Opinion Magazine
Number of visits: 9448975
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારો જ હવે સરકાર બદલતી રહે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 August 2022

હવે નવી સરકાર લોકો નથી બનાવતા. લોકો સરકાર બદલે એટલી (તા)રાજકારણીઓમાં હવે ધીરજ જ રહી નથી, એટલે સરકારો જ સરકાર બદલતી રહે છે ને સત્તા સાચવવા મથતી રહે છે. ખુરશી ટકાવવા ને ખુરશી પડાવવા પક્ષો લોહીની જેમ પૈસા વેરે છે ને એમાં કોઈ, કોઇથી ગાંજ્યા જાય એમ નથી. લોકોની જરૂર તો મત આપવા પૂરતી જ છે, કારણ કે કહેવા ખાતર પણ ભારત લોકશાહી દેશ તો છે જ, એટલે મત વગર તો તેને ચાલે એમ નથી. જનાદેશ માથે ચડાવાય પણ છે, પણ પછી જનાદેશ, જનાવરદેશ થઈને રહી જાય છે. આખો દેશ તુક્કાઓ પર ચાલે છે. હાઇકમાન, હાઇકમાન્ડ આપે તો મિનિટોમાં મંત્રીઓની વગર મંત્રે મંતરાઈ જાય છે. ગયા સપ્ટેમ્બરમાં એમ જ મોવડીઓને લાગ્યું કે ગુજરાતની સરકારે બદલાવું જોઈએ તો ચપટી વગાડતામાં જ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પાણીચું મળી ગયું ને જેમને સપનું ય પડ્યું ન હતું એવા ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી થઈ ગયા. એટલાથી મોવડીઓ ધરાય એમ ન હતા, એમણે તો સાગમટે મંત્રીમંડળ પણ બદલવું હતું, એટલે બધા મંત્રીઓને તેમના કોઈ વાંકગુના વગર બદલી કઢાયા. ટૂંકમાં, લોકો હવે સરકાર બદલે એવું રહ્યું નથી, મોવડીઓને લાગે કે રાજ્યમાં પોતાની જ સરકાર બદલવી છે તો તે બદલી શકે છે. ભા.જ.પ.ની સરકાર ગુજરાતમાં હતી, નવી ચૂંટણીને વર્ષની જ વાર હતી, પણ સરકાર બદલાઈ અને ભા.જ.પ.ની જ સરકારે શપથવિધિ ફરી એકવાર કરી લીધી. આ બધાંમાં ચૂંટણી તો ઊભી જ છે. આ બધું મફત તો થતું નથી, પણ ખર્ચ સરકારને થતો નથી, ખર્ચ લોકોને માથે પડે છે. આ દેશ આટલો ખર્ચાળ તો કદી ન હતો. ખર્ચ ઘટે, તો ટેક્સ પણ ઘટે, પણ એ બધાંમાં કોઈને હવે રસ જ નથી. ગુલાલ ને લોહી આ દેશને કોઠે પડી ગયાં છે. ખૂબ મથવા છતાં, ગુજરાત સરકારની આખી કેટ ફરી શું કામ ચિપાઈ તેનો કોઈ જવાબ ગુજરાતની અબૂધ અને ‘ભોળી’ પ્રજાને વર્ષ થવા આવ્યું તો ય મળ્યો નથી ને હવે તો આખું ગુજરાત ચૂંટણીની (રાજ)રમતોમાં સપડાયું છે એટલે સમજવાની કોઈને જરૂર પણ લાગતી નથી. પ્રજાને મંજીરાં પકડાવી દેવાયાં છે એટલે એ તો ઉજવણું હોય કે ઉઠમણું ખખડાવ્યે જ જાય છે.

એની એ સરકાર બદલીને ફરી લાવવાની મોસમ બેઠી લાગે છે. થોડા મહિનાઓ પર મહારાષ્ટ્રમાં શિવસેનાની ગઠબંધન સરકાર પાડવામાં આવી ને ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી તરીકે ખસેડીને થાણેના શિવસૈનિક એકનાથ શિંદે મુખ્ય મંત્રી થયા ને ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડનવીસને ડેપ્યુટી સી.એમ.નું પદ સોંપાયું. અટકળ તો એવી પણ હતી કે ફડનવીસ જ મુખ્ય મંત્રી થાય, પણ એકનાથની સરકાર કેટલું ટકશે એ ત્યારે નક્કી ન હતું એટલે ફડનવીસને બીજે નંબરે રખાયા ને હવે દોઢેક મહિને 18 મંત્રીઓનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ને બાળાસાહેબ ઠાકરેમાં અટક જ સરખી છે. એ તો હોય, પણ જે આદર્શો સાથે શિવસેના મહારાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવી એ આદર્શ જ અભરાઈએ ચડાવી દેવામાં આવે તો તે હોય કે ન હોય, કોઈ અર્થ રહેતો નથી. વાઘના દાંત ને નખ, વાઘ જ તાસકમાં મૂકીને સ્પર્ધકને આપી દે તો વાઘ હોય કે ન હોય, સરખું જ છે. ઉધ્ધવની સરકાર દાંત, નખ વગરની થઈ. જે હિન્દુત્વના મુદ્દે શિવસેનાની મહારાષ્ટ્રમાં ઓળખ ઊભી થઈ, એ મુદ્દો જ કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે બેસવાને કારણે ગૌણ થઈ ગયો ને શિવસેનાનો વાઘ મ્યુઝિયમનો વાઘ થઈને રહી ગયો. એ બાળાસાહેબના અને હિન્દુત્વના ચાહકોથી સહન થયું નહીં અને એમણે સરકાર બદલવાનું નક્કી કર્યું. શિવસૈનિકોએ જ અઘાડી સરકારની સામે પડી સરકાર બદલી અને હવે એકનાથ શિંદેની સરકાર સક્રિય થઈ છે. અગાઉની સરકારનું જોડાણ બદલાયું છે ને શિવસેના અને ભા.જ.પ.ની સંયુક્ત સરકાર અમલમાં આવી છે. એકનાથ શિંદે મુખ્ય મંત્રી તરીકે 30 જૂને શપથ લઈ ચૂક્યા હતા તે પછી 9 ઓગસ્ટે શિંદે કેબિનેટનું વિસ્તરણ થયું છે ને એની વિશેષતા એ છે કે એમાં એક પણ મહિલા મંત્રી નથી. શિંદે જૂથના નવ અને ભા.જ.પ. જૂથના નવ એમ કુલ 18 મંત્રીઓએ શપથ લીધા છે.

એક તરફ ઉદ્ધવની સરકાર ખસે છે તે સાથે કાઁગ્રેસ અને એન.સી.પી. પણ ખસે છે ને શિવસેના અને ભા.જ.પ. કેન્દ્રમાં આવે છે તો બીજી તરફ એ જ અરસામાં બિહારની સરકાર પણ બદલાય છે ને મુખ્ય મંત્રી નીતીશકુમાર ભા.જ.પ. સાથેનો છેડો ફાડી ગઠબંધન જ નહીં, મહાગઠબંધનને ખોળે બેસે છે. નીતીશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનવું હતું એવું કહેવાય છે. એ ઉપરાંત 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો એક થાય તો નીતીશકુમારમાં એમને વડા પ્રધાનપદનો ઉમેદવાર પણ દેખાય એ ઇરાદે પ્રાદેશિક પક્ષોને પાંખમાં લેવાનું વિચારાયું હોય એમ બને. એ તો જે હોય તે, પણ જે ડી યુ ની ભા જ પ  સાથેની ચાર વર્ષ ચાલેલી સરકાર બદલાઈને હવે જે ડી યુ  અને મહાગઠબંધનની સરકાર થઈ છે. રાષ્ટ્રીય પક્ષનો સાથ છોડીને નીતીશકુમારે પ્રાદેશિક પક્ષોને આશરે જવાનું કેમ સ્વીકાર્યું, તો તેનું કારણ એ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ એ જ્ઞાન વઘાર્યું કે ભા જ પ નો ઇરાદો પ્રાદેશિક પક્ષોનો અંત લાવવાનો છે. આ વઘારનું પરિણામ એ આવ્યું કે નીતીશકુમારની છાવણીમાં પ્રાદેશિક પક્ષો એક થયા ને ભા જ પ નો જ કાંકરો બિહારમાંથી નીકળી ગયો. નીતીશકુમારને એવું લાગ્યું કે ભા જ પ  મોટો ખેલ ખેલી રહ્યો છે એટલે તેમણે એન ડી એ  છોડવાનો નિર્ણય લીધો ને કાઁગ્રેસ, આર.જે.ડી., ડાબેરી સભ્યોનો ટેકો મેળવીને નવી સરકાર રચી જેમાં મુખ્ય મંત્રી પોતે થયા ને આર.જે.ડી.ના તેજસ્વી યાદવને નાયબ મુખ્ય મંત્રી બનાવાયા. બિહારના મુખ્ય મંત્રી થવાની નીતીશકુમારને નવાઈ નથી, તેઓ આઠમી વાર મુખ્ય મંત્રી થવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. નીતીશ અને નીતિ વચ્ચે મોટું અંતર છે.

તેમાં ભા.જ.પ.ની નીતિ તો આદેશાત્મક જ હોય એટલે સ્વમાની નેતાઓને તે કઠે જ, ગરજાઉ તેને અનુકૂળ થઈ શકે, પણ નીતીશ તો ગરજાઉ છે ને સ્વમાની હોવાનો ભ્રમ પણ પાળે છે એટલે તેમને કોઇની સાથે લાંબું ન ફાવે એમ બનવાનું ને લાલસાઓ જરા ય ઓછી નથી ને નીચી પણ નથી એટલે અનંતકાળ સુધી મંત્રી રહેવા કોઈનું પણ પડખું સેવવાની તેમને છોછ નથી. મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવાતું હોય તો એ કોઈને પણ વફાદાર રહી શકે એમ છે. આઠમી વખત શું આઠસોમી વખત પણ મુખ્ય મંત્રી થવાનો તેમને વાંધો નથી, શરત એટલી જ કે મુખ્ય મંત્રીપદ ચાલુ રહે. મુખ્ય મંત્રી રહી શકાય ને ભા.જ.પ.નો આંકડો ગળામાંથી નીકળી જતો હોય તો જેમની સાથે વાંધો હતો એમને પણ પાંખમાં લેવાનો તેમને વાંધો નથી. કાલ ઊઠીને ભા.જ.પ.ની સાથે વળી બેસવાનું આવે તો તેનું પડખું સેવવાની ય તેમને જરા ય નાનમ લાગે એમ નથી. એ રીતે નીતીશે રાજનીતિ હોજરીમાંથી પચાવી છે. ભા.જ.પ. અને મુખ્ય મંત્રી વચ્ચે મેળ ન હતો એટલે સરકાર બદલવાનો ખેલ બિહારમાં પણ ચાલ્યો. ગુજરાતમાં પક્ષ એનો એ જ રહ્યો ને મંત્રીમંડળ બદલાયું. મહારાષ્ટ્રમાં સાથીપક્ષ બદલાયા ને મુખ્ય મંત્રી પણ બદલાયા. બિહારમાં સાથી પક્ષ બદલાયો ને મુખ્ય મંત્રી એના એ જ રહ્યા. આ બધું કેટલું કામચલાઉ અને તકલાદી છે તે કહેવાની જરૂર નથી.

આ તો નમૂના દાખલ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહારનાં ઉદાહરણો લીધાં. આવું બીજા રાજ્યોમાં પણ થયું છે ને ફરી ન થાય એવો કોઈ નિયમ નથી. કેન્દ્રને પણ ગઠબંધનની સરકારોની નવાઈ નથી, પણ જે ચાલી રહ્યું છે તે જોવા-તપાસવા જેવું છે. ચાલતી સરકારોને ઘોંચ પરોણો કરવો, સરકાર બદલાતી હોય તો બદલીને પણ મુખ્ય મંત્રી બની રહેવું, પોતાની સરકાર આવતી હોય તો મુખ્ય મંત્રીને બદલીને પણ પોતાની સરકાર અથવા પોતાને ફાવતી સરકાર લાવવી … એન્ડ સો ઓન. કાલે મોવડીઓને લાગે કે ભૂપેન્દ્ર પટેલ કે તેમનું મંત્રીમંડળ ઠીક નથી, તો તે ય બદલવાનો કોઈને બહુ વાંધો ન હોય એમ બને. એ જ રીતે શિવસેનાના થોડા સભ્યોને ફોડીને એન.સી.પી. કે કાઁગ્રેસ ફરી કોઈ આજ્ઞાંકિત મુખ્ય મંત્રી લાવે તો તેવી સરકાર પણ ન જ થાય એવું કૈં નથી, તો, કાલે નીતીશકુમારને ભા.જ.પ. ફરી કોઈ લોલીપોપ પકડાવે તો મહાગઠબંધન, મહાઠગબંધન લાગવા માંડે એમ પણ બને. એમાં પ્રજાને તો તળિયું જ નથી. તેતો આંગળિયાત જેવી છે. મુખ્ય મંત્રીની આંગળી ઝાલીને તે જેની સાથે નાતરું થાય ત્યાં જવા તૈયાર છે. તે તો મત આપે કે કામ પૂરું ! પછી મંત્રી બદલાય કે સરકાર બદલાય તેણે તો આમ પણ માથે હાથ જ દેવાનો છે, તો તેવી સગવડ તો કોઈ પણ સરકાર આપે એમ છે. પ્રજા સાવ નિર્માલ્ય, સ્વમાનહીન ને મફતિયું ખાવા ટેવાયેલી છે, તેને માથે કોઈ પણ આવે બહુ ફરક પડતો નથી. કોઈ રેવડો વેચે કે ‘બેવડો’, તેને તો બધું હજમ થઈ જાય એમ છે, પણ રાજકીયપક્ષો ને સરકારો જે ખેલ ખેલે છે તે અંગે એમણે કૈં વિચારવાનું થાય છે કે વિચારવાને નામે બધાંએ જ નાહી નાખ્યું છે તે નથી ખબર.

સવાલોનો સવાલ એ છે કે સરકારનું કામ હવે મંત્રીઓ બદલવાનું કે સાથી પક્ષોને બદલવાનું, એટલું જ રહ્યું છે? સરકારોનું કામ અદલાબદલીનું જ છે કે પ્રજાકીય કામોનું પણ છે? અદલાબદલીમાં કે નવી ચૂંટણી એ રમતમાં આવી પડે તો તેમાં, પ્રજાનાં કામો, પ્રજાના પ્રશ્નો ખોરંભે ચડે એવું ખરું કે કેમ? આમ પ્રજાએ જે હેતુથી મત આપ્યા હોય ને જનાદેશ કોઈ ચોક્કસ પક્ષ સંદર્ભે આપ્યો હોય ને પછી જે નાતરાં સરકારો અમલમાં આવે છે તેમાં જનાદેશ, જનાવરદેશને જ ચીંધતો હોય તો તેનો કોઈ ઉપાય ખરો કે પ્રજાએ ભોળાભાવે જે ચાલી રહ્યું છે તેને ભીની આંખે મંજૂરી જ આપ્યાં કરવાની છે? આ રીતે બદલાતા મંત્રીઓને કે પક્ષોને સરકાર પરિવર્તનનાં કામ સિવાય બીજું કૈં કરવાનું રહે છે કે એ જ એમનું એક માત્ર ને મુખ્યકામ છે? આવી સરકારને કોઈ શરમ, કોઈ સંકોચ, કોઈ સિદ્ધાંત, કોઈ આદર્શ, કોઈ નીતિ, કોઈ ફરજ જેવું ઊંડે ઊંડે પણ ક્યાંક છે કે તેને માત્ર ઢોરની જેમ જીવ છે ને અંતરાત્મા જેવું જડમૂળમાંથી જ ઊખડી ગયું છે તે નથી સમજાતું. તમને સમજાય છે? સમજાય છે કૈં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઑગસ્ટ 2022

Loading

12 August 2022 Vipool Kalyani
← નીતીશકુમારના રાજકીય પલટાઓનો કોઈ બચાવ ન થઈ શકે
પોતીકું લાગતું ઘર મકાન-મિલકત બની જવાની વ્યથા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved