણ તો એ કે આમ આંખ મીંચીને હુકમો માનવાની ભયાનક ટેવની સામે જબરદસ્ત સામનો કરવો એને હું મારું પ્રથમ કર્તવ્ય માનું છું … બીજું હું એમ માનું છું કે બાળવાનાં આ વસ્ત્રો મારાં નથી, પણ જેમને એની વધુમાં વધુ જરૂર છે, તેનાં છે. જો નાગા રહેનારા લોકોએ આપણને બાળવાનો આદેશ આપ્યો હોત તો એ સ્વૈચ્છિક બલિદાન કહેવાત, બાળઝાળનો કિસ્સો ન કહેવાત. પણ જે કાપડ ઘરમાં કેદી રહીને પોતાની લાજ ઢાંકનાર સ્ત્રીઓ પાસે જવાનું હોય તેને બાળવાના પાપનું પ્રાયશ્ચિત શી રીતે થઈ શકે?’

એનો જવાબ ગાંધીજીએ આમ આપ્યો છે, ‘કવિશ્રી માને છે કે જે કપડાં બાળવાની હું સૂચના કરું છું એ તેમનાં નથી, પણ ગરીબોનાં છે. હું એમ સૂચવું છું કે એ તેમનાં પોતાનાં જ હોવાં જોઈએ અને છે. જો એ કપડાં ગરીબનાં અથવા નવસ્ત્રાનાં હોત તો તેઓએ ક્યારનાં ગરીબોને આપી દીધાં હોત. મારાં પરદેશી કપડાં બાળીને હું મારી શરમને બાળું છું. જે કપડાંની તેઓને દરકાર નથી એવાં કપડાં નવસ્ત્રાને આપીને હું તેમનું અપમાન કેમ કરું? જે ધંધાની તેમને જરૂર છે એ ધંધો તેમને આપું છું. હું તેમનો મહેરબાન થવાનો દોષ કેમ કરું? તેઓને કંગાળ બનાવવામાં મેં ભાગ લીધો છે એવું ભાન થયે હું તો તેઓને ઊંચું સ્થાન આપું. મેં કાઢી નાખેલાં અન્નવસ્ત્ર ન આપું, પણ મારાં સારામાં સારાં અન્નવસ્ત્રનો ભાગ આપું અને તેઓની મજૂરીમાં તેઓનો સાથી થાઉં.’

કવિને રેંટિયા સામે પણ વાંધો હતો ને તેમણે તેની મજાક પણ ઉડાવી હતી, તો બાપુ પાસે એનો સચોટ જવાબ પણ હતો, પણ બંનેએ એકબીજાનું હંમેશ માન જાળવીને પોતાની વાતો જગત સામે મૂકી છે, આ ખેલદિલી આજે જણાતી નથી તે દુખદ છે.

*

સ્ત્રીઓ સંદર્ભે ગાંધીજીના વિચારો એમના સમય કરતાં અનેક રીતે આગળ હતા, પણ બાને મામલે બાપુ પક્ષપાત ન થઈ જાય એ વિચારે એમને અન્યાય કરી બેસે છે. બાને ઘરમાંથી કાઢી મૂકવાની ભૂલ બાપુએ કરી છે તે ઉપરાંત બાને અવગણવા જેવું પણ થયું છે. દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે રજિસ્ટર ન થયેલાં લગ્નોને કારણે હિંદી પત્નીઓ રખાત ગણાય એવી સ્થિતિ સર્જાય છે. એના વિરોધમાં જેલ ભરો આંદોલનમાં બાપુ સ્ત્રીઓને જોડે છે, પણ કસ્તૂરબાને એટલા માટે જોડતાં નથી કે બાને એમ ન લાગે કે પોતાના દબાણથી તે જેલ જવા તૈયાર થયાં છે. એ વાત બાને બીજેથી ખબર પડે છે ત્યારે બા જવાબ આપે છે, ‘હું હારીને (જેલમાંથી) છૂટી આવું તો મને ન સંઘરવી. મારાં છોકરાંયે સહન કરી શકે, તમે બધાં સહન કરી શકો અને હું એકલી સહન ન કરી શકું, એવું તમારાથી કેમ ધારી શકાય?’ આમ બાપુએ અગાઉથી ધારી લઈને કુટુંબ સંદર્ભે જે કેટલાક નિર્ણયો લીધા છે તે દરેક વખતે યોગ્ય જણાતા નથી.

*

બ્રહ્મચર્ય વિશેના તેમના વિચારો જે તે સમયના સંજોગો અને પ્રસંગોનું પરિણામ છે. પિતાના મૃત્યુ સમયે પત્ની સાથેનો સહવાસ તેમનામાં ગિલ્ટ જન્માવે છે. લગ્ન અંગેના તેમના વિચારો પણ સ્વસ્થ ચિત્તનું પરિણામ નથી. તેમને લગ્ન કે મૈથુન અનિવાર્ય જ જણાતું નથી. જ્યારે આહાર, નિદ્રા, ભય અને મૈથુનની અનિવાર્યતા સંસ્કૃત સુભાષિતથી પ્રમાણિત થયેલી સૌ જાણે છે. ગાંધીજી પોતે લગ્ન અને મૈથુનમાં સંડોવાયા છે ત્યારે વાસના રહિત પ્રેમની એમની અપેક્ષા એક અંતિમે હોય એવું લાગે છે. શરીર સંબંધ એમને માણસનું શરમજનક કૃત્ય લાગે છે ત્યારે પ્રશ્ન એ થાય કે સંતાન પ્રાપ્તિ દિવ્ય પ્રેમથી કઈ રીતે શક્ય છે? શરીર સંબંધને તેઓ તિરસ્કારે છે, પણ લગ્ન કે સંતાન પ્રાપ્તિથી એ દૂર રહ્યા નથી એ પણ એટલું જ સાચું છે.

બ્રહ્મચર્ય અંગે તેમણે પોતાને વારંવાર કસોટીએ ચડાવ્યા છે. બ્રહ્મચારી અંગે આવું કહે છે, ’બ્રહ્મચારી હોઉં એટલે અર્થ એ કે કાગળનો સ્પર્શ કરું અને મને જેમ વિકાર ન થાય તેમ કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરું પણ વિકાર ન થાય એવી સ્થિતિ હોવી જોઈએ.’ આનો શું અર્થ કરવો? સ્ત્રી પૂરતો સજીવ અને નિર્જીવ વચ્ચે કોઈ ફરક ગાંધીજી કરવા માંગતા નથી એમ સમજવાનું? એ યોગ્ય છે? જેમ કોઈ કામુક હોય એમ જ કોઈ બ્રહ્મચારી હોય એનો વાંધો નથી, પણ બ્રહ્મચર્ય અંગેનો બાપુનો આગ્રહ હઠાગ્રહની કક્ષાનો છે. બ્રહ્મચર્યને ગાંધીજી વિશાળ અર્થમાં જુએ છે એવું તેમણે ઘણીવાર કહ્યું છે, પણ તેમની વિચારણા શરીર સંબંધથી આગળ ગઈ નથી. વળી આ બ્રહ્મચર્ય તેમણે પોતાના પૂરતું સીમિત રાખ્યું નથી. આ પ્રયોગ માટે તેમણે સ્ત્રીઓને ઉપયોગમાં લીધી છે, અલબત્ત ! સ્ત્રીઓની સંમતિથી જ કદાચ.

૧૯૪૬માં મનુબહેન ૧૭ વર્ષની ઉંમરે મહાત્માની પર્સનલ આસિસ્ટન્ટ બને છે ને ગાંધીજીની અંતિમ ક્ષણો સુધી સાથે રહે છે ને ૪૦ની ઉંમરે અપરિણીત અવસ્થામાં મૃત્યુ પામે છે. તેના મૃત્યુ પછી દશેક ડાયરીઓ મળે છે એમાં ગાંધીજી, મનુબહેનને માતાને સ્થાને લાગે છે એવી વાત છે. બન્ને સાથે સૂએ છે. માતા સાથે દીકરી સૂએ એનો તો શો વાંધો હોય, પણ અહીં બંને નિર્વસ્ત્ર સૂએ છે. બાપુ માટે દુર્ભાવ નથી, પણ મા- દીકરી પણ સાથે, નગ્ન, સૂતી હોતી નથી, ત્યાં બ્રહ્મચર્યની આવી કસોટી જોખમી એટલે પણ છે કે અહીં સ્ત્રી પણ નિર્વિકાર રહી શકે છે એમ માની લેવાયું છે. સામેનું પાત્ર પણ નિર્વિકાર જ હોય ને કાયમ એમ જ રહી શકે એમ માનવું વધારે પડતું છે. મનુબહેનની ડાયરીમાં બાપુએ ઠેર ઠેર હસ્તાક્ષર કરેલા છે તે પરથી એટલું ચોક્કસ છે કે બાપુ ડાયરીથી અજાણ નથી. ગાંધીજીની હત્યા પછી મનુબહેનની સ્થિતિ દયનીય છે. એ મોરારજી દેસાઈએ નહેરુને લખેલા પત્ર પરથી ખબર પડે છે. ૧૯ ઓગસ્ટ, ૧૯૫૫ને રોજ એક ‘અજ્ઞાત રોગ’ના ઈલાજ માટે બોમ્બે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે મોરારજીભાઈ લખે છે, ‘મનુની સમસ્યા શરીરથી વધારે તો મનની છે. લાગે છે તે જીવનથી હારી ગઈ છે અને બધા પ્રકારની દવાઓથી એને એલર્જી થઈ ગઈ છે.’ ગાંધીજીના નિકટના સાથી પ્યારેલાલ, મનુબહેનને પરણવા ઉત્સુક હતા, પણ ક્યાંક બાપુનું મનુબહેન પ્રત્યેનું ‘માતૃત્વ’ આડે આવ્યું હોય એવું નથી લાગતું?

સરદાર પટેલ અને કિશોરલાલ મશરૂવાળાએ તો ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો વખોડ્યા પણ છે. સરદારે તો ૨૫ જાન્યુઆરી, ૧૯૪૭ના પત્રમાં બાપુને આ બધું બંધ કરવા જણાવ્યું છે ને આ પ્રયોગને તેમણે ગાંધીની ભયંકર ભૂલ પણ ગણાવી છે. ગાંધીજી ૭૭ વર્ષના છે ત્યારે ૧૭ વર્ષનાં મનુબહેન એમના સંપર્કમાં આવે છે. જો ૭૭ વર્ષે પણ બાપુને બ્રહ્મચર્ય કસોટીએ ચડાવવા યોગ્ય લાગતું હોય તો યુવાનીમાં એ કેટલું કસોટી કરનારું હોય એ કહેવાની જરૂર ખરી? એ સ્થિતિમાં બીજા પાસેથી એવો જ આગ્રહ રખાય તો તે અનેક શારીરિક, માનસિક સમસ્યાઓને જન્મ આપે એ ભૂલવા જેવું નથી.

એ કેવો વિરોધાભાસ છે કે સ્ત્રીઓથી દૂર રહેવાની વાત કરનારા બાપુ સ્ત્રીઓથી બહુ દૂર નથી. આઠેક સ્ત્રીઓનાં નામ તેમની સાથે સંકળાયેલાં રહ્યાં છે. તેમાં સૌથી મહત્ત્વનું નામ સરલાદેવીનું છે. આ સરલાદેવી તે ટાગોરનાં ભત્રીજી અને રામભજદત્ત ચૌધરીનાં પત્ની. રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળના કાર્યકર હતા ને જેલમાં હતા એ ગાળામાં ૫૭ના ગાંધીજી ૪૭નાં સરલાદેવીને મળે છે. બૌદ્ધિક મૈત્રીની ગાંધીજીને આમેય ખોટ વર્તાતી રહેતી એ ગાળામાં સરલાદેવીથી બાપુ ખૂબ પ્રભાવિત થાય છે તે એટલે સુધી કે પોતે સરલાદેવીને બૌદ્ધિક પત્ની ગણે છે. એક મિત્રે આ સંબંધને બૌદ્ધિક વિવાહનું નામ પણ આપેલું. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની બૌદ્ધિક, માનસિક, શારીરિક એવી પણ હોય? સરલા દેવી તેમને ઉષ્માપૂર્ણ પત્રો પણ લખતા. ૧૯૨૦માં ગાંધીજીએ કબૂલ કર્યું કે તેઓ સરલાદેવીના મોહમાં પડ્યા હતા ને એવી ઈચ્છા રાખતા હતા કે સરલાદેવી સાથે નજીકનો સંબંધ વિકસે.

૫૭ વર્ષે સ્ત્રી મોહથી મહાત્મા દૂર રહી શકતા નથી અને ૭૭ વર્ષે મનુબહેન કે આભા સાથે પોતાને બ્રહ્મચર્યની કસોટીએ ચડાવે છે ત્યારે તે સામી સ્ત્રીને પણ કસોટીએ ચડાવે છે. એ સારું છે કે નબળું એવી વાતમાં ન પડીએ તો પણ એટલું તો સ્પષ્ટ છે જ કે બ્રહ્મચર્ય કોઈ પણ ઉંમરે દગો દઈ શકે એમ છે. જે એ પાળે તે ભલે તેમ કરે, પણ જે ન પાળી શકે તેણે કોઈ પણ પ્રકારની લઘુતાથી પીડાવાની જરૂર નથી. બ્રહ્મચર્યને મહાનતા જોડે લેવા દેવા નથી.

ગાંધીજીની મહાનતા બ્રહ્મચર્યને કસોટીએ ચડાવવામાં જ નથી, પણ પોતાનાં તમામ સ્ખલનો બાપુએ જરા ય ઢાંકપિછોડા વગર પૂરી પ્રમાણિકતાથી જાહેર કર્યાં છે તેમાં છે. આટલી સચ્ચાઈ તો કદાચ ઈશ્વર પણ ન દાખવી શકે. એટલે જ એમને સત્યનો પર્યાય કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. એમને કોટિ કોટિ વંદન !

[01-10-2020]

૦

e.mail : ravindra21111946@gmail.com   

Loading

7 October 2020 admin
← મઘરાતે ….
નહીં મળે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved