Opinion Magazine
Number of visits: 9448854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સભ્યતા, સંસ્કાર, મર્યાદા લોકશાહીનો પ્રાણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 June 2024

વિધાનસભાની ચૂંટણી પછી નવી રચાયેલી આંધ્ર પ્રદેશ વિધાનસભાના અધિવેશનના પહેલા દિવસે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુએ પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને કહ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને યુવાજન શ્રમિક રૈયત કાઁગ્રેસ પાર્ટી(વાય.એસ.આર.સી.પી.)ના નેતા જગન મોહન રેડ્ડીની દરેક રીતે માનમર્યાદા જાળવવામાં આવે. તેમનું અપમાન થવું પણ ન જોઈએ અને તેમને અપમાન થઈ રહ્યું છે એવું લાગવું પણ ન જોઈએ.

નારા ચંદ્રાબાબુ નાયડુ

વાચકોને યાદ હશે કે આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિધાનસભાની કૂલ ૧૭૫ બેઠકોમાંથી ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ્‌ પાર્ટીને ૧૩૫ બેઠકો મળી હતી. ચન્દ્રાબાબુએ પવન કલ્યાણ નામના નેતાના પ્રાદેશિક પક્ષ જન સેના પાર્ટી સાથે ચૂંટણી સમજૂતી કરી હતી અને તેને ૨૧ બેઠકો મળી હતી અને ભારતીય જનતા પક્ષને ૧૦ બેઠકો મળી હતી. કૂલ મળીને ૧૭૫ બેઠકોમાંથી એન.ડી.એ.ને ૧૬૪ બેઠકો મળી હતી. જગન મોહન રેડ્ડીના પક્ષને માત્ર ૧૧ બેઠકો મળી હતી. માત્ર ૧૧. ઊભા રાખેલા ઉમેદવારો સામે વિજયની સરેરાશને અંગ્રેજીમાં સ્ટ્રાઈક રેટ કહેવામાં આવે છે અને  એન.ડી.એ.નો સ્ટ્રાઈક રેટ લગભગ ૯૪ ટકાનો હતો. ૨૦૧૯ની સાલની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીઓમાં બી.જે.પી.નો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં જે સ્ટ્રાઈક રેટ હતો તેનાં કરતાં પણ વધુ. આ ભવ્ય વિજયનો શ્રેય ચન્દ્રાબાબુ નાયડુને જાય છે. વિજયનો શ્રેય એન.ડી.એ.ને એટલા માટે પણ જાય છે કે આંધ્ર પ્રદેશના મતદાતાઓ જગન મોહનના શાસનથી નારાજ હતા.

બંધારણીય જોગવાઈ મુજબ લોકસભામાં કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનું સત્તાવાર પદ મેળવવા માટે સૌથી મોટા વિરોધ પક્ષ પાસે ગૃહની કુલ બેઠકોમાંથી દસ ટકા બેઠક હોવી જરૂરી છે. આંધ્ર પ્રદેશમાં કૂલ ૧૭૫ બેઠકો છે અને જગન મોહન રેડ્ડીના પક્ષ પાસે દસ ટકા કરતાં ઘણી ઓછી માત્ર ૧૧ બેઠકો છે એટલે તેઓ વિરોધ પક્ષના નેતાના પદ માટે દાવેદારી કરી શકે એમ નથી. ચન્દ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે પ્રતિપક્ષના સભ્યો અને તેના નેતા એટલા જ આદરણીય છે જેટલા હોવા જોઈએ. સંખ્યા ગૌણ છે.

આને કહેવાય ખાનદાની. આને કહેવાય સંસ્કાર. આને કહેવાય ખેલદિલી. ચન્દ્રાબાબુ નાયડુ આ એટલા માટે કરી શક્યા કે તેઓ લોકતંત્રને વરેલા છે. લોકશાહીમાં પક્ષો અને નેતાઓ આવે ને જાય. લોકશાહીમાં વિજય અને પરાજય આવે ને જાય. ચન્દ્રાબાબુ નાયડુએ પરાજય (કારમો  પરાજય સુદ્ધા) જોયા છે અને ખમ્યા છે. ચન્દ્રાબાબુ નાયડુના પક્ષને ૨૦૧૯ની સાલની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૩ બેઠકો મળી હતી અને જગન મોહન રેડ્ડીના પક્ષને? ૧૭૫ બેઠકોમાંથી ૧૫૧ બેઠકો. ટી.ડી.પી.ને અત્યારે જેટલી બેઠકો મળી છે તેનાથી ઘણી વધુ. આને કહેવાય લોકશાહી! લોકશાહીને વરેલા નેતાઓમાં ખાનદાની અભિપ્રેત છે.

અહીં વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર શેખર ગુપ્તાએ કહેલો પ્રસંગ યાદ આવે છે. તેઓ પાકિસ્તાનના એ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની મુલાકાત લઈ રહ્યા હતા. વાતવાતમાં નવાઝ શરીફે કહ્યું કે ભારત વિશેનું મેં જોયેલું એક દૃશ્ય હું ભૂલી શકતો નથી. ૧૯૮૯માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કાઁગ્રેસનો પરાજય થયો. રાજીવ ગાંધીની જગ્યાએ રાજીવ ગાંધીના એક સમયના સાથી તેમ જ વિશ્વાસુ ગણાતા પણ પછી તેમનો દિવસરરાત વિરોધ કરનારા વિશ્વનાથ પ્રતાપ સિંહ વડા પ્રધાન બન્યા. સંસદના સંસદના સત્રનો પહેલો દિવસ હતો જેમાં ખુરશી ગુમાવનાર પરાજિત વડા પ્રધાન નવા વડા પ્રધાનનું સંસદ ભવનના મુખ્ય દ્વારે સ્વાગત કરે છે અને પછી મુખ્ય દ્વારથી ગૃહના પ્રવેશ દ્વાર સુધી સાથે ચાલીને ગૃહમાં ફરી તેમનું સ્વાગત કરે છે. આ સભ્યતા, આ સંસ્કાર, આ મર્યાદા લોકશાહીનો પ્રાણ છે જે ભારતમાં જોવા મળે છે અને અમે તેને માટે તરસીએ છીએ. આ દૃશ્ય ૨૦૧૪માં પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનીઓ જે દૃશ્ય જોવા તલસે છે એ દૃશ્ય આપણે ત્યાં કેટલાક લોકોને ગમ્યું નહીં. તેમને થયું કે પાકિસ્તાની મુસલમાનો સંસ્કારી થઈ ગયા અને ભારતના હિંદુઓ પાછળ રહી ગયા!

ચન્દ્રાબાબુ નાયડુની રાજકીય સફરથી આપણે પરિચિત છીએ. તેઓ વિકાસલક્ષી શાસક તરીકેની અને પ્રમાણમાં ભદ્ર રાજકારણી હોવાની ખ્યાતિ ધરાવે છે. ૧૯૯૯માં અમેરિકાના એ સમયના પ્રમુખ બિલ ક્લીન્ટન ભારત આવ્યા ત્યારે તેઓ અવિભાજિત આંધ્ર પ્રદેશના એ સમયના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને મળવા હૈદરાબાદ ગયા હતા. તેમણે આગ્રહ રાખ્યો હતો કે મારે આંધ્ર પ્રદેશની ડેવલપમેન્ટ જર્ની જોવી છે. તમને આ વાતની કદાચ જાણ નહીં હોય, કારણ કે ભદ્ર જનો આત્મપ્રસંશાનો બુંગિયો વગાડતા નથી.

આમ ચન્દ્રબાબુ નાયડુ ભદ્ર રાજકારણી છે એમાં કોઈ શંકા નથી, પણ અને તેની સાથે એ વાત નહીં ભૂલતા કે તેઓ બહુ ચતુર માણસ પણ છે. તેમણે જગન મોહન રેડ્ડીનો આદર જાળવવાની અને મર્યાદાનું પાલન કરવાની સલાહ કેવળ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને નથી આપી, દિલ્હીના શાસકોને પણ આપી છે. દિલ્હીની સરકાર ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના ટેકા ઉપર ઊભી છે એ તો આપ જાણો જ છો. અને હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ જ સલાહ આપી છે. તમને તમારો એજન્ડા આગ્રહપૂર્વક લાગુ કરવાનો અધિકાર છે, પણ તુમાખીપૂર્વક નહીં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2024

Loading

27 June 2024 Vipool Kalyani
← પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી !
Nalanda Mahavihar: Did Bakhtiar Khilji Destroy it? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved