Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|2 January 2020

હૈયાને દરબાર

૨૦૧૭માં મોરારિબાપુ આયોજિત મહુવાના સંસ્કૃત પર્વમાં જવાનું થયું હતું. એ વખતે જલન માતરી સાથે સત્સંગ કરવાની તક મળી હતી. જલદ ગઝલના એ શાયરના સૌમ્ય સ્વભાવનો પરિચય તો થયો જ પણ એમના સ્વમુખે ગઝલ સાંભળવાની મજા પડી ગઈ. એ પહેલાં એક મુશાયરામાં જલનસાહેબના સ્વમુખે જ રહસ્યોના પરદા ગઝલ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમની ગઝલ એમના જ અંદાજમાં સાંભળવી એ એક લહાવો છે. કારણ કે એમનો ગઝલ લખવાનો અને મુશાયરામાં ગઝલ રજૂ કરવાનો અંદાજ લગભગ સરખો જ છે. જે બુલંદી ગઝલના શબ્દોમાં દેખાય એવી જ બુલંદી પઠનમાં ય વર્તાય. રહસ્યોના પરદા ગઝલ ગુજરાતી ગઝલોની સર્વશ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. અંગતપણે ખૂબ પ્રિય. નસીબને ચેલેન્જ કરવાની ખુમારી એકેએક શેરમાં પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું માહાત્મ્ય કેટલું અગત્યનું છે એ વાત કવિએ આગવા મિજાજમાં રજૂ કરી છે.

કમાલ તો ત્યારે થાય છે જ્યારે આ ખુમારીભર્યા શબ્દોને એવા જ ધારદાર સંગીતનો સાથ મળે છે. અરેબિક અને ઇજિપ્શિયન સંગીતનો યથાયોગ્ય સ્પર્શ ધરાવતી આ ગઝલ પહેલી વાર સાંભળી ત્યારે થયું કે કોણ કહે છે કે સુગમ સંગીત ઢીલું ઢાલું છે! આ ગઝલ આજના ટીનેજરને સંભળાવો તો એ ય ઝૂમી ઊઠે એવું જબરજસ્ત ઓરકેસ્ટ્રેશન એમાં છે. સર્વકાલીન કહી શકાય એવી આ ગઝલ કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિને આકર્ષી શકે એમ છે. આ ગઝલ વિશે આશિત દેસાઈ કહે છે, "મને આ ખૂબ ગમતી ગઝલ છે. પહેલી નજરના પ્રેમ જેવી આ ગઝલ છે. મુખડું જોતાં સાથે જ ગમી ગયું હતું. ગઝલ રચનામાં જલનસાહેબની જબાન તેજાબી હોય છે. રહસ્યો વિશે માનવજાત હંમેશાં ગજબની ઉત્કંઠા ધરાવે છે. એટલે જ શાયર કહે છે કે આ રહસ્યોનો પડદો ઉઠાવીને ઇશ્વરને હાક મારી તો જો, ખબર પડી જશે એના અસ્તિત્વ વિશે. શબ્દો પ્રમાણે જ ધૂન તૈયાર કરી. મારી વિચિત્રતા કહો કે ખાસિયત, પણ મારે હંમેશાં કંઈક અસામાન્ય, અનયુઝવલ, ચેલેજિંગ કરવું હોય છે. જલનસાહેબ મારા ગમતા, પરંપરાના શાયર છે. એમની આ ટૂંકી બહેરની ગઝલની અરેન્જમેન્ટ મેં જ કરી છે કારણ કે હું માનું છું કે આપણું બાળક આપણે જ સંભાળવું જોઈએ, દાયણને ન અપાય. એ જ રીતે સંગીતકાર પોતાનું સ્વરબદ્ધ કરેલું ગીત બીજા એરેન્જરને આપે તો સંગીતકારે પોતે એ ગીતને જે ‘સંસ્કાર’ આપવા હોય એ કદાચ ન આપી શકે. ગઝલ વાંચતાં વાંચતાં જ લય મળતો ગયો ને કમ્પોઝ થતી ગઈ. રહસ્યમયતા બરકરાર રહે એટલે મેં સ્વરાંકન અરેબિક શૈલીમાં કર્યું. સંગીતકારો મને શ્રેષ્ઠ મળ્યા. સુરેશ લાલવાણી વાયોલીન પર, ચિન્ટુ સિંઘ ગિટાર પર, તબલાંમાં મુશર્રફ અને વિક્રમ પાટીલ તથા સુનીલ દાસનું સિતારવાદન હતું. તમે માનશો? અરેબિક વાદ્ય રબાબની ઇમ્પેક્ટ અમે સિતાર દ્વારા આપી હતી, જેમાં તારની ઉપર રૂમાલ ઢાંકીને મ્યુટ કરી દેવામાં આવે. મોરપીંછની રજાઇ … ગીતમાં પણ અમે આ પ્રયોગ કર્યો હતો. આ પ્રકારના ગીતમાં લોંગ નોટ્સ સારી ન લાગે એટલે સૂરની અને લયની રમત પણ રમ્યો છું. અરેબિક ફ્લેવર ઉમેરવાથી ગાયનનું સ્વરૂપ બદલાઈ ગયું જે શ્રોતાઓને બહુ પસંદ આવ્યું. જ્યાં જ્યાં આ ગઝલ ગાઈ છે ત્યાં બહુ જ ઉપડી છે. સાંભળવામાં સહેલી પણ ગાવામાં અઘરી એવી આ ગઝલ હવે મારો દીકરો આલાપ પણ ખૂબ સરસ ગાય છે.

ગઝલના સંગીત વિશે વધુ વાત કરીએ તો આ ગઝલ અરેબિક સ્ટાઈલમાં બની હોવાથી જુદી જ અસર સર્જે છે. ગુજરાતી લોકસંગીત અને અરેબિક મ્યુઝિકમાં સામ્યતા જોવા મળે છે. "મિડલ ઇસ્ટની ભાષાને ગુજરાતી ફોકમાં નાંખી દો તો તમારું ગીત અરેબિક બની જશે અને ગુજરાતી લેંગ્વેજને મિડલ ઇસ્ટના ફોકમાં એડ કરી દો, કમ્પોઝિશન એ જ રહેવા દો તો ગીત અરેબિક બની જશે. આ છે મિડલ ઇસ્ટ અને ગુજરાતનું કનેકશન. બોલિવૂડના વિખ્યાત ગાયક સુખવિંદર સિંઘે ગુજરાતની એક કોન્સર્ટમાં આમ કહ્યું હતું. આ બાબતે તેણે પ્રેક્ટિકલી ગુજરાતી સોંગ લીલી લીલી ઓઢણી … ગાયું અને તેમાં અઝાનની અનુભૂતિ કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘણાં વખતથી આ ગુજરાતી અને અરેબિક મ્યુઝિકના આ તાલમેલને હું નોટિસ કરતો આવ્યો છું.

આ એવી ગઝલ છે જે આપણને કોઈક ગેબી દુનિયામાં લઇ જાય છે. અરેબિક સંગીતની આ કમાલ છે. તેમાં ઓથેન્ટિક અરેબિક ટ્યૂન છે જે છેવટે તો આપણને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.

‘ઇશ્કે હકીકી’ના લડાકુ શાયર જલન માતરીનું મૂળ નામ જલાલુદીન સઆહુદિન અલવી જેમનું તખલ્લુસ ‘જલન’ હતું. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૪માં ખેડા જિલ્લાના માતર ગામે તેમનો જન્મ થયો હતો. એટલે તેઓ જલન માતરી કહેવાયા હતા. ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના હોદ્દા પર કાર્ય કર્યું અને ૧૯૯૨માં નિવૃત્ત થયા હતા. ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮માં અવસાન થયું.

તેમની ગઝલ અભિવ્યક્તિ ઉગ્ર પણ સ્વભાવે તેઓ વિનમ્ર. માતર ગામે એક જ પરિવારના ત્રણ શાયરો આપ્યા ; ફખ્ર માતરી, વજ્ર માતરી અને સૌથી નાના જલન માતરી. ગઝલ ઉપરાંત જલનસાહેબે સંત જલારામ બાપા વિશે અનેક ભજનો લખ્યાં છે જે કમ્પોઝ પણ થયાં છે.

સાહિત્યકાર વિનોદ ભટ્ટ જલન સાહેબને ‘સંયમની કગાર પર બેઠેલા સંત’ પણ કહ્યા છે. બેફામ સાહેબે એક વાર કહ્યું હતું કે "પ્રયોગોના અતિરેકથી ગુજરાતી ગઝલનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો ત્યારે ગઝલની પરંપરાની સીમામાં રહીને પ્રયોગ કરી શકે એવા શાયરની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાતનો જવાબ જલન માતરી સાહેબ સાબિત થયા.

રોમેન્ટિક શાયરી કરતાં ખુદા સાથે તકરાર કરતી શાયરીઓ એમની વધારે છે. નિયમિતપણે રોજ પાંચ વખત નમાજ પઢનારા પાક્કા નમાઝી જલનસાહેબ જેટલી સમર્પિતતાથી રોજા રાખતા એટલી જ શિદ્દતથી ખુદા સામે બગાવત પણ કરી શકતા હતા.

રઈશ મનીઆરે એમના એક આસ્વાદમાં સાચું જ લખ્યું છે; "જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના ‘અહમ્ બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે.

આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઈશ્વરના ઐશ્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઈશ્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઈશ્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામાં પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે.

‘પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને ‘હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે. અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આટલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય!

નવા વર્ષે જીવનમાં જોમ પૂરતી આ ગઝલ સૌને મુબારક. હેપી ન્યૂ યર!

———————————————

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહીં હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઊઠી દોડવા માંડશે
તું પ્રારબ્ધને લાત મારી તો જો

ફીણ મોઢામાં આવી જશે મોતને
તું ઇચ્છાઓ નાહક વધારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહીં
તું સમંદરમાં ડૂબકી લગાવી તો જો

પયગંબરની ટીકા તું કરજે પછી
પ્રથમ એવું જીવન વિતાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો …

શાયર : જલન માતરી   •  સંગીતકાર-ગાયક : આશિત દેસાઈ

http://www.mavjibhai.com/madhurGeeto_two/339_rahasyona.htm

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 02 જાન્યુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=617898 

Loading

2 January 2020 admin
← ગાંધીજી અને ઓસામા બિન લાદેન બન્ને વચ્ચે શું સંવાદ શક્ય છે?
નાગરિકતા ધારો સુધારવાના બહાને …! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved