Opinion Magazine
Number of visits: 9504420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરી આંખ કાં સજલ ગીત લખું કે ગઝલ …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 March 2020

હૈયાને દરબાર

ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મને ય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!

•   કવિ : મુકેશ જોશી    •   સંગીતકાર : ઉદયન મારુ    •   ગાયિકા : ઝરણા વ્યાસ

http://tahuko.com/?p=1275

————————-

શીર્ષક ગીત પહેલીવાર સાંભળ્યું ત્યારે કવિ મુકેશ જોશીની આ રચનાના શબ્દો તો સ્પર્શી જ ગયા હતા, પરંતુ ગાનારનો કંઠ, કમ્પોઝિશન અને અરેન્જમેન્ટ પણ કંઈક જુદી લાગી. કંઠ હતો મણિપુરી ગાયિકા ઝરણા વ્યાસનો અને સ્વરાંકન ઉદયન મારુનું. મુકેશ જોશી સંવેદનાના કવિ છે. એમની રચનાઓ ચોટદાર હોય છે. પરંતુ આ ગીતમાં કવિને અવઢવ છે. ગીત પ્યારું છે અને ગઝલ પણ દિલની કરીબ છે. તો લખવું શું? છેવટે કવિ ઈશ્વર પર જ પોતાની અવઢવનો ભાર નાખીને શરણાગતિ સ્વીકારી લે છે કે ભલે હું મારો હક માનું પણ હકીકતમાં લખાવનાર તો ઉપરવાળો જ છે. એટલે જ એ કહે છે, કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક …!

મનુષ્યની પ્રકૃતિ એવી છે કે જશ પોતે લેવાનો ને જૂતાં બીજાને માથે મારવાનાં. જગતનો દોરીસંચાર કરનાર જ આપણી પાસે કર્મ કરાવે છે તો ય આપણે બંદા એમ જ માનીએ કે આ તો મારું સર્જન છે. ’હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે…ની જ વાત સહજ રીતે કવિની ઉક્ત પંક્તિમાં પડઘાય છે.

આ ગીતના સંદર્ભમાં વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પરંતુ સુગમ સંગીત ક્ષેત્રે જેમનું નક્કર પ્રદાન છે એ ઉદયન મારુએ શોખથી પાંચસો જેટલાં ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કર્યાં છે. ઉદયન મારુ આ ગીત વિશે કહે છે, "આ ગીતની છેલ્લી પંક્તિ મને ખૂબ ગમે છે. એમાં કવિ કહે છે એમ, કૃતિ કોઈની નથી હોતી. ઈશ્વરે જ એ કૃતિ માટે આપણને પસંદ કર્યા હોય છે. હું પણ માનું છું કે કોઈક સરસ કવિતા હાથમાં આવે તો આપોઆપ સંગીત રચના ગોઠવાઈ જાય છે. દરેક સર્જકને આ વાત લાગુ પડે છે. આ ગીતમાં જેનો કંઠ છે એ ઝરણા વ્યાસ આમ તો મણિપુરની પણ હવે સવાઈ ગુજરાતી કહેવાય એટલી હદે એણે ગુજરાતી સંગીતને આત્મસાત કર્યું છે. એમના પતિ વિજય વ્યાસ ગુજરાતી. સરસ તબલાવાદક. મારે ઘરે સંગીતના વર્ગો ચાલે એમાં એ આવે. એકવાર એ એમની મણિપુરી મિત્ર ઝરણાના ઈન્તજારમાં હતા. મેં કહ્યું કે ઝરણાને અંદર બોલાવ. વાતવાતમાં ખબર પડી કે ઝરણા વિશારદ થયેલી છે અને એસ.એન.ડી.ટી.માં ડો. પ્રભા અત્રેનાં માર્ગદર્શન નીચે તાલીમ લઈ રહી છે. મેં એને પૂછ્યું કે ગુજરાતી ગીત ગાઈશ? એને ગુજરાતી બિલકુલ ન આવડે છતાં એ તૈયાર થઈ. મેં ગીત શીખવવાનું શરૂ કર્યું જેના શબ્દો હતા; તારા વિરહમાં ઝૂરી રહી એક વાંસળી રે લોલ. બહેને મહામહેનતે ગાવાનું શરૂ કર્યું; તાડા વિડહમાં ઝૂડી રહી રે એક વાંસડી રે લોલ…! અમે હસી પડ્યા છતાં વિચાર આવ્યો કે એની પાસે સંગીતનું જ્ઞાન છે પણ ભાષા અને ઉચ્ચાર શુદ્ધિ પર મહેનત કરવી પડશે. હું અને દક્ષેશ ધ્રુવ બન્ને સંગીત ક્લાસ લેતા હતા, એ રીતે ઝરણાને દક્ષેશભાઈનો પરિચય પણ થયો. એની લગનને પરિણામે આજે એ ગુજરાતી ગીતો ફક્ત ગાતી જ નથી, સુગમ સંગીતના ક્લાસ પણ ચલાવે છે. એણે મારાં દોઢસોથી વધુ ગીતો ગાયાં છે.

આ ખરેખર પ્રેરણાદાયી વાત છે કે આપણા ગુજરાતીઓ ગુજરાતી ગીતો ગાવામાં નાનપ અનુભવે છે જ્યારે એક બિનગુજરાતી કલાકાર ગુજરાતી ગીતોનો પ્રસાર કરી રહી છે.

ઝરણા આ વિશે ઉત્સાહપૂર્વક કહે છે, "મને આનંદ છે કે મારી માતૃભાષા ઉપરાંત ગુજરાતી જેવી સમૃદ્ધ ભાષામાં ગાવાની મને તક મળી. બારમા ધોરણ પછી મણિપુરની રાજધાની ઈમ્ફાલથી હું સંગીતનો વિશેષ અભ્યાસ કરવા મુંબઈ આવી. મુંબઈએ મને સંગીતની કારકિર્દી તો આપી પણ પ્રેમાળ ગુજરાતીઓનો પરિચય કરાવ્યો. ઉદયનભાઈ, દક્ષેશભાઈ જેવા સંગીત ગુરુઓ આપ્યા. આથી વિશેષ શું જોઈએ? આ ગીત વિશે કહું તો આ મારું ગમતું ગીત છે. તમે માનશો, આ આખા ગીતની અરેન્જમેન્ટ મણિપુરી છોકરાએ કરી છે. સ્વરાંકન એટલું સરસ હતું કે મેં ઉદયનભાઈને કહ્યું કે ઈમ્ફાલમાં મારો ભાઈ, જેનું નામ જ ગીત છે, એ સરસ અરેન્જમેન્ટ કરે છે. એમની પાસે કરાવીએ? એમણે સંમતિ આપી એટલે આખું ગીત અમે ઈમ્ફાલમાં રેકોર્ડ કર્યું. તમે ધ્યાનથી સાંભળશો એનું ઈન્સ્ટ્રુમેન્ટેશન જુદું લાગશે. ગીતમાં ગિટાર પણ ગીતે જ વગાડી છે. ‘ટહુકો’ પર આ ગીત ઉપલબ્ધ છે.

મણિપુરની આ કલાકાર ગુજરાતીને પરણીને આમ તો ગુજરાતી થઈ જ ગઈ છે પણ એણે ગુજરાતી સંસ્કૃતિને ય આત્મસાત કરી છે. હિન્દી ગીત-ગઝલ સાથે ગુજરાતી સુગમ સંગીત આસાનીથી ગાય છે. હવે તો લખી-વાંચી પણ શકે છે. મુંબઈ આવ્યા પછી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનું હીર પારખીને એક જાહેર કાર્યક્રમમાં ગાવાની તક આપી જેમાં ઝરણાએ પાંચીકા રમતી’તી … ગાઈને સૌનાં દિલ જીતી લીધાં હતાં.

ઝરણા વ્યાસના અવાજમાં કવિ મેઘબિન્દુનું ગીત કે ફાગણ આયો … સાંભળવાની મજા આવે એવું છે. ઉદયન મારુના સ્વરાંકનમાં ફાગણના રંગો આ ગીતમાં સૂર રૂપે સરસ ખીલ્યા છે.

ઉદયન મારુના પિતા અરવિંદ મારુ પોતે સંગીતના જાણકાર. ખૂબ સરસ અવાજ. ઑલ ઈન્ડિયા રેડિયો પર ગાતા હતા. એમનું સંગીત સાંભળીને ઉદયનભાઈને સંગીતમાં રસ જાગ્યો. સંગીતકાર વિનાયક વોરા પાસે છ વર્ષ તાલીમ લીધી, પરંતુ વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે સંગીતને ફક્ત શોખ તરીકે અપનાવ્યું. ઉદયનભાઈની શૈલી એવી છે કે મોટે ભાગે ગીતના દરેક અંતરા જુદા સ્વરબદ્ધ કરે એટલે ક્યારેક ગાયક માટે અઘરું બને પણ ગીત સરવાળે મધુર લાગે. એમણે સ્વરબદ્ધ કરેલું ગીત :

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજીરાં
બાજે રણકાર નામ મીરાં!

ખૂબ મીઠું છે.

ભગવતીકુમાર શર્માએ મીરાંની વેદના આબેહૂબ ઝીલી છે. એ શબ્દોને યથોચિત સ્વરાંકન અને સંવેદનશીલ અવાજ મળે ત્યારે ગીત પરફેક્ટ લાગે. પ્રેમ, શૃંગાર, હર્ષ, ઉલ્લાસ અને પ્રેમાળ આલિંગન રાધાનો શણગાર અને ભક્તિ, વિરહ, સમર્પણ એ મીરાંનો શણગાર છે. કવિએ કેવી સરસ કલ્પના કરી છે કે હરિ નામના મંજીરાં રણકી રણકીને મીરાંનો ખાલીપો વેગળો કરી રહ્યાં છે. આગળ પંક્તિઓ છે :

મહેલ્યુંમાં વૈભવનાં ચમ્મર ઢોળાય,
ઊડે રણમાં તે રેતીની આગ,
મીરાંના તંબૂરના સૂરે સૂરેથી વહે,
ગેરુઆ તે રંગનો વૈરાગ,
ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાંએ,
કીધાં જરકસી ચૂંદડીનાં લીરાં,
સાચો શણગાર નામ મીરાં …!

વિરક્તિ ભાવ વ્યક્ત કરતું આ ગીત સંગીતકાર ઉદયન મારુએ એ જ ભાવ સાથે અદ્દભુત કમ્પોઝ કર્યું છે તથા આલાપ દેસાઈના કંઠે ઓર નિખરી ઊઠ્યું છે. આવી સરસ રચનાઓ ગુજરાતી સુગમ સંગીતનાં મહામૂલાં આભૂષણો છે. બસ, જરૂર છે ત્યાં સુધી પહોંચવાની.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 માર્ચ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=624285 

Loading

12 March 2020 admin
← જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં
યશવંત દોશી : ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક અને ચરિત્રકાર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved