Opinion Magazine
Number of visits: 9483927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવીણસિંહ ચાવડા સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ|Opinion - Interview|12 May 2019

શોરબકોર અને સ્વાર્થી થનગનાટ સર્વ ક્ષેત્રે વ્યાપ્ત છે. સાહિત્ય પણ આનાથી બાકાત નથી. આવા માહોલમાં કોઈક સર્જક પોતાનો દીવડો બાળીને એની કલમને સમર્પિત થઈ ચૂપચાપ અજવાસમય લખ્યા કરે એ એક વિરલ ઘટના છે. આપણા સમર્થ વાર્તાકાર પ્રવીણસિંહ ચાવડા છેલ્લા બે દાયકાથી આ રીતે સતત સર્જનશીલ રહ્યા છે. એમની વાર્તાઓમાં વહેતા શાંતરસ જેવું એમનું સર્જકજીવન રહ્યું છે. એમણે લેખન તો છેક બાળપણથી શરૂ કરેલું, પણ સરકારી નોકરીની વ્યાવહારિકતા અને વ્યસ્તતાને કારણે એમની કલમે વચ્ચે થોડાં વર્ષ વિસામો લીધો. એ દરમિયાન વિશ્વસાહિત્યનું વાંચન એમની સાથે રહ્યું. એ વિસામા પછી એમની કલમમાંથી સાહિત્યસર્જનો સતત વહેતાં રહ્યાં છે. વાર્તા, આત્મકથા, પ્રવાસલેખન, નિબંધ જેવા ગદ્યપ્રકારો દ્વારા આપણા સાહિત્યમાં વિપુલ પ્રદાન કરનાર પ્રવીણસિંહ ચાવડા સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક અને સરકારી શિક્ષણ સેવાઓમાં, પબ્લિક સર્વિસ કમિશનમાં કાર્યરત રહ્યા પછી હાલ, વ્યવસાયમાંથી નિવૃત્ત છે. એમનાં સર્જનોના હિન્દી, મરાઠી ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ થયા છે. ‘નવનીત સમર્પણ’માં બે દાયકાથી નિયમિતપણે પ્રગટ થતી એમની વાર્તાઓ દ્વારા, ધારાવાહિક પ્રગટ થયેલી ‘એક બાળલેખકની આત્મકથા’ અને ‘મારો એડિનબરાનો પ્રવાસ’ દ્વારા વાચકો એમની સર્જનાથી સુપેરે પરિચિત છે. તેમની સાથે થયેલો આ વિસ્તૃત સંવાદ વાચકો માટે સર્જકચિત્તનો અને એ રીતે સર્જનશીલતાનો પ્રવાસ બની રહેશે.

છબિસૌજન્ય : પ્રજ્ઞેશ વ્યાસ, “ચિત્રલેખા”

આરાધના : તમારી આત્મકથા સૂચવે છે એમ લેખનની શરૂઆત બહુ નાની વયે થઈ; તેના મૂળમાં રહેલ બાળપણ અને ઉછેર વિશે જાણવાની ઇચ્છા છે.

પ્રવીણસિંહ : મહેસાણાની પાસે પીલુદરા તે મારું ગામ. મારો જન્મ ૧૯૪૫માં. પિતાજીને ગાયકવાડ સરકારના રેવન્યુ ખાતામાં નોકરી હતી તેથી પિલાજીગંજમાં સરકારી મકાન મળેલું, બે મોટા ભાઈઓનું હાઈ સ્કૂલનું શિક્ષણ મહેસાણામાં થયું, પરંતુ અમારો સ્થાયી નિવાસ ગામમાં. તેથી મને ગ્રામજીવનનો પૂરેપૂરો લાભ મળ્યો. (ગેરલાભ? એક પણ નહીં.) વગડામાં અને નદીનાં કોતરોમાં ભાઈબંધો સાથે રઝળપાટ કર્યો છે, નદી અને તળાવ જ નહીં, કૂવામાં ભૂસકા મારીને નાહ્યો છું, આંબલીપીપળી રમતાં બે-ત્રણ વાર સરકારી ચોરાના પીપળા ઉપરથી પડ્યો છું.

ગામને તમે નાનું ન સમજો; એ એક વિશ્વ હતું. નાનું કે મોટું, ભૌતિક કદથી નથી બનતું. વૈવિધ્ય અને સૂક્ષ્મતાઓથી બને છે. (આ અર્થમાં આજનું મહાનગર તે વિશ્વ નથી.) એક આફ્રિકન કહેવત છે: 'It takes a village to bring up a child.' બાળકના ઉછેર માટે માત્ર મા-બાપ પૂરતાં નથી: એને કાકા-કાકી, મામા-મામી, ફોઈ, દાદાદાદી, પડોશીઓ જોઈએ, ચકલી, કાબર, ખિસકોલી, લીમડો, તળાવ, નદી – આ સૃષ્ટિમાં વિસ્મયની આંખો ઊઘડે. મદારી, ભવૈયા અને બહુરૂપી આવે. કુટુંબોનો ઇતિહાસ હોય, દંતકથાઓ હોય.

એક બાજુ વૈવિધ્યસભર આ જીવન અને બીજી બાજુ અમારી મેડી, જેમાં કબાટ ભરીને પુસ્તકો હતાં, રમણલાલ દેસાઈ, મુનશી, શરદચંદ્ર અને કાલિદાસનું શાસન હતું. એમ કહી શકું કે હું એકસાથે બે દુનિયાઓમાં જીવતો હતો. આવા તત્ત્વનો સંયોગ તે સરવાળો નથી; ગુણાકાર છે.

પ્ર.: પુસ્તકો હોય તેથી વાંચવાની, જોવાની ઇચ્છા થાય તે સહજ છે.

ઉ.: મારા નસીબમાં તો પુસ્તકો જ નહીં, આંગળી પકડીને એમની પાસે લઈ જનાર માર્ગદર્શક પણ હતા. અમરસિંહભાઈ મારાથી સાત વર્ષ મોટા, તે બાળવાર્તાઓ, શિકારકથાઓ, કાવ્યો, વાર્તાઓ લખતા, જેમાંનું ઘણું પ્રકાશિત પણ થતું. રમણલાલ દેસાઈ, મુનશી, ધૂમકેતુ અને પન્નાલાલ જેવા દેવતાઓનાં ગુણગાન કરતાં થાકે નહીં. કલાપી એમના પ્રિય કવિ. ‘હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં’ – એવા ભાવ સાથે ગાતા કે આજે પણ મને એ સ્વર સંભળાય છે.

એ વાદ્યને કરુણગાન વિશેષ ભાવતું.

પ્ર.: વાંચનની શરૂઆત તો બાળસાહિત્યથી જ થઈ હશેને?

ઉ.: બકોર પટેલ અને મિયાં ફુસકી. જીવરામ જોશી, ‘ઝગમગ’, ‘રમકડું’, ‘ગાંડિવ!’ તે પછી આવી ડિટેક્ટિવ વાર્તાઓ. નામો કેવાં, ખબર છે? ‘લાલનો એક્કો’, ‘ખવીસની ખોપરી’, ‘દસ લાખનો દસ્તાવેજ.’ પુસ્તકોનું વર્ગીકરણ શાસ્ત્રીય રીતે થયેલું નહીં અને આ વાચકને દિશાનું ભાન નહીં, તેથી ‘સિકંદરની સંદૂક’ની પાસે બીજી કોઈ ચોપડી હોય તેને હાથ અડી જાય – ‘ચંદ્રનાથ’, ‘દ્વિરેફની વાતો’, ‘સ્મરણયાત્રા.’ વાચનમાં કોઈ મર્યાદા નહોતી. સમજ પડવી – ન પડવી તે મુદ્દો જ અપ્રસ્તુત.

પ્ર.: પછી બાળલેખકનો જન્મ કેવી રીતે થયો?

ઉ.: અમરસિંહભાઈ મને નોટબુક આપીને બારી પાસે બેસાડે. વાર્તા લખ. પછી સુપરવાઈઝરની જેમ મેડી પર આંટા મારે. વચ્ચે વચ્ચે પૂછે – શરૂ કર્યું? કેટલે આવ્યો? હું કંઈક ચિતરામણ કરું તેને નાપાસ જાહેર કરે. આમ લખાતું હશે!

પરાણે સર્જનનો પ્રયોગ નિષ્ફળ ગયો પણ આવ્યું ત્યારે અનાયાસે ગેબી રીતે આવ્યું. છઠ્ઠા ધોરણમાં હતો. નિશાળેથી આવીને મેડીની પાછળની બારીએ બેસી ગયો અને છંદ : મંદાક્રાંતા; સ્વરૂપ : સોનેટ; કાવ્યનો વિષય : મારા ગામની નદી રૂપેણ.

પ્ર.: એકાદ પંક્તિ યાદ છે?

ઉ.: ‘ધીમે ધીમે સરળ ગતિએ વ્હેતી
                                          વ્હાલી સરિતા;
એ તો નામે રૂપેણ તરીકે સદા ઓળખાય, ભ્રાતા.’

હસવાની છૂટ, છંદની ભૂલો માફ કરવાની શરતે.

હાથ ખૂલી ગયો પછી તો રોજનાં એકાદ-બે કાવ્યોના હિસાબે નોટબુકો ભરાતી ગઈ. એમાં કાવ્યતત્ત્વ તો શું હોય? બાળકની રમત હતી, પરંતુ એક લાભ થયો. કાગળ અને પેન. લખવું તે મારે માટે સહજ બની ગયું.

પ્ર.: કાવ્યધારા કેમ અને ક્યારે અટકી?

ઉ.: હું માનું છું કે દરેક સર્જકને પોતાની પ્રકૃતિને અનુકૂળ એવું અમુક જ સાહિત્ય સ્વરૂપ હોય છે. વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ત્યારે મને, હું મારે ઘેર આવ્યો હોઉં એવું લાગ્યું. તે પછી પણ વર્ષમાં એકાદ-બે કાવ્યો લખાતાં, ક્યારેક રમૂજ માટે. ૧૯૭૦-૭૨ના ગાળામાં થોડાં કાવ્યો અંગ્રેજીમાં લખ્યાં, જેમાંનાં બે-પાંચ ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં સામયિકોમાં પ્રગટ થયેલાં.

પ્ર.: પ્રથમ કાવ્યની વાત કરી; પ્રથમ વાર્તા ક્યારે લખાઈ?

ઉ.: પ્રથમ અમુક વાર્તા – એવું યાદ નથી, પણ વાર્તાલેખન આઠમા-નવમા ધોરણમાં શરૂ થયું. ‘વર્ષા’ નામનું વાર્તામાસિક મુંબઈથી પ્રગટ થતું; એણે ‘આક્રંદનો અર્થ’ વાર્તા છાપી. વાર્તા માસિકોમાં સૌથી ઊંચું સ્થાન હતું ‘આરામ’નું; એના સંપાદક પીતાંબરભાઈ પટેલ. એમણે મારામાં અંગત રસ લીધો. શરૂઆતની એકાદ-બે વાર્તાઓ પરત મોકલી, પણ તે પછી સતત માગણી ચાલુ રહી – વાર્તા મોકલો. દિવાળી અંક માટે વાર્તા, સાથે ફોટોગ્રાફ અને ટૂંકો પરિચય. ‘આરામ’માં તે જમાનાના લગભગ બધા જ સમર્થ લેખકોની વાર્તાઓ પ્રગટ થતી – પન્નાલાલ, મડિયા, ચંદ્રકાન્ત બક્ષી, શિવકુમાર જોશી, મોહનલાલ પટેલ. વીસનગરની નૂતન હાઈ સ્કૂલના વિદ્યાર્થીને એમણે એ દુનિયામાં સ્થાન આપ્યું.

‘નવનીત’ (ગુજરાતી ડાયજેસ્ટ) ૧૯૬૨માં શરૂ થયું ત્યારે કુંદનિકાબહેને પહેલા વર્ષમાં જ ‘સમાચાર’ નામની વાર્તા પ્રગટ કરી. ગામડાનો વિદ્યાર્થી, નવમું ધોરણ – આ જાણ્યું તે પછી મારા પ્રત્યે એમનો પક્ષપાત રહ્યો એમ જ કહી શકાય. એ દસકામાં મારી પંદર-વીસ કે કદાચ વધારે વાર્તાઓ એમણે છાપી.

આમ, ‘નવનીત-સમર્પણ’ સાથેનો મારો સંબંધ ખૂબ જૂનો છે, ૧૯૬૨ની સાલથી.

પ્ર.: પ્રમાણમાં ઘણી નાની વયે તમે આત્મકથા લખી. મોટા ભાગના લેખકો જીવનના અંતિમ અધ્યાયમાં, બધું કહેવાઈ કે લખાઈ ગયું હોય ત્યારે આત્મકથા તરફ વળે છે. તમારી આત્મકથા નવોદિત સર્જકો માટેની ગીતા કહેવાઈ છે.

ઉ.: પુસ્તકનું નામ ધ્યાનથી વાંચશો તો તમને આનો ઉત્તર મળી જશે: ‘આત્મકથા’ નહીં, ‘બાળલેખકની આત્મકથા.’ મૂળ નામ વિચાર્યું હતું ‘નાનપણનાં સાહિત્યિક સંસ્મરણો’ કે એવું કંઈક. પછી રમૂજમાં આ સૂઝ્યું. ‘આત્મકથા’ એવો ભારેખમ શબ્દ: એની જોડાજોડ મૂકો ‘બાળલેખક’ નાદાન બાળક અને સાથે સાથે, એને યાદ કરનાર આ સાઠેક વર્ષનો માણસ – બંનેની રમૂજ છે.

હવે એક સ્પષ્ટતા. આત્મકથા લખવા માટે વયનું કોઈ બંધન નથી. અંગ્રેજી કવિ રોબર્ટ ગ્રેવ્ઝે ‘ગુડબાય ટુ ઓલ ધેટ’ ચોત્રીસ વર્ષની ઉંમરે લખી હતી; આજે વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં તેનું સ્થાન છે. રશિયન કવિ યેવટુશેન્કોની ‘પ્રિકોશિયસ ઓટોબાયોગ્રાફી’ ત્રીસની વયે લખાઈ હતી.

પ્ર.: તમારો ‘એડિનબરાનો પ્રવાસ’ વાચકોએ વધાવ્યો, સાહિત્યવર્તુળોમાં વખણાયો –

ઉ.: તમને વચ્ચે અટકાવીને કહું કે પુસ્તક વખણાયું હોય તો સારી વાત છે, મને જાણીને આનંદ થયો, પણ કોઈએ એના વિશે લખ્યું નથી, એક પણ રિવ્યુ પ્રગટ થયો નથી; અપવાદ છે રઘુવીર ચૌધરી. એમણે વર્તમાનપત્રની એમની કોલમમાં ત્રણ-ચાર પ્રસંગે મારા પુસ્તક વિશે લખ્યું છે. હવે આગળ બોલો.

પ્ર.: આ પુસ્તક એ પ્રવાસવર્ણન ઓછું અને વાર્તાસંગ્રહ જેવું વધુ બન્યું છે. સ્થળોનું વર્ણન પાંખું અને માનવમનની બારીકીઓનું નિરીક્ષણ અને આલેખન આબેહૂબ, એક મનોવૈજ્ઞાનિકની અદાથી, આ સ્વરૂપ કઈ રીતે સિદ્ધ થયું?

ઉ.: એક રીતે કહું તો સ્વરૂપ આવ્યું મારી મર્યાદાઓમાંથી. પ્રવાસ થયો હતો ૧૯૯૦માં અને પુસ્તક લખાયું ૨૦૦૭માં, એટલે કે સત્તર વર્ષ પછી મારી પાસે કાચીપાકી નોંધ નહોતી. માત્ર કેટલાંક નામ, સરનામાં અને ટેલિફોન નંબર અંગૂઠા જેવડી ડાયરીમાં સચવાયાં હતાં. એમાં ઉમેરો અહીં આવ્યા પછી મળેલા બે-પાંચ પત્રો. લખવા ઇચ્છું તો પણ સ્થળોનું વર્ણન લાવું ક્યાંથી?

નોંધ નહોતી, પરંતુ સ્મરણોનો ખજાનો હતો. કેટલાક માણસો, ચહેરા, કોઈ પ્રસંગ, ચોક્કસ સંદર્ભમાં બોલાયેલું એક વાક્ય – સ્મરણમાં જે અને જેટલું સચવાયું હોય, જે સ્વરૂપે, તેને કાગળ પર ઉતારવાનું હતું.

સ્મૃતિનો એક પ્રકાર છે: ફોટોગ્રાફિક મેમરી. તે બધા માણસોમાં હોય, પરંતુ સર્જકમાં કદાચ એ વધારે પ્રવૃત્ત હોય. જીવન એની એકધારી ગતિએ વહેતું હોય; તેની બધી વિગતો યાદ ન રહે, પરંતુ ક્યારેક કંઈક બને જે અસાધારણ હોય, તમને આંચકો આપે, આઘાત આપે. તે સુંદર હોઈ શકે, વિકૃત હોઈ શકે. એમાં વિરોધાભાસ હોય, વિપરીતતા હોય, તમને એ વિચિત્ર લાગે, એબ્સર્ડ લાગે તેવી ક્ષણોમાં જોનાર-અનુભવનારનું સમગ્ર તંત્ર એટલું જાગ્રત થઈ જાય કે જે તે ઘટના કે દૃશ્યને આખેઆખું, તેની અંદર બહારના બધા આયામો, બધી છાયાઓ સાથે, એના સમગ્રપણામાં ઝીલે. બીજા શબ્દોમાં કહીએ તો, સિક્કો વાગ્યો હોય એમ ધડાક દઈને ચિત્તમાં છપાઈ જાય. કહેવાય ફોટોગ્રાફિક મેમરી, પરંતુ એ ફોટોગ્રાફ કરતાં પણ વધારે સમૃદ્ધ છે. તેમાં માત્ર દૃશ્ય નથી; તેની સાથે જોડાયેલા સ્વર, સ્પર્શ, સંવેદનાઓ, કેન્દ્રવર્તી ભાવ–સઘળું જળવાઈ રહે છે.

સ્મરણોનું સ્વરૂપ હતું તે જ લખાણને મળ્યું.

વાર્તા જેવું ક્યાંક ક્યાંક લાગે તો એનું કારણ એ કે કેન્દ્રમાં મનુષ્ય છે.

પ્ર.: હવે મિનિસ્ટર જગુભાઈની વાત. આ જગુભાઈ કેવી રીતે અને ક્યાંથી આવ્યા?

ઉ.: જગુભાઈ ચાલતાં ચાલતાં, સદેહે ગાંધીનગર મારી ઓફિસમાં આવતા. મારા એક મિત્રના મામા હતા. બગાસું ખાતાં પતાસું મળે તે ન્યાયે તેઓ ધારાસભ્ય બન્યા. બસ, તે મૂર્તિ મારી સમક્ષ હતી. પ્રથમ અવતાર થયો ‘અંતિમ અધ્યાય’ નામની વાર્તામાં.

આવ્યા તે આવ્યા; ખસતા નહોતા. તેથી ‘જગુભાઈનો પુનર્જન્મ’ લઘુનવલ લખાઈ.

પ્ર.: છાપું ન વાંચવાનું પસંદ કરનાર સર્જક રાજકીય વિષયવસ્તુ લઈને લખવા ક્યાંથી પ્રેરાય?

ઉ.: સર્જનનો એક પાયાનો સિદ્ધાંત સમજો: સર્જકને સમજો: સર્જકને વિષયવસ્તુ પેટી-પટારા કે ગાડાં ભરીને ન જોઈએ; એને તો એક ચપટી જ જોઈએ. અહીં રાજકીય વિષયવસ્તુ છે તો તે જરીક જેટલું છે. પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શક્યતા હતી અને નવા ચહેરાઓમાં જગુભાઈનો પણ સમાવેશ થઈ શકે – આ સમાચાર હળવા ધક્કે જગુભાઈની ગાડીને ચાલુ કરી દે છે. જગુભાઈનો મિત્ર ગણેશ અને ભાણેજ રાજશેખર (મામા મિનિસ્ટર તો ભાણો એમનો પી.એ.) પણ એ ગાડીમાં કૂદી પડે છે.

પ્ર.: પછી ગાડી સ્પીડ પકડે છે!

ઉ.: ગાડી નહીં, રોકેટ. એ ત્રણેની અસંબદ્ધ, અપ્રસ્તુત વાતોના ઇંધણથી રોકેટ ઊડે છે.

મને લાગે છે કે, આ પ્રક્રિયા દરમિયાન જગુભાઈના પાત્રનો વિકાસ થાય છે. એ માણસને કોઈ ભ્રમ નથી. કોઈ વાતને, કોઈ વિષયને એ ગંભીરતાથી લેતો નથી. અન્યો પર હસે છે એનાથી વધારે એ પોતાની જાત પર હસે છે. વાસ્તવિકતાથી દૂર ગણેશભાઈનો બંગલો ‘સ્વપ્નલોક’, તે એક જુદી જ સૃષ્ટિ છે. જગુભાઈ ઉપરાંત ગણેશ, રાજશેખર, નોકર છોકરો વિકાસ અને રસોઈવાળાં તારાબાઈ: બાળકો રેતીમાં ઘરઘર રમે એમ આ બાળકો ‘મિનિસ્ટર મિનિસ્ટર’ની રમત રમતાં હોય એવું લાગે.

આ મારી સમજ છે; કોઈ એને જુદી દૃષ્ટિથી જોઈ શકે. અંગ્રેજી અનુવાદ ‘ઓનરેબલ મિનિસ્ટર જગુભાઈ’નો રિવ્યુ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’માં પ્રગટ થયો એમાં લેબલ આપી દીધું હતું – ‘પોલિટિકલ સેટાયર.’

પ્ર.: જગુભાઈનો અનુવાદ થયો, તમારી કેટલીક વાર્તાઓના પણ અનુવાદ થયા છે. એક સર્જકને એની કૃતિના અનુવાદથી ક્યારે સંતોષ થાય? સારો અનુવાદ કોને કહેશો?

ઉ.: કૃતિનો માત્ર દેહ નહીં, એનો આત્મા અન્ય ભાષામાં ઊતરવો જોઈએ. સારા અનુવાદનું આ મુખ્ય લક્ષણ. બીજું એ કે, અનુવાદ તે અનુવાદ ન લાગવો જોઈએ. અનૂદિત કૃતિના વાચકને, તે પોતાની ભાષામાં લખાયેલી તાજી રચના હોય એવું લાગવું જોઈએ.

ક્યાંક ક્યાંક એવું લાગે કે અનુવાદક સપાટી પર જ ફર્યા કરે છે, શબ્દો અને વાક્યોને વફાદાર રહેવાની મથામણમાં એ કૃતિના હાર્દ સુધી પહોંચતો નથી. આને કહેવાય 'to miss the wood for the tree.' વ્યક્તિગત વૃક્ષો પર ધ્યાન કેન્દ્રિત થઈ જાય અને એ લાયમાં વન ભુલાઈ જાય! હું માનું છું કે આ હેતુ સિદ્ધ કરવા માટે અનિવાર્ય જણાય ત્યાં છૂટ પણ લેવી જોઈએ. બે વાક્ય રદ્દ કરવાં પડે, એકાદ ઉમેરવું પડે.

પ્ર.: આજે એવું સાંભળીએ છીએ કે આપણી ભાષામાં વિશ્વ કક્ષાનું સાહિત્ય રચાય છે પણ એના સારા અનુવાદ થતા નથી એટલે એ બીજા ભાષકો સુધી પહોંચતું નથી.

ઉ.: તદ્દન સાચી વાત છે. હિન્દી, મરાઠી અને બંગાળીમાંથી સાવ સામાન્ય લેખકોની સામાન્ય કૃતિઓના અનુવાદ આપણી ભાષામાં થયા છે. હું કોઈ કોઈ નોબેલ પારિતોષિક વિજેતા લેખકની કૃતિ વાંચું ત્યારે વિચાર આવે કે આ ભાઈ અથવા બહેનને મળ્યું તે પહેલાં નોબેલ પારિતોષિક શરદચંદ્રને, પ્રેમચંદજીને અને આપણા પન્નાલાલને મળવું જોઈતું હતું.

પ્ર.: સરકારી નોકરીની સમાંતરે સર્જન કેવી રીતે ચાલ્યું? એ તાલમેલ કેવો રહ્યો?

ઉ.: તાલ ન રહ્યો, મેળ ન રહ્યો.

હકીકત એ છે કે સરકારી નોકરીમાં જોડાયો તે પછીના બે દસકા દરમિયાન એક અક્ષર પણ લખાયો નહીં. આનું એક કારણ તે ઓફિસના કામનું ભારણ અને વ્યસ્તતા. જો કે, ઘણા સાહિત્યકારોએ નોકરીની સાથે સાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી, આને હું મારી મર્યાદા ગણું છું. લખવા માટે મારે માત્ર સમય નહીં, માનસિક અવકાશ જોઈએ; તે ન મળ્યો.

બીજી હકીકત એ કે લખાયું નહીં, પણ વંચાયું ખૂબ, અધ્યાપક તરીકે વાંચતો એના કરતાં પણ વધારે. વધારે મહત્ત્વની વાત એ કે ક્ષિતિજો વિસ્તરી, વાંચનમાં વૈવિધ્ય આવ્યું. નવલકથા, વાર્તા, કાવ્યનું વાંચન ઓછું, મારા રસનાં અન્ય ક્ષેત્રોમાં વધારે.

પ્ર.: રસનાં અન્ય ક્ષેત્રો કહ્યાં તે કયાં?

ઉ.: મુખ્યત્વે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને ધર્મ. પ્રવાસમાં જાઉં ત્યારે સાથે ચાર-પાંચ પુસ્તકો હોય. ઓફિસમાં ટેબલના ખાનામાં હોય. પ્રદર્શન કરવા નથી માગતો; માત્ર થોડા લેખકો, ચિંતકો અને ગ્રંથોનાં નામ આપું : જે. કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, ઓસ્પેન્સ્કી, બર્ટ્રેન્ડ રસેલ, કોસ્ટલર, એરિક ફ્રોમ, ઉપનિષદો અને ‘યોગવાસિષ્ઠ’ જેવા ગ્રંથો.

પ્ર.: આટલા લાંબા વિરામ પછી ફરીથી લેખન શરૂ થયું : આ ઘટનામાં મને રસ છે.

ઉ.: રૂપેણ નદી વહેતી હતી; વચ્ચે એ લુપ્ત થઈ ગઈ, જમીનમાં ઊતરી ગઈ; વળી એ પ્રગટ થઈ અને વહેવા લાગી.

હું એકલો ચાલતો નહોતો; રેતીમાં મારાં પગલાંની જોડાજોડ અન્ય કોઈનાં પણ પગલાં પડતાં હતાં.

વ્યક્તિ માટે એની પોતાની ઓળખ (Self Perception) ખૂબ મહત્ત્વની છે. લખતો નહોતો, છતાં એ સમય દરમિયાન કોઈએ પૂછ્યું હોત – તમે કોણ છો? શું છો? – તો તત્ક્ષણ મેં કહ્યું હોત – લેખક છું. અન્ય પાસાં ગૌણ નહીં, નગણ્ય હતાં. જીવનને જોવાની, સમજવાની દૃષ્ટિ સર્જકની હતી. આખું તંત્ર જાગ્રત હતું. સરકારી નોકરીને તો માત્ર એક અંશ વડે ધારણ કરવાની હોય; આરબ અને ઊંટવાળી વાર્તા અહીં ચાલે નહીં.

કંઈક બને, કંઈક જોઉં કે સાંભળું અને મને થાય – આ વાર્તા! આ ઋતુઓ આવી અને ગઈ. જળમાં આંદોલનો ઊઠ્યાં અને શમી ગયાં. મારી વાર્તાઓ હવામાં વહી ગઈ.

એટલે કે, યંત્ર પડ્યું નહોતું રહ્યું, કટાયું નહોતું. આનું શ્રેય જ્યાં મેં કામ કર્યું તે વાતાવરણ, તે માણસો અને તે તંત્રને પણ આપવું જોઈએ. સરકારી તંત્રમાં અનેક દોષો હશે, મર્યાદાઓ હશે; છતાં એણે મારા ‘સ્વ’ને નુકસાન કર્યું નહીં.

વીસ વર્ષના વિરામ પછી એક દિવસ કાગળ અને પેન લઈને બેઠો તો ત્રણ જ કલાકમાં વાર્તા ઊતરી – ‘જન્મ.’

પ્ર.: તમે સાહિત્ય ઉપરાંત જુદા જુદા વિષયોના વાંચનની વાત કરી; આજના લેખકો લગભગ વાંચતા નથી એવી ફરિયાદ મળે છે.

ઉ.: વાંચતા નથી તેમના દારિદ્ર્ય વિશે તો શું કહેવાનું હોય? સામાન્ય શિક્ષિત વ્યક્તિ માટે પણ સત્ત્વશીલ સાહિત્યનું વાંચન જરૂરી છે. વ્યક્તિનાં મન, હૃદય, આત્માને સતત પોષણ મળવું જોઈએ – કુટુંબી, માનવીય સંબંધો, પ્રેમ, મૈત્રી, નોકરી, ધંધો કે વ્યવસાય, પ્રવાસ – અનેક દિશાઓમાંથી પ્રવાહ આવે છે; એ બધાની સાથે અને ખૂબ મહત્ત્વનો સ્રોત તે વિવિધ ક્ષેત્રોના ઉત્તમ ગ્રંથોનું પરિશીલન. વાચનના સંસ્કારો ચિત્ત પર પડતા રહે છે, વ્યક્તિત્વનો એક ભાગ બને છે. તેનાથી જીવનને જોવાની નવી દૃષ્ટિ મળે છે.

થોડી સ્પષ્ટતા: છાપાં, સસ્તાં સામયિકો, કોઈ કારણે ચર્ચાસ્પદ બનતાં પુસ્તકો, પોપ્યુલર બેસ્ટસેલર – આ વાંચવું તે વાંચન નથી. સમકાલીન સાહિત્ય સાથે સંપર્ક જરૂરી છે, પરંતુ વાંચન માટે મળતા સમયનું આયોજન એ રીતે થવું જોઈએ કે સત્ત્વવિહીન વાંચન પાછળ ઊર્જા વેડફાઈ ન જાય. સમર્થ સાહિત્ય સ્વામીઓ (masters) એ તો સમુદ્ર જેવા છે, આકાશ જેવા છે. એક વાંચને એ પામી શકાતા નથી, તમે વાંચ્યા તેથી તે ખાલી થતા નથી. ફરી વાર તમે એમની પાસે જાઓ ત્યારે જોશો કે કૂવો ઊભરાઈ રહ્યો છે, નદી છલકાઈ રહી છે.

સંકોચ સાથે બીજી સ્પષ્ટતા: લેખક માટે અન્ય સાહિત્યકારોની કૃતિઓનું વાંચન તે પોતાની ફેક્ટરી માટે કાચો માલ મેળવવાનું ક્ષેત્ર નથી.

પ્ર.: પ્રવીણસિંહ, વાર્તા એ તમારું પ્રિય સ્વરૂપ. વાર્તાનું મૂળ ક્યાં? જાગ્રત – અજાગ્રત મનમાં વાર્તા કઈ રીતે સ્ફુરે અને એનો આકાર કે પિંડ કઈ રીતે બને? પાત્ર પહેલું કે કથાવસ્તુ?

ઉ.: સર્જનની પ્રક્રિયા રહસ્યમય છે; તે બુદ્ધિગમ્ય નથી, તેનું વિશ્લેષણ શક્ય નથી. આટલી સમજ સાથે, મારા અનુભવને આધારે થોડી વાત કરી શકું.

વાર્તા જીવનમાંથી આવે, પોતે અનુભવ્યું હોય, જોયું હોય, કોઈની પાસેથી સાંભળવા મળ્યું હોય, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના – એમાંથી વાર્તા બને એમ આપણે સરળતા ખાતર કહી શકીએ. એ વાર્તાની સામગ્રી છે. લેખકને એમાં વાર્તાની શક્યતા દેખાઈ શકે.

પરંતુ પ્રસંગ, પાત્ર કે ઘટના પૂરતાં નથી, મગજને કસવાથી, બુદ્ધિ વડે એ સામગ્રીને આમતેમ ગોઠવવાથી વાર્તા નથી બનતી. વાર્તાનો પિંડ બંધાય છે અજાગ્રત મનમાં. નિદ્રામાંથી જાગીને પથારીમાં પડ્યો રહ્યો હોઉં અથવા લાંબું ચાલવા ગયો હોઉં ત્યારે અચાનક ક્ષણમાં ઝબકારો થાય છે અને વાર્તાનો દેહ (Form) મળે છે.

કોઈ વાર તો પાત્ર, કથાવસ્તુ, ઘટના આમાંનું કંઈ હોતું નથી. બસ, ચિત્તમાં એક ભાવ બંધાય છે. દૂરથી સંભળાતા સંગીતની જેમ. એ તમારો કબજો લઈ લે છે.

કહે છે – તમે મને દેહ આપો!

પ્ર.: તમારી વાર્તાઓ વાંચીએ ત્યારે એકાંકી નાટક ભજવાતું હોય એમ એ વાર્તાઓ ભજવાય છે. પ્રલંબ વર્ણનો નથી આવતાં પણ પાત્રો જાતે જ પોતાની રીતે ઊઘડતાં જાય છે.

ઉ.: તમારી સમક્ષ ભજવાતું હોય એવું તમને લાગે તો એનું કારણ એટલું જ કે લખતી વખતે એ મારી સમક્ષ ભજવાયું હોય છે. અસ્તવ્યસ્ત કેશને ગાંઠ વાળતાં શુભલક્ષ્મી ઊભી થઈ અને તીક્ષ્ણ નજરે આગંતુકની સામે જોયું – આ મને દેખાયું અને કાગળ પર ઉતાર્યું. વાર્તા આગળ આગળ ચાલે, લેખકશ્રી પાછળ પાછળ.

કલાનો આ ધર્મ છે : પાત્ર, ઘટના પરિસ્થિતિ કે વાતાવરણ – તેનું વર્ણન નહીં, સ્પષ્ટીકરણ નહીં, તાત્ત્વિક વિશ્લેષણ નહીં, પરંતુ તેના સમગ્રપણામાં ભાવકને તેનો અનુભવ કરાવવો એક શબ્દમાં કહીએ તો પ્રત્યક્ષીકરણ. બધી ઇંદ્રિયો, હૃદય અને આત્મા સુધી વાર્તા પહોંચવી જોઈએ.

પ્ર.: આનો અર્થ એ થયો કે વાર્તા આયોજન પ્રમાણે લખાતી નથી પણ સહજ રીતે વિકસે છે.

ઉ.: એમ જ હોય; સર્જન કોને કહ્યું?

એક વાર્તાકારે મને પૂછેલું – તમે વાર્તાનો અંત કેવી રીતે ગોઠવો? અરે ભાઈ, સર્જક કંઈ ગોઠવવા બેસે છે? બુદ્ધિ કસીને વાર્તાનો અંત શોધી કાઢે છે?

પાયાની વાત એ કે વાર્તામાં ‘પ્લોટ’નો ખ્યાલ છોડી દેવો પડે; આરંભ, મધ્ય અને અંત – ટ્રેનને ચાલવા માટે પાટા તૈયાર! તમારી વાર્તા પણ બિચારી એવી ડાહી, કહ્યાગરી અને રાંક કે દોરો ત્યાં જાય!

વાર્તાને આપણે મનુષ્ય જેવા એક જીવંત અસ્તિત્વ તરીકે સ્વીકારવી પડે; તો જ સર્જનની પ્રક્રિયા સમજી શકાય. લખતી વખતે લેખક, તમે જેને ઓળખતા હો તે વ્યક્તિ રહેતો નથી. એકાગ્રતા એવી સધાય છે કે જેમાં જાગ્રત મન રહેતું નથી. ચેતનાના એક જુદા સ્તરમાં પ્રવેશ થાય છે જ્યાં વ્યક્તિ તરીકેની એની ઓળખ, એના ખ્યાલો, આગ્રહો, પૂર્વગ્રહો – કશું રહેતું નથી. ચિત્તના અવકાશમાં વાર્તા વિકસ્યે જાય છે. મધ્ય અને અંત શોધવાના નથી, બીજની ભીતર એ છે જ; એને પ્રગટ થવા માટે મોકળાશ આપવી પડે છે. એક વાક્યમાંથી બીજું વાક્ય, એક દૃશ્યમાંથી બીજું દૃશ્ય – ડાળીની જેમ ફૂટે છે. લેખક કર્તા પણ છે અને સાથે સાથે સાક્ષી પણ. આ માટે શ્રદ્ધા હોવી તે અનિવાર્ય છે – જીવનમાં શ્રદ્ધા, સર્જનશક્તિમાં શ્રદ્ધા, તમને ચારે બાજુએથી આલિંગનમાં લઈ રહેલ ચૈતન્યમાં શ્રદ્ધા.

પ્ર.: મુક્તિ?

ઉ.: હા; સર્જક માટે મુક્તિનું સ્વરૂપ આ જ હોઈ શકે.

પ્ર.: ‘સુગંધિત પવન’ વાર્તાસંગ્રહની અને શરૂઆતની વાર્તાઓની તાજગી ધ્યાન ખેંચે એવી છે. પછીની વાર્તાઓમાં પ્રૌઢતા આવી છે, છતાં સહજ વિસ્મયનો ભાવ સતત ચાલુ રહ્યો છે. બાળક રમતું રમતું ચાલતું હોય એવી રીતે વાર્તાઓ રમતી રમતી ચાલે છે.

ઉ.: મુદ્દો આ છે: પ્રૌઢતા કે પરિપક્વતા અને બાળસહજ વિસ્મય – આ બેનું સહઅસ્તિત્વ હોઈ શકે કે નહીં.

આનો સાવ સાદો ઉત્તર આપવામાં આવ્યો છે: 'A poet is a person who has retained his childhood.' વૃદ્ધ થયો હશે, છતાં બાળપણથી દૂર થયો નથી, પોતાની ભીતર રહેલા બાળકને એણે જીવતું રાખ્યું છે.

એ કહે છે – આ સૃષ્ટિ જૂની થઈ એવું કોણે કહ્યું? હું વૃદ્ધ છું એવું કોણે કહ્યું? તમારે આંખો નથી, નહીં તો જોઈ શકત કે સૃષ્ટિ આ ક્ષણે જ અસ્તિત્વમાં આવી છે, તમારો અને મારો જન્મ આ ક્ષણે જ થયો છે. પછી વિસ્મય કેમ ન હોય?

વિસ્મયનો શત્રુ છે ટેવ, પરિચિતતા. રોજેરોજ સામે હોય; એને વળી શું જોવાનું! વરસાદ વરસે છે? તો ઊભા થાઓ અને બારી બંધ કરો. માનવજીવનની એક મોટી કરુણતા એ છે કે અદ્ભુતમાં અદ્ભુત પણ કોઠે પડી જાય. ચૈતન્યની ઉપર એક પડ બંધાઈ જાય; અંગ્રેજી કવિ શેલીએ આને માટે શબ્દપ્રયોગ કર્યો છે– a film of familiarity. પરિચિતતાનું આવરણ. આપણી ભાષામાં કહીએ તો, તરણા ઓથે ડુંગર.

આ માટે બિચારા મનુષ્યને પણ દોષ દઈ શકાય નહીં. માનવનિયતિ(Human condition)ની આ ક્રૂરતા છે: માણસને ચૈતન્ય બતાવવામાં આવ્યું છે, તે તરફ એને ગતિ કરવી છે, પણ જડત્વમાં, પૃથ્વી તત્ત્વમાં તાકાત ખૂબ છે, એ નીચે ખેંચી જાય છે.

એમાંથી ક્ષણ માટે પણ મુક્તિ કોઈ આપી શકે તો કવિ આપી શકે. પેલું આવરણ હઠાવીને એ કહે – જો!

પ્ર.: તમારી સંવેદનશીલતા વાર્તાઓમાં પ્રગટ થાય છે, છતાં તમે લાગણીવેડામાં ફસાતા નથી; આ તટસ્થતા કેવી રીતે સિદ્ધ થાય?

ઉ.: તમારો આ અભિપ્રાય જાણીને આનંદ થયો, કારણ કે લખતી વખતે લાગણીની તીવ્રતા ખૂબ હોય છે. લાગણી અનુભવાય, પણ એના ઊભરા કાગળ પર ઠાલવી દેવાય નહીં. ‘યશુફોઈનું સ્વદેશાગમન’ વાર્તા વાંચીને એક વાર્તાકાર મિત્રે મને મેસેજ કર્યો – ‘તમે તો અમને રડાવી દીધા!’ આમ જુઓ તો એ વાર્તામાં શરૂઆતથી અંત સુધી રમૂજ છે. વેદના ઘેરી બની હોય તો તે સંયમને કારણે. કલામાં સંયમ (restraint) ખૂબ જરૂરી છે.

તટસ્થતા સિદ્ધ થાય છે તે કલા દ્વારા. જીવનને તેની સમગ્રતામાં, સ્થિર દૃષ્ટિએ જોવાની શક્તિ કલા આપે છે. (To see life steadily and to see it whole.)

પ્ર.: તમારી અનેક વાર્તાઓ વાંચીએ ત્યારે એમાં કેટલીક ખાલી જગ્યાઓ પમાય, કશુંક અધ્યાહાર રહ્યાનો અનુભવ થાય. આ અવકાશો (space) એ શું છે?

ઉ.: વાર્તાકારે વાર્તામાં શું કહેવું (what to tell) એનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શું ન કહેવું (what not to tell) એનું છે. આ કોઈ મિકેનિકલ ટેક્નિક નથી, યુક્તિ નથી. લેખકનો હેતુ વાચકને મૂંઝવવાનો નથી. વાર્તા એ કોયડો નથી. વાર્તા એનું વિષયવસ્તુ જીવનમાંથી લે છે તે જ રીતે એનું સ્વરૂપ (form) પણ જીવનમાંથી જ લે છે. જીવનમાં પણ આપણે જે કંઈ જોઈએ કે અનુભવીએ – માણસો, પ્રસંગો, દૃશ્યો – તેને પૂરેપૂરું પામી શકતા નથી. થોડું દેખાયું, બાકીનું ઢંકાયેલું રહ્યું.

આને જાળીની ઉપમા આપવામાં આવે છે. જાળી (net) ટેનિસના રેકેટની કે મચ્છરદાનીની, તાર લોખંડના હોય કે સૂતરના – એ શાની બનેલી છે? ઉત્તર છે : તાર + એમની વચ્ચે રહેલો અવકાશ = જાળી.

વાર્તા વાંચતાં અવકાશ આવે ત્યાં વાચક થોભે છે, પોતે એ અવકાશ પૂરવાનો પ્રયત્ન કરે છે; આ રીતે એ સર્જનની પ્રક્રિયામાં સામેલ થાય છે, ભાગીદાર બને છે. વાર્તાકારને એના વાચકમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એ જાણે છે કે વાચક ભોટ નથી, એની સ્લેટ ખાલી નથી, હૃદય ખાલી નથી, આંખો ખાલી નથી, હું બે લીટી મૂકીશ તો એ એકાદ ટપકું મૂકશે. વળી હું અટકીશ તો હળવા પગલે આવીને કોઈ પોતાની આંખનું ફોરું મૂકશે.

પ્ર.: હવે તમારી લેખનશૈલીની વાત કરીએ. એકાદ ફકરો વાંચીએ અને ખબર પડી જાય કે આ વાર્તા પ્રવીણસિંહની. આવી યુનિક, અદ્વિતીય શૈલી કેવી રીતે વિકસી, પ્રાપ્ત થઈ?

ઉ.: આદર્શ સ્થિતિમાં તો દરેક લેખકની શૈલી, તમે કહ્યું તેમ, યુનિક હોવી જોઈએ. ઘાસનું દરેક પર્ણ, જળનું દરેક બિંદુ અલગ છે, અદ્વિતીય છે એમ આપણે કહીએ છીએ. ચૈતન્યનું આ એક લક્ષણ : ક્યાં ય પુનરાવર્તન નથી. પુનરાવર્તન તો મૃત્યુ છે. દરેક મનુષ્ય અલગ હોય, એણે વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું હોય, તો સર્જક પાસેથી તો અદ્વિતીયતાની આપણે વધારે અપેક્ષા રાખીએ.

શૈલી એ બાહ્ય આવરણ નથી જે કવિતા કે વાર્તાને ઓઢાડવામાં આવે. એ વ્યક્તિના સમગ્ર અસ્તિત્વમાંથી, એના ભાવવિશ્વમાંથી આવે છે. તેથી તો કહેવાયું છે: 'Style is the man' લેખક જ્યારે લખતો હોય ત્યારે તેનું આખું જીવન, જીવનની એક એક ક્ષણ હાજર હોય છે. ઇંદ્રિયો, હૃદય અને આત્મા – આખું અસ્તિત્વ જાગ્રત હોય છે. વાણી એમાંથી આવે છે.

વિશ્વભરનું સાહિત્ય વાંચ્યું, સાહિત્યસ્વામીઓને પૂજ્યા, એમને આત્મસાત્ કર્યા; હવે એમને વિનંતી કરો કે બાજુએ ખસે. સર્જનની પ્રક્રિયામાં (ભક્તિમાં અને પ્રેમમાં પણ) વચ્ચે કોઈ મધ્યસ્થી ન જોઈએ. અહીં હું અને સામે તું. સામે જીવન છે અને અહીં સર્જક ચેતના. સામસામાં લટકાં ચાલે. એમાંથી નીપજે તે અન્ય જેવું હોઈ શકે જ નહીં.

'Look within yourself and write’ – આ મહામંત્ર છે. કાફકાએ આ જ વાત જુદી રીતે કહી છે. એ કહે છે, બહાર ફાંફાં મારવાની જરૂર નથી; તમે તમારા લખવાના ટેબલ પર બેસો અને આખું વિશ્વ તમારી સામે આવીને ઢગલો થઈ જશે!

આ અહંકાર નથી; સમર્પણ છે.

પ્ર.: શૈલીની સાથે સંકળાયેલો બીજો મુદ્દો છે ભાષાનો. તમારા ગદ્યમાં આપણી ભાષાની શક્તિ, તેની સમૃદ્ધિની પ્રતીતિ થાય છે. આ ભાષા આવે ક્યાંથી?

ઉ.: ભાષાને આપણે એક વ્યાપક અને બહુઆયામી અસ્તિત્વ તરીકે સમજવી પડે. એ શબ્દકોશમાં પુરાયેલી નથી. એ સક્રિય (dynamic) છે અને સતત સર્જનશીલ છે. માતૃભાષા આપણા મસ્તકમાં નહીં, શરીરના કોષોમાં ઊતરી ગઈ હોય છે. હું એમ ન કહી શકું કે હું ભાષાનો ઉપયોગ કરું છું, મારી પસંદગી પ્રમાણે શબ્દો મૂકું છું અને વાક્યો ગોઠવું છું. ના, ભાષા એનાં રહસ્યો મારી સામે પ્રગટ કરે છે. બ્રોડસ્કી (Brodsky) જેવા કેટલાક લેખકો-કવિઓ તો ત્યાં સુધી કહે છે કે અમે લખતા નથી; અમારી રશિયન ભાષા અમારી પાસે લખાવે છે.

‘શબ્દનો સ્વામી’ એ શબ્દપ્રયોગ ખોટો છે, વિકૃત છે.

૧૯૯૭માં પ્રથમ વાર્તા લખતી વખતે અમુક દૃશ્યો, અમુક સંવાદો આવ્યાં અને મને આપણી ભાષાની, રોજ વપરાતા એના સાદા શબ્દોમાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ. સમજાય નહીં કે આ શું બન્યું; આ શબ્દ ક્યાંથી આવ્યો, આ વાક્ય ક્યાંથી આવ્યું?

‘જ્ઞાનેશ્વરી’ તમે વાંચી જ હશે. સંત જ્ઞાનેશ્વર વચ્ચેવચ્ચે ક્યારેક વિસ્મય સાથે ઉદ્ગાર કરે છે – આ વાણી આવી ક્યાંથી?

પ્ર.: પ્રવીણસિંહ, તમારી ગંભીર વાર્તાઓમાં પણ સૂક્ષ્મ કહેવાય એવી રમૂજ પમાય છે.

ઉ.: તમને એ નડે છે?

પ્ર.: ના.

ઉ.: રસક્ષતિ થાય છે?

પ્ર.: સહેજ પણ નહીં, ઊલટાની વેદના ઘેરી બને છે.

ઉ.: મેથ્યુ આર્નલ્ડ સાહિત્ય પાસેથી એક અપેક્ષા, આ રાખે છે: High Seriousness. વાર્તા અનિવાર્યપણે ગંભીર જ હોય; એ સપાટી ઉપર છબછબિયાં નથી કરતી; ગહન રહસ્યોમાં પ્રવેશ કરે છે. શબ્દોની રમત અને ગતકડાંને ત્યાં સ્થાન નથી. વિચારશીલ, સંવેદનશીલ મનુષ્ય માટે જીવન એ ગંભીર વિષય છે. ('Life is a serious business').

એક સ્પષ્ટ ભેદ ધ્યાનમાં રાખવો પડશે: જોક્સ કે હાસ્યલેખોની રમૂજ જુદી, ગંભીર સાહિત્યમાં જેનો વિનિયોગ થાય તે રમૂજ જુદી, યોગ્ય શબ્દના અભાવે આપણે એને ‘રમૂજ’ કહીએ છીએ, પણ એને રુદનથી જુદી પાડી શકાય એમ નથી. આંસુની સરહદ આવી જાય ત્યાં મરકમરક કરતો ફિરસ્તો ઊભો છે.

‘વિશાખાનો ભૂતકાળ’ની નાયિકાને જુઓ. તૂટી ગયેલી, ખતમ થઈ ગયેલી સ્ત્રી. એ નાનીમોટી કોઈ પણ વાત પર હસ્યા જ કરે છે! જીવન વિશેના, સંબંધો લાગણી પ્રેમ સુખદુ:ખ – બધા સ્વીકૃત ખ્યાલો. પોકળ બની ગયા હોય – બહુ રડી લીધું; હવે એને હસવું જ આવે. તમે એની દૃષ્ટિથી જુઓ – બધું એને નિરર્થક, ઢંગધડા વગરનું, એબ્સર્ડ લાગે. પોતાની જાત, પોતાની વેદના પર પણ એને હસવું આવે. ‘દર્દ કા હદ સે ગુઝર જાના, દવા હો જાના’ – તે આ.

હવે આને સહેજ જુદી રીતે જોઈએ. જ્ઞાની હંમેશાં હસતો જ હોય. જેણે જીવનના બધા ખેલ જોયા, બધા રંગ જોયા, એક્સ-રે જેવી આંખો વડે – એ શું કરે : હસે કે રડે? ‘દેખ કબીરા રોયા’; એક શબ્દ બદલીને આપણે કહીએ ‘દેખ કબીરા હંસા’, તો કોઈ ફેર પડતો નથી, અર્થ બદલાતો નથી.

સાવ બદલાતો નથી એમ પણ ન કહી શકાય; ઘેરો બને છે.

પ્ર.: તમારી વાર્તાઓમાં સમકાલીન જીવનનું આલેખન છે, એની કુરૂપતા પણ છે, છતાં એમાં નકારાત્મકતા નથી. આ પોઝિટિવિટીના મૂળમાં જીવનદૃષ્ટિ જ હોઈ શકે. જીવનને કઈ રીતે અનુભવો છો?

ઉ.: અભિશાપ કહો તો અભિશાપ અને આશીર્વાદ કહો તો આશીર્વાદ: મનુષ્યનું શરીર પશુનું છે અને આત્મા દેવદૂતનો. મારે મનુષ્યનું ચિત્ર દોરવું હોય તો આવું દોરું: કમરથી નીચે પશુ અને કમરથી ઉપર દેવદૂત (angel). દેવદૂત શબ્દ બહુ મોટો લાગતો હોય અને બાદ કરવો હોય, તો વિકલ્પે આ ચિત્ર: મનુષ્યના પગ કાદવમાં છે અને મસ્તક વાદળોમાં.

નીચે તમસ, ઉપર પ્રકાશ.

નીચે જડત્વ, ઉપર ચૈતન્ય.

બધી સંસ્કૃતિઓમાં, દુનિયાના બધા ધર્મોમાં મનુષ્યના સ્વરૂપની આ વિભાવના હતી. 'know thyself' (તારી જાતને ઓળખ, તું શું છે, કોણ છે તે સમજ) – તેનો આ અર્થ.

વીસમી સદીના પશ્ચિમના વિચારકોએ મનુષ્યને વામણો બનાવી દીધો.

મનુષ્ય વિશેની, જીવન વિશેની ઉપર કહી તે વિભાવનાને એક રૂપક દ્વારા સમજાવવામાં આવે છે :

એક મહાલય છે, જેને અનેક નહીં, અસંખ્ય અગણિત માળ છે. તમે દાદર ચડતા જાઓ અને નવો માળ આવે. માળની સંખ્યા મર્યાદિત નથી; ઉપર ચડતા જાઓ, નવા માળ આવ્યા કરે. દરેક માળ પર પણ, જે દિશામાં જાઓ ત્યાં એક પછી એક, નવા અને અદ્ભુત ખંડ ઊઘડ્યે જ જાય. બીજી દિશામાં જાઓ, ત્યાં વળી સાવ જુદા ખંડ, બાલ્કનીઓ.

આ મહાલયને સ્થૂળ દેહ નથી. એવું નથી કે તમે દૂર ઊભા રહીને જુઓ તો દેખાય. અંદર પ્રવેશ કરો ત્યારે પણ બધા માળ તમારે માટે તૈયાર નથી. દાદર ચડો તો ઉપરનો માળ આપોઆપ અસ્તિત્વમાં આવે; દાદર ઊતરો પછી એ વિલીન થઈ જાય.

આ મહાલય સાર્વજનિક છે, આપણા બધા માટે ખુલ્લો છે, ક્યાં ય તાળાં નથી; પણ કરુણતા એ છે કે મોટા ભાગના માણસો એના ભોંયરાના એક અંધારા ખૂણામાં આખી જિંદગી કાદવ વચ્ચે પડ્યા રહે છે.

મારી વાર્તાઓમાં ક્યાંક શુભ તત્ત્વ દેખાય તો માનવું કે વાર્તા, વધારે ઊંચે તો નહીં, પહેલા-બીજા માળ સુધી સહેજ આંટો મારી આવી છે.

છબિસૌજન્ય : પ્રજ્ઞેશ વ્યાસ, “ચિત્રલેખા”

પ્ર.: ટૂંકી વાર્તા કહેવાય છે ટૂંકી, પણ વાસ્તવમાં એ ટૂંકી નથી હોતી. એની લેખનપ્રક્રિયા વિશે કંઈક કહેશો?

ઉ.: મારો લખવાનો સમય વહેલી સવારનો છે. ત્રણેક કલાક કામ થાય, એટલે કે સામાન્ય રીતે બીજા માણસોનો દિવસ શરૂ થાય તે પહેલાં મારો પૂરો થયો હોય. જો કે, નિયમો ચાલતા નથી તેથી, વાર્તાનો આગ્રહ હોય તો કોઈ વાર બાર-સાડાબાર સુધી પણ કામ ચાલે. શરૂઆતની કેટલીક વાર્તાઓ એક બેઠકે લખાઈ હતી; હવે એવું નથી બનતું. સામાન્ય રીતે એક વાર્તા માટે ત્રણ-ચાર દિવસ જોઈએ.

કોઈ વાર્તા સાવ સહજતાથી, સડસડાટ ચાલે છે. કોઈકોઈમાં, ખાસ કરીને શરૂઆતના એકાદ-બે ફકરામાં, મથામણ થાય છે, કારણ એ કે વાર્તાનો ભાવ, પાત્રના મનની સ્થિતિને અનુરૂપ લય ગદ્યમાં ન આવ્યો હોય. બળજબરી થઈ શકતી નથી, પ્રયત્નથી વાર્તા લખાતી નથી, તેથી છોડી દેવું પડે છે. પરંતુ વાર્તાને તો કાગળ ઉપર ઊતરવું જ છે, તેથી બે-પાંચ દિવસ પછી, મહિના પછી, અચાનક કોઈ ક્ષણે પહેલો પેરેગ્રાફ, પહેલું દૃશ્ય કે સંવાદ આપોઆપ આવે છે.

પહેલા લખાણે વાર્તા નખશિખ સુંદર લાગે તો પણ હું એને બાજુએ મૂકી રાખું છું. થોડો સમય જવા દેવામાં આવે તો, બીજા વાચને ક્યાંક ક્યાંક ક્ષતિઓ, મર્યાદાઓ દેખાય છે. સુધારાવધારા, કાપકૂપ, પુનર્લેખન-ઓછામાં ઓછું બારેક મહિના ચાલે છે.

તમે કહ્યું તે સાચું છે. વાર્તા એ ખૂબ ચુસ્ત સાહિત્ય-સ્વરૂપ છે. નાની પણ અશુદ્ધિ એ ચલાવી લેતી નથી. જરૂર વગરનું એક વિશેષણ, એક બોદું વાક્ય ન ચાલે. અહીં કાપો. આને દૂર કરો. આ ટૂંકાવો. ત્યાં થોડું વજન મૂકવાની જરૂર છે–

લગભગ સંતોષ થાય તે પછી જ પ્રકાશન માટે મોકલવામાં આવે. લગભગ સંતોષ; સર્જકને પોતાની કૃતિથી પૂરેપૂરો સંતોષ ક્યારે ય થાય નહીં. તેથી તો કહેવાયું છે, 'A poem is never finished; it is given up.'

હું વારંવાર કવિતાની વાત કરું છું, કારણ કે કવિતા મારો આદર્શ છે; વાર્તા એ આદર્શની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે.

પ્ર.: વાર્તા લખતાં પહેલાં અને લખાઈ ગયા પછીની મનોસ્થિતિ કેવી હોય?

ઉ.: કિશોરાવસ્થા અને યુવાનીમાં લખતો ત્યારે આત્મવિશ્વાસ ખૂબ હતો. બસ, લખવા બેસું અને જાણે ડાબે હાથે વાર્તા લખાઈ જાય. વાર્તા પર આપણી માસ્ટરી – એવો કંઈક અસ્પષ્ટ ખ્યાલ હશે. હવે એ આત્મવિશ્વાસ નથી, માસ્ટરીનો ખ્યાલ તો – એ શબ્દનો ઉલ્લેખ કરતાં પણ સંકોચ થાય છે. અનિશ્ચિતતા હોય છે. અને નમ્રતા. ઝાંખો આકાર દેખાયો છે, લાવ, જોઈ જોઉં, પ્રયત્ન કરું, કંઈક બને છે કે નહીં.

સર્જનની પ્રક્રિયાની વાત અગાઉ કરી ચૂક્યો છું. એને સાહસ (adventure) કહ્યું છે તે અમસ્તુ નહીં. એમાં આખી જાત નીચોવાઈ જાય છે. એ જ પ્રાપ્તિ પણ છે. વાર્તા પ્રાપ્ત થઈ એટલું જ નહીં, આપણામાં કંઈક ઉમેરાય છે.

લખતાં પહેલાં નમ્રતા (humility); લખાઈ ગયા પછી ધન્યતા (gratitude).

પ્ર.: ગુજરાતી ટૂંકી વાર્તા મરી રહી છે એવું કહેવાય છે. આજે થતાં સર્જનો અને સર્જનશીલતા વિશે તમારો શું અભિપ્રાય છે?

ઉ.: અન્ય સાહિત્ય સ્વરૂપો માટે પણ ચિંતા થાય એવી સ્થિતિ છે, છતાં ગુજરાતી વાર્તા મરવા પડી છે એવું તો નહીં કહી શકાય. નવી પેઢી વિશે ખાસ જાણતો નથી, પણ મારા સમકાલીનો, સાથી વાર્તાકારોમાં ઘણા પાસેથી સમયાંતરે સારી કૃતિઓ મળતી રહે છે. એમની વાર્તાઓમાં અનુભવની સચ્ચાઈ છે, પ્રામાણિકતા છે, વૈવિધ્ય છે.

વાત નીકળી છે તો, મને બે મર્યાદાઓ દેખાઈ છે તેમનો ઉલ્લેખ કરું. મોટા ભાગની વાર્તાઓમાં વિષયવસ્તુનો ભાર વધારે લાગે છે. (content-heavy) પરિણામે વાર્તા બોલકી બને છે. વિષયવસ્તુનું રૂપાંતર થાય, એ ઓગળી જાય, તો જ લાઘવ સિદ્ધ થાય. વિવેચનમાં અને વાર્તા વિશેની ચર્ચામાં પણ મોટે ભાગે વિષયવસ્તુની ચર્ચા થાય છે.

આની સાથે જોડાયેલો બીજો મુદ્દો એ કે, વિષયવસ્તુમાં પણ અમુક વાદો અને વિચારસરણીઓનું આક્રમણ છે. પશ્ચિમમાં તો આ મોટા પાયે થયું છે અને સાહિત્યને લગભગ સમાજશાસ્ત્રની શાખા બનાવી દેવામાં આવ્યું છે. વાર્તા તે સાધન, સાધ્ય નહીં. નિબંધના વિકલ્પે વાર્તા.

પાયાની વાત એ છે કે કલા વિચારોમાંથી નહીં, જીવનમાંથી સીધેસીધી આવે છે. અમૂર્ત વિચારો નહીં પણ જીવાતું જીવન. મજૂરો, વિધવાઓ કે અન્ય કોઈ વર્ગ વિશે લખાયેલું હજાર પાનાંનું પુસ્તક નહીં કરે તેટલી અસર પાંચ પંક્તિનું કાવ્ય, આઠ-દસ પાનાંની વાર્તા ભાવકના ચિત્ત પર કરશે.

પ્ર.: આટલી લાંબી સર્જનયાત્રા છતાં તમારી પૂરતી નોંધ નથી લેવાઈ એવું લાગે છે? તમે સાહિત્યિક વાર્તાલાપો, શિબિરો, પ્રવચનો, કાર્યક્રમોમાં સ્ટેજ પર ભાગ્યે જ દેખાઓ છો.

ઉ.: ‘સર્જનયાત્રા’ ખૂબ મોટો શબ્દ છે. અન્યોની જેમ જીવન આખું સાહિત્યને સમર્પિત કરી શક્યો નથી. નિવૃત્તિના સમયમાં, બીજું કોઈ કામ આવડતું નથી તેથી લખું છું. ક્યારેક કોઈનો પત્ર આવે છે (હવે આ ઓછું થઈ ગયું), ફોન આવે છે, કોઈ રૂબરૂ મળે છે તે પરથી માનું છું કે વાચકોના એક નાના વર્ગમાં મારી વાર્તાઓ ખૂબ રસથી વંચાય છે.

એકવીસ વર્ષથી સતત લખું છું, દસ વાર્તાસંગ્રહો અને અન્ય ત્રણ પુસ્તકો થયાં છે. આ સમય દરમિયાન કોઈ કાર્યક્રમમાં, વક્તવ્ય માટે કે વાર્તાપઠન માટે કહેવામાં આવ્યું હોય એવા પંદરથી વધુ પ્રસંગો નહીં; એમાંથી અડધા કરતાં વધારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં. આમંત્રણ હોય અને મેં અનિચ્છા દર્શાવી હોય એવું બન્યું નથી. તેથી, હું સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેતો નથી એવી છાપ હોય તો મારે નમ્રતાપૂર્વક જણાવવું જોઈએ કે ક્યાંક કંઈક ગેરસમજ છે.

હકીકતો રજૂ કરી છે; ફરિયાદ નથી. કાર્યક્રમના આયોજકો જે તે વિષયના નિષ્ણાત અને સારા વક્તાને પસંદ કરે અને તે પસંદગી યોગ્ય જ હોય.

હવે, નોંધ લેવાવા વિશે.

૨૦૦૪ પછી મારાં દસેક પુસ્તકો પ્રગટ થયાં (વાર્તાસંગ્રહો ઉપરાંત ‘એડિનબરાનો પ્રવાસ’ તથા ‘બાળલેખકની આત્મકથા’) એમાંથી એકેનો રિવ્યુ પ્રગટ થયો નથી, કોઈ વિદ્વાને કે વિવેચકે એના વિશે લખ્યું નથી.

ફિલ્મ ‘શોલે’નો પેલો ડાયલોગ હમણાં – હમણાં યાદ આવે છે: ‘ઇતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?

પ્ર.: હવે અંગત જીવનનો એક મુદ્દો, જેનો ઉલ્લેખ અગાઉ આપણી ચર્ચા દરમિયાન થયેલો છે. તમારાં સંતાનો વિદેશમાં વસતાં હોવા છતાં તમે ત્યાં જઈને સ્થાયી થવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી, આ અભિગમ આ સમજને કોઈ રીતે સર્જન સાથે સંબંધ હોઈ શકે?

ઉ.: વર્ષે-બે વર્ષે થોડાં અઠવાડિયાં માટે જવાનું થાય છે, પરંતુ ગ્રીન-કાર્ડનો મુદ્દો આવ્યો ત્યારે નકાર મનમાંથી નહીં, મારા સમગ્ર અસ્તિત્વમાંથી ઊઠ્યો. હું અન્ય કોઈ દેશનો નાગરિક હોઉં એવી કલ્પના પણ કરી શકતો નથી. કોઈ આને પછાતપણું કહે, સંકુચિતતા કહે તો મને તે સામે વાંધોે નથી.

હવે લેખનની વાત કરીએ. શરૂઆતમાં કોરા ચોપડા અને પેનો લઈ જતો. છોકરાં બધી વ્યવસ્થા કરી આપે. લેખન માટે ઉપરના માળે અલાયદો રૂમ, પાછળની બારી પાસે ટેબલ-ખુરશી. સામે સ્વિમિંગ પૂલ, વિશાળ લોન, એની પાછળ મોટાં વૃક્ષો. સસલાં આવીને નૃત્ય કરી જાય, કયારેક હરણ પણ ડોકિયું કરે. અવકાશ છે, એકાન્ત છે, સામે કોરો કાગળ અને હાથમાં કલમ –

એ બેનું મિલન ન થયું તે ન જ થયું.

અહીં પાછો આવું, એક-બે દિવસ આરામ કરીને મારા નિત્યક્રમ પ્રમાણે બેસું અને કાગળભાઈ અને કલમબહેન એકબીજાને કાંઈ લાડ કરે છે!

આપણા ઘણા સાહિત્યકારોને પરદેશ જવાનું થાય ત્યારે એમનું લેખનકાર્ય અટકતું નથી; તેથી, આને મારી મર્યાદા જ ગણવી જોઈએ.

પ્ર.: તમારી વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય ખૂબ છે; એમાં સ્ત્રી-પુરુષના સંબંધની વાર્તાઓનું પ્રમાણ નોંધપાત્ર છે. આ પક્ષપાત માટે કોઈ ખાસ કારણ ખરું?

ઉ.: પક્ષપાત નહીં, એક સમયે તો પૂર્વગ્રહ હતો. ૧૯૯૭માં વાર્તાલેખનનો પ્રારંભ કર્યો ત્યારે એક ક્ષેત્ર પર ચોકડી મૂકી દીધી હતી – સ્ત્રીપુરુષના સંબંધની વાર્તાઓ લખવી જ નહીં. પ્રતિબંધ!

પ્ર.: સર્જક પોતાને માટે આવી મર્યાદા બાંધે ખરો? એવો નિર્ણય કરવાનું કોઈ કારણ ખરું?

ઉ.: સભાનપણે માત્ર આટલું વિચાર્યું હતું. જીવનમાં દુ:ખો ઓછાં નથી. એકલતા, વિચ્છેદ, હીનતા, લાચારી, ગરીબી, બીજા અનેક જાતના અભાવો, બંધનો : વાર્તા એની હોય.

પછી ભાન થયું કે માણસને દુખનું એક મોટું કારણ હોય તો તે પ્રેમ, એને બાકાત કેવી રીતે રાખી શકાય? એમ પણ કહેવાયું છે કે બધી વાર્તાઓનું વિષયવસ્તુ એક જ હોય છે – માનવીય સંબંધો, લોહીના સંબંધો, મૈત્રી, રસ્તે થોડી ક્ષણો માટે ભેટી ગયેલ વ્યક્તિ સાથેનો સંબંધ, યાદીને આટલે જ અટકાવી દેશો?

ઠપકાભરી હજારો આંખો તમારી સામે જોઈ રહી છે. અંધારામાં ઝાડ નીચે ઊભીઊભી એક છોકરી રડે છે.

પ્ર.: એને માટે જગ્યા કરવી જ જોઈએ.

ઉ.: તમે કરો કે ન કરો, તમારા આમંત્રણની રાહ જોયા વગર એ કાગળ પર આવીને ઊભી રહેશે. ટૂંકમાં, આરાધના, વાંધો હતો રોમેન્ટિક વાર્તા સામે, પ્રેમ સામે નહીં. પછી પહેલા સંગ્રહમાં વાર્તાઓ આવી તે તમે જુઓ :

‘ચાકરી’, ‘લાચારી’, ‘ઉઘાડ’, ‘ભૂત’, ‘શાસ્ત્રોનું જ્ઞાન.’

પ્ર.: પ્રેમનું તમારું વિભાવન જાણવું છે.

ઉ.: વિભાવન આપવું, વ્યાખ્યા બાંધવી, વિશ્લેષણ કરવું, તારણો કાઢવાં – આ કામ વિદ્વાનોનું અને તત્ત્વજ્ઞાનીઓનું છે. હું મારી સમજ પ્રમાણે થોડી વાત કરું. મનુષ્ય ભલે સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન ગણાતું હોય પણ એ છે કાચુંપાકું. એમાં અનેક ક્ષતિઓ છે, ગૂંચવાડા છે, મર્યાદાઓ છે અને વિરોધાભાસી તત્ત્વો છે. જેવું છે તેવું પણ છે અદ્ભુત. એ સંપૂર્ણ હોત તો બીજું જે થયું હોત તે પણ અમે વાર્તાકારો નવરા થઈ ગયા હોત.

પ્રેમની વાર્તા કાગળ પર લખાયેલી હોય કે જીવનમાં જિવાયેલી, મોટે ભાગે એ સુખાંત નથી હોતી. વ્યક્તિનો દોષ ન હોય, સારામાં સારી ભાવના હોય તો પણ મનુષ્ય તરીકેની આપણી મર્યાદાઓ ક્યાંક ને ક્યાંક નડે છે. પ્રેમ એ મૂળભૂત રીતે આત્માની જરૂરિયાત છે. સામી વ્યક્તિના આત્મા સુધી પહોંચવાની ઝંખના છે પણ શરીરમાં જ અટવાઈ જાય છે, ભોંયરાના અંધારિયા ખૂણામાં. ઉપરના ખંડોની ઝાંખી થઈ હોય તો પણ એનાં દ્વાર ઊઘડતાં નથી.

પ્રેમ મુક્તિ આપે. મારી જાતમાંથી બહાર નીકળું તે મુક્તિનું પહેલું પગથિયું. સામી વ્યક્તિ સુધી પહોંચ્યા પછી મુક્તિનો બીજો આયામ તે એ કે હું એને મુક્તિ આપું, એને બાંધી રાખું નહીં, પરંતુ એ માટે જોઈએ હિંમત, ઉદારતા, સામી વ્યક્તિમાં શ્રદ્ધા અને કદાચ મોંઘી જણસ ગુમાવી દેવાની તૈયારી. અંગ્રેજીમાં આ વિચારને બહુ સુંદર રીતે અભિવ્યક્તિ આપવામાં આવી છે.

If you love a person, give her freedom,
If she comes back to you, she is yours;
If she doesn't, she never was.

માલિકીપણું કરી શકાય, પકડી રાખી શકાય, પણ ક્યારેક ભાન થાય છે કે બાથમાં ઝકડી રાખ્યું તે તો ખોખું છે. પંખી ક્યારે ઊડી ગયું તેની ખબર ન પડી.

આપણે વાર્તાના સંદર્ભમાં જાળી(net)-ની વાત કરી હતી. એ સંબંધોને પણ લાગુ પડે છે. ખલીલ જિબ્રાને લગ્ન સંદર્ભે કહ્યું છે, ‘‘તમારી બેની વચ્ચે અવકાશ રાખો, જેથી સ્વર્ગના પવનોનો તમારા સંબંધમાં પ્રવેશ થઈ શકે.’’

પ્રેમ શૂન્યાવકાશમાં ટકતો નથી. કુટુંબ, સમાજ, સગપણ તથા મૈત્રીના અનેક તંતુઓ, વ્યવસાય, હૃદય અને આત્માના પોષણ માટે જરૂરી તેવી અન્ય પ્રવૃત્તિઓ, આ વિશાળ અને ખુલ્લી દુનિયામાં છૂટથી હરફર કરતાં, વચ્ચે વચ્ચે એકબીજાની સામે જોઈ લેતાં; સ્ત્રી અને પુરુષ.

કોઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે પ્રેમને નામે ઓળખાતા બધા સંબંધો એકપક્ષી જ હોય છે. સફળ પ્રેમના કિસ્સાઓમાં પણ ભીતરનું સત્ય આ હોય છે: એક જણ પ્રેમ કરે છે બીજું પ્રેમ કરવા દે છે. કહેવાય ભાગીદારી પેઢી, પણ બંનેનું રોકાણ (investment) સરખું નહીં, કોઈ કોઈ કિસ્સામાં એકનું રોકાણ શૂન્ય પણ હોઈ શકે. મજાની વાત એ છે કે રોકાણ અને અધિકાર વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરિણામે પ્રેમની કહેવાતી યાત્રામાં ગાડીનું સ્ટિયરિંગ હોય જેનું રોકાણ ઓછું છે તેની પાસે: ‘બાંધી કોણે રાખી છે હેંડતી થા.’

બીજી વ્યક્તિ, પેલી કે પેલો, એની પાસે વિકલ્પ કયો રહ્યો? તે તો અવશ છે. રડે, માથા પછાડે, ન કરેલા અપરાધોની માફી માગે.

મળે છે, કોઈને નથી મળતું એવું નથી પણ તેનું સ્વરૂપ છે જરીકનું, લગીરનું. કેટલીક વાર્તાઓ જુઓ: ‘મુક્તિ’, ‘ગેસ્ટ બેડરૂમ’, ‘હું દૂર નથી.’ એના ચટકા હોય છે કૂંડાં નથી ભર્યાં હોતાં.

પ્ર.: આટલી લાંબી લેખનયાત્રા અને જીવનયાત્રામાંથી શું શીખવા મળ્યું?

ઉ.: 'Everyman, I shall go with thee!' જ્ઞાન (knowledge) દ્વારા મનુષ્યને આ વચન આપવામાં આવ્યું છે. ‘માતા-પિતા, સંતાનો, મિત્રો, ધન-દોલત, સત્તા, કીર્તિ – એક પછી એક પાછળ રહી જશે, પરંતુ હે માનવી! જીવનની તારી યાત્રામાં હું છેક સ્મશાનઘાટ સુધી તારો સાથ નહીં છોડું.’

સુંદર સંવાદ છે. લાગણી બતાવી તે માટે આભાર!

આરાધના, આપણે મનુષ્યો પણ ક્યાં કાચી માટીના છીએ! આપણે પણ સામો વિવેક કરીએ; જ્ઞાનને કહીએ, ‘તું છોડવા માગે તો પણ, છોગાળા, હું તને છોડવાનો નથી!’

હવે, પેલો સંવાદ ફરીથી તપાસીએ. જ્ઞાન નામના પાત્રે, પોતાની મહાનતા અને અદ્વિતીયતા સિદ્ધ કરવાના ઉત્સાહમાં, અન્યોને વામણા બનાવી દીધા. બસ, હું એક જ; અન્ય કોઈ નહીં – આ તો જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? જીવનને તો અનંત આયામો છે; તું એકલું ઓછું છે? અને, તારું અસ્તિત્વ છે તો તે અન્યો થકી છે.

મારે કહેવાનું એ છે કે સગાંવહાલાં, સંતાનો, ભાઈભત્રીજા કે મિત્રો – કોઈએ મારો ત્યાગ કર્યો નથી, મને સાથ જ આપ્યો છે. કોઈ પ્રયત્ન વગર, માગણી વગર, હાથ લંબાવ્યા વગર, જીવન તો મને આપ્યે જ ગયું છે. માનવીમાં, સંબંધોમાં, સૌંદર્યમાં, મંગલ તત્ત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ માટે પરાણે પકડી રાખી નથી; એ છે જ અને દિવસેદિવસે દૃઢ થતી જાય છે.



સૌજન્ય : “નવનીત સમર્પણ”, જાન્યુઆરી 2019; પૃ. 27-45

Loading

12 May 2019 admin
← ગુરુદેવ અને ગુજરાતનું ગાંઠબંધન
Shades of Global Terror: Worsening Scenario →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved