Opinion Magazine
Number of visits: 9449122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીળું પત્રકારત્વ હવે લાલ પણ થયું છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 April 2021

એક સમય હતો જ્યારે વિદેશના સમાચારોનું પ્રમાણ ઓછું જ રહેતું અને દૈનિકોમાં પહોંચતાં તેને દિવસો લાગતા. શહેરમાં હત્યાની કોઈ ઘટના બનતી તો રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ જતા. હવે એ સ્થિતિ નથી. હત્યા, બળાત્કાર, લૂંટની ઘટનાઓ એટલા પ્રમાણમાં બને છે કે લોહિયાળ સમાચારોનું જ દૈનિક પ્રગટ થઈ શકે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે ગુના વધે છે તે છાપાંમાં આવે છે કે છાપાંનું જોઈને ગુના વધે છે? એ સાચું કે ગુનાખોરી વધી છે, પણ વર્તમાનપત્રો તેના પ્રચારની ભૂમિકામાં ન રહે તે ઈચ્છવા જેવું છે. પૂર્તિઓમાં કે અન્યત્ર, અઠવાડિયે જ નહીં, રોજ જ નવલકથાનું પ્રકરણ પ્રગટ થાય છે, એમાં પણ ગુનાખોરી, રહસ્ય કે ચીલાચાલુ પ્રણય પ્રાધાન્ય ભોગવે છે. આમાં વાચકોની રુચિને ઘડવા કરતાં તેને અનુકૂળ થવાનો પ્રયત્ન વધારે છે.

મહિલાપૂર્તિઓમાં પણ સૌંદર્ય પ્રસાધનો અને રેસિપી દ્વારા હેતુ તો પતિને ખુશ કરવાનો જ હોય છે, કદાચ એ દ્વારા જ મહિલા ઉત્કર્ષ કે સ્વમાન જળવાતાં હશે. એક સમય હતો જ્યારે કોઈ અભિનેત્રી કે અભિનેતાના સંબંધો ચગાવાતા, પણ હવે તો તેઓ જ સામેથી સંબંધો જાહેર કરીને લોકનજરમાં ઝીલાઈ રહેવા મથે છે. ઘટનાઓ અને માહિતીઓનો એટલો વિસ્ફોટ થયો છે કે એનાથી ત્રાસીને કોઈ આત્મહત્યા કરે તો નવાઈ નહીં ! ચેનલો, ગૂગલ, ઇન્ટરનેટ કે ઈ –પેપરની વ્યવસ્થાએ એ સ્થિતિ સર્જી છે કે લોકો સરળતાથી સમાચાર મેળવી લે છે. ખબરપત્રીઓ હવે કબરપત્રીઓ પણ છે. પોતે દફન કરતા હોય એવી ચોકસાઈથી એ વિગતો આપે છે ને એમાં હકીકત એ હોય છે કે કોઈનું દફન ના થયું હોય.

પત્રકારત્વની દિશા વફાદારી તરફની ઓછી અને નફાદારી તરફની વધુ છે. કોરોનાની મહામારીમાં છાપાંઓએ વાચકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ડરાવ્યા પણ છે. લોકો રોગ, શત્રુ, યુદ્ધથી ડરેલા જ રહે એવી કોશિશો પણ થાય છે. દૂધ ન પીઓ તો નુકસાન થશે, એમ કહેતું છાપું, દૂધ પીવાથી થતા ગેરફાયદા બતાવીને વાચકોને ગભરાવે પણ છે.

વર્તમાનપત્રોમાં ઘણું કવર થાય છે ને માહિતી અધિકૃત રીતે અપાતી હોય તો પણ સચ્ચાઈ ઓછી જ હોય છે. પત્રકારત્વ ધંધો છે ને જાહેરાત પ્રાણવાયુ છે. એટલું થયું છે કે જાહેરાતના અભાવમાં કોઈ છાપું હવે નબળું નથી પડતું. મંત્રીઓ સમાચારમાં જ નહીં, આખું પાનું ભરીને જાહેરાતોમાં પણ દેખા દે છે એટલે છાપાં હવે સૂકતા નથી પીડાતાં નથી. કેટલાંક છાપાં એટલાં સમૃદ્ધ છે કે વાચકે જાહેરખબરો વચ્ચેથી સમાચારો શોધી લેવાના રહે. એની સામે છાપાં ક્યારેક રાજકીય વફાદારી નિભાવે પણ છે.

પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાના ભારતે અગાઉ પ્રયત્નો કર્યા છે, પણ આ વખતે પાકિસ્તાને પ્રયત્ન કર્યો, તો પાકની સાન ઠેકાણે આવી – જેવું વર્તમાનપત્રોએ ચલાવ્યું ને ભારત બહુ ખાટી ગયું હોય તેવી હેડલાઇન્સ ચમકી, બીજે જ દિવસે પાકિસ્તાને પોત પ્રકાશ્યું ને ભારતે 370મી રદ કરી હોવાથી ધંધો થઈ શકે એમ નથી એવું કહી દીધું. ભારતની ને અખબારોની સ્થિતિ ચાટ પડ્યા જેવી થઈ. ધંધો રદ થવાના સમાચાર ખૂણે નંખાયા ને કેટલાકે તો છાપ્યાં જ નહીં. એવું જ પહેલી એપ્રિલથી વ્યાજદરો પર કાપ પડવાના સમાચાર મામલે પણ થયું. નાણાંમંત્રીએ, નાનામંત્રી હોય એમ નિખાલસ ભાવે કબૂલી લીધું કે વ્યાજ દરો પર કાપ પડયાનું “ઓવરસાઇટ” થયું. ટ્વિટ્સ પર લોકોએ નાણામંત્રીની ખબર લઈ નાખી એટલે વ્યાજદરો પરનો કાપ રોકવાની ફરજ પડી. ખરેખર તો મત નહીં મળે એવું લાગતાં વ્યાજકાપ પાછો ખેંચાયો. અહીં પણ વર્તમાનપત્રોની હિમ્મત ને પ્રમાણિક્તા ઓછી જ પડી. છાપાંનું કામ ટ્વિટ્સે કર્યું તે સૂચક છે. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીએ મહારાષ્ટ્રમાં કોરોના, ક્રિકેટ કે ચૂંટણી ન હોવા છતાં ફેલાયો એમ કહીને ગુજરાતમાં થયેલી ચૂંટણીનો અને મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરીનો બચાવ કર્યો. આ મુદ્દે પણ વર્તમાનપત્રોએ ચૂપ રહેવા જ સ્વીકાર્યું. સાહેબને પૂછી શકાયું હોત કે ભીડથી કોરોના નથી ફેલાયો તો સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો અને એકલદોકલને માસ્ક ન હોવાને કારણે દંડ શું કામ કરો છો?

2 એપ્રિલના જ એક ડિજિટલ દૈનિકમાં 2600 વર્ષ જૂનાં મમીની હત્યા ચપ્પુથી નહીં, પણ કુહાડીથી થઈ – એવી વિગતો છે. એમાં તો જૂનાં ને બદલે “જૂની” મમી છપાયું છે. માણસની તો સમજાય, પણ    મમીની પણ હત્યા થાય તો આશ્ચર્ય થાય. કુહાડીથી હત્યા થઈ એટલું કહેવું પૂરતું ન લાગ્યું તો ઉમેર્યું કે કુહાડી ધારદાર હતી ને એનો ઉપયોગ ઈજિપ્તના સૈનિકો કરતા હતા. એ વખતે બુઠ્ઠી કુહાડીથી પણ હત્યા થતી હશે એમ માનવું પડે. 2600 વર્ષ જૂનાં મમીની વાત એક સમાચાર તરીકે સ્વીકારીએ તો પણ, એમાં એટલી વિગતો ખડકાઈ કે તેની અનિવાર્યતા અંગે પ્રશ્નો થાય. જેમ કે, વૈજ્ઞાનિકે મમીના વાળની તપાસ કરી ને એ બતાવ્યું કે વાળ વ્યવસ્થિત કાપેલા હતા ને કર્લી હતા. કઈ ઉંમરે હત્યા થઈ ને તે શબને કયા મટિરિયલથી પેક કરવામાં આવ્યું – જેવી વિગતો છેવટે તો શબનો શણગાર જ બની રહે છે.

થોડા વખત પર વિદેશના એક સમાચાર ફોટા સાથે છપાયેલા કે એક કૂતરો બિલાડીનો પીછો કરતાં ઝાડ પર ચડી ગયો. એ સમાચાર નથી તો કૂતરો વાંચવાનો કે નથી તો બિલાડી વાંચવાની, તો આવા સમાચારથી શું સિદ્ધ થાય છે તે નથી સમજાતું. એવા જ એક સમાચાર 24 ઓગસ્ટ, 2020ને રોજ એક વર્તમાનપત્રે ફોટા સાથે છાપેલાં જેમાં ફ્રાન્સના ન્યૂડ રિસોર્ટમાં 95 લોકોને કોરોના થયાની વાત હતી. સૂચવવું એ હતું કે નગ્ન હોવા છતાં લોકોએ માસ્ક પહેરેલાં હતાં ને ગમ્મત એ હતી કે જે ફોટો છપાયો એમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું.

એ દુખદ છે કે ગુજરાતીનું એક પણ અખબાર ભાષા બાબતે પૂરતી કાળજી નથી લેતું. સરકાર જ ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાની ફિરાકમાં હોય ત્યારે ગુજરાતી ભાષા બાબતે ઉદાસીનતા સહજ ગણાય. કેટલાં ય છાપાં સાદી વાક્ય રચના બાબતે પણ સભાન નથી. “હોય” અને “હોઈ” સમજ વગર લખાયા કરે છે. આવું હોઈ શકે – એમ લખવાનું હોય ત્યાં હોય શકે અને આવું હોય પણ ખરું – ત્યાં આવું હોઈ પણ ખરું એમ છપાય છે. એક જ સમાચારમાં ઊંઝા અને ઊઝા છપાય કે સુસાઇડ નોટ ને બદલે સ્યૂસાઇટ નોટ – છપાય તો ચાલે છે. હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું-ને બદલે સીલ મારવામાં આવી કે આપઘાત જેવું કૃત્ય-ને બદલે આપઘાત જેવો કૃત્ય છપાય તો પણ ગાડું ગબડે છે. ભાવ વધારાથી મધ્યમવર્ગ કચડાય, પણ છાપું, મધ્યમવર્ગ કચડાયું એમ છાપે કે પ્લાઝમાસેન્ટર ને બદલે પ્લાઝામાં સેન્ટર છાપે તો કોઈને સંકોચ થતો નથી. મા, નિષ્ણાત, નિમણૂકમાં ક્યાં ય અનુસ્વાર ન જ આવે, પણ છાપાંઓ અનુસ્વાર મૂકવાની કાળજી રાખે જ છે. ઘણાં એવી દલીલ કરે છે કે અનુસ્વાર મૂકાય કે ન મૂકાય તો શો ફેર પડે છે, વાત તો સમજાય છેને ! એ મિત્રો ન્યુમોનિયાની કે સાયકોની સ્પેલિંગમાં પી લખવાનો રહી ન જાય એની કાળજી રાખે છે. પુટ ને પટ ને બટ ને બુટ નથી કહેતા, તો ગુજરાતી અંગેની બેદરકારી પણ અક્ષમ્ય ગણાવી જોઈએ. ખોટું ગુજરાતી શીખવવાની જવાબદારી છાપાંએ ઉપાડી હોય, તો પણ ગુજરાતી શીખતા વિદ્યાર્થીઓ છપાયેલું સાચું માને છે ને એમને જ છાપું ખોટું શીખવે તો તે યોગ્ય છે? ભૂલો કોઇની પણ થઈ શકે, પણ એ ન સુધારવાની દાનત ઠીક નથી.

એ સાચું છે કે આજનો ટ્રેન્ડ પોપ્યુલર રાઇટિંગનો છે, પણ એને નામે અખબારો ધર્મ ચૂકી ન શકે. ગમે એટલા પોપ્યુલર થઈએ તો પણ તંત્રીલેખ ને બદલે હાસ્યલેખ ન જ ચાલે એ કહેવાની જરૂર ખરી?

એટલું સમજી લઈએ કે આવનારો સમય મીડિયા પર વધુ નિયંત્રણો લાવવાનો છે. હવે બેન્ક એકાઉન્ટ કે કોમ્પ્યુટર જ હેક થાય એવું નથી, આખી પ્રજા હેક થઈ શકે એવા સમયમાં આપણે જીવીએ છીએ. પ્રજાને વધુ સલામત ને સુરક્ષિત કરવાને નામે તેને કાબૂ કરવાનું નથી જ થતું એવું નથી. ટેક્નોલોજીના સૌથી વધુ લાભ ખટાવીને, તેની ટેવ પાડીને પ્રજાને અજાણતાં જ અનીતિ તરફ દોરવાનું બને છે. ટેક્નોલોજીના વ્યાપક દુરુપયોગે અનેક કૌભાંડોને એક સાથે જન્મ આપ્યો છે. વ્યાપક હિંસા ને અનાચાર ટેક્નોલોજીનું જ પરિણામ છે. સગવડો અને માહિતીએ એ સ્થિતિ સર્જી છે કે અનીતિ તરફનું ખેંચાણ વધે અને પ્રજા તેને વશવર્તીને રહે. એનો અર્થ એવો નથી કે માહિતી કે ટેક્નોલોજી દરેક વખતે ખરાબ છે. એ ટેકનોલોજીનું જ પરિણામ છે કે ઈ- પેપર લોકડાઉન છતાં આપણા સુધી પહોંચ્યું. એટલે લાભ પણ છે જ, જરૂર છે તે વિવેકની. આજે ખૂટે છે તે, પ્રમાણભાન ! એટલી ચિંતા થાય તો ઘણું ઉત્તમ હાથવગું થઈ શકે એમ છે. અસ્તુ !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઍપ્રિલ 2021

Loading

5 April 2021 admin
← અંગ્રેજો વગરનું ભારત અંગ્રેજો પહેલાંનું ભારત ન બની શક્યું
ગઝલ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved