Opinion Magazine
Number of visits: 9448063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યની શોધ અને સત્યનું સમર્થન એ જ સાચો ધર્મ …

સોનલ પરીખ|Opinion - Opinion|3 October 2024

ધર્મ સ્થપાય છે ત્યારે તેનું સત્ય જુદું હોય છે. માનવસ્વભાવના પાપે ધર્મો શ્રદ્ધા અને સાધનાના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. તેને કટ્ટર અને અંધ ભક્તોના મોટા સમૂહનો ટેકો પણ મળે છે. સડો વધી જાય પછી એ જ માનવસ્વભાવના પુણ્યે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે ધર્મોમાં દેખાય છે.

યાદ રાખીએ કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી

‘મહારાજ’ ફિલ્મના વિવાદોના જામેલા માહોલમાં એક નવલકથા વિષે લખવાનું મન થાય છે – ‘દા વિન્ચી કોડ’.

આપણે જાણીએ છીએ કે સૌરભ શાહની ‘મહારાજ’ નવલકથાના મૂળમાં પત્રકાર કરસનદાસ મૂળજી પર જદુનાથ મહારાજે કરેલા કેસ અને એના ઔતિહાસિક ચુકાદાની વાત એટલે કે એક સત્યઘટના છે. ડેન બ્રાઉનની ‘દા વિન્ચી કોડ’માં ખ્રિસ્તી ધર્મનાં ઐતિહાસિક સત્યો વણાયાં હોવા છતાં તેનો ઘટનાક્રમ પૂર્ણપણે કાલ્પનિક છે. એટલે એ રીતે બંનેને સરખાવી ન શકાય, પણ મદોન્મત્ત ધર્મસત્તાધીશોની દુષ્ટતા સામે બંનેએ પોતપોતાની રીતે લાલ આંખ કરી છે એટલું નોંધવું જોઈએ.

‘દા વિન્ચી કોડ’(2003)ના લેખક પર ઇતિહાસ અને ધર્મ સાથે ચેડાં કર્યાનો આક્ષેપ હોવા છતાં ત્રણ વર્ષ પછી તેના પરથી ફિલ્મ બની અને જબરો વકરો કમાઈ. છ વર્ષમાં વિશ્વની 44 ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને 12 વર્ષમાં કુલ 80 મિલિયન નકલો વેચાઈ. તેના મુખ્ય પાત્રને ફરી લઇ લેખકે બીજી બે નવલકથાઓ લખી, ‘એન્જલ્સ એન્ડ ડેમન્સ’ (2009) અને ‘ઇન્ફર્નો’ (2016). એના પરથી પણ ફિલ્મો બની.

પેરિસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં, તેના જૈફ સંરક્ષક સોનિયેરના ખૂનની ઘટનાથી ‘દા વિન્ચી કોડ’ નવલકથા શરૂ થાય છે. ખૂની સિલાસ એક ધર્માંધ, કટ્ટર ખ્રિસ્તી છે. પોતાને અમાનુષી શારીરિક કષ્ટ આપતો રહે છે અને રહસ્યમય ‘ટીચર’ના હુકમથી હોલી ગ્રેઇલ માટે હત્યાઓ કરે છે. હોલી ગ્રેઇલ એટલે ગુપ્ત શક્તિઓ ધરાવતું પથ્થરનું પાત્ર. શિષ્યો સાથે લીધેલા છેલ્લા ભોજન વખતે ઇસુએ આ પાત્ર વાપર્યુ હતું અને ક્રૂસારોહણ પછી ઇસુનું લોહી એમાં ઝીલવામાં આવ્યું હતું.

સિલાસને ખોટી માહિતી આપી મરતાં પહેલા સોનિયેર પોતાને પ્રસિદ્ધ ચિત્રકાર અને માનવશરીર-રચનાના અભ્યાસી લિયોનાર્દો દ વિન્ચીના ‘વિટ્રુવિયન મેન’ના આકારે ગોઠવે છે, શરીર પર  લોહીથી પંચકોણ તારો દોરે છે અને સાંકેતિક સંદેશ મૂકે છે. ફ્રેંચ પોલીસને અમેરિકાના પ્રોફેસર રોબર્ટ લેન્ગડન પર શંકા છે. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસી લેન્ગડન અત્યારે પેરિસમાં વ્યાખ્યાનો આપવા આવ્યો છે. વ્યાખ્યાનોમાં કહે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે નારીપૂજા થતી, એને બંધ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર, અત્યાચાર અને કત્લેઆમ થયાં, અંતે ધર્મનું રૂપ બદલાયું, નવા પ્રવાહે જૂનાં પ્રતીકો અને તથ્યોને ‘શેતાની’ ગણાવ્યાં – જેમ કે પાંચ બાજુઓવાળો તારો શેતાનનું પ્રતીક મનાય છે, પણ ખરેખર તો એ નારીપૂજાનું પ્રતીક છે વગેરે. પોલીસ અધિકારી સોનિયેરના સંદેશા ઉકેલવાને બહાને લેન્ગડનને ઘટનાસ્થળે લઇ આવે છે અને એના પર નજર રાખે છે. સોફી નેવ્યુ નામની ક્રિપ્ટોગ્રાફર (સંકેત-વિજ્ઞાન જાણનાર) લેન્ગડનને ત્યાંથી ભાગવા પ્રેરે છે. સોફી મરનાર સોનિયેરની પૌત્રી છે – દાદા સાથે ઘણા વખતથી સંપર્કમાં નહોતી, પણ દાદાએ જે સંકેત-સંદેશ તેના માટે મૂક્યો હતો, તેમાં લેન્ગડનનો ઉલ્લેખ હતો, તેથી લેન્ગડનને છોડાવવામાં તેને રસ હતો.

સોફી અને લેન્ગડન સોનિયેરના સંકેત મુજબ એક અજબ બેન્કના વૉલ્ટમાંથી એક નળાકાર ક્રિપ્ટેક્સ મેળવે છે – ક્રિપ્ટેક્સ એટલે ખાસ પ્રકારનું બૉક્સ, જેમાં ગુપ્ત દસ્તાવેજો છુપાવી શકાય. પાસવર્ડથી એ ખૂલે, પણ જોર કરીને ખોલવા જાઓ તો અંદરનો વિનેગર લીક થઈ દસ્તાવેજોનો નાશ કરે. નવલકથા કહે છે કે આ ક્રિપ્ટેક્સ પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીની શોધ હતી.

પાસવર્ડ શોધવા બંને ટિબિંગની મદદ લે છે. ટિબિંગ એક તિહાસકાર છે, જેણે હોલી ગ્રેઈલ વિષે ખૂબ સંશોધન કર્યું છે. એ કહે છે કે ખ્રિસ્તી ધર્મના ભૂંસી નાખવામાં આવેલા તબક્કાનાં રહસ્યોના દસ્તાવેજો બ્રિટનમાં ક્યાંક છુપાવાયા છે. લિયોનાર્દો દ વિન્ચી આ રહસ્યો જાણતો અને પોતાનાં ચિત્રોમાં એના સંકેતો મૂકતો. આ સંકેતો પાછળથી નવા રંગ લગાડીને છુપાવી દેવાયા હતા. ‘મોનાલીસા’, ‘મેડોના ઓન ધ રોક્સ’ અને ‘ધ લાસ્ટ સપર’માં આવી ગુપ્ત સાબિતીઓ છે. ટિબિંગ કહે છે કે હોલી ગ્રેઇલનો ખરો અર્થ પવિત્ર નારીત્વ એવો છે અને એ મેરી મેગ્ડલિન છે. ‘ધ લાસ્ટ સપર’ ચિત્રમાં વિન્ચીએ મેરીને બતાવી છે. મેરી ઇસુની પત્ની હતી, ક્રૂસારોહણ વખતે હાજર હતી અને ખિસ્તી ધર્મના પ્રારંભકાળનું બહુ સશક્ત વ્યક્તિત્વ હતી. પાછળથી એને ઇસુની વેશ્યા શિષ્યા ખપાવી દેવામાં આવી હતી. ઇસુ અને મેરીના વંશજો હજી આ પૃથ્વી પર હયાત છે.

સિલાસથી બચવા ત્રણે ટિબિંગના પ્રાઇવેટ વિમાનમાં ભાગે છે. ક્રિપ્ટેક્સ ખૂલે છે, પણ એમાંથી બીજું ક્રિપ્ટેક્સ નીકળે છે જેને ખોલવા તેમને ન્યૂટનની કબર છે તે વિન્સમિન્સટર ચર્ચ, લંડનમાં જવાનું છે. વિમાનમાં સોફી કહે છે કે તેણે દાદાને એક વિચિત્ર ક્રિયાકાંડમાં એક સ્ત્રી સાથે જોયા હતા તેથી તે એમને છોડી ગઈ હતી, ત્યારે લેન્ગડન કહે છે કે એ એક પવિત્ર વિધિ હતો.

વિન્સમિન્સટર ચર્ચમાં પણ સિલાસ પહોંચે છે. ત્યાં ખબર પડે છે કે ‘ટીચર’ એ બીજું કોઈ નહીં, ટિબિંગ જ છે. તેને હોલી ગ્રેઇલ અને બીજી સાબિતીઓ વડે વેટિકન(કેથલિક હેડક્વાર્ટર)ને કબજે કરવું છે. દરમ્યાન ફ્રેંચ પોલીસ અધિકારી આવી પહોંચે છે, અથડામણમાં સિલાસ માર્યો જાય છે.

બીજા ક્રિપ્ટેક્સના સંદેશ મુજબ સોફી અને લેન્ગડન રોઝલિન દેવળમાં જાય છે. ત્યાં સોફીને તેનો મૃત મનાતો ભાઈ અને દાદી મળે છે. દાદી ચર્ચની અધિષ્ઠાતા છે અને તે સોફી અને તેના ભાઈને કહે છે કે તમે બંને ઈસુના વંશજો છો. સલામતી ખાતર તમારી ઓળખ છુપાવવામાં આવી હતી. ત્રીજા સંદેશનો અર્થ એ નીકળે છે કે હોલી ગ્રેઇલ લૂવ્ર મ્યુઝિયમના પિરામિડ નીચે દફન છે. લેન્ગડનને ત્યાં મેરી મેગ્ડલિનની પથ્થરની કબર મળે છે … વાર્તાની આ રૂપરેખા ખબર હોય તો પણ શૈલી અને સુંદર વર્ણનોને લીધે ‘દા વિન્ચી કોડ’ અશ્વિની ભટ્ટની નવલકથાઓની જેમ જકડી રાખે છે. વિન્ચીનાં ચિત્રો અને ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસનો ઈન્ટરનેટ પરથી તાળો મેળવતાં જવાની જુદી મઝા આવે છે.

દરેક ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં પણ વિરોધ અને વિદ્રોહ બંને રહ્યા છે. એનો લોહિયાળ ઇતિહાસ ઈસ્વીસનના પહેલા 500 વર્ષના રોમન સામ્રાજ્યકાળ સુધી લંબાય છે. હાર્વર્ડ સ્કૉલર કારેન કિંગનું સંશોધન કહે છે કે ઇસુ સ્ત્રીઓનો આદર કરતા અને સ્ત્રી-પુરુષ સંબંધને પવિત્ર ગણતા. ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે સ્ત્રીઓ આગળપડતી હતી. પછીથી તેમને દબાવી દેવામાં આવી. ન દબાઈ તેવી લાખો સ્ત્રીઓને ડાકણ ગણાવી ખતમ કરવામાં આવી. વિશ્વ પુરુષનું છે, ધર્મ પુરુષનો છે ને બંને જગ્યાએ સ્ત્રીનું સ્થાન ઉતરતું છે એ ઠોકી બેસાડવામાં આવ્યું. 1895માં આવા લેખોનું એક પુસ્તક બહાર પડ્યું હતું, ‘ધ વુમન્સ બાઇબલ’. સોળમી સદીમાં સૂર્યમાળાઓ વિષે સંશોધન કરનાર ગિયોનાર્દો બ્રુનોને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનું ખંડન કરવાનો આક્ષેપ મૂકી જીવતો બાળી મૂકવામાં આવ્યો હતો. 18મી સદીની ક્રાંતિઓ દરમ્યાન વૉલ્ટેર, રુસો, થોમસ પેઈન જેવા અનેક મોટાં માથાંઓએ તત્કાલીન ખ્રિસ્તી ધર્મની આલોચના કરી હતી. ત્યાર પછી આવેલા લિબરાલિઝમ અને કોમ્યુનિઝમના દેવતાઓ કાર્લ માર્કસ, જોન સ્ટુઅર્ટ મિલ્સ, નિત્ઝે વગેરેએ પણ ખ્રિસ્તી ધર્મને જૂનવાણી, બિનલોકશાહી અને એક પ્રકારની ગુલામીને ઉત્તેજન આપનાર કહ્યો હતો.

ધર્મ સ્થપાય તો છે સત્યના પાયા પર. પણ માનવસ્વભાવના પાપે અને કટ્ટર અંધભક્તોના મોટા સમૂહના ટેકે ઝડપથી ધર્મો સત્યના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. એક હદ પછી એ જ માનવસ્વભાવના પુણ્યે અને જાગૃત બુદ્ધિનિષ્ઠ શ્રદ્ધાળુઓની મહેનત વડે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે જગતના બધા ધર્મોમાં દેખાય છે.

આપણે તો એટલું યાદ રાખવાનું કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જૂન  2024

Loading

3 October 2024 Vipool Kalyani
← શા માટે રાહુલ ગાંધી આર.એસ.એસ. ઉપર સીધો પ્રહાર કરે છે ?
વિનોબા સન્મુખની એ ધન્ય ઘડી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved