Opinion Magazine
Number of visits: 9446925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સનાતન ધર્મ વિશે ગાંધીજી શું કહે છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|23 September 2023

“જિસ સનાતન કો ગાંધીજીને જીવનપર્યંત માના. જિન ભગવાન શ્રીરામને ઉનકો જીવનભર પ્રેરણા દી. ઉનકે આખરી શબ્દ બને થે રામ. જિસ સનાનતને ઉન્હે અસ્પૃશ્યતા કે ખિલાફ આંદોલન ચલાને કે લિએ પ્રેરીત કિયા. યહ I.N.D.I.A. ગઠબંધન કે લોગ, યહ ઘમંડિયા ગઠબંધન કે લોગ ઉસ સનાતન પરંપરા કો સમાપ્ત કરના ચાહતે હૈ ..” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મધ્ય પ્રદેશના બીનામાં એક કાર્યક્રમમાં વિરોધ પક્ષના ગઠબંધન પર પ્રહાર કરતાં ઉપરોક્ત ભાષણબાજી કરી હતી. જો કે નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મને ગાંધીજી સાથે જોડીને જે વાત કરી તેની પાછળ તેમનો હેતુ ધર્મના નામે રાજકારણ રમવાનો છે. ગાંધીજીના સનાતન ધર્મને લઈને જે વિચારો હતા તે ધર્મની આજે જે વ્યાખ્યાઓ અને અર્થ કરાયા છે તેનાથી ઘણા ભિન્ન હતા. ગાંધીજી એ ધર્મ અંગેના પોતાના વિચારો ખૂબ સ્પષ્ટતાથી રજૂ કર્યા છે. 1921માં ‘નવજીવન’ સામયિકમાં તેમણે ‘હિંદુ ધર્મ’ના મથાળેથી સનાતન ધર્મ વિશે ખૂબ વિગતે લખ્યું છે.

તેઓ લેખની શરૂઆતમાં લખે છે : “હું હંમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું .… અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલીયે બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાને સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઇચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઇચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. “સનાતન” શબ્દ હું એના સ્વાભાવિક અર્થમાં જ હંમેશાં વાપરું છું. હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે : 

  1. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. 

     2.  હું વર્ણાશ્રમધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં.

     3.  હું ગૌરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ઘણા વધારે વિશાળ અર્થમાં માનું છું.  

     4.  મૂર્તિપૂજાને વિષે મારી અનાસ્થા નથી.

સનાતન ધર્મ અંગે ગાંધીજીએ અહીંયા જે ચાર બાબતો ટાંકી છે તેમાં હિંદુ ધર્મની જે પરંપરાગત આસ્થા છે તેનો સૂર છે. પરંતુ અહીં તુરંત ગાંધીજી હિંદુ ધર્મશાસ્ત્રો વિશે સ્પષ્ટતા કરતા લખે છે : “… વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી — પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય — બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે.”

અહીં ગાંધીજી કુરાન, બાઈબલ અને ઝંદાઅવસ્તાને વેદોની હરોળમાં મૂકે છે. આ ઉપરાંત શાસ્ત્રો જો બુદ્ધિ અને નૈતિક દૃષ્ટિએ યોગ્ય ન લાગે તો તેમાં બંધાઈ જવાનો પણ ઇન્‌કાર કરે છે. શંકરાચાર્યો પર પ્રશ્નો કરીને તેઓના ધર્મગ્રંથોનું જ્ઞાન અસ્તવ્યસ્ત છે તે પણ જણાવે છે. ગાંધીજીના નામનો આધાર લઈને સનાતન ધર્મની વાતો કરનારા આજના રાજકારણીઓ શું ખુલીને ગાંધીજીના આ વિચારોનો સ્વીકાર કરી શકશે?

જો કે ગાંધીજીએ સનાતન ધર્મની બાબતે વર્ણાશ્રમને લઈને જે વિચારો મૂક્યા છે તેના સ્વીકારને લઈને સતત વિવાદ થતા રહ્યા છે. ખાસ કરીને વર્તમાન સમયે ગાંધીજીના વર્ણાશ્રમ સંબંધિત વિચારો સાથે સહમતિ સાધી શકાતી નથી. વર્ણાશ્રમનો સ્વીકાર કરતા ગાંધીજી આભડછેટનો મક્કમતાથી વિરોધ કરે છે. તેઓ આ બાબતે એક પ્રસંગ ટાંકતા લખે છે : “દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુ:ખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં! મને ભય છે કે શું ખાવું અને કોની જોડે ખાવું એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી ઘણી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.”

વર્ણાશ્રમ પછી તેઓ હિંદુ ધર્મ અને ગાય વિશે પણ આ લેખમાં ખાસ્સું લખ્યું છે અને તેઓ ગોરક્ષામાં આપણે ગાયની કેવી દુર્દશા કરી મૂકી છે તેના વિશે પણ લખવાનું ચૂક્યા નથી. ગાંધીજીએ ગીતા, રામાયણ અને મહાભારત તરફની તેમની મમતા વિશે કહ્યું છે :  … એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ(જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવમાં મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવતો. હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે.”

ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનો સૌથી મોટી મર્યાદા ગણાવી છે : “આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હંમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે, પણ એવી બીજી પણ અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારે હું તો શરમથી મરી જ રહ્યું. અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યા અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે.”

હિંદુ ધર્મની આ વાતો ગાંધીજીએ 1921માં લખી છે અને એ પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. ગાંધીજીના ઘણા વિચારોમાં વિરોધભાસ જોવા મળે છે તો કેટલાંક વિચારોમાં પરિવર્તન પણ આવ્યું છે. આ બાબતે તેમણે 1933માં લખ્યું છે કે, “મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈના મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.”

e.mail : kirankapure@gmail.com

Loading

23 September 2023 Vipool Kalyani
← ‘इंडिया’ का इस्तेमाल रोकने की सरकारी कवायद
ચૂંટણી જીતવા 15 વરસ પછી ખાવા મળે એવું ગાજર →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved