Opinion Magazine
Number of visits: 9446804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રડતી સૂરત’ હોય તો પણ ,’સુરત સોનાની મૂરત ‘ છે અને રહેશે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2020

આ તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી

                                             — નર્મદ

૦

૧૮૫૭ની આસપાસનો કાળ. આજે જે શહેર તરીકે ઓળખાય છે તે નગરો ત્યારે રાજ્ય તરીકે ઓળખાતાં. તેમાં વળી એક રાજ્યની બીજા રાજ્ય સાથે શત્રુતા પણ ખરી. એટલે એક રાજ્યની સરહદ ઓળંગીને બીજા રાજ્યમાં જવામાં ગુનો બનતો. આ સ્થિતિ હતી તેવામાં ધ્રાંગધ્રાનો એક યુવાન, માતાનાં અસ્થિ પધરાવવા સિદ્ધપુર ગયો તો તેને બીજા રાજ્યનો ગણીને અટકાયતી ધારા હેઠળ વર્ષો સુધી કેદ રાખવામાં આવ્યો. તેનો નાનો પુત્ર મોટો થઈને બાપને શોધવા નીકળ્યો તો દાદીનાં અસ્થિ સાથે તે બાપનું પણ શ્રાદ્ધ કરીને પાછો આવ્યો.

નર્મદ ત્યારે હશે ચોવીસેકનો. અનેક રજવાડાં જ જેનું અસ્તિત્વ હતું તેને વિષે નર્મદ 'જય જય ગરવી ગુજરાત' ગાઈને અખંડ ગુજરાતની કલ્પના કરે એ નાની સૂની વાત નથી.

આ નર્મદ સુરતનો. એ 'તાપી દક્ષિણ તટ' ગાય છે, કારણ સામે કિનારે હોડીમાં બેસીને તે શિક્ષકની નોકરી કરવા જતો. નર્મદ આપણો પહેલો નિબંધકાર. તેણે પદ્ય તો ખેડ્યું જ, પણ ગદ્ય પણ અનેક પ્રકારે ને પ્રકારોમાં ખેડ્યું. ‘લાગણી', ‘દેશાભિમાન', 'સજીવારોપણ' જેવા શબ્દો તેની દેન છે. રાષ્ટ્રભાષા તરીકે હિંદી હોય એવો વિચાર ગાંધીજી પહેલાં તે કરે છે.

૧ સપ્ટેમ્બર, ૧૮૬૪માં તે પહેલું પાક્ષિક 'ડાંડિયો' કાઢે છે. તે શેર બજારથી માંડીને ગીતા સુધીના કોઈ પણ વિષય પર લખી શકે છે, કારણ કે તેને કોઈ પણ વિષયમાં કવિતા દેખાય છે. પછી તે સૂરત પર કવિતા ન લખે એવું તો બને જ કેમ?

જે પણ બે કવિઓ મિત્રો હોય એવું ઓછું જ બને છે, નર્મદ-દલ્પતરામનું પણ એવું જ હતું. આમ તો નર્મદ નાનો હતો, પણ મધ્યકાળના છેલ્લા કવિ દલપતરામ સાથે તેને બહુ ફાવતું નહીં. તે વિવાદમાં ઉતરતો. દલપતરામ પણ અજ્ઞાનથી પીડાતા. જેમ કે દલપતરામ માનતા કે સુરત ગુજરાતમાં નથી. એ સુરત આવતા તો એમને લાગતું કે તે પરદેશમાં આવ્યા છે. તેઓ એવું પણ માનતા કે ગુજરાતી ઉપરથી સંસ્કૃત થઈ છે. આ બધી વાતોનો વિરોધ નર્મદ કરતો અને તે વાજબી રીતે કરતો ને પુરાવાઓ પણ આપતો. એટલે બે વચ્ચે બને તો જ આશ્ચર્ય થાય!

બંને વચ્ચે ભાષા બાબતે પણ મતભેદો હતા. દલપતરામને અમદાવાદની ભાષા વધુ શુદ્ધ જણાતી જ્યારે નર્મદને બધી જ રીતે સુરત ચડિયાતું લાગતું. આમ તો ઘણાં વર્ષ નર્મદ મુંબઈ પણ રહ્યો છે, પણ 'સોનાની મૂરત' તો એ સુરતને જ કહે છે.

સુરતને લગતું આ કાવ્ય ૧૨ નવેમ્બર ૧૮૬૫માં લખાયેલું. રોળાવૃત્તમાં લખાયેલું કાવ્ય આટલું જ નથી. મૂળનો અહીં અંશ પ્રગટ થયો છે. જે પણ પ્રગટ થયો છે તે સુરતની સ્થિતિ દર્શાવવા પૂરતો છે.

તાપીને કિનારે સુરત ૧૧માં સૈકામાં વસ્યું ત્યારથી તેનો મહિમા થતો આવ્યો છે. સૂર્યપુત્રી તાપીને કાંઠે વસ્યું એટલે તે સૂર્યપુર કહેવાયું જે પછીથી સુરતની ઓળખ પામ્યું. તે પછી સોળમી સદીની શરૂઆતમાં મલેક ગોપીના નામ પરથી ગોપીપરું ને ગોપીતળાવ વિકસ્યાં. એ પછી અંગ્રેજો, વલંદાઓ, પોર્ટુગીઝો આવ્યા. અકબર પણ સુરત આવ્યો હતો. શિવાજીએ પહેલીવાર ૧૬૬૪માં સુરતને લૂંટ્યું. એ પછી પણ સુરત લૂંટાતું જ રહ્યું. એ પરથી તેની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. નાણાની રેલમછેલ હતી તે પરથી તો નાણાવટ આજે ય આંખે ચડે છે.

પહેલેથી જ અહીં અન્ય પ્રજાઓ વસતી આવી છે ને એ સિલસિલો આજે પણ અટક્યો નથી. આજે તો ભારતની લગભગ તમામ પ્રજા સુરતમાં રોજીરોટી મેળવતી સુરતી થઈને મસ્તીથી રહે છે. મોજીલાપણું, લહેરીપણું સુરતનો સ્વભાવ છે. આ શહેર ખાણીપીણીનું, સ્વાદનું અદ્દભુત શોખીન શહેર છે. અહીંનો લોચો ખાવા ઘણાં લોચા મારતા હોય તો નવાઈ નહીં. અહીનું ભૂસું, અહીંની ઘારી, અહીંનું જમણ જગ આખામાં વિખ્યાત છે. સુરતનું જમણ ને કાશીનું મરણ એમને એમ નથી કહેવાયું. મીઠાઈનો તહેવાર હોય એવું સુરતમાં જ બને. ચંદની પડવાનો તહેવાર વિશ્વ આખામાં માત્ર ને માત્ર સુરતમાં જ ઉજવાય છે. આ શહેરને એક તહેવારથી તો ધરવ જ નથી થતો. તેની ઉતરાણ બે, તેની બળેવ બે, તેની રાંધણછઠ બે. પહેલાં તો બળેવ ૩ દિવસ ઉજવાતી. પણ ૧૯૩૮માં મક્કાઈપુલ પાસે બળેવને દિવસે જ હોડી ડૂબેલી ને તેમાં ૮૦ લોકોએ જળસમાધિ લીધેલી. એના શોકમાં પછી બળેવ બે દિવસની થઈ. આ ઉપરાંત ગણેશોત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળીના તહેવારો તો ખરા જ. તાજિયાનો તહેવાર મુસ્લિમોનો જ નથી. તાબૂતની માનતા માનનારા હિંદુઓ પણ છે. ટૂંકમાં સુરતને તો તહેવાર એ જ વહેવાર છે.

એની ઉજવણીની તો કુદરતને પણ ઈર્ષા આવે છે. એટલે જ સુરતને એ વારંવાર કસોટીએ ચડાવે છે. સોનાની મૂરતની કુદરતે ઘણીવાર રડતી સૂરત કરી છે. સુરત વારંવાર આગ અને રેલથી ભયંકર રીતે સળગ્યું છે, ડૂબ્યું છે. આ શહેરમાં અભૂતપૂર્વ આગ લાગી છે ને એવી જ અભૂતપૂર્વ રેલ પણ આવી છે ને તે એટલી બધી વાર કે આગ ને રેલ જ સુરતની ઓળખ બની રહે.

નર્મદે સુરતના આ કાવ્યમાં સાલવારી સાથે સુરતની આગ અને રેલની વાત કરી છે. રેલ અને આગને લીધે સુરત બહુ બેહાલ થયું છે. સુરતની સૂરત સદા હસતી રહી છે, પણ આફતોએ સુરતને વારંવાર રડાવ્યુ છે. અનેક વાર તેની ચડતી થઈ છે, પણ ચડી ચડીને તે પડ્યું પણ છે. તેથી તેની બાંકી- કમનીય, સોને મઢેલી સૂરત, કથીર જેવી ઝાંખી પણ પડી છે.

એ પછી નર્મદ સન ૧૭૨૭માં આવેલી રેલનો સંદર્ભ આપીને ૭૬ની મોટી રેલ યાદ કરે છે. તેમાં તો વંટોળે હાલત વધારે ખરાબ કરી. એ તો કાળ જ રુઠ્યો હતો ને તેણે સુરતને બધી રીતે પાયમાલ કર્યું. રેલનું આવું ગાણું ગાતાં નર્મદ સંતાપે પણ છે ને કહે છે, 'બળ્યું મારું આ ગાણું.’ એ પછી જુદી જુદી સાલમાં આગે જે કેર વર્તાવ્યો તેની વાત કરી, ૧૮૩૭માં એક સાથે રેલ અને આગથી જે ખાનાખરાબી થઈ તેનું દુ:ખ પ્રગટ કરે છે. માન્યામાં ન આવે એટલા બધાં નુકસાનની વાત અન્ય દાખલાઓ આપીને નર્મદ કરે છે.

નર્મદ આમાં સુરતનો દોષ જોતો નથી. વાંક હોય તો દુર્દશાનો છે. આસમાની આફતોએ તાપી તટે વસેલા સુરતને અનેકરીતે ને અનેક વખત ઘાયલ કર્યું છે, પણ આ ભૂમિ ઘાયલ થવા છતાં તાપીને કારણે, અશ્વિનીકુમારની કુંવારી ભૂમિને કારણે પવિત્ર છે. આવી ભૂમિનું નર્મદને ઘણું અભિમાન છે એટલે જ એ આ ભૂમિને ચૂમીને એની ધૂળ માથે ચડાવે છે.

નર્મદના કાળ પછી પણ સુરતે ઓછી આગ કે ઓછી રેલ જોઈ નથી. બસો વર્ષમાં ન આવી હોય એવી મહાભયંકર રેલ ૨૦૦૬માં સરકારની મુર્ખાઈને કારણે આવી ત્યારે થયેલું કે સુરત હવે બેઠું નહિ થાય, પણ મરવા જેવું થયું હોય તો પણ સુરતને રડવાની ટેવ નથી. અરે! ગયે વર્ષે જ ચોથે માળે આવેલાં એક ટયૂશન ક્લાસમાં લાગેલી આગમાં કેટલાં બધાં બાળકો ભડકો થઈ ગયાં તે કેમ ભૂલાય? પણ સૂરત રાખમાંથી બેઠું થાય છે. મરી મરીને જીવતું થાય છે, તે તેના આનંદી, લહેરી મિજાજને કારણે!

એક વખત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રેલ વખતે સુરત આવેલાં, ખબર કાઢવા. તેમને તો હતું કે આખું શહેર કરગરતું, પીડાથી આળોટતું હશે, પણ શહેર તો ઉમંગભેર વડાપ્રધાનનું અભિવાદન કરવા ફૂલહાર લઈને સામે દોડ્યું. આ તાસીર ને તસ્વીર સુરતની જ છે. તેને રડવાની, ભીખ માંગવાની ટેવ નથી. એટલે સરકારો પણ તેને મદદ કરવામાં કસર કરતી આવી છે.

અત્યારે આખું શહેર વૈશ્વિક મહામારી કોરોનામાં સપડાયું છે. સુરત રેડ ઝોનમાં છે, ૬ મેની સાંજની સ્થિતિ કૈંક આવી છે. ૭૪૨ કન્ફર્મ્ડ કેસ છે. ૧૭૯૧ કવોરન્ટાઈનમાં છે ને ૩૪ વ્યક્તિઓને કાયમને માટે સુરતે ગુમાવી છે. સ્થિતિ હજી વકરે એમ છે, પણ સુરત શાંતિથી અત્યારે તો વેઠે છે ને મને શ્રદ્ધા છે કે આ મહામારીમાંથી સુરત દર વખતની જેમ મસ્તીથી બેઠું થશે, કારણ હસવું તેના લોહીમાં છે. તેના ડી.એન.એ.માં છે. સુરતની માટીમાં જ ગીતાનો ઉપદેશ પડેલો છે, જ્યારે જયારે આફત આવે છે, સુરત નવો અવતાર ધારણ કરે છે. તે હણાતું લાગતું હોય તો પણ તેને કોઈ હણી શકે એમ નથી. એટલે જ તો હું પણ કહું છું – 'મને ઘણું અભિમાન ભોય તારી મેં …'

૦૦૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજ અને કાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2020

Loading

8 May 2020 admin
← ખાનગી અને જાહેર આરોગ્ય ક્ષેત્રોને એક જ હકૂમત તળે લાવવાં જરૂરી છે
મુશ્કેલ સમયમાં (12) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved