Opinion Magazine
Number of visits: 9451853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિણામ, ટકાવારી અને જનાદેશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 March 2017

સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ સર્વમતીથી કરવાનું હોય છે. ખરો રાજધર્મ આ જ છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો ભારે વિજય થયો છે. દેશની પાંચમા ભાગની વસ્તીનો આ જનાદેશ દૂરગામી પરિણામો લાવનાર નીવડશે. આ પરિણામોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઢી વરસના શાસન પર મંજૂરીની મહોર લાગી છે. આ પરિણામોએ આગામી ગુજરાત વિધાનસભા અને લોકસભા ચૂંટણીને એકતરફી બનાવી દીધી છે, તો વડાપ્રધાન પ્રત્યેની મતદારોની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઈ છે.

આ ચૂંટણી પરિણામો ચૂંટણીસુધારા, વર્તમાન ચૂંટણીપદ્ધતિમાં ફેરફાર, રાજકીય પક્ષોનું ચરિત્ર અને ચૂંટણીમુદ્દા જેવી બાબતોએ વિચારવા મજબૂર કરે છે. પાંચ રાજ્યોની કુલ 690 બેઠકોમાં ભાજપને 405 બેઠકો મળી છે. એટલે કે તેણે 58% બેઠકો મેળવી છે, જેમાં ઉત્તરપ્રદેશનો સિંહભાગ છે. જો તેને બાદ કરીએ તો બાકીનાં ચાર રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની કુલ 287 બેઠકોમાંથી ભાજપને 96 જ બેઠકો મળી છે, જેની ટકાવારી 32.3 થાય છે.

હાલની ચૂંટણીપદ્ધતિમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તે વિજેતા ગણાય, તો જે પક્ષને બહુમતી બેઠકો મળે તેની સરકાર રચાય છે. એટલે જ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વર્તમાન ચૂંટણીપદ્ધતિને લોકોનો સંપૂર્ણ જનાદેશ કે મતદારોની પૂર્ણ અભિવ્યક્તિ માનતા નથી. નમૂનાદાખલ યુ.પી.નાં પરિણામો જોઈએ તો, ભાજપને કુલ 403 બેઠકોમાંથી 312 બેઠકો મળી છે, જે પ્રચંડ બહુમતી છે. પરંતુ તેને મળેલા મતો 39.7 % જ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીને તેના પછીના ક્રમે 22.2% મત મળ્યા છતાં તેને માત્ર 19 જ બેઠકો મળી છે.

પંજાબમાં કોંગ્રેસને 38.5% મત સાથે 117માંથી 77, તો અકાલી દળને 25.2% મત સાથે માત્ર 15 જ બેઠકો મળી છે. ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. પરંતુ આ બંને રાજ્યોમાં મતોની ટકાવારીમાં ભાજપ સૌથી આગળ છે. ગોવામાં ભાજપને 32.5% મત, 13 બેઠકો, કોંગ્રેસને 28.4% મત, 17 બેઠકો. મણિપુરમાં ભાજપને 36.3% મત, 21 બેઠકો, કોંગ્રેસને 35.1% મત, 28 બેઠકો.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 31% મતો અને 282 બેઠકો, તો કોંગ્રેસને 19.31% મતો અને માત્ર 44 જ બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં બસપાનો મળેલા મતોમાં તે પછીનો, ત્રીજો ક્રમ હતો. તેને 4.14% મત મળ્યા હતા. પણ એકેય બેઠક મળી નહોતી. અન્નાડીએમકેને 3.27% મત અને 37 બેઠકો મળતાં તે લોકસભામાં ત્રીજો મોટો પક્ષ બન્યો હતો. તૃણમુલ કોંગ્રેસને તેના કરતાં વધુ (3.84%) મત મળ્યા છતાં 34 બેઠકો મળતાં તે બેઠક સંખ્યામાં ચોથા ક્રમનો પક્ષ બની રહ્યો. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 32.2% મત મળ્યા હતા, પરંતુ તેને બેઠકો માત્ર 3 જ મળી હતી.

લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોમાં મોટે ભાગે 50% કરતાં ઓછા મત મેળવીને રાજકીય પક્ષોએ સત્તાના સુકાન સંભાળ્યાં છે. વળી આ તો થયેલ મતદાનના આંકડા પરથી મળેલા મતોની ટકાવારી છે. તેમાં જો મતદાન નહીં કરનાર અને મતદાર ન હોય તેને પણ ઉમેરીએ તો સરકારો સાવ જ અલ્પમતથી બનતી હોવાનું સાબિત થાય છે. 2011ની ભારતની વસ્તી 1.21 અબજ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 17.16 કરોડ મત મળ્યા હતા.

કુલ વસ્તીની સરખામણીમાં ભાજપને મળેલા મતો જોઈએ તો તે દેશની માંડ 14.8% વસ્તીની પસંદગીનો પક્ષ છે. પરંતુ લોકસભામાં તેની બેઠકો 282 હોઈ પૂર્ણ બહુમતીની સરકાર છે! આ પ્રકારની ચૂંટણીપદ્ધતિને કારણે સત્તાસ્થાને આવતા પક્ષો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.પી. ફતેહ પછીના દિલ્હી વક્તવ્યમાં કહેલી વાત ખૂબ જ પ્રાસંગિક અને સમયસરની છે કે સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ તો સર્વમતીથી કરવાનું હોય છે. આ બાબત જો સૌ રાજકીય પક્ષો ગાંઠે બાંધે તો જ ભલે ચૂંટણીમાં સર્વનો સાથ ન હોય પણ સર્વનો વિકાસ થઈ શકે. ખરો રાજધર્મ આ જ છે, જે પાળવો બહુ કઠિન છે.

આ ચૂંટણી પરિણામોએ જે અન્ય એક બાબત ઘૂંટી આપી છે તે એ છે કે  જાતિ, ધર્મ, કોમ, લિંગ જેવા ભેદોમાં જકડાયેલા મતદારને તેમાંથી બહાર કાઢી શકાય છે. દલિત, આદિવાસી, મુસ્લિમ, મહિલા, જાટ જેવી તરેહતરેહની વોટ બેન્ક ચૂંટણીટાણે નજરે પડે છે. રાજકીય પક્ષો પણ આવી મત બેન્કો ઊભી કરે છે અને તેને પોષે છે. આ ધોરણે ઉમેદવારોની પસંદગી અને હારજીત થાય છે. ઉત્તરપ્રદેશના 14.12 કરોડ મતદારો ચૂંટણી પરિણામો પછી જાતિ-ધર્મ-કોમ-લિંગથી મુક્ત થઈ જશે એવું બનવાનું નથી. પરંતુ રાજકીય પક્ષો જો તેને માત્ર વોટબેન્ક તરીકે જ જોશે અને તે કાયમ તેમના ખિસ્સામાં જ છે તેમ માનશે તો તેમાં હંમેશાં સફળ થવાના નથી.

મુખ્યત્વે દલિતો અને તેમાં ય જાટવોના પક્ષ મનાતા બહુજન સમાજ પક્ષને યુ.પી.માં દલિત વસ્તી 21% હોવા છતાં વિધાનસભાની 87 દલિત અનામત બેઠકોમાંથી માત્ર બે જ મળી છે. તેમ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો બસપાએ તેની જાટવ વોટ બેન્ક અકબંધ રાખ્યાનું કહે છે! જો કે આ વખતે ઉત્તરપ્રદેશમાં બસપાનો દેખાવ સૌથી કંગાળ રહ્યો છે. માયાવતી ચચ્ચાર વખત આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેમને આ ચૂંટણીમાં 19 જ બેઠકો મળતાં ખુદ માયાવતી માટે રાજ્યસભામાં પુન: ચૂંટાવું મુશ્કેલ બનવાનું છે. સમાજવાદી પક્ષની સરકારમાં 10 મુસ્લિમ મંત્રીઓ હતા. હાલની ધારાસભામાં ભાજપનો એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી. ઉ.પ્ર.ના ઇતિહાસમાં આ સહુથી ઓછા 24 મુસ્લિમ ધારાસભો ધરાવતી વિધાનસભા છે. જો કે વિધાનગૃહોમાં વાજબી રાજકીય પ્રતિનિધિત્વ હોય તો જ વહીવટ અને વિકાસમાં લાભ મળી શકે તે બાબત ચર્ચાસ્પદ છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સમાજવાદી પક્ષ તેણે રાજ્યના કરેલા વિકાસના મુદ્દે લડી હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે વિકાસ એટલે દિલ્હી-આગરા એકસપ્રેસ વે અને લખનૌ મેટ્રો  હતી. અખિલેશની વિકાસવાર્તા એ હકીકત પરથી જણાઈ આવે છે કે માર્ચ-2016માં તેમની સરકારે ચાર વરસ પૂરાં કર્યાં ત્યારે રાજ્ય સરકારે ‘સમાજવાદી સુગંધ’ નામે ચાર જાતનાં અત્તર ખાનગી કંપની પાસે બનાવડાવી લોકાર્પિત કર્યાં હતાં. આ ‘સમાજવાદી સુગંધ’ નામનાં અત્તર લોકો માટે નહોતાં. તે માત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા વિશિષ્ટ મહાનુભાવોને ભેટ આપવા માટે ઉત્પાદિત કરાયાં હતાં.

જો રાજ્યના સમાજવાદી કહેવાતા મુખ્યમંત્રીની વિકાસ વિશેની આ સમજણ હોય અને તેને કાનપુરના ચામડાઉદ્યોગની પડતી, દલિત અત્યાચારો, ખાડે ગયેલી કાયદો વ્યવસ્થા, મહિલા ઉત્પીડન, મુસ્લિમોની બેહાલી, રોજગારનો અભાવ, ગરીબી અને મોંઘવારી નજરે ન ચડતા હોય તો યુ.પી.ના મતદારનો તેમના માટેનો આ જનાદેશ વાજબી છે. આ સાદું સત્ય અખિલેશને ભલે ન સમજાયું, યોગી આદિત્યનાથને સમજાય તો ભયોભયો.

સૌજન્ય : ‘શાણપણના શબ્દો’, “દિવ્ય ભાસ્કર”, 23 માર્ચ 2017

Loading

23 March 2017 admin
← UP Assembly Elections 2017: Deepening of Communal Polarization
Wanted by Anti-Romeo Squad, UP, India →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved