
રાજ ગોસ્વામી
અલગાવવાદી ભાવના અથવા ચળવળોની મુસીબત એ છે કે તેનું કોઈ પરિણામ આવવાનું ન હોય અથવા તે નિષ્ફળ ગઈ હોય તો પણ, તે સુષુપ્ત અવસ્થામાં જીવતી રહે છે અને પેઢી-દર-પેઢી માથું ઊંચું કરીને જીવતદાન મેળવતી રહે છે. પંજાબમાં આ વાત સાચી પડી રહી છે. 70ના દાયકામાં, અલગ પંજાબ રાષ્ટ્ર ‘ખાલિસ્તાન’ની માંગણી સાથે શરૂ થયેલી લોહિયાળ ચળવળ, 1984માં, શીખોના સૌથી પવિત્ર ધર્મસ્થાન ગણાતા અમૃતસરના સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર નામની સૈનિક કાર્યવાહી અને તત્કાલીન પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઠંડી પડી ગઈ હતી, પરંતુ તાજેતરની ઘટનાઓ પુરવાર કરે છે કે પંજાબ તેના લડાયક અલગાવવાદથી સંપૂર્ણપણે મુક્ત થયું નથી અને તે તેનો અરાજક અતીત ફરીથી દોહરાવે તેવી આશંકા પેદા કરે છે.
ગયા અઠવાડિયે, એક એવી ઘટના બની જેમાં અમૃતપાલ સિંહ નામના એક શિખ ઉપદેશક સામે પોલીસે ઘૂંટણિયાં ટેકવી દીધાં. ઇન ફેક્ટ, આમ તો પંજાબ સરકાર જ તેની સામે ઝૂકી ગઈ ગઈ એવું કહેવાય, કારણ કે આ ઉપદેશકના તલવારો અને બંધૂકોથી સજ્જ અનુયાયીઓએ, તેમના એક સાથીદાર લવપ્રિત સિંહ ઉર્ફે તુફાનને એક અપરાધિક કેસમાં જ્યાં રાખવામાં આવ્યો હતો તે અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, એટલું જ નહીં, પોલીસે તેમની માંગણી સ્વીકારી લીધી અને અપરાધીને છોડી મુકવો પડ્યો. પોલીસે તોફાનીઓએ પેશ કરેલા પુરાવાઓને આધારે અપરાધીને મુક્ત કર્યાનો દાવો કર્યો છે, પણ જે રીતે તેને છોડાઈ જવામાં આવ્યો એ કાનૂન-વ્યવસ્થાની ઐસીતૈસીથી કમ નથી.
લવપ્રિત સિંહ ‘તુફાન’ અમૃતપાલ સિંહના સંગઠન ‘વારિસ પંજાબ દે’ન નેતા છે. તેને અપહરણ અને મારામારીના કેસમો પોલીસે ગિરફ્તાર કર્યો હતો. અમૃતપાલે, તેના વિરોધમાં 23મી ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. પોલીસ તેમાં ઊંઘતી ઝડપાઈ કે પછી અંદરખાને ગોઠવણ હતી એ તો ખબર નથી, પરંતુ વિરોધના નામે રીતસર પોલીસ સ્ટેશન પર આક્રમણ જ થયું.
તેના દબાવમાં સરકાર ઝૂકી. પોલીસે પહેલાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાની જાહેરાત કરી, પણ તેનાથી ય તોફાનીઓ શાંત ન પડતાં લવપ્રિતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી જ કરવામાં ન આવી, જેથી તેને જામીન પર છોડવાનો આદેશ થયો. પંજાબ સરકાર અને પોલીસ પોતાનું ખરાબ ન દેખાય તે માટે, 23 તારીખની ઘટનાને અલગ-અલગ રીતે ઓછી આંકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે; સરકાર અને સુરક્ષા બળો સામે કટ્ટરવાદીઓ જીતી ગયા છે. અને આ હકીકત જ ચિંતાજનક છે.
પંજાબમાં આતંકવાદ સામે મહત્ત્વનું કામ કરનાર અને પાછળથી પંજાબના રાજ્યપાલના વિશેષ સલાહકાર બનેલા પૂર્વ પોલીસ મહાનિર્દેશક જુલિયો રિબેરોએ એક ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, “23 ફેબ્રુઆરીની અજનાલાની ઘટના પોલીસનું મનોબળ તોડનારી છે. સરકારે કોઈ પણ હિસાબે અમૃતપાલ સિંહને કાબૂમાં કરી લેવાની જરૂર હતી. સરકાર અને પોલીસે એ દિવસે એક ઉત્તમ અવસર ગુમાવી દીધો હતો.”
રિબેરોએ કહ્યું હતું કે તેમને ખબર નથી કે, “આ અમૃતપાલ કોણ છે, પરંતુ અલગાવવાદીઓ અને દેશ વિરોધીઓ આનો ફાયદો ઉઠાવશે. કટ્ટરવાદીઓની માંગણીઓ સ્વીકારવાનું મોંધુ પડી શકે છે. તેના સાથીને છોડવાની જરૂર નહોતી. અમૃતપાલ હવે મોટો થશે અને પછી તેને કાબૂમાં લેવાનું મુશ્કેલ થશે. આ એક મોટી ભૂલ હતી.”
આ ઘટના પછી અમૃતપાલ સિંહ અને તેનું સંગઠન વારિસ પંજાબ દે પ્રકાશમાં આવ્યું છે અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓ તેને લઈને વિગતો એકઠી કરી રહી છે. આ એકદમ નવું નામ છે. દિલ્હીની સીમા પર પંજાબના ખેડૂતો અંદોલન કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તેમની પર જોર-જબરદસ્તી કરી રહી હતી, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી (અને હવે ભા.જ.પ.માં જોડાયેલા) કેપ્ટન અમરિંદર સિંહે ચેતવણી ઉચ્ચારી હતી કે પંજાબ સીમાવર્તી રાજ્ય છે, ખેડૂતોને ખાલિસ્તાની કે આતંકવાદી તરીકે ચીતરવાથી માહોલ બગડી શકે છે અને અરાજક તત્ત્વો તેનો ફાયદો ઉઠાવી શકે છે.
આ અમૃતપાલ એ આંદોલનનું ફરજંદ છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રએ તેનો વિગતવાર પ્રોફાઈલ તૈયાર કર્યો છે. 29 વર્ષનો અમૃતપાલ સિંહ ખાલસા દુબઈમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. ખેડૂત આંદોલન દરમિયાન તે પંજાબના ખેડૂતોને સમર્થન આપવા માટે આવ્યો હતો. 2022-21માં કેન્દ્ર સરકારે કૃષિ કાનૂન પાછા ખેંચી લીધા તે પછી અમૃતપાલ પાછો દુબઈ જતો રહ્યો હતો. ઓગસ્ટ 2022માં તે પાછો આવ્યો હતો. આ વખતે તેણે ધાર્મિક વાઘા પહેર્યા હતા.
તમને જો યાદ હોય તો, ખેડૂત અંદોલન વખતે, દિલ્હીમાં લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવનારા પંજાબી ગાયક દીપ સિદ્ધુનું નામ બહુ ઊછળ્યું હતું. તે વખતે એવા આરોપ થયા હતા કે ખેડૂત અંદોલનને બદનામ કરવા માટે દીપ સિદ્ધુને પેરાશૂટ કરવામાં આવ્યો હતો. ખેડૂત અંદોલનના નેતાઓએ પણ તેનાથી અંતર કરી લીધું હતું.
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં 30 સપ્ટેમ્બર 2021ના રોજ આ દીપ સિદ્ધુનું એક રોડ અકસ્માતમાં મોત થઇ ગયું હતું. તેના મોત પછી તેનું એક સંગઠન ‘વારિસ પંજાબ દે’ ( પંજાબનો વારિસ) લાવારિસ થઇ ગયું હતું. અમૃતપાલ સિંહ ખાલસાએ આ સંગઠનને ‘ગોદ’ લઇ લીધું હતું. ઇન્દિરા ગાંધીના ઓપરેશન બ્લુ સ્ટાર વખતે સ્વર્ણ મંદિરમાં ઠાર મરાયેલા જનરૈલ સિંહ ભિંડરાવાલેના ગામમાં જ તેને આ સંગઠનની કમાન સોંપવામાં આવી હતી. દીપ સિદ્ધુના ભાઈ અને પરિવારનો જો કે દાવો છે કે અમૃતપાલ ખાલિસ્તાનના નામ પર યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે.
આ સંગઠનને હાથમાં લીધા પછી તેને અચનાક પંજાબમાં ડ્રગ્સનું દૂષણ દેખાયું અને તેણે તેની સામે જનજાગૃતિ શરૂ કરી. એમાં તેનો ધાર્મિક અવતાર થયો. તેણે ખુદને ખાલિસ્તાની નેતા જનરૈલ સિંહ ભિંડરાવાલેનો વારિસ ઘોષિત કરી દીધો. તેની સક્રિયતા છેલ્લા છ મહિનાથી વધી છે. સોશિયલ મીડિયા પર તે છવાયેલો છે. તેનાં દસેક ભાષણો વાઈરલ છે, જેમાં તે ખાલિસ્તાનની માંગણી કરતો દેખાય છે. તે નશામુક્ત કેન્દ્રો પર જાય છે અને ધાર્મિક નેતાની જેમ વક્તવ્યો આપે છે. પંજાબના ગામડાઓમાં તેની સારી એવી પક્કડ બની રહી છે.
અમૃતપાલ પંજાબને શુદ્ધ કરવા માંગે છે. તે કથિત ‘અમૃત પ્રચાર’ મારફતે યુવાનોમાં ઉન્મ્નાદ ભરે છે. તે ઉઘાડે છોગ ખાલિસ્તાનનું સમર્થન કરે છે. તે કહે છે, “ખાલિસ્તાનની અમારી માંગણીને દુષ્ટ રીતે ન જોવી જોઈએ, પણ બૌદ્ધિક રીતે જોવું જોઈએ કે તેના જીઓપોલિટીકલ ફાયદાઓ શું છે. એ એક વિચારધારા છે અને વિચારધારા ક્યારે ય મરતી નથી.” અમૃતપાલે ગૃહમંત્રી અમિત શાહને ઇન્દિરા ગાંધી જેવાં હાલહવાલ કરવાની ધમકી પણ આપી છે.
અમૃતપાલનો ઉદય ભિંડરાવાલે જેવો જ છે. દમદમી તક્સાલ નામના રૂઢિચુસ્ત શિખ સંગઠનનો લડાયક નેતા ભિંડરાવાલે ભારતની અંદર જ પંજાબને સ્વાયત રાજ્યની માંગણી સાથે મોટો થયો હતો અને ધીમે ધીમે તેની રાજકીય વગ વધતાં (અને ખાસ તો ઝિયા હુલ હકના પાકિસ્તાનની મદદથી) અલગ ખાલિસ્તાનની ચળવળનો આંતરરાષ્ટ્રીય નેતા બની ગયો હતો. વિદેશોમાં વસતા શિખ યુવાનો પણ તેના પ્રભાવમાં આવી ગયા હતા.
ભિંડરાવાલે કેટલો મોટો થઇ ગયો હતો તે એ હકીકત પરથી ખબર પડે છે કે 1982માં તેણે તેના સાથીદારો (અને સાથે દારૂગોળા સાથે) સ્વર્ણ મંદિરમાં આશરો લીધો હતો અને ત્યાં ‘સમાંતર સરકાર’ની સ્થાપના કરી હતી. તેને ખદેડવા માટે 1984માં ઇન્દિરા ગાંધીએ સ્વર્ણ મંદિરમાં લશ્કર મોકલવું પડ્યું હતું. જેના પગલે શીખોમાં રોષ વ્યાપી ગયો હતો અને એમાં જ તેમના શિખ અંગરક્ષકોએ ઇન્દિરાની હત્યા કરી હતી.
અમૃતપાલ ભિંડરાવાલેની જેમ જ પંજાબના યુવાનોમાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે વ્યાપ્ત રોષ અને નિરાશાનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તેમાં તેને ધાર્મિક કટ્ટરતાનું હાથવગું સાધન મળ્યું છે. પંજાબની સામાજિક અને આર્થિક સમસ્યાઓ પણ એવી છે કે લોકો વૈકલ્પિક નેતાઓ તરફ ખેંચાઈ રહ્યા છે. ભિંડરાવાલેની માફક તેને વિદેશમાંથી પણ શીખોનો ટેકો હોવાનું કહેવાય છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી લગાતાર એવા સમાચારો આવતા રહે છે કે ત્યાં ખાલિસ્તાનની ભાવના બળવત્તર બની રહી છે.
આ તમામ પરિબળો એક ખતરનાક કોકટેલ છે. ભિંડરાવાલેનો જ્યારે ઉદય થઇ રહ્યો હતો ત્યારે કેન્દ્રની સરકારે તેને કાનૂન-વ્યવસ્થાનો સ્થાનિક પ્રશ્ન ગણીને નજરઅંદાજ કર્યો હતો. કંઇક એવું જ અમૃતપાલના કિસ્સામાં થઇ રહ્યું છે. અમૃતપાલ કેટલી જ હદે તેની વિચારધારાની આકર્ષક બનાવવા માટે સક્ષમ છે તે તેના સમાચાર સંસ્થા એ.એન.આઈ.ને આપેલા એક ઇન્ટરવ્યૂ પરથી ખબર પડે છે. ‘હિંદુ રાષ્ટ્ર’ અને ‘ખાલિસ્તાન’ વચ્ચે સરખામણી કરતાં તેણે કહ્યું હતું;
“તમે જો ખાલિસ્તાન જિંદાબાદ બોલો તો એ બરાબર ન કહેવાય, તમે સુપ્રીમ કોર્ટને પડકાર ફેંકો છો એવું કહેવાય, પણ કોઈ જો હિંદુ રાષ્ટ્ર જિંદાબાદ બોલે તો કેમ બરાબર છે? હિંદુ રાષ્ટ્ર એટલે શું? એ ક્યાં સ્થપાયું છે? લોકોને તેનો વાંધો નથી. હિંદુ રાષ્ટ્રનો વિચાર ખાલિસ્તાનના વિચારથી તદ્દન વિરોધી છે. તેમાં હિંદુ સિવાયના લોકોનો સમાવેશ નથી. ખાલિસ્તાનનો વિચાર એકદમ શુદ્ધ છે. એ સમાવેશી છે.”
અજનાલાની ઘટના પછી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું, “આ કોઈ કાયદો-વ્યવસ્થાની સામાન્ય બીના નથી. એમાં રાજ્ય અને દેશની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.” તેઓ કહે છે કે વિદેશોમાં હિંદુ મંદિરો પર અલગાવવાદીઓ હુમલા કરી રહ્યા છે ત્યારે જ પંજાબમાં ખાલિસ્તાની તત્ત્વો માથું ઊંચકે એ યોગાનુયોગ નથી.
લાસ્ટ લાઈન:
“ધર્મસ્થળમાં સુરક્ષાની કાર્યવાહી કરવી સહેલી નથી, પણ શિખોના આ આસ્થા સ્થળને આતંકી ગતિવિધિમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અમારી પાસે સુરક્ષા બળોને મોકલવા સિવાય કોઈ રસ્તો નહોતો.”
— ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થેચરને લખેલા એક પત્રમાં
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 06 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર