Opinion Magazine
Number of visits: 9447540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણરક્ષાના અનુપમ ક્રાંતિસૈનિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 December 2016

સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ ખીલ્યા ને ખૂલ્યા

પર્યાવરણવિદ્દ અનુપમ મિશ્ર ગયા, અને એમને નિકટથી નહીં જોનારજાણનાર એક વ્યાપક વર્ગમાં એન.ડી.ટી.વી. પ્રકારનાં માધ્યમો વાટે કંઈક કૌતુકમિશ્ર ભાવો જગવતા ગયા. ખાસ કરીને ‘આજ ભી ભરે હૈ તાલાબ’ની સહૃદય સ્વાધ્યાયપુત, સ્થળમુલાકાતયુકત એટલી જ સરળ સોંસરી રજૂઆત સાથે તે ખાસા ઉચકાયા હશે. લાખો નકલોમાં આપગતિએ પહોંચેલી આ કિતાબની મૂંગી સફળતા, પછીથી, આમીરના ‘સત્યમેવ જયતે’ તરેહના કાર્યક્રમોમાં ઝળક્યાને કારણે પ્રતિષ્ઠાવિષય પણ બની હશે. ગમે તેમ પણ, આજના સમયમાં પર્યાવરણવિદ્દ હોવું અને ફાઇવ સ્ટાર સરકિટમાં સંકલ્પપૂર્વક ન હોવું – રે, મોબાઇલમુક્ત હોવું, કુશાંદે દફ્તર નહીં પણ સાદા કમરામાંથી કાગળની બીજી બાજુનો ઉપયોગ કરી કામ કરતા હોવું, અંગ્રેજીદાં એલિટ દાયરાથી પરહેજ કરવી, આ બધું હમણે હમણે અંજલિવચનો મારફતે બહાર આવતું લાગે ત્યારે કૌતુકમિશ્ર ખેંચાણ સાથે લગરીક ટીસ શો અનુભવ પણ થાય છે.

આ ટીસ જો વ્યક્તિગત હશે તો જાહેર પણ છે. આ ટીસને જાહેર એ અર્થમાં કહું છું કે પ્રશ્ન નકરી જીવનશૈલીનો નથી – એનો મહિમા તો છે જ – પણ આ તરેહનું સમર્પિત જીવન જીવતે જીવતે (અને જીવ્યું તે લખતે લખતે) એમણે જે વૈકલ્પિક વિકાસ દર્શન ઉપસાવ્યું એની સુધબુધ ને કદર મને તમને છે ખરી? ગાંધીમાર્ગી પરિવારની (કવિપિતા ભવાનીપ્રસાદ મિશ્રની) પરંપરામાં અને સમાજવાદી યુવજન સભા સાથેના આરંભિક સંધાનમાં આગળ ચલાતાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાના પર્યાવરણ કક્ષ વાટે એ ઊઘડ્યા. વચગાળાની એમની પહેલી, પર્યાવરણરક્ષા કામગીરી મધ્યપ્રદેશના તવા બંધ વખતના આંદોલનની હતી. એમણે એને મિટ્ટી બચાઅો આંદોલન તરીકે ઓળખાવેલું. એક રીતે, એ નર્મદા બચાવો આંદોલનનું પૂર્વસૂરિ હતું.

અલબત્ત, એનો વ્યાપ સ્વાભાવિક જ ઓછો હતો. પણ પરંપરાગત જલસંગ્રહની, કુદરત સાથે અનુબંધપૂર્વકની જે જૈવિક ને પ્રજાકીય કામગીરી હતી તેની સાથે બળાત્કારી ચેષ્ટા સામેનો એ અવાજ હતો. એ અર્થમાં ‘વિકાસ’ના પ્રસ્થાપિત અને પ્રક્ષેપિત અર્થ સામેનો એ અવાજ હતો. અનુપમે, પછીથી, એકથી વધુ વાર કહ્યું છે કે આગલી પેઢીઓએ આ બધે મુદ્દે ને મોરચે કેવી રીતે કામ પાડ્યું છે તે જાણ્યાસમજ્યા વગર એમને મૂરખ કે પછાત અગર અણઘડના ખાનામાં ખતવી દેવી તે ઠીક નથી. કંઈકેટલાં હજાર વરસથી મરુભૂમિ રાજસ્થાનમાં લોકોએ કેવી રીતે જળપ્રંબધન કર્યું, જીવન ટકાવ્યું ને વિકસાવ્યું તે સમજવાની આપણે કોશિશ જ ન કરીએ એ તે કેવી બૌદ્ધિકતા, કેવી આધુનિકતા ને કેવી વૈજ્ઞાનિકતા, અનુપમ પૂછતા. આ ખોજમાંથી ‘રાજસ્થાન કી રજતબૂંદે’ આવ્યું.

જેમ તવા બંધ સાથે ‘મિટ્ટી બચાઓ’નો મુદ્દો ઊંચકાયો તેમ ચિપકો આંદોલન સાથે એ માટીને ઝાલી ને બાંધી રાખતાં મૂળિયાંની વસાહત એટલે કે વૃક્ષોની ભૂમિકા ચિત્રમાં આવી. ચિપકો આંદોલનનો પણ પહેલો રિપોર્તાજ ‘દિનમાન’ દિવસોમાં અનુપમ મારફતે આવ્યો. પણ વાતમાં હું આગળ ચાલી ગયો. ગાંધીમાર્ગી સમાજવાદી યુવજન અનુપમ જયપ્રકાશ જોડે ચંબલ પંથકમાં ગયેલી એ ટીમ પર હતા જેણે ડાકુઓના આત્મસમપર્ણની આખી પ્રક્રિયા પાર પાડી હતી. આ જ ટીમ, પછીથી, કટોકટી સામેના લોકસંઘર્ષમાં પણ સક્રિય રહી. તો, કુદરત સાથેના અનુબંધપૂર્વક ભૂમિદાન આંદોલન અને ગ્રામસ્વરાજ ઝુંબેશ સાથે પણ તેઓ હતા જ. જ્યારે સંઘર્ષ અનિવાર્ય જણાયો અને સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ સમગ્ર સંદર્ભમાં ખીલ્યા ને ખૂલ્યા – એમનું ક્ષેત્ર પર્યાવરણ રહ્યું, સીધી રાજકીય મૂઠભેડમાં એ નયે હોય, પણ એમનો સંદર્ભ એક સમગ્ર સંદર્ભ હતો. અંગ્રેજી રાજ જવું જોઈતું હતું અને ગયું પણ ખરું. પણ તેટલાથી સ્તો સ્વરાજ સિધ્ધ થતું નથી. સાંસ્થાનિક સામ્રાજ્યશાહી ગાદી જેવી દિલ્હી પર બ્રાઉન સાહેબો બેસે, એમાં તો ઇતિ ક્યાંથી માની લેવાય? માટે લોકસંઘર્ષ – અને સમાજનવરચનાનો નવો નકશો.

આ નવા નકશામાં પરંપરાનું ઉત્તમ કાલવવાની અને મૂડીવાદી સંસ્થાનવાદી વિકાસની તરાહથી ઉફરાટે ચાલવાની દિલી તમન્ના … એટલે સ્તો ‘આજ ભી ખરે હૈ તાલાબ’ જેવું ઘોષવાક્ય કે ઘોષણાપત્ર. જરા ખસીને, બે મોટા કિતાબી પુરુષાર્થો સંભારીને આ મુદ્દો સ્પષ્ટ કરું. પંડિત સુંદરલાલનું ‘ભારત મેં અંગ્રેજી રાજ’એ જુલમ ને સિતમની દસ્તાવેજી દાસ્તાં છે. પણ સ્વરાજ પછીનાં વરસોમાં ધર્મપાલે જે કામ કર્યું છે. તે પરચક્ર દરમ્યાન છેલ્લી સદીઓમાં આપણું સમાજતંત્ર કેવુ ખોરવાયું ને ખોટકાયું અને તે પૂર્વે એક સમાજ તરીકે આપણે સજીવ-સપ્રાણ કેમ ને કેટલા હતા એનો ખ્યાલ આપે છે. સ્વરાજ ને સ્વધર્મ (‘ધર્મ’ના વ્યાપક અર્થમાં) જેમ સંસ્થાનવાદ સામેના સંઘર્ષમાં તેમ પંરપરાના સાતત્યને સમજવામાં પણ છે, એમ પણ તમે કહી શકો. આ સંજોગોમાં જો રાજેન્દ્રસિંહ આરાવરી નદીને નવેસર વહેતી કરે (અને એમાં પણ ક્યાંક ને ક્યાંક અનુપમની સંડોવણી હોય) તો એ ય છે તો સ્વરાજ આંદોલન જ ને.

પણ પરંપરાનો મહિમા કરવામાં જો વિવેક ન રહે, સાતત્ય પેઠે શોધનનો પણ ખ્યાલ ન રહે, તો શું થાય? ભલા ભાઈ, તમે ‘રીનેસાંસ’માં માનો છો કે ‘રિવાઇવલ’માં એ સવાલ તો કાન પકડે જ. ધર્મપાલના સાહિત્યને સંઘ પરિવારે ખાસું ઊચક્યું છે. એ આખું સાહિત્ય ગુજરાતીમાં ઊતર્યું. તે પ્રસંગે તત્કાલીન સરસંઘચાલક સુદર્શન ખાસ આવ્યા પણ હતા તે આ લખું છું ત્યારે સાંભરે છે. પ્રાચીન કાળમાં આપણે કેટલા આગળ હતા એ ગૌરવગાનનો અવસર આવે પ્રસંગે આવી મળતો હોય છે. માત્ર, સાતત્ય ને શોધનને ધોરણે એ પરંપરાઓ આજે જેને મજબૂત રાષ્ટ્રરાજ્યવાદ તરીકે ઓળખાવાય છે એના મેળમાં નથી અને ગૌરવબોધ જુદેસર મેળવવાનો છે એ ખ્યાલ રહેતો નથી.

ગુજરાતમાં આપણે એક તબક્કે પ્રાદેશિક અસ્મિતા અને હિંદુત્વનું કોકટેલ જોયું, પછી એમાં વિકાસનશો ઉમેર્યો, આ વિગતો સામે અનુપમ ને ધર્મપાલનો જૈવિક પરંપરાબોધ કેવી રીતે મૂકીશું? પરંપરા પાસે જવું તે ભૂતકાળવાદી હોવું નથી, અને આધુનિકતા પાસે જવું એ સંસ્થાનવાદી-સામાજ્યવાદી વલણોવાળા રાષ્ટવાદને આરાધવું તે નથી. ગંગાને માતારૂપે ઉપાસતી પ્રજા એને બધો કચરો વહેવડાવતા મોટા નાળા તરીકે વાપરતી માલૂમ પડે અને પછી શુધ્ધીકરણનો બેચ રચે એ પ્રકારનો વદતોવ્યાઘાત કે પછી પ્રાણધારા સરખી નદીને શોષી તેના રિવરફ્રન્ટીકરણમાં વિકાસનાં દર્શન કરવા તે યુગબલિહારી છે.

અનુપમે આ સંદર્ભમાં પાયાના પ્રશ્નો ઊભા કર્યા હતા અને એ રીતે વિકાસની વર્તમાન અવધારણા બાબતે આપણને જાતતપાસને ધોરણે પિંજરામાં ઊભા કરવાપણું જોયું હતું. જેપી આંદોલન હસ્તક થયેલો, આવકાર્ય ને અસરકારક પલટો પણ આ કસોટીએ તો હિમશિલાનું એક દશાંશમું ટોચકું માત્ર! અનુપમ કોઈ વાઇલ્ડ લાઇફ વંડર જેવું પર્યાવરણી પ્રાણી નહોતા, પણ ક્રાન્તિસૈનિક હતા, કોણ સમજશે? અનુપમ મિશ્રે પરંપરાગત પર્યાવરણ પંડિતોથી હટીને નવી અર્થનીતિ, નવી રાજનીતિ પરત્વે પ્રકૃતિ-અને-પ્રજાપરક, પ્રકારાન્તરે કહેતાં ત્રીજા મોજા ભણીની ભોં ભાંગી કૉંગ્રેસ-ભાજપ આદિ પક્ષોને હજુ બીજા મોજાની મૂર્છા વળતી નથી અને પહેલા મોજામાંથી છોડવા ને સાચવવા જેવું શું હોઈ શકે એનો ઇતિહાસબોધ નથી. પ્રશ્ન ત્રીજા મોજા વાસ્તે ત્રેવડ અને તૈયારીનો છે.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘સ્વધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 24 ડિસેમ્બર 2016

Loading

24 December 2016 admin
← આજ ભી ખરેં હૈં તાલાબ : જળવ્યવસ્થાપનના અચ્છે કામ માટે પ્રજાને હવે કોણ ઢંઢોળશે ?
ગાંધીજીની કચ્છયાત્રા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved