Opinion Magazine
Number of visits: 9449150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંચાયતીરાજ, સત્તાનું વિકેન્દ્રીકરણ અને વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 November 2022

પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે.

જો કે ભારતીય બંધારણના મુસદ્દાના પ્રથમ વાચન સુધી બંધારણમાં પંચાયતીરાજનો કોઈ જ ઉલ્લેખ નહોતો. ગાંધીજીનું તે તરફ ધ્યાન દોરવામાં આવતાં ૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના ‘હરિજન બંધુ’માં એમણે લખ્યું : ‘પંચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માંગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે. હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગું છું.’ ગાંધીજીના આ અભિપ્રાય પછી બંધારણના બીજા વાચન વખતે પંચાયતીરાજને બંધારણમાં સામેલ કરવાની માંગ ઊઠી.પરંતુ તેમ કરતાં બંધારણના ઘડતરનું કામ વિલંબમાં મુકાવાની શક્યતા હોઈ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતને સામેલ કરતી કલમ ઘડીને સંતોષ મનાયો હતો.

બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર ગાંધીજીના ગ્રામસ્વરાજ અને પંચાયત અંગેના વિચારોના વિરોધી હતા. તેઓ ભારતનાં ગામડાંઓને સંકુચિતતા, અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર માનતા હતા. એટલે આપણા શાસનવિધાને ગામડાંને એકમ બનાવવાને બદલે વ્યક્તિને એકમ બનાવી યોગ્ય જ કર્યું હોવાનો તેમનો મત હતો.’

બંધારણના અનુચ્છેદ ૪૦ મુજબ પંચાયતોની રચના કરવાની સત્તા રાજ્યોને હતી અને રાજ્યો તે બાબતમાં ઉદાસીન હતા. પંચાયતી રાજ રચના અંગેની બળવંત રાય મહેતા સમિતિએ તેના ૧૯૫૭ના અહેવાલમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી. તેને અનુસરીને  બીજી ઓકટોબર ૧૯૫૯ના રોજ રાજસ્થાનના નાગૌર જિલાના બગધરી ગામેથી પંચાયતીરાજનો આરંભ થયો. પરંતુ વરસો સુધી તમામ રાજ્યોએ ત્રિસ્તરીય પંચાયતોની રચના કરી નહોતી. રાજીવ ગાંધીના રાજકીય સલાહકારોએ એમને પંચાયતીરાજ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પછી તો એ તેમના માટે વળગણ બની ગયું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં સત્તાનશીન થયેલી કાઁગ્રેસની પી.વી. નરસિંહરાવ સરકારે ૧૯૯૩માં ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો પસાર કર્યો હતો. તેને લીધે દેશમાં એક સરખું ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલી બન્યું હતું.

ગ્રામ પંચાયત અને નગરપાલિકા ગ્રામીણ અને શહેરી ભારતની સ્થાનિક સ્વશાસન પ્રણાલી છે. પંચાયતોની દર પાંચ વરસે નિયમિત ચૂંટણી, ગ્રામસભા અને અનુસૂચિત જાતિ-જનજાતિ માટે અનામત બેઠકો બંધારણ સુધારા પછી શક્ય બની છે. તેમાં મહિલા અનામત અને અન્ય પછાત વર્ગો માટેની અનામત પાછળથી ઉમેરાઈ છે. સામાન્ય રીતે સત્તાથી વંચિત રહેતા આ વર્ગોને ન માત્ર સભ્યપદમાં હોદ્દાઓમાં પણ અનામત આપવામાં આવી છે. સંવિધાનની ૧૧મી અને ૧૨મી અનુસૂચિ પ્રમાણેનાં કાર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાના હોય છે. પરંતુ આર્થિક વિકાસ, સામાજિક ન્યાય અને કેન્દ્ર તથા રાજ્યોની યોજનાઓનું અમલીકરણ તેનું મુખ્ય કામ છે. લોકતંત્ર મૂળભૂત રીતે તો વિકેન્દ્રિકરણ આધારિત શાસન વ્યવસ્થા હોવી જોઈએ એ અર્થમાં ગ્રામપંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા તેના કાર્યોને જોતાં લોકતંત્રનો પાયો અને મજબૂત આધાર છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. પરંતુ રીઢા રાજકારણીઓએ લોકતંત્રના આ પાયાને નબળો પાડ્યો છે. કોઈ સરકાર સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છતી નથી. તેના માટે વિકેન્દ્રીકરણ એટલે પોતાની સત્તામાં કાપ કે ભાગ છે. ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા તેમની જરૂરિયાતો અને વિકાસ કામો માટે રાજ્ય સરકારો પર આધારિત રહે તેવું માળખું ઘડાયું છે. સ્થાનિક સ્વરાજ નામ માત્રનું છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા ત્યારે જ ખપની જ્યારે તે આર્થિક રીતે પગભર હોય. પંચાયતો હોય કે નગરપાલિકા તે નાણાંની બાબતમાં  રાજ્યોની દયા પર જીવે છે. તે આર્થિક રીતે તો જરા ય આત્મનિર્ભર નથી જ નિયમોની જટાજૂટ અને અમલદારશાહી પણ તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી.

સમાજના જે વર્ગોનું સત્તામાં પ્રતિનિધિત્વ નથી તેને પ્રતિનિધિત્વ મળી રહે અને લોકશાહી સમાવેશી તથા સાર્થક થાય એટલા માટે મહિલાઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને દલિતોને અનામત આપવામાં આવી છે. મહિલાઓ માટેની પચાસ ટકા અનામતનો અમલ તો થાય છે, પરંતુ ખરી સત્તા તો મહિલાને બદલે ઘરનો પુરુષ જ ભોગવે છે. ખુદ વડા પ્રધાને તેમની થોડા મહિના પહેલાંની ગુજરાત મુલાકાત વખતે જાહેરમાં સરપંચ પતિ અંગે ટકોર કરી હતી. એટલે આ દૂષણ કેટલું જ્ઞાત અને વ્યાપક છે તેનો ખ્યાલ આવે છે. તો વળી અનુસૂચિત જાતિના સરપંચના માથે અવિશ્વાસની દરખાસ્તનું સંકટ સદાય લટકતું રહે છે.

પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને લડાય છે તેવું કહેવાય છે, પરંતુ ખરેખર તેવું છે ખરું? જો રાજકીય પક્ષોની સામેલગીરી અને દખલ મોટા પ્રમાણમાં હોય તો આ ચૂંટણીઓ રાજકીય પક્ષોએ તેના ચૂંટણી ચિહ્ન પર જ લડવી જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ચૂંટાયેલા પંચાયંતના સભ્યોને બદલે આખા ગામના મતદારો કરે છે. જો ગામના નાના એકમ માટે પ્રત્યક્ષ ચૂંટણી થઈ શકતી હોય તો તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયરની સીધી ચૂંટણી શા માટે નહીં ?

આઝાદીના અમૃત પર્વે લોકતંત્રના મજબૂત પાયાને લાગેલો કે લગાડાયેલો આ લૂણો ઘનબળ અને બાહુબળને કારણે છે. લોકશાહીના પ્રાથમિક પાઠ શીખવા માટે ગ્રામપંચાયત સ્તરથી ચૂંટણી, મતદાન અને ગામનો વહીવટ શીખવો જરૂરી હતો. સરપંચની પ્રત્યક્ષ ચૂંટણી અને વરસમાં ચાર વાર ગ્રામસભાની બેઠકોની જોગવાઈથી લોકશાહી પ્રક્રિયાને અનુસરી ગામના વિકાસ કામોના નિર્ણયો સમગ્ર ગામ મળી લે તેવો ઉદ્દેશ છે. પરંતુ જેમ સત્તાના વિકેન્દ્રીકરણનો આશય બર આવ્યો નથી તેમ ગ્રામસભાઓ પણ માત્ર ઔપચારિકતા બની ગઈ છે.

મહાત્મા ગાંધીનું પંચાયતો દ્વારા સત્તાના વિકેન્દ્રીકરણનું અને અંતે ગ્રામ સ્વરાજનું સ્વપ્ન એક સપનું જ બની રહ્યું છે. જે પંચાયતી રાજને લોકતંત્રનો પાયો, આધાર અને સત્તાની મહારાણી બનવાનો ઉદ્દેશ છે તેને રાજકારણે દાસી કે પટરાણી બનાવી દીધી છે.

E.mail : maheriyachandu@gmail.com

Loading

4 November 2022 Vipool Kalyani
← હવા
આજના યુગમાં બાપુ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved