Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિવર્તનનો નિયમ ભાષાને પણ લાગુ પડે છે

વિશાલ શાહ|Opinion - Opinion|20 June 2017

પરિવર્તન સંસારનો નિયમ છે. આ બહુ જાણીતું ક્વૉટ આખી દુનિયાને એકસરખી રીતે લાગુ પડે છે. આપણે ભાષાની વાત કરીએ. દર બે અઠવાડિયે પૃથ્વી પર એક ભાષાનું મૃત્યુ થાય છે. એક ભાષા મરે ત્યારે તેની સાથે આખી એક સંસ્કૃિત અને જ્ઞાન પણ નાશ પામે છે. પ્રો. ગણેશ દેવીની આગેવાનીમાં કરાયેલા પીપલ્સ લિંગ્વિસ્ટિક્સ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, વૈવિધ્યથી ફાટફાટ થતાં ભારત દેશમાં જ ૭૮૦થી વધારે ભાષાનો જન્મ થયો છે, જેમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે. એટલે કે હજુયે ભારતમાં ૫૬૦ ભાષા જીવંત છે, પરંતુ યુનેસ્કોએ તેમાંની ૧૯૭ને 'લુપ્ત થઈ રહેલી ભાષા'ના ખાનામાં મૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ ૧૯૭ લુપ્ત થઈ રહેલી ભાષા ભારતમાં જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને નેપાળમાં પણ બોલાય છે. જો કે, ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી હોય તો પણ આપણે ચિંતા કરવાની નહીં, પરંતુ નક્કર કામ કરવાની જરૂર છે.

જો આપણે ખરેખર ભાષાના વારસાનું જતન કરવા માગતા હોઇએ તો જૂનીપુરાણી અને લુપ્ત થઈ રહેલી ભાષાઓનું ટેક્નોલોજીની મદદથી સંવર્ધન કરવું જોઈએ. ભારતમાં ફક્ત ભાષાને વરેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્યાતિભવ્ય મ્યુિઝયમ કેમ ઊભું ના કરી શકાય? ભારતની અનેક ભાષાઓ પાસે લોકસાહિત્ય, ગીતસંગીત, વાર્તાઓ, ચિત્રકામ, તહેવારો, ધાર્મિક ક્રિયાકાંડો તેમ જ નૃત્ય, નાટક જેવી ભજવણી કરી શકાય એવી કળાનો ખજાનો છે. આ પ્રકારના મ્યુિઝયમોમાં આ બધી જ કળાકારીગરી ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે સાચવી શકાય. એ ભાષા બોલતા લોકોની વીડિયોગ્રાફી કરીને સાચા ઉચ્ચારોની પણ જાળવણી કરી શકાય. આ બધી જ માહિતી વિદેશીઓ અને ભારતીયોને પોતપોતાની ભાષામાં મળી શકે એવી વ્યવસ્થા કરી શકાય. ભાષા ખુદ એક ઇતિહાસ છે, સંસ્કૃિત છે અને જ્ઞાન છે. એટલે જ કહેવાય છે કે, ભાષાનું મૃત્યુ થાય છે ત્યારે તેની સાથે ઘણું બધું મૃત્યુ પામે છે. લુપ્ત થઈ રહેલી ભાષાઓની ચિંતા ઇતિહાસના સંદર્ભમાં થવી જોઈએ, પરંતુ ઇતિહાસને લઈને આપણે ઘોર બેદરકાર છીએ.

જે ભાષાઓમાંથી રોજીરોટી અને આધુનિક જ્ઞાન ના મળતું હોય એ ભાષા લોકો શીખે અને બોલે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય! પરંતુ જે ભાષાનું સ્થાન લોકજીભે ના હોય તેને કમસેકમ મ્યુિઝયમમાં સ્થાન આપવું જોઈએ! જો એ ભાષા મ્યુિઝયમમાં પણ નહીં હોય તો આવનારી પેઢીઓ એ ઐતિહાસિક તથ્યોથી પણ અજાણ રહી જશે. યુનેસ્કોએ બનાવેલી ૧૯૭ ભાષાની યાદીમાં ફક્ત બે જ ભાષા એવી છે, જેને ભારતમાં સત્તાવાર દરજ્જો મળ્યો છે. પહેલી છે બોડો અને બીજી મૈથેઈ. બોડો ભાષા ઉત્તર પૂર્વીય ભારત, તિબેટ, નેપાળ અને બાંગ્લાદેશમાં બોલાય છે, જ્યારે મૈથેઈ મણિપુર, આસામ, ત્રિપુરા સહિત બાંગ્લાદેશ અને બર્મામાં પણ બોલાય છે. આ ૧૯૭ ભાષામાંથી અનેક ભાષાઓ તો એવી છે, જેની કોઈ લિપિ જ નથી. એટલે કે, એ ભાષાઓ ફક્ત બોલી શકાય છે, લખી નથી શકાતી.

ભારત સરકારે ૧૯૬૪માં ભારતીય ભાષાઓનું સંશોધન અને દસ્તાવેજીકરણ કરવા મૈસૂરમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેન્ગ્વેજીસની સ્થાપના કરી હતી. આ સંસ્થાની મદદથી ૨૦૧૪માં સરકારે લુપ્ત થઈ રહેલી ભાષાઓનું સંવર્ધન કરવા અભિયાન શરૂ કર્યું, જે 'પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લેન્ગ્વેજીસ ઓફ ઈન્ડિયા' નામે જાણીતું છે. આ અભિયાન હેઠળ સરકારે દસ હજારથી ઓછા લોકો બોલતા હોય એવી ભાષાઓનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું, પરંતુ આ અભિયાન 'એક સારો સરકારી પ્રયાસ' બનીને રહી ગયું છે. દેશની કુલ ભાષાઓમાં લુપ્ત થઈ રહેલી ભાષાઓ ૯૬ ટકા છે. આ પ્રકારની ભાષાઓ મોટા ભાગે ખૂબ જ નાના સમાજ દ્વારા બોલાતી હોય છે. એટલે એ ભાષા જાણતી અને બોલતી છેલ્લી વ્યક્તિનું મૃત્યુ થાય એ સાથે જ એ ભાષાનું પણ મૃત્યુ થાય છે, પરંતુ જે ભાષા વધુ લોકો બોલે છે, જે ભાષામાં પ્રચુર જ્ઞાન છે અને જે ભાષા પરિવર્તન યુગમાંથી હેમખેમ પસાર થતી રહે છે, તે ભાષા જીવી જાય છે. જો કે, ઓછા લોકો દ્વારા બોલાતી ભાષાનું મૃત્યુ થાય તો પણ દુઃખી થવાની જરૂર નથી, જરૂર છે એ વારસાનું જતન કરવાની. ભાષા પણ અમર નથી, તેનું પણ મૃત્યુ થાય છે. આ વાત જરા ઊંડાણપૂર્વક સમજીએ.

જેમ કે, ૧૯મી સદીના અંત સુધી બ્રિટન જેવા અનેક દેશોમાં વિક્ટોરિયન અંગ્રેજીનો યુગ હતો. આજે એ અંગ્રેજી સમજનારા કેટલા? અંગ્રેજી સાહિત્યના અઠંગ જાણકારો સિવાય એ જૂનીપુરાણી અંગ્રેજી કોઈ સમજતું નથી. શેક્સપિયરનું સાહિત્ય વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. શેક્સપિયરના અંગ્રેજીમાં લેટિન અને ગ્રીક શબ્દોની ભરમાર હતી, પરંતુ શેક્સપિયર હજુયે જીવે છે કારણ કે, બંદે મે થા દમ. આજે ય શેક્સપિયરનું સાહિત્ય દુનિયાભરની ભાષામાં જુદા જુદા સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થતું રહે છે. પછી એ નાટક હોય કે ફિલ્મો, અખબાર કે સામાયિકમાં છપાતો લેખ હોય કે પછી પાઠ્યપુસ્તકમાં સમાવાયેલું પ્રકરણ. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના કોર્સમાં શેક્સપિયર ભણાવાય છે. ટૂંકમાં વિક્ટોરિયન અંગ્રેજી અને શેક્સપિયરનું સાહિત્ય બંને જીવંત છે, પણ તેના સ્વરૂપો બદલાઈ ગયા છે. ગુજરાતી, મરાઠી કે બંગાળીને પણ આ જ નિયમ લાગુ પડે છે. દલપતરામ, ન્હાનાલાલ કે ગોવર્ધનરામની ગુજરાતી અને આજની ગુજરાતીમાં ઘણો ફર્ક છે, પણ ગુજરાતી તો જીવે જ છે કારણ કે, લાખો લોકો દ્વારા બોલાતી ગુજરાતીએ પણ પરિવર્તનનો એક યુગ પચાવી જાણ્યો છે.

ભારતની ૨૨ સત્તાવાર ભાષામાંથી અનેક શબ્દો અને રૂઢિપ્રયોગો લુપ્ત થઈ રહ્યા છે. આ જ મુશ્કેલી અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેિરનની પણ છે જ. દરેક ભાષાના દરેક શબ્દ હંમેશાં જીવંત રહે એ શક્ય જ નથી. આપણે વારસો સમજીને એનું જતન જરૂર કરી શકીએ પણ જૂનાપુરાણા શબ્દોનો ઉપયોગ કરવાનો દુરાગ્રહ ના રાખી શકીએ. ફ્રાંસ સરકારે લુપ્ત થઈ રહેલા શબ્દોને શોધવા એક સમિતિ બનાવી છે. અંગ્રેજી અને ફ્રેંચ જેવી ભાષાઓમાં જૂના શબ્દોને મુખ્ય ધારાના માધ્યમોમાં સ્થાન મળે છે એટલે બીજી ભાષાઓની સરખામણીમાં એવા શબ્દો થોડું વધારે ટકે છે. જૂના શબ્દો જીવંત રાખવાનો આ એક ક્રિયેટિવ આઇડિયા છે, પણ આધુનિક ભાષામાં બધા જ શબ્દો સમાવી લેવા અશક્ય છે. ઉદાહરણ તરીકે, બે-ચાર સદી પહેલાં ભારતમાં ખેતીવાડીને લગતા જાતભાતના શબ્દો હતા, જે આજે નથી વપરાતા અને એના અર્થો પણ શહેરી લોકોને ના સમજાય. કારણ કે, શહેરી લોકો ખેતી નથી કરતા અને ગામડાંમાં પણ ખેતી આધુનિક થઈ ગઈ છે. બે-ચાર સદી પહેલાં ટ્રેક્ટર કે દવા (પેસ્ટિસાઇડ્સ) જેવા શબ્દોની બોલબાલા ન હતી, પણ આજે છે. કોઈ પણ સમાજ-સંસ્કૃિતની રહેણીકરણી અને જીવન પદ્ધતિ બદલાય તેમ તેમ ભાષા પણ બદલાય છે.

આ જ કારણસર લાખો-કરોડો લોકો દ્વારા બોલાતી ભાષા પણ બદલાઈ જાય છે. એટલે જ બહુ ઓછા લોકો દ્વારા બોલાતી ભાષા લુપ્ત થઈ જાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. આજથી પચાસ વર્ષ પહેલાં કોઈ પણ ભાષામાં મોબાઈલ, સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટ જેવા શબ્દો રૂઢ ન હતા, પરંતુ અત્યારે વિશ્વની બધી જ સત્તાવાર ભાષામાં આ શબ્દો છે. કેટલીક ભાષામાં આ શબ્દોના અનુવાદ કરવાના નિરર્થક પ્રયાસ પણ થયા છે પણ એ લોકવાણીમાં ટકી નથી શક્યા. કમ્પ્યુટરને 'ગણકયંત્ર' કહેવાથી ભાષાની સેવા નહીં, કુસેવા થાય છે. ભાષાશુદ્ધિનો જડ આગ્રહ નક્કામો છે. ભાષા એટલે જ વિવિધ સંસ્કૃિતઓમાંથી પેદા થયેલા શબ્દોનો શંભુમેળો. જે ભાષા બીજી ભાષાના શબ્દો અપનાવે, એટલી એ ભાષા વધારે સમૃદ્ધ. ગુજરાતીએ પણ ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ખુલ્લા દિલે અપનાવી લીધા છે અને એટલે જ ગુજરાતી પરિવર્તનો સામે ઝીંક ઝીલી શકી છે. એકાદ વર્ષ પહેલાં આ જ કોલમમાં ગુજરાતી ભાષામાં ફારસી, અરબી શબ્દો કેવી રીતે આવ્યા એ વિશે લખ્યું હતું. સાર્થ જોડણીકોષ અને ભગવદ્ગોમંડળમાં પણ ગુજરાતીમાં રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો વાંચવા મળે જ છે. જો કે, એનો અર્થ એ પણ નથી કે, ગુજરાતી લખતી વખતે અંગ્રેજી કે હિન્દી કે ઉર્દૂ શબ્દોનો બેફામ ઉપયોગ કરવો. ગુજરાતીમાં લખતી વખતે 'પણ' ના બદલે 'બટ' શબ્દ વાપરવાથી ભાષા સમૃદ્ધ ના થાય. કોઈ પણ ભાષામાં લખતી વખતે બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ પણ એક કળા છે. દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો સાંસ્કૃિતક આદાનપ્રદાનથી સામેલ થતા જ હોય છે, એ માટે આપણે વિકૃત પ્રયાસ નથી કરવાના.

આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા ૪૫ કરોડની આસપાસ પહોંચી જશે. એનો અર્થ એ પણ છે કે, આગામી વર્ષોમાં ભારતની દરેક ભાષામાં ઈન્ટરનેટ યુગના ટેકનિકલ શબ્દો સામાન્ય થઈ ગયા હશે! બીજી તરફ, આજે ય ભારતમાં માંડ ૩૦ ટકા લોકો સારી રીતે અંગ્રેજી સમજી શકે છે. આ ૩૦ ટકામાંથી પોણા ભાગના લોકો એવા છે, જેમને ફેસબુકથી લઈને ટ્વિટર બધું જ માતૃભાષામાં જોઈએ છે. માતૃભાષા માટે લોકોની ચાહત બાય ડિફોલ્ટ હોય છે કારણ કે, એ બાળકના ઉછેર સાથે સંકળાયેલી બાબત છે. એટલે જ ઈન્ટરનેટની દુનિયામાં માતૃભાષા એક બિઝનેસ છે. દરેકને પોતાની ભાષામાં માહિતી જોઇએ છે. ગુજરાતી સહિતની અનેક ભારતીય ભાષાઓમાં પ્રાથમિક શિક્ષણની વાત આવે ત્યારે લોકો આવો આગ્રહ કેમ નહીં રાખતા હોય? – એ સંશોધનનો વિષય છે. માતૃભાષામાં ટેકનિકલ જ્ઞાન મળશે એટલે દરેક ભાષામાં નવા શબ્દો આવશે! તેને ભાષા દુષિત થઈ એમ ન કહી શકાય.

આપણને ભાષા દુષિત થઈ જશે એની આટલી બધી ચિંતા કેમ છે એ પણ સમજવા જેવું છે. ૨૧મી સદીના ભારતમાં પણ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્નોનો બાધ છે અને આંતરદેશીય લગ્નો તો બહુ દૂરની વાત છે. આજે ય દેશના અનેક રાજ્યોમાં ઓનર કિલિંગ થાય છે. હકીકતમાં જુદા જુદા ધર્મ-જાતિ-સમાજ-સંસ્કૃિતના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ માટે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય અને આંતરદેશીય લગ્નોને પ્રોત્સાહન આપવું એ સૌથી ઉત્તમ ઉપાય છે. વિઝનરી સરકારોએ તો આવા લોકોને 'સરકારી લાભ' આપવા જોઈએ, પરંતુ નાત-જાતના રાજકારણ પર ઊભી થયેલી લોકશાહી પાસેથી આવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. આપણે જે તે પ્રજાનું લોહી શુદ્ધ રહેવું જોઈએ એવો અવૈજ્ઞાનિક વિચાર ધરાવતા લોકો છીએ. આ જ નિયમ આપણે ભાષામાં પણ ઠોકી બેસાડવા માગીએ છીએ. આપણે ભાષાને પણ આપણા જેવું જ ખાબોચિયું બનાવી દેવા માગીએ છીએ.

ભાષા તો વહેતી નદી છે, જે વહેશે તો જીવશે, નહીં તો મોત નક્કી છે.

સૌજન્યઃ http://vishnubharatiya.blogspot.co.uk

—-

Loading

20 June 2017 admin
← જોડણીવિષયક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત છે ફુલસ્ટૉપ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved