Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી

સોનલ પરીખ|Gandhiana|13 July 2025

‘પહેલા પરિવાર’ એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન–પોસ્ટ્સ.

— રાજમોહન ગાંધી 

રાજમોહન ગાંધી

‘પ્રસ્તુત ગણો કે નહીં, ગાંધી રસ પડે એવા છે અને રહેશે પણ. કઈં નહીં તો એમનામાં જે વિરોધાભાસ રહેલો હતો તે લોકોને આકર્ષતો રહેશે.’ આ શબ્દો મહાત્મા ગાંધીને પૌત્ર રાજમોહન ગાંધીના છે. ગાંધીના એક અમેરિકન મિત્ર ઈ. સ્ટેનલી જોન્સ લખે છે, ‘ગાંધી એકસાથે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, શહેરી ને ગ્રામીણ, ઈસુ ખ્રિસ્તના ભક્ત અને સનાતની, હિન્દુ, સરળ અને મુત્સદી, સ્પષ્ટવક્તા અને વિવેકી, ગંભીર અને રમતિયાળ, નમ્ર અને આગેવાની લેનાર, તીખા અને મીઠા હતા.’ અને ઉમેરે છે, ‘જો કે ગાંધી જે પ્રબળ છાપ છોડે છે તે મીઠાશની નહીં, સામર્થ્યની છે.’ આ ઈ. સ્ટેનલી જોન્સે લખેલું મહાત્મા ગાંધીનું ચરિત્ર ડૉ. માર્ટિન લ્યુથર કિંગની એક પ્રેરણા બન્યું હતું. 

નેવું વર્ષના રાજમોહન ગાંધી ચરિત્રકાર, ઇતિહાસકાર, રાજનેતા અને અમેરિકાની ઈલીનોય યુનિવર્સિટીના સાઉથ ઇન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ સ્ટડીઝના રિસર્ચ પ્રોફેસર છે. મહાત્મા ગાંધીના પૌત્ર હોવા સાથે તેઓ ભારતના છેલ્લા અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ અને મહાવિદ્વાન ચક્રવર્તી રાજગોપાલાચારીના દોહિત્ર પણ છે. નાના અને દાદાના નામનું સંયોજન કરીને જ એમનું નામ રાજમોહન રાખવામાં આવ્યું હતું. 

આજથી દસેક વર્ષ પહેલા, મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં આપેલા એક વ્યાખ્યાનમાં એમણે મહાત્મા ગાંધીની વિરાસત વિષે સરસ વાતો કરી હતી. આજે ફાધર્સ ડેના દિવસે ‘ફાધર ઑફ નેશન’ના વારસાની વાત એમના જ સ્કૉલર પૌત્ર રાજમોહન પાસેથી જાણીએ. 

તેઓ પ્રશ્નો પૂછે છે, ‘ગાંધીની વિરાસત એટલે ચોક્કસ શું? જો તેઓ આઈન્સ્ટાઈન, ગોખલે, ટાગોર, નહેરુ, સરદાર, માર્ટિન લ્યુથર કિંગથી માંડીને બરાક ઓબામા એમને વર્ણવે છે તેવા હોય તો એમનું રાષ્ટ્ર એમની હયાતીમાં ભાગલા અને નરસંહારનો ભોગ શા માટે બન્યું? અને આજે હિંસા, અલગતાવાદ અને ભ્રષ્ટાચારનો શિકાર કેમ છે? જો માણસની પ્રસ્તુતતા કે વિરાસત તે પોતાની પાછળ કેવું વિશ્વ મૂકીને જાય છે તેના પરથી નક્કી થતી હોય તો ભારતની આજની સ્થિતિ જોતાં ગાંધીની પ્રસ્તુતતા કે વિરાસત વિષે શું કહીશું? માણસ તત્કાલીન કે ભાવિ સમસ્યાઓ ઉકેલી શકે તો જ પ્રસ્તુત કહેવાય? કે પછી જિંદગી વધુ સહ્ય અને રસપૂર્ણ બને એવી કેડી ચીંધે તો પ્રસ્તુત કહેવાય? ગાંધીએ ભારતને બતાવ્યું કે નીચા પડ્યા વિના, અપમાનિત થયા વિના સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય – આ રીત દરેક પ્રકારની અન્યાયમુક્તિને લાગુ નથી પડતી?’ 

કોઈ મૃત્યુ પામે તો તેની વિરાસત તેનાં સંતાનો રૂપે દર્શાવાય છે. રાજમોહન કહે છે, ‘મારી પાસે એવો કોઈ ફોટોગ્રાફ નથી જેમાં ગાંધીજીના બધા વંશજો હોય, પણ જો હોત તો પણ એને હું ગાંધીની વિરાસત તરીકે બતાવી શક્યો ન હોત. એમના વંશજો દેખાવડા છે, ગરિમાપૂર્ણ છે, બુદ્ધિમાન છે, જ્યાં પણ રહે છે ત્યાં એમનું કોઈ પ્રદાન છે, તેમ છતાં ગાંધીની વિરાસત તરીકે એમને બતાવી દેવાથી કોઈ અર્થ સરે નહીં. એટલા માટે, કે “પહેલા પરિવાર” એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. વંશવારસાના લાભલાભથી પરિચિત ભારતની પ્રજાએ ગાંધીને ખૂબ માન આપ્યું હતું એનું એક કારણ એ પણ છે કે ગાંધી ક્યારે ય એમના કુટુંબને પહેલું ગણ્યું ન હતું. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. એમના નિકટના સાથીઓ પણ એવું માનતા કે ગાંધીજીને મન એમના પરિવારજનો અને દેશવાસીઓ વચ્ચે કોઈ તફાવત ન હતો. એવું હતું પણ, એવું નહોતું પણ. અમે અને અમારા દાદા એકબીજાને ખૂબ ચાહતા. અમને એકબીજા માટે સમય મળવો અઘરો હતો, પણ એથી તો અમારું પરસ્પર આકર્ષણ વધી જતું. અમારા દાદા આખા દેશના હતા એ અમે સમજતા હતા. 

‘એટલે અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. એમની મુખ્ય વિરાસત બીજે ક્યાંક છે. મને લાગે છે કે ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન-પોસ્ટ્સ.’

એમણે પાંચ નામ લીધાં છે, જેમણે ગાંધી પછી અહિંસાનું શસ્ત્ર વાપર્યું અને જીત મેળવી. આ સાઇન-પોસ્ટ્સ છે ખાન અબ્દુલ ગફરખાન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, દલાઇ લામા અને આંગ સાન સૂ કી. 

1945માં દસેક વર્ષના રાજમોહન ખાન અબ્દુલ ગફારખાનને પહેલી વાર મળ્યા. ભારતની વાયવ્ય સરહદના આ પઠાણ નેતાને બ્રિટિશ સરકારે તેમને 12 વર્ષ અને પાકિસ્તાન સરકારે 15 વર્ષ જેલમાં રાખ્યા હતા. છેલ્લી મુલાકાત રાજભવનમાં થઈ ત્યારે ખાનસાહેબ 97 વર્ષના હતા. જિંદગીભર તેમના મનમાં સ્વતંત્રતા માટે અને પઠાણોને પેઢી દર પેઢી ચાલતા વેરમાંથી મુક્ત કરવા માટે આગ પ્રજળતી રહી. ખાન સાહેબે ઊભા કરેલા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનના રેડ શર્ટ્સ તરીકે ઓળખાતા પઠાણ સૈનિકો અહિંસક હતા. બ્રિટિશ અધિકારીઓ કહેતા, ‘અહિંસક પઠાણ, હિંસક પઠાણ કરતાં વધારે ખતરનાક છે.’ પછી તો કાળનાં વહેણો વહ્યાં. પઠાણો એમના લાડીલા બાદશાહખાન પ્રત્યે કઈંક બેધ્યાન બન્યા; ઈર્ષા, અણસમજ, ગેરસમજનો શિકાર બન્યા. પણ બાદશાહખાનનું મૃત્યુ થયું તે દિવસે આંતરસંઘર્ષથી સળગતા આખા ખૈબરની બંદૂકોએ સ્વયંભૂ મૌન પાળ્યું હતું.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો જન્મ 1929માં. 22 વર્ષની ઉંમરે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. જોન્સનનું ગાંધી પરનું વ્યાખ્યાન સાંભળવા ગયા. અડધેથી જ ઊઠી ગયા અને ગાંધી પરના જે મળ્યા તે બધાં પુસ્તકો ખરીદી લીધાં. ‘જિસસના લવ એપિક્સનું ઊર્ધ્વીકરણ કરી લોકોને શક્તિશાળી સોશ્યલ ફૉર્સ બનાવનાર’ તરીકે એમણે ગાંધીને જોયા અને શ્યામ પ્રજાને અધિકારો અપાવવા ગાંધીપદ્ધતિએ મોટું આંદોલન ચલાવ્યું. 

નેલ્સન મંડેલા એમની 27 વર્ષની કેદ પૂરી કરીને છૂટ્યા બાદ થોડા વખતમાં ભારત આવ્યા હતા. ગાંધીજીના મૃત્યુને 42 વર્ષ પૂરાં થયાં હતા. મંડેલા 72 વર્ષના હતા, રાજમોહન 55ના. ભારત સરકારે મંડેલાને ભારતમાં ફરવા નાનું પ્લેન આપ્યું. એમને સાથ આપવાની જવાબદારી રાજમોહનને આપી. રાજમોહનને મંડેલાની માનવતા, શાલીનતા અને ભારતમાંથી દક્ષિણ આફ્રિકાની ચળવળનું સંચાલન કરવાની કાબેલિયત નિકટથી જોવાની તક મળી. રાષ્ટ્રપતિ વેંકટરામને કહ્યું, ‘શ્રીમાન મંડેલા, આગામી દિવસો તમારા માટે કપરા છે, હું પ્રાર્થના કરીશ.’ ત્યારે મંડેલા સ્મિત કરી કહે, ‘આભાર. પણ પ્રાર્થના મિસ્ટર ડી. ક્લાર્ક માટે પણ કરજો.’ ડી. ક્લાર્ક દક્ષિણ આફ્રિકાના શ્વેત પ્રમુખ હતા, જેમની સરકાર વિરુદ્ધ મંડેલાએ ગાંધીમાર્ગે મોટી લડત ઉપાડી હતી.

દલાઇ લામા તિબેટથી નિર્વાસિત થઈ ભારત આવ્યા ત્યારે 24 વર્ષના હતા. ત્રીસ વર્ષ પછી એમને શાંતિ માટેનું નોબેલ ઈનામ મળ્યું. એમણે કહ્યું, ‘આ ઈનામ હું પરિવર્તન માટે સક્રિય અહિંસાની આધુનિક પરંપરાના સર્જક એવા મહાત્મા ગાંધીને અંજલિ રૂપે સ્વીકારું છું.’ અને બર્મામાં લોકશાહી માટે અનેક જુલમો સહેનાર સૂ કીને 1991માં નોબેલ મળ્યું ત્યારે તેઓ કેદમાં હતાં. નોબેલ સ્વીકારવા જઈ ન શક્યાં, હસ્તલિખિત સંદેશો મોકલ્યો, જેમાં લખેલું કે ‘સ્વતંત્રતાના 49 વર્ષ બાદ પણ બર્મા મિલીટરી શાસન હેઠળ હતું. લોકોની કોઈ ભૂમિકા ન હતી. અમારે ગાંધીએ વર્ણવેલું સ્વરાજ જોઈતું હતું જેમાં લોકો નેતા ચૂંટે અને જો નેતા ખોટી રીતે ચાલે તો એને ઉથલાવી શકવાની ક્ષમતા પણ ધરાવે.’  

ઉપર ઉલ્લેખ કર્યો છે એ પ્રતિભાઓ આજે જીવી રહેલી બેત્રણ પેઢીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન છે, અને એમની પ્રેરણા છે આપણા રાષ્ટ્રપિતા. તેમનો અને તેમના ભવ્ય વારસાનો અહીં તો જરાતરા ઉલ્લેખ જ થઈ શક્યો છે. ફાધર્સ ડેના દિવસે જુઠાણાઓનાં ઘેરાં વાદળો વચ્ચે ઢંકાયેલા એમના સત્ય-સૂર્યને જોવા આંખ ઊંચકીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન  2025

Loading

13 July 2025 Vipool Kalyani
← સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved