Opinion Magazine
Number of visits: 9446167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેવડી કલ્ચર : ગરીબ દેશની મજબૂરી કે નેતાઓનો શોખ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 August 2022

આમ તો પુરાતત્વ વિદ્વાનોએ ગુજરાત-કચ્છમાં પાંચ હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના સ્થળેથી તેને શોધી કાઢી હતી, અને આજે પણ ભારતીય સમાજમાં ‘મોઢું મીઠું’ કરવાની પરંપરામાં તેનું ચલણ છે, પરંતુ ભારતીય રાજનીતિમાં રેવડીનો અલગ જ દબદબો છે. તાજેતરમાં વડા પ્રધાનના એક નિવેદન અને પછી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી રેવડી કલ્ચરને લઈને દેશમાં ચર્ચા છેડાઈ છે. રેવડી એટલે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મફત સેવા-સુવિધા આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ. ભારતમાં રેવડીની વાત નવી નથી. નાની-મોટી, હાલની અને ભૂતકાળની તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અલગ-અલગ રીતે રેવડીઓ વહેંચતી રહી છે, પરંતુ તાજેતરમાં “રેવડીઓ બંધ કરો”નું કોરસ ગાન શરૂ થવા પાછળ મુખ્ય બે “મહેમાન” છે; વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ.

તાજેતરમાં, ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એકપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવા માટે મહેમાન બનેલા વડા પ્રધાને રેવડી કલ્ચરનો મુદ્દો ઉછળતાં કહ્યું હતું, “આજે આપણા દેશમાં મફત રેવડી વહેંચીને મતો ઉઘરાવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે જોખમી છે. આ દેશના લોકોએ, ખાસ કરીને યુવાનોએ, આ રેવડી કલ્ચરથી સાવધ રહેવું જોઈએ. રેવડી કલ્ચરવાળા માણસો તમારા માટે એકપ્રેસ વે, એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બાંધે. રેવડી કલ્ચરવાળા લોકોને લાગે છે એ લોકોમાં મફત રેવડી વહેંચીને તેમને ખરીદી શકે છે. આપણે બધાએ ભેગા થઇને આ માનસિકતાને તોડવી જોઈએ. દેશની રાજનીતિમાંથી રેવડી કલ્ચરને દૂર કરવું જોઈએ.”

વડા પ્રધાનની ‘અકળામણ’નું તાત્કાલિક કારણ આમ આદમી પાર્ટીના કેજરીવાલ હતા, જે “મફત વીજળી-મફત પાણી- મુસાફરીમાં સબસીડી”ના મોડેલ પર પંજાબની ચૂંટણી જીત્યા છે, અને ગુજરાતમાં તેનો પ્રચાર કરી રહ્યા છે. કેજરીવાલે વડા પ્રધાને નહોર ભર્યા તેને જવા ન દીધા, અને વળતા જવાબમાં કહ્યું;

“મારી સામે આરોપ છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચે છે. મારું અપમાન કરવામાં આવે છે અને મજાક ઉડાવવામાં આવે છે. હું આ દેશના લોકોને પૂછવા માગું છું, હું શું ખોટું કરી રહ્યો છું? હું દિલ્હીના મધ્યમ-વર્ગીય અને ગરીબ પરિવારોનાં બાળકોને મફત અને ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યો છું. હું લોકોને પૂછવા માગું છું, હું મફત રેવડી આપી રહ્યો છું કે પછી દેશ માટે પાયો નાખી રહ્યો છું? દિલ્હીમાં કોઈને અકસ્માત થાય તો ફરિશ્તે યોજના હેઠળ હોસ્પિટલમાં તેની મફત સારવાર થાય છે … અમે 13 લાખ લોકોના જીવ બચાવ્યા છે. તેમને પૂછો કે કેજરીવાલ મફત રેવડી આપે છે કે ઉમદા કામ કરે છે? લોકો કહે છે કે કેજરીવાલ મફત વીજળી કેમ આપે છે? હું તેમને પૂછવા માગું છું – તમારા મંત્રીઓ કેટલી વીજળી મફત મેળવે છે? તમારા મંત્રીઓ 4,000-5,000 યુનિટ વીજળી મફત મેળવે તે ચાલે, પણ ગરીબને હું 200-300 યુનિટ મફત વીજળી આપું તો તમને તકલીફ છે.”

એમાં ભા.જ.પ.ના નેતા અને વકીલ અશ્વિન ઉપાધ્યાયે, સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરીને, રાજકીય પક્ષોને મફત ઘોષણાઓ કરતાં અટકાવવા માટે કોર્ટનું નિર્દેશન માગ્યું, એટલે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ પણ અરજી સ્વીકારતાં મૌખિક નિરીક્ષણ કરીને ચર્ચાને વેગ આપ્યો. તેમણે કહ્યું, “મફતની રેવડી અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે ફરક છે. દેશની અર્થવ્યવસ્થાનું નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જરૂરી છે.”

વાસ્તવમાં રેવડી એટલે કે ફ્રીબીઝ(મફતિયા માલ)ની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. ચૂંટણી પંચને આ પરંપરાની ખબર છે અને તે કહે છે કે ફ્રીબીઝ શું કહેવાય એની જેટલાં માથાં એટલી વાતો છે. દાખલા તરીકે, કોરોનાની મહામારીમાં મફત રસી આપવી જનહિતની યોજના કહેવાય, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ. તેના ચૂંટણી ઢંઢેરામાં એવું વચન આપે કે “ભા.જ.પ. સત્તામાં આવશે તો તમામને મફત રસી આપશે” તો તે રેવડી કહેવાય.

રેવડી કલ્ચર અર્થતંત્ર માટે નુકસાનકારક છે એ વાત બિલકુલ સાચી છે, પરંતુ વડા પ્રધાનને આ જ્ઞાન અચાનક લાધ્યું છે તેની પાછળ અર્થતંત્ર માટેની ચિંતા નથી, આપ આદમી પાર્ટી ગુજરાતમાં ભા.જ.પ.ની બેઠકોમાં સેંધ મારે એની ફિકર છે. એમાં તો પાંચ મહિના પહેલાં, ઓગસ્ટ મહિનામાં, વડા પ્રધાનની સરકારના તમામ વિભાગોના સચિવોની સાથેની ચાર કલાકની બેઠકમાં, વરિષ્ઠ અધિકારીએ રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે જે યોજનાઓ જાહેર કરે છે તે આર્થિક દૃષ્ટિએ ટકાઉ નથી. અધિકારીઓએ તો એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ રીતે તો રાજ્યોના હાલ શ્રીલંકા જેવા થશે.

વડા પ્રધાને આ બાબતમાં કોઈ પહેલ કરી કે નહીં તે ખબર નથી, પરંતુ પંજાબમાં આપ પાર્ટીની સરકાર આવી ઘોષણાઓ પર બની અને ગુજરાતમાં તેને જ દોહારવાનું શરૂ થયું, ત્યારે તેમણે રેવડી કલ્ચર યાદ આવ્યું તો એનો અર્થ એ છે કે રેવડી કલ્ચર માત્ર વિરોધ પક્ષો માટે છે? વડા પ્રધાન જો સાચે જ આ મુદ્દા પર ગંભીર હોય તો તમામ રાજકીય પક્ષો, રાજ્ય સરકારો, ચૂંટણી પંચ અને સિવિલ સોસાયટીને એક મંચ પર લાવીને તેઓ એક એવી પહેલ શરૂ કરી શકે જેમાં જનકલ્યાણ કોને કહેવાય અને મફતનો માલ કોને કહેવાય તેની દેશવાસીઓએ સ્પષ્ટ સમજ પડે.

એવું તો છે નહીં કે કેજરીવાલે તેમના ગજવામાંથી રેવડી કાઢી છે. ભારત સદીઓથી ગરીબ રાષ્ટ્ર રહ્યું છે અને તે આઝાદ થયું ત્યારે નેતાઓ અને સરકારોનું એક માત્ર ધ્યેય વંચિત લોકોને સુખ-સુવિધાઓ આપવાનું હતું. એમાંથી જ એક કલ્યાણકારી રાજ્ય(વેલ્ફેર સ્ટેટ)ની રચના થઇ હતી. આજે 75 વર્ષ પછી પણ સરકારનો એક માત્ર ઉદેશ્ય જનકલ્યાણ માટેની યોજનાઓ લાગુ કરવાનો છે. રાજકીય પક્ષો એ જ રીતે તેમની નીતિઓ ઘડે છે અને એના જ આધારે ચૂંટણીઓ લડે છે.

મતદારો જ્યારે પાયાની સુવિધાઓથી વંચિત હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ રાજકારણ તેની આસપાસ જ રચાય છે. દાખલા તરીકે, અમેરિકા એટલો બધો વિકસિત દેશ છે કે તેનું રાજકારણ આંતરરાષ્ટ્રીય બાબતોમાં અમેરિકાની ભૂમિકાને લઈને રમાય છે. ત્રીજા વિશ્વના તમામ દેશોમાં ગરીબી એટલી છે કે ત્યાંનું રાજકારણ એ મુદ્દાઓની આસપાસ હોય છે. રેવડી કલ્ચરનાં મૂળિયાં વેલ્ફેર સ્ટેટની ધારણામાં છે.

ભારતમાં તેની શરૂઆત એક જમાનાના મદ્રાસ રાજ્યમાં, તત્કાલીન મુખ્ય મંત્રી કુમારસ્વામી કામરાજે કરી હતી. તેમણે 1954થી 1963 વચ્ચે સ્કૂલના વિધાર્થીઓ માટે મફત શિક્ષણ અને મફત ભોજનની યોજના દાખલ કરી હતી. 1967માં, દ્રવિડ મુનેત્ર કઝગમ(ડી.એમ.કે.)ના સ્થાપક સી.એન. અન્નાદુરાઈ એક પગલું આગળ ગયા અને ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમની સરકાર આવશે તો 1 રૂપિયે 4.5 કિલો ચોખા આપશે તેવી જાહેરાત કરી હતી. 2006ની ચૂંટણીઓમાં આ જ ડી.એમ.કે.એ મતદારોને રંગીન ટેલિવિઝનની ખાતરી આપી હતી. એ પછી તો તમામ પાર્ટીઓ રેવડીઓ વહેંચાતી આવી છે.

આ આખી ચર્ચામાં ઘણા મુદ્દા છે. રેવડી એટલે શું? સબસિડી એટલે શું? કલ્યાણકારી યોજના એટલે શું? એમાં સારી યોજના શું અને ખરાબ યોજના શું? એ કોણ નક્કી કરે? ભારત જેવો વિવિધતાભર્યો અને અસામાન સમાજ એક લાકડીએ હાંકી શકાય તેમ નથી. વિકાસના નામે દેશમાં એટલી અસમાનતા છે કે એક કેન્દ્રીય મોડેલ અનુસરવું અઘરું છે.

રેવડીનો મુદ્દો ગંભીર છે અને તેને ઉચિત મંચ પર, ઉચિત ગંભીરતા અને દૂરંદેશી સાથે ઉઠાવવો જોઈએ. બાકી, ચૂંટણીઓ વખતે રેવડી દાણાદાણ કરવાના હેતુથી જ જો તેને ઉછળવાનો હોય, તો તે એક જુમલાથી વિશેષ કશું નથી.

લાસ્ટ લાઈન :

“સત્તાની એક માત્ર ફરજ- જનતાના સામાજિક કલ્યાણની સુરક્ષા છે.”

— બેન્જામિન ડિઝરાયલી, બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ,’સન્નડે લાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”; 21 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 August 2022 Vipool Kalyani
← રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઃ સ્વયંને સ્વતંત્ર સેનાનીઓ સાબિત કરવાની ચળવળમાં આજે પણ વ્યસ્ત છે
હવે શું થયું છે કે ગુના રહ્યા છે, પણ ગુનેગારો રહ્યા નથી … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved