Opinion Magazine
Number of visits: 9563446
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 July 2021

આમ કોઈનાં નામ દેવાં જેવાં નથી એટલે મંત્રી – એટલું કહેવું જ પૂરતું છે ને જ્યારે બધા જ સરખા હોય ત્યારે કોઈનું નામ ન દઈએ તો ચાલે. હા, કોઈ વિશિષ્ટ કૈં કરે તો નામ દેવાનું ઠીક પણ લાગે. બધા જ સરખા હોય ત્યાં નામ પણ શું દેવાના? મધ્ય પ્રદેશના એક મંત્રીએ પેટ્રોલના ભાવ વધારા સંદર્ભે કહ્યું કે જીવનમાં સમસ્યા ન હોય તો સુખનો ખ્યાલ જ નહીં આવે. દુ:ખ વિના આનંદનો અનુભવ જ નહીં થાય. દુ:ખ આપણને સુખનું મહત્ત્વ સમજાવે છે. કોઈ સંતની વાણી હોય એવી વાત મંત્રીએ કરી છે. મંત્રીએ કેન્દ્ર સરકાર ભાવ વધારાને મામલે નિષ્ફળ ગઈ છે એવું પૂછાતાં કહ્યું કે આ માત્ર તમારા જેવા કેટલાકનું જ માનવું છે, તેઓ જ આવી અફવા ફેલાવે છે.

એમ લાગે છે કે આ દેશ સલાહો, ઉપદેશો, જાહેરાતોથી ખદખદે છે. ખૂબી એ છે કે જે આવે છે તે આપણું ભલું કરવા આવે છે ને પોતાનું ભલું કરીને આગળ નીકળી જાય છે ને આપણે હતા ત્યાંથી વધુ પાછળ જઈ પહોંચીએ છીએ. મધ્ય પ્રદેશના મંત્રીએ દુ:ખ વગર સુખનું મહત્ત્વ નહીં સમજાય એવો ઉપદેશ આપ્યો, પણ તે પ્રજા માટે છે, પોતાને માટે નથી. મંત્રી એટલું તો સમજે છે કે પેટ્રોલનો ભાવ વધારો દુ:ખદાયક તો છે જ, પણ પ્રજાએ તે કોઠે પાડી લેવા જેવો છે. જેમ કોરોના કોઠે પડી ગયો છે, એમ જ પેટ્રોલનો ભાવ પણ કોઠે પડી જશે. પેટ્રોલનો ભાવ વધારો સમસ્યા તો છે જ, પણ સમસ્યા છે તેથી સુખનો ખ્યાલ આવે છે એવું મંત્રીનું કહેવું છે. દુ:ખ નહીં હોય તો આનંદની કિંમત નહીં સમજાય ને આનંદની કિંમત સમજાય એટલે તો પેટ્રોલના ભાવ વધે છે ! મંત્રીનું એમ પણ માનવું છે કે ઈંધણના ભાવ વધારાને મામલે સરકાર નિષ્ફળ ગઈ નથી. જેમને એવું લાગે છે એવા તો ઓછા જ છે. મતલબ કે ભાવ વધારો મોટે ભાગની પ્રજાને માફક આવી ગયો છે. મંત્રીને તો કરોડો કમાવાના મળતા હશે, એટલે ઈંધણનો ભાવ એમને અસર નહીં જ કરે. એટલે જે દુ:ખ મંત્રીને અનુભવાતું નથી તે દુ:ખ લોકોએ વેઠતાં શીખવું જોઈએ એવું સંતમંત્રી કહે છે, તો પ્રશ્ન એ થાય કે સુખનું મહત્ત્વ સમજાય એ માટે પણ સાહેબે થોડું દુ:ખ વેઠવું જોઈએ એવું નહીં? એવી તૈયારી સાહેબ બતાવે તો કેવું સારું ! પણ એમને તો બોલવાનું છે. એ બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે.

આ અગાઉ પણ મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રીએ વધુ ફી ન ભરી શકતા વાલીઓને મરી જવાનું કહ્યું જ છે, તો છત્તીસગઢના પૂર્વ મંત્રીએ પણ કહ્યું છે કે ઈંધણનો ભાવ વધારો માફક ન આવતો હોય તેમણે  ખાવાપીવાનું છોડી દેવું જોઈએ, મતલબ કે મરી જવું જોઈએ. મંત્રીઓ આવી નિર્લજ્જ સલાહો આપે એના કરતાં મોંઘવારી કાબૂ કરવાની પ્રમાણક કોશિશો કરે તો પ્રજા પર ઉપકાર જ થશે.

મંત્રીમંડળનાં વિસ્તરણ પછી ખાતાંઓ બદલાયાં, એ પછી પણ લૂંટ ઘટી નથી. નવા પેટ્રોલિયમ મંત્રીએ પણ ભાવ વધારવાનું તો ચાલુ જ રાખ્યું છે. માથાના વાળ વધે એમ ભાવો વધે છે. સરકાર કર વધારીને કમાણી કરે તે તો સમજાય, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને લૂંટે તેને પણ કમાણી ગણે એ શરમજનક છે. મજબૂરીથી ભાવ વધારવા પડે એનો વાંધો ન હોય, પણ બેશરમી અને નફફટાઈથી ભાવ વધારો થાય એ લૂંટથી પણ બદતર ગુનાહિત કૃત્ય છે. છેલ્લા છ મહિનામાં 4.91 લાખ કરોડની લૂંટ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને ચલાવી છે ને એને એ કમાણી ગણાવે છે તે દુ:ખદ છે.

આશ્ચર્ય તો એનું પણ છે કે ભાવવધારો માત્ર વિપક્ષોને જ લાગે છે. એ જુદી જુદી રીતે ભાવવધારાનો વિરોધ કરે છે ને તેને તેમ કરતાં અટકાવવામાં આવે છે કે તેની ધરપકડ થાય છે, તો સવાલ એ થાય કે શાસક પક્ષના સભ્યોને પેટ્રોલ, દૂધ, કઠોળ, શાકભાજી મફત મળે છે કે એમનું સરકાર પૂરું કરે છે કે કોઈ ગુપ્ત રાહત મળે છે કે ભાવ વધારો નડતો જ નથી? એવું તો કેમ માનવું કે શાસક પક્ષનો કોઈ સભ્ય પેટ્રોલ પુરાવે તો તેનું બિલ નહીં ફાટે? ખબર નથી પડતી કે મોંઘવારી વિપક્ષને જ કેમ નડે છે? જો, મોંઘવારી ખરેખર હોય તો એ તો શાસક પક્ષને કે કોઈ પક્ષમાં ન હોય તેવી પ્રજાને પણ લાગેને ! ભા.જ.પ.ના કોઈ સભ્યને દૂધ લિટરે બે રૂપિયા મોંઘું થયું કે પેટ્રોલ શ્રીગંગાનગરમાં 112 રૂપિયે લિટર થયું એ નડે જ નહીં એ કેવું? કે એ સૌને સરકારી સાલિયાણું મળે છે? જો નહીં, તો એમને મોંઘવારી ન નડવાનું શું કારણ છે? વિશ્વમાં દર મિનિટે 11 લોકો ભૂખે મરી જતાં હોય ને અહીં કારમી ગરીબી અનેકોનો ભોગ લેતી હોય એ પીડા સરકારને ને પ્રજાને સ્પર્શે જ નહીં એ કેવું?

આપણી મોટા ભાગની પ્રજા અંધવિશ્વાસે જીવે છે. શાસકોમાં તેને ભારોભાર વિશ્વાસ છે. તે પ્રજાનું ખોટું નહીં જ કરે એમ માને છે ને પેટે પાટા બાંધીને પણ જીવવા તૈયાર છે. એ સારી વાત છે, પણ સારું ખરાબ જોવાનું તો બંધ ન કરાય ને ! સારું ખરાબ કૈં સ્પર્શે જ નહીં એવું તો કેમ બને? સારું થાય ત્યારે સરકારને વખાણવી ને નબળું થાય ત્યારે વખોડવી – એ ગુણ જો પ્રજા નહીં વિકસાવે તો તેણે કોઈ પણ પ્રકારનાં શોષણ માટે તૈયાર રહેવું પડશે. લૂંટારાઓ તો તેને લૂંટશે જ, પણ સાધુસંતો પણ તેને ઠગે તો આશ્ચર્ય ન થવું જોઈએ. સરકારમાં વિશ્વાસ હોવો સારી વાત છે, પણ કેવી સરકારમાં તે પણ વિચારવાનું રહે.

વિસ્તરણ પામેલી સરકારમાં 36 નવા મંત્રીઓ ઉમેરાયા છે. તેમણે નવાં સ્થાન પર હજી કોઈ કામ શરૂ પણ નથી કર્યું ત્યાં તો તેમની આરતી ઉતારવાનું શરૂ થઈ ગયું છે. કોઈ કામ થયું હોય તો તેની પ્રશંસા થાય તે સમજાય, પણ ખુરશી પર બેસવાની પણ જાહેરાતો? રોજ જ દર્શન દેવાની આ ટેવ વડા પ્રધાને પાડી છે, એમનું જોઈને મંત્રીઓ પણ પ્રાકટ્ય મહોત્સવો ઉજવવાનું ચૂકતા નથી. આ કોઈ રીતે યોગ્ય નથી. આ મહોત્સવો કરોડોમાં પડે છે. કાલ ઊઠીને પટાવાળો પણ પાટોત્સવ ઊજવે તો નવાઈ નહીં ! એ પણ ખોટી રીતે કમાઈને ઊઘડતે પાને મંગળાની આરતી ઉતરાવે તો આપણે તો ભાવિક ભક્તોની જેમ દર્શનનો લાભ જ લેવાનો રહે. વિસ્તારાયેલા મંત્રીમંડળમાં 42 ટકા મંત્રીઓ દાગી છે. 78માંથી 33 મંત્રીઓનાં નામ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. એમના પર હત્યાના, હત્યાની કોશિશનાં, લૂંટ વગેરેના કેસો ચાલે છે. નવું મંત્રીમંડળ યુવા અને શિક્ષિત હશે, પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલું છે ને પ્રજા જોયા મૂક્યા વગર વિશ્વાસે વહાણ ચલાવ્યે રાખે એ કમનસીબી છે. એ નથી સમજાતું કે પ્રજા આટલી નિર્માલ્ય કેમ છે? તે સજીવ છે તેની પ્રતીતિ કેમ થતી નથી?

એનાં બે કારણો હોઈ શકે. પ્રજા ક્યાં તો આઘાતોથી મૂઢ થઈ ગઈ હોય અને સાચુંખોટું સમજવાની શક્તિ ગુમાવી દેતાં ચૂપ થઈ ગઈ હોય એમ બને. તે એ વિશ્વાસે પણ હોય કે ગમે તેવી સ્થિતિમાં પણ તેને ઉગારનારું કોઈ આવી ચડશે. ક્યાં તો તે સરકારથી ચાર ચાસણી ચડે એવી હોય કે સરકારે છો લૂંટવું હોય એટલું લૂંટે, તે તો ગમે ત્યાંથી સરકાર સહિત અનેકને છેતરીને તળિયું ટાઢું કરી જ લેશે. આવું હોય તો પેટ્રોલ હજાર રૂપિયે લિટર થાય તો પણ તેના પેટનું પાણી નહીં હાલે. જે વેઠે છે તે વેઠાય ત્યાં સુધી વેઠશે ને નહીં વેઠાય તો આપઘાત કરતાં તેને કોણ રોકે છે? જીવવા માટે તેની પાસે એક માર્ગ નહીં હોય, પણ મરવા માટે અનેક માર્ગો હશે.

એમ લાગે છે કે સરકારને યોજનાઓની જાહેરાતમાં છે એટલો રસ યોજનાઓમાં નથી. રસીકરણની જાહેરાત તો કરી દે છે ને બધાંને રસી મુકાવવાનો આગ્રહ પણ કરે છે, પણ તે મુકાય છે કે કેમ તેની ચિંતા તે કરતી નથી, નહિતર રસી અમુક દિવસ બંધ રહેવાની જાહેરાત સરકાર શું કામ કરે? સરકાર જો ચોક્કસ હોય તો એવું તો ન જ બનેને કે લોકો રસી મુકાવવા જાય ને ધક્કા ખાઈને પાછા ફરે? લોકો આવી ઢીલાશને ચલાવી લે છે ને પછી સમસમીને રહી જાય છે તે કાયરતાનું જ પરિણામ છે. કદાચ લોકો વધારે જવાબદાર છે. પ્રજાને પેટ્રોલ મોંઘું લાગે જ છે, દૂધ, તેલ, અનાજ, કઠોળ વગેરેમાં લોકોનો પનો ટૂંકો પડે જ છે, પણ પક્ષની વફાદારી આડે આવતી હોય એવું બને ને એ જ કારણે કદાચ તે વેઠી રહી છે. સરકારે કમસેકમ એની દયા ખાઈને પણ મોંઘવારી ઘટાડવા કૈં કરવું જોઈએ, એવું  નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2021

Loading

12 July 2021 admin
← જ્યાંથી અમેરિકન સૈન્ય રાતોરાત ખસી ગયું છે, તેવા અફઘાનિસ્તા પાસે હવે શું વિકલ્પ છે?
અષાઢી બીજ … →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved